રવિવાર, 8 ફેબ્રુઆરી, 2026

આ લેખ “શિક્ષકો માટે" નથી.આ લેખ બાળકો માટપણ નથી.આ લેખ: 👉 માનવ મન માટે છે.

આ લેખ “શિક્ષકો માટે" નથી.
આ લેખ બાળકો માટપણ નથી.
આ લેખ: 👉 માનવ મન માટે છે.

******

હું ખરેખર સમજવા માંગુ છું કે શા માટે અમુક બાળકો આવા એકસરખા લાગતા અક્ષરો/શબ્દો જ રિપીટેટિવ લખતા હોય છે?
એમનાં મનમાં એવું તો શું ચાલતું હોય છે કે કોઈ પણ વિષયોના કોઈપણ સવાલોના જવાબોમાં આ એકસરખા રિપોટેટિવ શબ્દો/અંકો લખે?
.
ઉદાહરણ તરીકે સમજાવું તો તારે જમીન પર પિક્ચરમાં ઈશાન 3×9= 3 જવાબ જે રીતે લખે છે એ દરમિયાન એના મનમાં સોલર સિસ્ટમના ગ્રહોનું યુદ્ધ ચાલતું હોય છે.. જેમાં એ 3 નંબરના ગ્રહ પૃથ્વીને 9 નંબરના ગ્રહ પ્લુટોને કાઢીને રિપ્લેસ કરે છે.. કારણ કે વૈજ્ઞાનિકોએ પ્લુટોને ગ્રહ ગણ્યા પછી એની બાદબાકી કરી હતી.. (પહેલી કોમેન્ટમાં લિંક મુકું છું.)

કેટલી વસ્તુઓ બાળકોના મનમાં ચાલતી હશે જ્યારે પરીક્ષામાં કોઈ સવાલોના જવાબો એ લખતા હશે?? મારે ખરેખર જાણવું છે કે પરીક્ષાના સવાલોના જવાબો લખતી વખતે એમના મનમાં શુ ચાલે છે?? જો શિક્ષક તરીકે હું એ સમજવા લાગું કે બાળકના મનમાં શું ચાલે છે, તો મૂલ્યાંકનનો અર્થ પણ બદલાઈ જાય.

*******

..આવા સવાલો ઉઠે ત્યારે એક શિક્ષકનું ખરું શિક્ષકત્વ ખીલે છે!

જ્યારે પરીક્ષા દરમિયાન અથવા ભણાવતી વખતે બાળકની નોટ/પેપર ચેક કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો આવું લખે છે. આપણી શિક્ષણ પ્રણાલી/વ્યવવસ્થાનું  દબાણ એવું છે કે મોટાભાગનાં શિક્ષકો ફરિયાદ તરફ સરકી જાય છે-
.
"બાળકને ગમે એટલું ભણાવીએ પણ કશું આવડતું જ નથી."
"પરીક્ષામાં કશું લખતા જ નથી."
"અરે જોઈ-જોઈને પણ બાળકો નથી લખતા."
"આખો દિવસ બસ તોફાન..તોફાન.. પછી પરીક્ષામાં કશું ઉકાળતા નથી."
"ડબ્બા છે સાવ."
.
.....અને બીજું ઘણું બધું બોલતા હોય છે. ઘણા શિક્ષકો તો બિચારા આવા બાળકોને ધોઈ નાંખતા હોય છે. ઘણા શિક્ષકો લિટરલી પરીક્ષામાં બાળકોને ખાલી સવાલો-સવાલો લખવાનું કહે અને પછી જવાબો લખેલું પેપર ફેરવીને જવાબો લખાવે છે. બોર્ડ ઉપર પણ જવાબો લખાવતા હોય એવા ઓછા નથી.

જોકે આપણો લેખ શિક્ષકો શુ કરે છે એ માટે નથી!! 
.....માટે બાળકો આવું શા માટે લખે છે એના પર ફોકસ કરીએ તો સમજાય કે એ આવું ઘણા બધા કારણોસર થાય છે.

👉 જો બાળકને આંશિક/પૂર્ણ વાંચતા આવડતું હોવા છતાં આવું લખતું હોય તો પૂર્ણ સંભવ છે કે એને પ્રશ્ન વંચાય છે પણ પ્રશ્ન સમજવાની ઉર્જા જ બચી નથી. ટાઈમલિમિટમાં પેપર પૂર્ણ કરવાનો ડર અને ગભરાટ મનમાં માનસિક ચકરાવો ઉભો કરે છે અને મગજ જવાબનો વિચાર છોડીને લખવાની એક પેટર્ન પકડી લે. જેમ કે, એકનો એક અંક અથવા અક્ષર/શબ્દ/વાક્ય જ લખ-લખ કરવું.

યાદ કરો, આપણામાંથી જ કોઈકે નાનપણમાં કોઈ પરીક્ષામાં એકનું એક વાક્ય દર બીજા ફકરા/જવાબમાં વારંવાર/ફેરવી-ફેરવીને લખેલું જ હશે. કારણ કે સવાલ 5 માર્ક્સનો હોઈ લાંબો મોટો લખવો પડે, પણ જવાબમાં શુ લખવું એ વાક્યો યાદ ન આવવાના કારણે/વિચારી શકતા જ ન હતા અને એમાંય પાછું ટાઈમલિમિટમાં પેપર પણ પૂરું કરવાનું હોય ત્યારે ખાસ!

બરાબર સમજો, બાળકનું મગજ જ્યારે સર્વાઇવલ મોડમાં હોય ત્યારે એ રિપીટેટિવ વસ્તુઓ કરે છે. આપણા પર પણ કોઈ બાબતનો આરોપ લાગ્યો હોય ત્યારે આપણે રિપીટેટિવ સર્વાઇવલ મોડમાં જઈને આપણા બચાવમાં એકનીએક વાતો એક યા બીજાની સામે કરતા રહીએ એમ..!! આ જાણીજોઈને નથી થતું.. બસ, સ્વ-બચાવ માટે થાય છે.

👉 વ્યક્તિનું મગજ આમ તો ઉકેલવું સહેલું નથી કેમકે અબજો ન્યુરોન્સ કેટલીય ક્રિયાઓ અને ઇમેજોમાં વહેચાયેલું છે. ...છતાંય બાળકોના મગજની કેટલીક બાબતો સમજી શકાય એવી હોય છે.

● વિચારશક્તિ પર કંટ્રોલ: (I.Q.)
ભણવામાં હોંશિયાર હોય એવા બાળકોમાં આવી વિચારશક્તિ પર કંટ્રોલ જોવા મળે છે. એ ધારે ત્યારે વિચારીને સાચો જવાબ આપી શકે, પણ ભણાવામાં નબળા બાળકોને વિચાર શક્તિ પર કંટ્રોલ હોતો નથી. એ તારે જમીન પરના ઇશાનની જેમ ઘણું બધું વિચારે છે. કાં તો એ ઓવર થીંકર છે અથવા તો બ્લેન્ક માઈન્ડ છે. કશું જ વિચારી શકતો નથી.

આપણને ચાઈનીઝ ભાષા કે સ્પેનિશ ભાષામાં લખેલું વાંચવાનું કહેવામાં આવે તો આપણે શું વાંચીએ? કશું વિચારી પણ ના શકીએ કે શું લખેલું છે?! તમિલ કે તેલુગુ બોલતા ના આવડતું હોય તો બોલવામાં ગપ્પા પણ ન મારી શકીએ! ...બસ આવો જ પ્રોબ્લેમ વિચારશક્તિ પર કંટ્રોલ ન હોય તો નબળા બાળકોને થાય છે. અને પછી પરીક્ષામાં શરૂ કરે છે મહાન ગપ્પા લખવાનું!.. અથવા પેપરનું પાનું કોરું છોડવાનું!

સાયકોલોજી કહે છે કે બુધ્ધિ (દિમાગ) વારસાગત હોય છે. ભણેલા માતાપિતાનું બાળક ભણવામાં હોંશિયાર હોય અને અભણ માતાપિતાનું બાળક નબળું! (મારા એક શિક્ષકમિત્ર હંમેશા કહેતા કે 'જેવી માં એવું બાળક!' બાય ધ વે, એ પિતા ઉપર કેમ કશી કોમેન્ટ નહીં કરતા હોય?.. એ એક સ્વતંત્ર લેખ લખી શકાય એવો વિષય છે.)

● લાગણી વાળું દિમાગ : (E.Q.)
ઘરમાં હાન્ડલા કુસ્તી કરતા હોય અને કોઈ તમને 'મોજમાં રહેવાનું' કહે તો દિમાગની નસ ખેંચાય કે નહીં?? એક બાળક ઘરમાં હંમેશા ઝઘડા જ થતા જોતું હોય, માતા-પિતાને ક્યારેય પ્રેમથી વાતો કરતા પણ જોયા જ ન હોય, રોટી-કપડાં-મકાનની કિલ્લત રહેતી હોય, માતા-પિતા બેય પોતપોતાનામાં કામ-ધંધાર્થે રચ્યા પચ્યા રહેતા હોય, પિતા વ્યસની/ધમાલિયો હોય, માતા કે પિતાએ બીજા લગ્ન કર્યા હોય.. અને આવા અનેક કારણોસર જો બાળકને પ્રેમભરી હૂંફ પણ ન મળતી હોય તો બહુ મોટી સંભાવના છે કે એ પેપર/પરીક્ષા/ભણવામાં નબળું પ્રદર્શન જ કરે. આવા બાળકો કાં તો સાવ ચૂપ થઈ જાય અથવા ભયંકર તોફાની-ઝઘડાળું!

...ઉપરની બેય/અથવા એક વસ્તુ જો કોઈ બાળક સાથે થતી હોય તો પરીક્ષા દરમિયાન એનું મગજ એક ઓટો-પાઈલટ મોડમાં જતું રહે. પરીક્ષામાં એને માત્ર એટલું જ ખબર પડે છે કે "કંઈક તો લખવાનું છે." ..અને એ એને જે સરળ લાગે છે એ લખે છે. મતલબ, રિપીટેટિવ શબ્દો/અક્ષરો/અંકો!

👉 બાળકનું બેધ્યાનપણું:
લેખની શરૂઆતમાં તારે જમીન પર ઈશાન પરીક્ષામાં જે કરે છે એ આનું ઉદાહરણ છે. મનમાં જે ચાલતું હોય એ બાળક લખે. જેમ કે, કાર્ટૂન, મોબાઇલની ગેમ, અધૂરી કાલ્પનિક વાતો, રમતો.. પરીક્ષામાં એણે જે જવાબ લખ્યો છે એ સાચો જ છે એવો એ કોન્ફિડન્સ રાખે છે. ..પણ આપણા/શિક્ષકો માટે એનો જવાબ (એને લખતા-વાંચતા આવડતું ના હોય એટલે) આડા ઉભા લીટા/ખાલી અક્ષરો/એકનું એક રિપીટેટિવ લખાણ બની જાય છે.

👉 અગત્યનો સવાલ:
એકનું એક લખાણ શુ સૂચવે છે? આવું લખાણ જોવા મળે તો આપણે/શિક્ષકોએ શુ સમજવું?

● બાળકનું મગજ ડર, ગભરાટ, પરીક્ષાની ટાઈમલિમિટ, IQ,EQ.. જેવા કારણોસર હેંગ થઈ ગયું છે. ભણાવતી વખતે સાચા જવાબો બોલી/લખી બતાવતું બાળક આવા ખરા સમયે ધારીને પણ સાચો જવાબ નહીં જ લખી/બોલી શકે. ઇન્સ્પેકશન વખતે ઘણા શિક્ષકોને અનુભવ હશે કે બાળકો કોઈ અધિકારી સામે સાચો જવાબ આવડતો હોવા છતાં ખોટો આપે/બોલે/લખે છે.

● "પરીક્ષામાં આવડે એવું કંઈક તો લખજો જ.. પેપર કોરું છોડતા નહિ." જેવી અર્થવગરની સૂચનાઓ આપતા શિક્ષકો અજાણતા જ બાળકોના મનમાં એવો ડર નાંખે છે કે પેપર કોરું છોડવું નહિ! ...પરિણામ સ્વરૂપે બાળક આખું પેપર અગડમ-બગડમ અક્ષરો/શબ્દો/વાક્યોથી લખી દે! આપણે/શિક્ષકોએ એ સમજવું પડશે કે આ સૂચના માત્ર હોંશિયાર/પોતાની આગવી વિચારશક્તિ ધરાવતા બાળકને લાગુ પડે છે. આવી સૂચનાઓ સમૂહમાં ન આપવાની હોય!

● ઘર, પરિવાર, સમાજ, મિત્રો અને શિક્ષકોમાં ભણવામાં 'ડબ્બા' બની ગયેલી પોતાની છાપના જવાબમાં બાળક પરીક્ષામાં એકનો એક અક્ષર/શબ્દ/વાક્ય/અંક વારંવાર લખે છે. એ પોતાને સાબિત કરવા માંગે છે કે 'જુઓ, હું પણ જવાબ લખું છું અને પેપર કોરું છોડતો નથી.' ..અને આ બાબત એના પોતાના કાબૂ/કંટ્રોલમાં છે એ બતાવવા નોટ/જવાબવહીના પાના કશું ન આવડતું હોવા છતાં ભરતો જાય છે.

👉 આપણને/શિક્ષકોને પોતાને પણ જો આવો સવાલ પૂછવામાં આવે કે, "તમારાથી દૂર રહેતું બાળક અચાનક તમને મળવા આવે તો તમને શુ અનુભવ થાય છે? એ લખો." .. તો યકીન માનો કે આપણે/શિક્ષકો પણ પાંચ-દસ લીટી માંડ લખી શકીશું, કેમ કે લાગણી/વિચારોને અનુભવવા જેટલા સહેલા છે એટલા જ લખવા અઘરા છે. અને એમાંય જો લખતા-વાંચતા ન આવડતું હોય એવી ભાષામાં લખવાનું કહેવામાં આવે તો આપણે પણ પેપર કોરું જ છોડીશું અથવા આવડે એવું રિપીટેટિવ અક્ષરો/શબ્દો/વાક્યોમાંજ લખીશું. કારણ કે આપણે સાચું કેવી રીતે લખવું એ સ્પષ્ટ નથી, એટલે ખોટું લખીએ છીએ. બાળકની સ્થિતિ પણ આવી જ છે.

યાદ રહે,

👉 બાળક ખોટું લખતું નથી, એ પોતાની હાલત લખે છે.

👉 જ્યારે મન ડામાડોળ હોય ત્યારે ક્રિયાનું પુનરાવર્તન થાય છે.

👉 આપણે/શિક્ષકો જ્યારે ફરિયાદ કરીએ છીએ કે.. બાળકોને કશું આવડતું જ નથી./બાળકો પરીક્ષામાં કશું લખતા જ નથી./બાળકો જોઈજોઈને પણ નથી લખતા... ત્યારે બાળક વધુ બંધ/હેંગ થઈ જાય છે. એના મગજમાં ઓટોપાઇલટ મોડ 'ઓન' થઈ જાય છે.

👉 બાળકનો વિશ્વાસ જીતવા ફરિયાદ નહિ, પણ આપણું એટીટ્યુડ બદલવુ પડે. જેમ કે,

● “તે ખોટું નથી લખ્યું.”
-----આ પહેલી લાઇન જાળ તોડે છે અને બાળકના મનમાં તરત થાય છે: “હું બચી ગયો.”

● “તે જે લખ્યું એ હું જોઈ શકું છું.”
-----અહીં “સમજું છું” નહીં, પણ “જોઈ શકું છું” કહેવું મહત્વનું છે. સમજ્યા વગર પણ જોવાની ખાતરી બાળકને વિશ્વાસ અપાવે છે.

● “લખતી વખતે તારો હાથ ચાલતો હતો, પણ મન ક્યાંક બીજે હતું.”
-----બાળકને પકડ્યા વગર પણ પકડવું. તે તરત જ પોતાની ભૂલ સમજશે.

● “તું મને કહી શકે છે કે એ સમયે મનમાં શું ચાલતું હતું?”
-----આ પછી 10–20 સેકન્ડ ચુપ! આ મૌન જ સાચો પ્રશ્ન છે. જો બાળક અજીબ વાત/કોઈ મનઘડંત કાલ્પનિક વાર્તા/બહાનું બતાવે કહે તો અટકાવવું નહીં કે સુધારવું પણ નહીં. ધીમે ધીમે વિશ્વાસ સંપાદિત થતાં મૂળ કારણ બહાર આવશે કે એના મનમાં શુ ચાલે છે?

👉 આ કામ કોઈ સિલેબસમાં નથી, માર્કશીટમાં પણ નથી.. પણ જીવનમાં છે!

...આના ઉપાય રૂપે હાલ ધોરણ 4 ના વર્ગ શિક્ષક તરીકે મારા વર્ગમાં દરરોજ અડધો કલાક 'ખુદ કો જાનો'- વર્ગ પ્રોજેકટનો એક પ્રયાસ ચાલી રહ્યો છે જ્યાં અમુક બાળકો પોતાની અંદર શું ચાલે છે એ લખી શકે છે. (એક ફોટો પણ મુકું છું.)

---

લેખ લાંબો થઈ રહ્યો છે, પણ આ બે કિસ્સા લખ્યા વગર પૂરો નહિ થાય!

(1) એક અધિકારી ઇન્સ્પેકશનમાં આવી મારા ચેક કરેલા પેપરો તપાસવા માંગ્યા. એક બાળકે 'Pencil' નો સ્પેલિંગ 'Pancil' લખ્યો હતો. મેં અડધો માર્ક્સ આપ્યો હતો. તો એ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વગર સીધું બોલ્યા, "તમારો બેઝિક પણ અડધો કરી દઉં તો..?"
..એમના આ રીએક્શનથી હું હતપ્રભ હતો.
મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો."

..જ્યારે વ્યવસ્થામાં અવિશ્વાસ ઘૂસી જાય, ત્યારે પ્રયત્નો પણ દેખાતા નથી! 

હું એમને કેવી રીતે સમજાવી શકવાનો હતો કે બાળકે જાતે જ આખા પેપરો લખેલા છે!! બાળકે જાતે કરેલાં પ્રયત્નોનું મૂલ્યાંકન માર્ક્સથી જ થતું હોય તો એમાં અડધો માર્ક્સ પણ આપવો જ રહ્યો!!

(2) દીકરી Z મારા વર્ગમાં હતી ત્યાં સુધી એ શીખેલી કે પરીક્ષામાં જાતે પેપર લખવું અને હવે બીજા શિક્ષકના વર્ગમાં જતા, પરીક્ષા દરમિયાન મને મળવા આવી. પરીક્ષામાં શુ થાય છે એ જાણીને મેં કહ્યું, "દીકરી Z, જાતે પેપર લખવું."

બીજા દિવસે એ મારી પાસે આવી રડી પડી!
એણે કહ્યું , "મૈને ખુદ પેપર લીખા તો વો ટીચરને પૂરે કલાસ કે સામને મુજે થપ્પડ માર દિયા ઓર બોલી, મૈને કહાં થા કિ જવાબ મત લીખના સિર્ફ સવાલ લીખના, ફિર ભી તુને જવાબ કયું લીખા?"

...હું ફરી હતપ્રભ થઈ ગયો!

---

અંતે,
“બાળકની ભૂલ સુધારતા પહેલા
બાળકને માણસ માનવો પડે.”

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 8.2.26

https://www.facebook.com/share/1D17ejxQC4/

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો