રવિવાર, 8 માર્ચ, 2026

શાળાના વાર્ષિકોત્સવ : બજારવાદ અને અહંનો ઉત્સવ

https://www.facebook.com/share/p/1CN616ZxhM/


*શાળાના વાર્ષિકોત્સવ : બજારવાદ અને અહંનો ઉત્સવ*

👉 લેખની શરૂઆતે એક સ્પષ્ટતા: 
આ લેખ કોઈ ચોક્કસ શાળા, શિક્ષક અથવા સંસ્થા વિશે નથી. શિક્ષણમાં ચાલી રહેલી એક સામાન્ય પ્રવૃત્તિ વિશે વિચાર કરવા માટે લખાયો છે.

ખાસ નોંધ: 
👉 આપણે બધા જ એક જ સમાજનો ભાગ છીએ. શિક્ષકો પણ એ જ સમાજમાંથી આવે છે, વાલીઓ પણ અને સંસ્થાઓ પણ! તેથી શક્ય છે કે આપણે જે કાર્યક્રમો ગોઠવીએ છીએ તે પણ અજાણતા એ જ સામાજિક દબાણનું પરિણામ હોય:

- કાર્યક્રમ ભવ્ય લાગવો જોઈએ
- મહેમાનો ખુશ થવા જોઈએ
- દાતાઓ સંતોષ પામવા જોઈએ
....
આવા દબાણ વચ્ચે ઘણીવાર બાળકનું મૂળ સ્વરૂપ ક્યાંક પાછળ રહી જાય છે. આથી *આ લેખ ટીકા નથી,
પરંતુ એક સંવાદની શરૂઆત છે.*

*******

આજે એક શાળાનો વાર્ષિક ઉત્સવ/રંગારંગ કાર્યક્રમ જોઈ રહ્યો હતો. એ દરમિયાન વિચારોનું ચકડોળ ચાલુ થયું..

- દરેક કાર્યક્રમમાં આખું સ્ટેજ બાળકોથી ભરેલું હતું.
- બધાનું ડ્રેસ અપ એકસરખું જ હતું.
- દરેક બાળક જીવંત હોવા છતાં રોબોટની જેમ એક જેવું જ નાચતું હતું.
- નબળું નાચતા બાળકો પાછળની રૉ માં અને સારું નાચતા બાળકો આગળ હતા.
- ત્રણ કલાકની ઉજવણીમાં 8 કાર્યક્રમમાં નાના-મોટા બાળકો હિન્દી ફિલ્મોના સોંગ અથવા તો સોશિયલ મીડિયામાં વાયરલ સોંગ અથવા રીમિક્સ સોંગ પર નાચતા હતા.
- (શાળાકીય/બિનશાળાકીય) દરેક કાર્યક્રમોમાં 'અમારો ભૂતકાળ અને સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી'- એવું (વાગોળવૃત્તિ) પ્રદર્શિત કરતું એકાદ સોંગ પર ડાન્સ હોય જ છે.. અહીં પણ હતું!!
- સમાજ અને વ્યક્તિ જાગૃતિનો માત્ર એક જ કાર્યક્રમ હતો, જે માત્ર ગેરલાભ દર્શાવતો એકતરફી હતો. કાર્યક્રમનો વિષય હતો : મોબાઈલનું દૂષણ!!  
- સ્પષ્ટ પણે વ્યક્તિ કે સમાજની આંતરિક ચેતનાને જાગૃત કરે એવું કોઈ નાટક કે કાર્યક્રમ નહિ.. મોટેભાગે બધા ડાન્સ જ હતા.
- નાના-મોટા દરેક બાળકને જેન્ડર તરીકે ઓળખ મળે એવું ડ્રેસ-અપ હતું. વ્યક્તિ તરીકે ઓળખ મળે એવું ડ્રેસ-અપ ન હતું. જેમ કે છોકરીઓ માટે સ્ટ્રોંગ મેકઅપ અને પરી જેવા/ગુલાબી/ચમકીલા અને ભડકીલા રંગના વસ્ત્રો હતા પણ છોકરાઓ માટે આવું કંઈ ન હતું.
- ધાર્મિક કટ્ટરતા વધે એવો એક કાર્યક્રમ પણ હતો! (પ્રોપેગેંડા ફિલ્મોનું એક દ્રશ્ય!)
- કાર્યક્રમની વચ્ચે વચ્ચે હોંશિયાર, વધુ હાજર તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને હરીફાઈઓમાં વિજેતા બાળકોને ઇનામ મળે એવું આયોજન હતું. (હું જેમના બાળકોને આવું ઇનામ નહોતું મળ્યું એવાં વાલીઓ અને બાળકોના ચહેરા જોઈ રહ્યો હતો- લઘુતાગ્રંથિથી ગ્રસ્ત હતા!)
- ચાલુ કાર્યક્રમ દરમિયાન દાતાઓનાં અહંને વધારવા સતત એમનું નામ સ્ટેજ પરથી બોલાતું હતું. મોટા દાતાઓનો અહં વધુ મોટો કરવા એમનું સન્માન પણ કરવામાં આવતું હતું. લોકો પ્રેમથી નહિ, પણ સન્માનિત થવા શાળામાં પૈસા (દાન!!) આપતા હોય એવું વાતાવરણ હતું. 

ટૂંકમાં, આવા વાર્ષિક ઉત્સવો/રંગારંગ કાર્યક્રમોમાં..
- દેખાવ (પ્રદર્શન)
- સ્પર્ધા (ઇનામ)
- અહં 
- ભેદભાવ 
- લોકપ્રિયતા
આ પાંચ બાબતો વધારે જોવા મળે છે.

********

ભારતીય મહાકાવ્ય મહાભારતમાં એક પ્રસંગ આવે છે.
ગુરુ દ્રોણાચાર્યે પોતાના શિષ્યોની શસ્ત્રવિદ્યાનું પ્રદર્શન ગોઠવ્યું. આ એક પ્રકારનો વાર્ષિક ઉત્સવ જ હતો. એમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની કળા બતાવી.

ભીમે શક્તિ બતાવી.
અર્જુને તીરંદાજી બતાવી.
.
લોકોએ તાળીઓ પાડી. પણ એ જ પ્રદર્શનના અંતે
એક અનોખો યુવાન આગળ આવ્યો — કર્ણ!! તેની પ્રતિભા અર્જુન જેટલી જ હતી. પણ તેને માત્ર એટલા માટે નકારી દેવામાં આવ્યો કારણ કે તે “સૂત્રપુત્ર” હતો.
.
બસ, આ જ ક્ષણે વાર્ષિક પ્રદર્શનનો આ ઉત્સવ અહંનો ઉત્સવ બની ગયો અને આ મહાકાવ્યનો અંત વિનાશથી થયો.

આ પ્રસંગ આપણને એક સૂક્ષ્મ સંદેશ આપે છે:
જ્યાં પ્રદર્શન વધારે હોય
ત્યાં તુલના જન્મે છે.
જ્યાં તુલના જન્મે
ત્યાં અહં જન્મે છે.
અને જ્યાં અહં જન્મે
ત્યાં વિનાશ અનિવાર્ય બને છે.

********

બજારવાદ : જ્યારે બાળક “ઉત્પાદન” બની જાય છે.

આધુનિક સમાજમાં બજારવાદ (Market Culture) માત્ર બજારમાં નથી. તે હવે શિક્ષણમાં પણ પ્રવેશી ગયો છે. બજારવાદની સૌથી મોટી ખાસિયત છે:

- બધું વેચાણમાં ફેરવવું
- બધું દેખાવમાં ફેરવવું
- બધું સ્પર્ધામાં ફેરવવું

અને જ્યારે આ ત્રણ વસ્તુઓ શાળામાં આવે છે ત્યારે
બાળક પણ એક પ્રકારનું “પ્રોડક્ટ” બની જાય છે.

વાર્ષિક ઉત્સવોમાં આપણે ઘણીવાર જોયું છે:
- બાળક કલાકો સુધી રિહર્સલ કરે છે
- એકસરખા ડ્રેસ પહેરે છે
- એકસરખા સ્ટેપ કરે છે
- એકસરખા સ્મિત સાથે સ્ટેજ પર ઉભા રહે છે

આ બધું જોઈને એક પ્રશ્ન ઊભો થાય છે:
👉 અહીં બાળક પોતાની અભિવ્યક્તિ કરી રહ્યો છે
કે પછી બાળકને એક સુંદર “પ્રોડક્ટ” બનાવી રજૂ કરવામાં આવી રહ્યો છે?

બજારવાદમાં વસ્તુઓને સુંદર પેકિંગમાં રજૂ કરવામાં આવે છે. શાળાના આવા કાર્યક્રમોમાં પણ ઘણીવાર એવું જ લાગે છે:

- ચમકતા ડ્રેસ
- લાઇટિંગ
- મ્યુઝિક
- કોરિયોગ્રાફી

પરંતુ અંદર પ્રશ્ન એ છે: શું આ બધું બાળક માટે છે? 
કે દર્શકો માટે છે?

જો કાર્યક્રમનો હેતુ બાળકની આંતરિક શક્તિ બહાર લાવવાનો હોય તો તેમાં સ્વતંત્રતા, વિવિધતા, અપૂર્ણતા અને સચ્ચાઈ જોઈએ. પરંતુ જ્યાં બધું એકસરખું હોય
ત્યાં ઘણીવાર અંદરથી સ્વતંત્રતા ઓછી હોય છે.

*********

*શિક્ષણનો હેતુ મુક્તિ છે, પ્રદર્શન નહીં.*

- જ્યાં અહં અને પ્રદર્શન વધારે હોય ત્યાં જાગૃતિ ઓછી હોય છે. 
- ઈનામો દ્વારા અહં અને લઘુતાગ્રંથિ બંને જન્મે છે. 

👉 કેટલાંક સવાલો -

1. ફિલ્મી દ્રશ્યો અને ગીતો દ્વારા શું બાળકો બજાર(પૂંજીવાદ)ની સંસ્કૃતિમાં નથી જઇ રહ્યા??

2. ધાર્મિક કટ્ટરતાવાળા દ્રશ્યો ભજીવીને અને ગીતોમાં ડાન્સ કરીને બાળકોના મનમાં ધાર્મિક અથવા ઐતિહાસિક દ્વેષનું બીજ નથી રોપાઇ રહ્યું??

3. વાર્ષિક ઉત્સવ શિક્ષણનો એક ભાગ નહિ, પરંતુ અહંની ફેક્ટરી/અહંનો ઉત્સવ નથી બની ગયો??

4. દાતા, સન્માન, મેડલ જેવી વસ્તુઓને કારણે "સા વિદ્યા યા વિમુક્તયે" જેવું બ્રહ્મવાક્ય માત્ર દીવાલ પરનો સુવિચાર નથી બની ગયું??

5. આવા કાર્યક્રમમાં બાળક પોતાને વ્યક્ત કરી રહ્યો છે કે લોકોના એન્ટરટેઇનમેન્ટ માટે નાટક કરી રહ્યો છે??

6. જો બાળક પોતે આનંદથી નાચે તો નૃત્ય ધ્યાન બની શકે એટલે નૃત્ય, સંગીત અને ઉત્સવ બાળક માટે જરૂરી છે પરંતુ એકસરખો ડ્રેસ, એકસરખા સ્ટેપ, રિહર્સલથી તૈયાર થયેલો ડાન્સ એ નૃત્ય નથી પરંતુ તાલીમ છે.
- *શું આવો તાલીમી ડાન્સ બાળકોને નકલી અને મશીન (રોબોટ) નથી બનાવી રહ્યો??*

********

*એક પ્રાર્થના*

*શાળાના ઉત્સવો બંધ કરવાની જરૂર નથી.*
 પરંતુ કદાચ હવે સમય આવ્યો છે કે આપણે એક સવાલ પૂછીએ:

*શું આપણા ઉત્સવો બાળકોને મુક્ત કરી રહ્યા છે
કે વધુ શરતી (conditioned) બનાવી રહ્યા છે?*

જો આપણે આ સવાલ ઈમાનદારીથી પૂછીએ તો કદાચ
આપણા ઉત્સવો પણ બદલાશે અને શિક્ષણ પણ!!.. અને કદાચ ત્યારે બાળક કહી શકશે:

“હું બીજા કરતા સારું બનવા નથી આવ્યો,
હું મારા અંદર જે છે તે ખીલવવા આવ્યો છું.”

**********

*એક નવો વિચાર:*

*ચેતન સર્જનોત્સવ*
 👉 જેનો મુખ્ય હેતુ...

- સત્ય અને સ્વતંત્ર વિચાર (જેમાં બાળકો પોતાની સર્જનાત્મકતા રજૂ કરે)
- આંતરિક પ્રેરણા (જેમાં બાળક પોતાની ક્ષમતા બતાવે)
- નવું સર્જન અને આનંદ (જેમાં બાળક પોતાનું સ્ટાર્ટઅપ, કલા, કવિતા, કારીગરી પ્રસ્તુત કરે)
- આત્માવલોકન અને જાગૃતિ (જેમાં તુલના ઓછી અને સ્વતંત્ર અભિવ્યક્તિ વધુ હોય) 

આ મોડેલને નામ આપી શકાય:
🌱 “ચેતન સર્જન ઉત્સવ”
- આ વાર્ષિક ઉત્સવ નહીં, પણ બાળકોની આંતરિક ક્ષમતાનો ઉત્સવ હશે.

(1) *મુખ્ય સિદ્ધાંત*
- કોઈ સ્પર્ધા નહીં
- કોઈ મેડલ / રેન્કિંગ નહીં
- કોઈ જબરદસ્તી નહીં
- બાળક જે ઈચ્છે તે રજૂ કરે
- પ્રદર્શન નહીં, માત્ર અભિવ્યક્તિ

(2) *કાર્યક્રમની રચના*
👉 આ કાર્યક્રમને 5 વિભાગમાં વહેંચી શકાય:

🎨 1. સર્જન ગેલેરી
બાળકો પોતાની બનાવેલી વસ્તુઓ લાવે:
- ચિત્ર
- માટીની વસ્તુ
- કાગળની કલા
- વૈજ્ઞાનિક મોડેલ
- નાની શોધ
- રિસાયકલ વસ્તુઓ
👉 આ બધી વસ્તુઓ બાળક પોતે ઉભું રહી સમજાવે એટલે બાળક અહીં શિક્ષક બની જાય છે.

✍️ 2. અભિવ્યક્તિ મંચ
👉 બાળકો પોતાની આંતરિક લાગણી વ્યક્ત કરે:
- કવિતા
- વાર્તા
- ગીત
- વિચાર
- અનુભવ
👉 કોઈ સ્ક્રિપ્ટ નહીં, કોઈ પ્રોફેશનલ તાલીમ નહીં.

🧠 3. વિચાર સંવાદ
👉 મંચ ઉપર બાળકો ચર્ચા કરે: 
ઉદાહરણ:
- મોબાઇલ સારો કે ખરાબ?
- પ્રકૃતિ બચાવવી કેમ?
- સાચું મિત્ર કોણ?
👉 આ વિવેક વિકાસ માટે છે.

🛠️ 4. કૌશલ્ય પ્રદર્શન
👉 બાળકો પોતાની જીવંત (live) કલા બતાવે:
- સંગીત
- ચિત્ર
- હસ્તકલા
- ખેતી
- રસોઈ
- પ્રોગ્રામિંગ
- રમત કૌશલ્ય

💡 5. બાળ સ્ટાર્ટ-અપ ખૂણો
👉 બાળકો પોતાની બનાવેલી વસ્તુ વેચી શકે:
- ચિત્ર
- હસ્તકલા
- છોડ
- પુસ્તિકા
- ઘરેલું વસ્તુ
👉 આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે, અર્થતંત્ર સમજાય અને સર્જનનું મૂલ્ય સમજે.

(3) *દાતાઓની ભૂમિકા*

👉 દાતા સ્ટેજ ઉપર સન્માન પામવા નહીં પરંતુ..
- દાતા બાળકો પાસેથી વસ્તુ ખરીદે
- સર્જનને પ્રોત્સાહન આપે
- સાધનો માટે સહાય આપે

(4) *શિક્ષક અને શાળા/સંસ્થાની ભૂમિકા*

👉 શિક્ષક બને..
- માર્ગદર્શક
- નિરીક્ષક
- પ્રેરક

👉 શાળા/સંસ્થા બને..
- એન્ટરટેઇનમેન્ટનું પ્રદર્શની સ્થળ નહિ, પરંતુ બાળકની 'અભિવ્યક્તિનું પ્લેટફોર્મ'.

(5) *કાર્યક્રમની શરૂઆત*

બાળકો સાથે 2 મિનિટ શાંતિ સાથે.. મુખ્ય સંદેશ: 
“આજે આપણે એકબીજાની અંદરની સુંદરતા અને અભિવ્યક્તિ જોવા મળ્યા છીએ.”

(6) *કાર્યક્રમનો અંત*

- કોઈ ઇનામ નહીં.
માત્ર એક વાત:
"આજે દરેક બાળક અનોખો છે.”

(7) *આ નવા વિચાર/દ્રષ્ટિકોણનો અર્થ*

- બાળક પોતાની અંદર જોવાનું શીખે.
- બાળક સમાજના દબાણ વગર વિચારવાનું શીખે.
- બાળક આનંદથી સર્જન કરે.

(8) *સૌથી સુંદર પરિણામ*

👉 બાળક વિચારશે:
“હું બીજા કરતા સારું બનવા નથી આવ્યો,
હું મારા અંદર જે છે તે ખીલવા આવ્યો છું.”

ટૂંકમાં, *ચેતન સર્જન ઉત્સવ નો મુખ્ય ધ્યેય બાળકોને 'ઉત્પાદન' તરીકે પ્રેઝન્ટ કરીને (મોટેભાગે નચાવી - નચાવીને) લોકોને મનોરંજન/એન્ટરટેઇનમેન્ટ મળે એ નથી કરવું, પણ બાળકને બાળક જ રહેવા દઈ અભિવ્યક્ત થવા દેવું છે.*

*********

શિક્ષણનો મૂળ હેતુ શું છે?
પ્રદર્શન?
કે મુક્તિ?

ભારતીય પરંપરામાં એક સુંદર વાક્ય છે:
“સા વિદ્યા યા વિમુક્તયે”
અર્થાત્:
જે શિક્ષણ મુક્તિ આપે તે જ સાચું શિક્ષણ.

👉 જો શિક્ષણ બાળકને વધુ સ્પર્ધાત્મક બનાવે પણ અંદરથી અસુરક્ષિત રાખે તો એ અધૂરું શિક્ષણ છે.
👉 જો શિક્ષણ બાળકને વધુ હોશિયાર બનાવે પણ અંદરથી અહંકારી બનાવે તો એ પણ અધૂરું શિક્ષણ છે.

*આપણે આપણા બાળકો માટે કયો ઉત્સવ ઇચ્છીએ છીએ — પ્રદર્શનનો ઉત્સવ કે અભિવ્યક્તિનો ઉત્સવ??*

*આપણે આપણા બાળકોને સ્ટેજ પર સુંદર દેખાડવા માંગીએ છીએ કે જીવનમાં અંદરથી સુંદર બનતા જોવા માંગીએ છીએ?*

*******

આ લેખ કોઈ અંતિમ સત્ય નથી.
માત્ર એક શિક્ષક તરીકે ઉદ્ભવેલા વિચારો છે.
શિક્ષણ વિષય પર ખુલ્લો સંવાદ જ વધુ સારું શિક્ષણ બનાવે છે.

- યજ્ઞેશ રાજપુત
લ.તા. 9.3.26

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2026

આ લેખ “શિક્ષકો માટે" નથી.આ લેખ બાળકો માટપણ નથી.આ લેખ: 👉 માનવ મન માટે છે.

આ લેખ “શિક્ષકો માટે" નથી.
આ લેખ બાળકો માટપણ નથી.
આ લેખ: 👉 માનવ મન માટે છે.

******

હું ખરેખર સમજવા માંગુ છું કે શા માટે અમુક બાળકો આવા એકસરખા લાગતા અક્ષરો/શબ્દો જ રિપીટેટિવ લખતા હોય છે?
એમનાં મનમાં એવું તો શું ચાલતું હોય છે કે કોઈ પણ વિષયોના કોઈપણ સવાલોના જવાબોમાં આ એકસરખા રિપોટેટિવ શબ્દો/અંકો લખે?
.
ઉદાહરણ તરીકે સમજાવું તો તારે જમીન પર પિક્ચરમાં ઈશાન 3×9= 3 જવાબ જે રીતે લખે છે એ દરમિયાન એના મનમાં સોલર સિસ્ટમના ગ્રહોનું યુદ્ધ ચાલતું હોય છે.. જેમાં એ 3 નંબરના ગ્રહ પૃથ્વીને 9 નંબરના ગ્રહ પ્લુટોને કાઢીને રિપ્લેસ કરે છે.. કારણ કે વૈજ્ઞાનિકોએ પ્લુટોને ગ્રહ ગણ્યા પછી એની બાદબાકી કરી હતી.. (પહેલી કોમેન્ટમાં લિંક મુકું છું.)

કેટલી વસ્તુઓ બાળકોના મનમાં ચાલતી હશે જ્યારે પરીક્ષામાં કોઈ સવાલોના જવાબો એ લખતા હશે?? મારે ખરેખર જાણવું છે કે પરીક્ષાના સવાલોના જવાબો લખતી વખતે એમના મનમાં શુ ચાલે છે?? જો શિક્ષક તરીકે હું એ સમજવા લાગું કે બાળકના મનમાં શું ચાલે છે, તો મૂલ્યાંકનનો અર્થ પણ બદલાઈ જાય.

*******

..આવા સવાલો ઉઠે ત્યારે એક શિક્ષકનું ખરું શિક્ષકત્વ ખીલે છે!

જ્યારે પરીક્ષા દરમિયાન અથવા ભણાવતી વખતે બાળકની નોટ/પેપર ચેક કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો આવું લખે છે. આપણી શિક્ષણ પ્રણાલી/વ્યવવસ્થાનું  દબાણ એવું છે કે મોટાભાગનાં શિક્ષકો ફરિયાદ તરફ સરકી જાય છે-
.
"બાળકને ગમે એટલું ભણાવીએ પણ કશું આવડતું જ નથી."
"પરીક્ષામાં કશું લખતા જ નથી."
"અરે જોઈ-જોઈને પણ બાળકો નથી લખતા."
"આખો દિવસ બસ તોફાન..તોફાન.. પછી પરીક્ષામાં કશું ઉકાળતા નથી."
"ડબ્બા છે સાવ."
.
.....અને બીજું ઘણું બધું બોલતા હોય છે. ઘણા શિક્ષકો તો બિચારા આવા બાળકોને ધોઈ નાંખતા હોય છે. ઘણા શિક્ષકો લિટરલી પરીક્ષામાં બાળકોને ખાલી સવાલો-સવાલો લખવાનું કહે અને પછી જવાબો લખેલું પેપર ફેરવીને જવાબો લખાવે છે. બોર્ડ ઉપર પણ જવાબો લખાવતા હોય એવા ઓછા નથી.

જોકે આપણો લેખ શિક્ષકો શુ કરે છે એ માટે નથી!! 
.....માટે બાળકો આવું શા માટે લખે છે એના પર ફોકસ કરીએ તો સમજાય કે એ આવું ઘણા બધા કારણોસર થાય છે.

👉 જો બાળકને આંશિક/પૂર્ણ વાંચતા આવડતું હોવા છતાં આવું લખતું હોય તો પૂર્ણ સંભવ છે કે એને પ્રશ્ન વંચાય છે પણ પ્રશ્ન સમજવાની ઉર્જા જ બચી નથી. ટાઈમલિમિટમાં પેપર પૂર્ણ કરવાનો ડર અને ગભરાટ મનમાં માનસિક ચકરાવો ઉભો કરે છે અને મગજ જવાબનો વિચાર છોડીને લખવાની એક પેટર્ન પકડી લે. જેમ કે, એકનો એક અંક અથવા અક્ષર/શબ્દ/વાક્ય જ લખ-લખ કરવું.

યાદ કરો, આપણામાંથી જ કોઈકે નાનપણમાં કોઈ પરીક્ષામાં એકનું એક વાક્ય દર બીજા ફકરા/જવાબમાં વારંવાર/ફેરવી-ફેરવીને લખેલું જ હશે. કારણ કે સવાલ 5 માર્ક્સનો હોઈ લાંબો મોટો લખવો પડે, પણ જવાબમાં શુ લખવું એ વાક્યો યાદ ન આવવાના કારણે/વિચારી શકતા જ ન હતા અને એમાંય પાછું ટાઈમલિમિટમાં પેપર પણ પૂરું કરવાનું હોય ત્યારે ખાસ!

બરાબર સમજો, બાળકનું મગજ જ્યારે સર્વાઇવલ મોડમાં હોય ત્યારે એ રિપીટેટિવ વસ્તુઓ કરે છે. આપણા પર પણ કોઈ બાબતનો આરોપ લાગ્યો હોય ત્યારે આપણે રિપીટેટિવ સર્વાઇવલ મોડમાં જઈને આપણા બચાવમાં એકનીએક વાતો એક યા બીજાની સામે કરતા રહીએ એમ..!! આ જાણીજોઈને નથી થતું.. બસ, સ્વ-બચાવ માટે થાય છે.

👉 વ્યક્તિનું મગજ આમ તો ઉકેલવું સહેલું નથી કેમકે અબજો ન્યુરોન્સ કેટલીય ક્રિયાઓ અને ઇમેજોમાં વહેચાયેલું છે. ...છતાંય બાળકોના મગજની કેટલીક બાબતો સમજી શકાય એવી હોય છે.

● વિચારશક્તિ પર કંટ્રોલ: (I.Q.)
ભણવામાં હોંશિયાર હોય એવા બાળકોમાં આવી વિચારશક્તિ પર કંટ્રોલ જોવા મળે છે. એ ધારે ત્યારે વિચારીને સાચો જવાબ આપી શકે, પણ ભણાવામાં નબળા બાળકોને વિચાર શક્તિ પર કંટ્રોલ હોતો નથી. એ તારે જમીન પરના ઇશાનની જેમ ઘણું બધું વિચારે છે. કાં તો એ ઓવર થીંકર છે અથવા તો બ્લેન્ક માઈન્ડ છે. કશું જ વિચારી શકતો નથી.

આપણને ચાઈનીઝ ભાષા કે સ્પેનિશ ભાષામાં લખેલું વાંચવાનું કહેવામાં આવે તો આપણે શું વાંચીએ? કશું વિચારી પણ ના શકીએ કે શું લખેલું છે?! તમિલ કે તેલુગુ બોલતા ના આવડતું હોય તો બોલવામાં ગપ્પા પણ ન મારી શકીએ! ...બસ આવો જ પ્રોબ્લેમ વિચારશક્તિ પર કંટ્રોલ ન હોય તો નબળા બાળકોને થાય છે. અને પછી પરીક્ષામાં શરૂ કરે છે મહાન ગપ્પા લખવાનું!.. અથવા પેપરનું પાનું કોરું છોડવાનું!

સાયકોલોજી કહે છે કે બુધ્ધિ (દિમાગ) વારસાગત હોય છે. ભણેલા માતાપિતાનું બાળક ભણવામાં હોંશિયાર હોય અને અભણ માતાપિતાનું બાળક નબળું! (મારા એક શિક્ષકમિત્ર હંમેશા કહેતા કે 'જેવી માં એવું બાળક!' બાય ધ વે, એ પિતા ઉપર કેમ કશી કોમેન્ટ નહીં કરતા હોય?.. એ એક સ્વતંત્ર લેખ લખી શકાય એવો વિષય છે.)

● લાગણી વાળું દિમાગ : (E.Q.)
ઘરમાં હાન્ડલા કુસ્તી કરતા હોય અને કોઈ તમને 'મોજમાં રહેવાનું' કહે તો દિમાગની નસ ખેંચાય કે નહીં?? એક બાળક ઘરમાં હંમેશા ઝઘડા જ થતા જોતું હોય, માતા-પિતાને ક્યારેય પ્રેમથી વાતો કરતા પણ જોયા જ ન હોય, રોટી-કપડાં-મકાનની કિલ્લત રહેતી હોય, માતા-પિતા બેય પોતપોતાનામાં કામ-ધંધાર્થે રચ્યા પચ્યા રહેતા હોય, પિતા વ્યસની/ધમાલિયો હોય, માતા કે પિતાએ બીજા લગ્ન કર્યા હોય.. અને આવા અનેક કારણોસર જો બાળકને પ્રેમભરી હૂંફ પણ ન મળતી હોય તો બહુ મોટી સંભાવના છે કે એ પેપર/પરીક્ષા/ભણવામાં નબળું પ્રદર્શન જ કરે. આવા બાળકો કાં તો સાવ ચૂપ થઈ જાય અથવા ભયંકર તોફાની-ઝઘડાળું!

...ઉપરની બેય/અથવા એક વસ્તુ જો કોઈ બાળક સાથે થતી હોય તો પરીક્ષા દરમિયાન એનું મગજ એક ઓટો-પાઈલટ મોડમાં જતું રહે. પરીક્ષામાં એને માત્ર એટલું જ ખબર પડે છે કે "કંઈક તો લખવાનું છે." ..અને એ એને જે સરળ લાગે છે એ લખે છે. મતલબ, રિપીટેટિવ શબ્દો/અક્ષરો/અંકો!

👉 બાળકનું બેધ્યાનપણું:
લેખની શરૂઆતમાં તારે જમીન પર ઈશાન પરીક્ષામાં જે કરે છે એ આનું ઉદાહરણ છે. મનમાં જે ચાલતું હોય એ બાળક લખે. જેમ કે, કાર્ટૂન, મોબાઇલની ગેમ, અધૂરી કાલ્પનિક વાતો, રમતો.. પરીક્ષામાં એણે જે જવાબ લખ્યો છે એ સાચો જ છે એવો એ કોન્ફિડન્સ રાખે છે. ..પણ આપણા/શિક્ષકો માટે એનો જવાબ (એને લખતા-વાંચતા આવડતું ના હોય એટલે) આડા ઉભા લીટા/ખાલી અક્ષરો/એકનું એક રિપીટેટિવ લખાણ બની જાય છે.

👉 અગત્યનો સવાલ:
એકનું એક લખાણ શુ સૂચવે છે? આવું લખાણ જોવા મળે તો આપણે/શિક્ષકોએ શુ સમજવું?

● બાળકનું મગજ ડર, ગભરાટ, પરીક્ષાની ટાઈમલિમિટ, IQ,EQ.. જેવા કારણોસર હેંગ થઈ ગયું છે. ભણાવતી વખતે સાચા જવાબો બોલી/લખી બતાવતું બાળક આવા ખરા સમયે ધારીને પણ સાચો જવાબ નહીં જ લખી/બોલી શકે. ઇન્સ્પેકશન વખતે ઘણા શિક્ષકોને અનુભવ હશે કે બાળકો કોઈ અધિકારી સામે સાચો જવાબ આવડતો હોવા છતાં ખોટો આપે/બોલે/લખે છે.

● "પરીક્ષામાં આવડે એવું કંઈક તો લખજો જ.. પેપર કોરું છોડતા નહિ." જેવી અર્થવગરની સૂચનાઓ આપતા શિક્ષકો અજાણતા જ બાળકોના મનમાં એવો ડર નાંખે છે કે પેપર કોરું છોડવું નહિ! ...પરિણામ સ્વરૂપે બાળક આખું પેપર અગડમ-બગડમ અક્ષરો/શબ્દો/વાક્યોથી લખી દે! આપણે/શિક્ષકોએ એ સમજવું પડશે કે આ સૂચના માત્ર હોંશિયાર/પોતાની આગવી વિચારશક્તિ ધરાવતા બાળકને લાગુ પડે છે. આવી સૂચનાઓ સમૂહમાં ન આપવાની હોય!

● ઘર, પરિવાર, સમાજ, મિત્રો અને શિક્ષકોમાં ભણવામાં 'ડબ્બા' બની ગયેલી પોતાની છાપના જવાબમાં બાળક પરીક્ષામાં એકનો એક અક્ષર/શબ્દ/વાક્ય/અંક વારંવાર લખે છે. એ પોતાને સાબિત કરવા માંગે છે કે 'જુઓ, હું પણ જવાબ લખું છું અને પેપર કોરું છોડતો નથી.' ..અને આ બાબત એના પોતાના કાબૂ/કંટ્રોલમાં છે એ બતાવવા નોટ/જવાબવહીના પાના કશું ન આવડતું હોવા છતાં ભરતો જાય છે.

👉 આપણને/શિક્ષકોને પોતાને પણ જો આવો સવાલ પૂછવામાં આવે કે, "તમારાથી દૂર રહેતું બાળક અચાનક તમને મળવા આવે તો તમને શુ અનુભવ થાય છે? એ લખો." .. તો યકીન માનો કે આપણે/શિક્ષકો પણ પાંચ-દસ લીટી માંડ લખી શકીશું, કેમ કે લાગણી/વિચારોને અનુભવવા જેટલા સહેલા છે એટલા જ લખવા અઘરા છે. અને એમાંય જો લખતા-વાંચતા ન આવડતું હોય એવી ભાષામાં લખવાનું કહેવામાં આવે તો આપણે પણ પેપર કોરું જ છોડીશું અથવા આવડે એવું રિપીટેટિવ અક્ષરો/શબ્દો/વાક્યોમાંજ લખીશું. કારણ કે આપણે સાચું કેવી રીતે લખવું એ સ્પષ્ટ નથી, એટલે ખોટું લખીએ છીએ. બાળકની સ્થિતિ પણ આવી જ છે.

યાદ રહે,

👉 બાળક ખોટું લખતું નથી, એ પોતાની હાલત લખે છે.

👉 જ્યારે મન ડામાડોળ હોય ત્યારે ક્રિયાનું પુનરાવર્તન થાય છે.

👉 આપણે/શિક્ષકો જ્યારે ફરિયાદ કરીએ છીએ કે.. બાળકોને કશું આવડતું જ નથી./બાળકો પરીક્ષામાં કશું લખતા જ નથી./બાળકો જોઈજોઈને પણ નથી લખતા... ત્યારે બાળક વધુ બંધ/હેંગ થઈ જાય છે. એના મગજમાં ઓટોપાઇલટ મોડ 'ઓન' થઈ જાય છે.

👉 બાળકનો વિશ્વાસ જીતવા ફરિયાદ નહિ, પણ આપણું એટીટ્યુડ બદલવુ પડે. જેમ કે,

● “તે ખોટું નથી લખ્યું.”
-----આ પહેલી લાઇન જાળ તોડે છે અને બાળકના મનમાં તરત થાય છે: “હું બચી ગયો.”

● “તે જે લખ્યું એ હું જોઈ શકું છું.”
-----અહીં “સમજું છું” નહીં, પણ “જોઈ શકું છું” કહેવું મહત્વનું છે. સમજ્યા વગર પણ જોવાની ખાતરી બાળકને વિશ્વાસ અપાવે છે.

● “લખતી વખતે તારો હાથ ચાલતો હતો, પણ મન ક્યાંક બીજે હતું.”
-----બાળકને પકડ્યા વગર પણ પકડવું. તે તરત જ પોતાની ભૂલ સમજશે.

● “તું મને કહી શકે છે કે એ સમયે મનમાં શું ચાલતું હતું?”
-----આ પછી 10–20 સેકન્ડ ચુપ! આ મૌન જ સાચો પ્રશ્ન છે. જો બાળક અજીબ વાત/કોઈ મનઘડંત કાલ્પનિક વાર્તા/બહાનું બતાવે કહે તો અટકાવવું નહીં કે સુધારવું પણ નહીં. ધીમે ધીમે વિશ્વાસ સંપાદિત થતાં મૂળ કારણ બહાર આવશે કે એના મનમાં શુ ચાલે છે?

👉 આ કામ કોઈ સિલેબસમાં નથી, માર્કશીટમાં પણ નથી.. પણ જીવનમાં છે!

...આના ઉપાય રૂપે હાલ ધોરણ 4 ના વર્ગ શિક્ષક તરીકે મારા વર્ગમાં દરરોજ અડધો કલાક 'ખુદ કો જાનો'- વર્ગ પ્રોજેકટનો એક પ્રયાસ ચાલી રહ્યો છે જ્યાં અમુક બાળકો પોતાની અંદર શું ચાલે છે એ લખી શકે છે. (એક ફોટો પણ મુકું છું.)

---

લેખ લાંબો થઈ રહ્યો છે, પણ આ બે કિસ્સા લખ્યા વગર પૂરો નહિ થાય!

(1) એક અધિકારી ઇન્સ્પેકશનમાં આવી મારા ચેક કરેલા પેપરો તપાસવા માંગ્યા. એક બાળકે 'Pencil' નો સ્પેલિંગ 'Pancil' લખ્યો હતો. મેં અડધો માર્ક્સ આપ્યો હતો. તો એ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વગર સીધું બોલ્યા, "તમારો બેઝિક પણ અડધો કરી દઉં તો..?"
..એમના આ રીએક્શનથી હું હતપ્રભ હતો.
મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો."

..જ્યારે વ્યવસ્થામાં અવિશ્વાસ ઘૂસી જાય, ત્યારે પ્રયત્નો પણ દેખાતા નથી! 

હું એમને કેવી રીતે સમજાવી શકવાનો હતો કે બાળકે જાતે જ આખા પેપરો લખેલા છે!! બાળકે જાતે કરેલાં પ્રયત્નોનું મૂલ્યાંકન માર્ક્સથી જ થતું હોય તો એમાં અડધો માર્ક્સ પણ આપવો જ રહ્યો!!

(2) દીકરી Z મારા વર્ગમાં હતી ત્યાં સુધી એ શીખેલી કે પરીક્ષામાં જાતે પેપર લખવું અને હવે બીજા શિક્ષકના વર્ગમાં જતા, પરીક્ષા દરમિયાન મને મળવા આવી. પરીક્ષામાં શુ થાય છે એ જાણીને મેં કહ્યું, "દીકરી Z, જાતે પેપર લખવું."

બીજા દિવસે એ મારી પાસે આવી રડી પડી!
એણે કહ્યું , "મૈને ખુદ પેપર લીખા તો વો ટીચરને પૂરે કલાસ કે સામને મુજે થપ્પડ માર દિયા ઓર બોલી, મૈને કહાં થા કિ જવાબ મત લીખના સિર્ફ સવાલ લીખના, ફિર ભી તુને જવાબ કયું લીખા?"

...હું ફરી હતપ્રભ થઈ ગયો!

---

અંતે,
“બાળકની ભૂલ સુધારતા પહેલા
બાળકને માણસ માનવો પડે.”

-યજ્ઞેશ રાજપુત
લ.તા. 8.2.26

https://www.facebook.com/share/1D17ejxQC4/

શુક્રવાર, 29 ઑગસ્ટ, 2025

ઓનલાઈન કલાસ: મગજની મગજમારી!!

https://www.facebook.com/share/p/1EwKZ73xu6/



ઓનલાઈન કલાસ: મગજની મગજમારી!!

*********

એક મોબાઈલ સેટ કરવા માટે આ વખતે આવું ગતકડું કર્યું!! બાળકની સાથે ઘરનાં એક વ્યક્તિએ ફરજીયાત પોતાનાં કામનો મોહ ત્યાગીને બેસવું જ પડે!! ઓનલાઈન કલાસ લેતાં મેડમનો અવાજ એટલો ધીમો આવે કે.. બાળકનાં નાનકડાં કાનમાં હેન્ડ્સ ફ્રીનાં ભૂંગળા કાન દુખાડે એનાં કરતાં 1500નું બ્લ્યુટુથ સ્પીકર વસાવવું જરૂરી લાગ્યું!! ..આ ઓનલાઈન કલાસ માટે 20000 નો ફોન લેવો પડેલો એ લટકામાં!! લગભગ 22-25 બાળકો એકસાથે ઓનલાઈન 'મેમ.. મેમ..' ચિલ્લાતા હોય!! આખું ઘર બાનમાં આવી જાય!! ઘરમાં 144 લાગુ પડે છે!! એક કરતાં વધુ બાળકો હોય અને ઘરમાં એક જ રૂમ હોય તો પછી પૂછવું જ શુ?? વર્ગમાં બાળક અભ્યાસમાં જેટલું ધ્યાન રાખે છે એ ઓનલાઈનમાં નથી જ રાખતું એ અનુભવી શકાય છે!! (અપવાદને બાદ કરતાં..) શિક્ષક પણ પર્સનલી ધ્યાન નથી આપી શકતાં એ જોઈ શકું છું!! 

માંડ મજૂરી કરી પેટિયું રળતા લોકો પોતાનાં બાળકોને આમ ઓનલાઈન ન ભણાવી શકવા બદલ ફ્રસ્ટેટેડ થઈ ગુસ્સાથી લઘુતાગ્રંથિ અનુભવે એમાં શી નવાઈ??  ..કે તેઓની પાસે સાદો ફોન છે, સ્માર્ટ ફોન નહિ!! 

*********
 
👉 હું ભણતો ત્યારે અમારાં ટીચરને અમે "બહેન" કહેતાં..!!
👉 હું નોકરીએ લાગ્યો ત્યારે મારાં સાથી શિક્ષકબહેને બાળકોને "બહેન" ના કહેતાં "ટીચર" કહેવું, એવી શીખવાડેલું!! (એમનાં કહ્યાનુસર બાળક એમને 'બહેન' એવું ઉદબોધન કરે ત્યારે એમને 'પોતે પાણી પીવડાવવાવાળા બહેન' હોય એવું લાગતું!!)
👉 હવે... મારી દીકરી એનાં "ટીચર"ને "મેમ.. મેમ.." કરે છે..!!

**********

મારી દીકરી એમનાં શિક્ષકને "મેમ" કહે ત્યાં સુધી વાંધો નથી.. પણ જીવનનાં રોડ ઉપર એ ટોપ-ગિયરમાં આવે ત્યારે અંધ-ઘેટાંઓની પાછળ "મેં.. મેં.." કરીને છતી આંખે ખાડામાં ન પડે એ માટે મારે અત્યારથી જાગૃત રહેવું રહ્યું.. બાકી હરિઈચ્છા!!

***********
લ.તા. 30.8.20

શુક્રવાર, 15 ઑગસ્ટ, 2025

દીકરી 65 દિવસ પછી ઘેર આવી

https://www.facebook.com/share/174VNPFQ6M/

આજે દીકરી 65 દિવસ પછી ઘેર આવી. જ્યારે ગઈ હતી ત્યારે મેં એને ભારતના મહાન વ્યક્તિત્વોનાં જીવનચરિત્રોની 24 ચોપડીઓ આપેલી અને કહ્યું હતું કે "હોસ્ટેલમાં ફ્રી ટાઈમમાં વાંચજે."

હવે એ ઘેર આવી છે એટલે મેં પૂછ્યું,"તને કોના વિશે વાંચવું વધુ ગમ્યું??" મને એમ કે એ ચોક્કસ કોઈ વૈજ્ઞાનિક વિશે કહેશે, પણ હું ખોટો ઠર્યો.

એણે કહ્યું,"ડૉ. આંબેડકર વિશે..!!"

"શું કીધું?? ડૉ. બાબાસાહેબ આંબેડકર??" મને નવાઈ લાગી.

"..તો એમાં આટલા ચોંકો છો શુ કામ??" એણે પૂછ્યું.

હું થોથવાયો! મેં કહ્યું, "બેટા મને નવાઈ એટલા માટે લાગે છે કેમ કે મેં ક્યારેય કોઈ 11-12 વર્ષના બચ્ચાંના મોઢે બાબાસાહેબને વાંચવું ગમ્યું એવું કહેતા સાંભળ્યું નથી. મને પણ એમ જ હતું કે તું કોઈ વૈજ્ઞાનિકનું નામ બોલીશ. પણ તે બાબાસાહેબનું નામ લીધું એ મને ખરેખર ગમ્યું છે."

"મને વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ.. પછી કલ્પના ચાવલા વિશે પણ ગમ્યું. મેં સૌથી પહેલા તો બધા વૈજ્ઞાનિકોની જ ચોપડીઓ વાંચી પણ આંબેડકરની ચોપડી વાંચવામાં બહુ મજા આવી."

"કેમ?" મેં પૂછ્યું.

"બીજુ તો કઈ વધારે યાદ નથી.. પણ મને એક વાત એમની એ બહુ જ ગમી કે એમની પાસે કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે કરવું હતું એ.. એ કરીને જ જમ્પયા!"

"મતલબ??" મેં વધુ જાણવા કોશિશ કરી.

"મતલબ.. તમે જ વિચારો કોઇ એમને પાસે નહોતું બેસાડતું.. એમની જોડે એમની જાતિને કારણે કોઈ બરાબર વાતોયે નહોતું કરતું તોયે એ એટલું ભણ્યા કે આજે પણ.. આટલા વર્ષો પછી પણ એમનું લખેલું સંવિધાન આજે બધાને માનવું પડે છે."

"બહુ સરસ.. હજુ કાંઈ યાદ છે એમના વિશે??"

"હા.. એમની પત્નીને કોઈ મંદિરે જવું હતું તો એમને ના પાડી દીધી કે જ્યાં આપણું સન્માન ના થતું હોય એવાં મંદિરે જવાનો કોઈ મતલબ નથી."

"પછી??.." મારી ઉત્સુકતા વધી રહી હતી.

"મને બહુ યાદ નથી પણ કદાચ બૌદ્ધ ધર્મ માટે એમને એમનું ઘર પણ આપી દીધુ હતું."

"હંમમ.. પછી??"

"બસ.. બીજું કાંઈ નહીં પણ વિચારો તો ખરાં.. એમનું લખેલું સંવિધાન બધાને માનવું પડે છે અને કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે ઇચ્છયું એ કરીને જમ્પયા!"

"બહુ સરસ બેટા.. હજુ બીજા કોઈ વિશે તને યાદ છે??"

"હા.. વૈજ્ઞાનિકનું નામ તો યાદ નથી પણ એમનો કિસ્સો યાદ છે. બધા મોટા મોટા નેતાઓ અને વૈજ્ઞાનિકોની હાજરીમાં એમને રોકેટ ઉડાડયું પણ રોકેટ ફૂસ્સ થઈ ગયું અને ઉડયું જ નહીં. અને તોયે એમને કોશિશ ચાલુ રાખી અને આખરે રોકેટ ઉડાડીને જ જમ્પયા!"

"એ અબ્દુલ કલામ હતા.."

"મને એક વાત તો સમજાઈ જ છે કે મને એવાં લોકો વિશે વાંચવાનું ગમે છે કે જેઓ પહેલાં પ્રયત્ને ફ્લોપ રહ્યા હોય પણ તોયે કોશિશ ચાલુ રાખીને આખરે પોતાને જે કરવું છે એ કરીને જ રહે છે." દીકરી આટલું બોલીને કશુંક કરવા જતી રહી!

સાંજે 5 વાગે વાત થઈ પણ મનમાં ઘુમરાયા કરતી હતી આખરે આ લખ્યું ત્યારે રાહત થઈ. પહેલા આવા ઘણા કિસ્સા લખતો પણ હવે ભાગ્યે જ લખું છું.

-યજ્ઞેશ રાજપુત
લ.તા.15.8.25

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2025

કેવું કહેવાય નહિ??દેશમાં શું ચાલી રહ્યું છે.. એ ટોળીને કઈ ખબર જ નથી..!!

https://www.facebook.com/share/p/1BACKKb7Cs/

કેવું કહેવાય નહિ??
દેશમાં શું ચાલી રહ્યું છે.. એ ટોળીને કઈ ખબર જ નથી..!! એમને એ વાતનો કોઈ ફરક જ નથી કે કઈ રીતે એ લૂંટાઈ રહ્યા છે??.. કઈ રીતે એમનાં ખિસ્સા કપાઈ રહ્યા છે??.. કઈ રીતે બધું ધીમે ધીમે ખલાસ થઈ રહ્યું છે??.. કઈ રીતે એ દેશના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે??
.
બસ.. ફરક એક જ વાતનો પડે છે એ બધાંને.. એ ટોળીને..
.
કે..
.
.
આજે હું કયુ બહાનું બતાવીને મોડા પહોંચું અને વહેલા જઉં?? ..આજે હું કયા પ્રકારની કામચોરી કરું??.. આજે હું ક્યા ટાઈમપાસ કરું??.. મારો પગાર કેવી રીતે વધતો જ જાય??.. પેલાંએ આટલો લાભ લીધો તો હું પણ કેમ આવો લાભ ન લઉં??.. હું કેવી રીતે એને નુકશાન કરું??.. હું કેવી રીતે બધાને છેતરું??.. હું કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડો કરું??.. હું કેવી રીતે દેશના નાનકડા ભવિષ્યોને ચોરી કરતા શીખવું??..

ન જાણે એવી કેટલીયે ક્ષુલ્લક બાબતોમાં એ ટોળી- એ  બધાં એવી રીતે રમમાણ છે કે દેશમાં શુ ચાલી રહ્યું છે એની એમને ખબર જ નથી!! બસ.. સ્વાર્થ.. સ્વાર્થ.. અને સ્વાર્થ!! એમનું અંતિમ ધ્યેય સ્વાર્થ જ છે!! એમની અંતિમ નજર બસ.. નકલી લાભ લેવાનાં ઈરાદામાં જ સમાયેલી છે!! કેવું અદ્ભૂત કહેવાય નહિ??!! ..કેમ કે આ ટોળી પોતાને શું કહે છે.. જાણો છો??

હું નહિ કહી શકું.. કેમ કે હું આ સ્વાર્થીઓના ટોળાનું જ એક સભ્ય છું!! નકામું.. નાકારું.. અને માયકાંગલું!! એ લોકો કહે છે, " આત્મા અમર છે.." ..અને હું કહું છું, "મારી તો રોજ મરે છે.. પળેપળ.. ક્ષણેક્ષણ.. પ્રત્યેક સેકન્ડે!!" ..જ્યારે જ્યારે હું મારા દેશનાં ભવિષ્યોને આવા સ્વાર્થીઓના ટોળામાં ઘેરાયેલાં જોઉં છું ત્યારે હું રોજ મરું છું..!! ..અને ગુસ્સે થાઉં છું કે "હે ઈશ્વર? હું જાણું છું કે તું છે જ નહિ..!!  ..અને એટલે જ હું કહું જ છું કે આ સહદેવની સ્થિતિએથી.. મતલબ કે ઊંડા અંધારેથી.. તું જ પ્રકાશ તરફ લઈ જા.. મતલબ કે જાડી ચામડીનો બનાવી દે મને..  સંવેદનાથી નિષ્ઠુરતા તરફ લઈ જા.. ક્રિકેટ, ટીવી, સિરિયલો, કોમેડી, સોશિયલ મીડિયા અને લોકનિંદામાં એટલું ડુબાડી દે કે દેશ વિશે વિચારવાનો ટાઈમ જ ન મળે.. અને લોકોનું બૂરું કરવામાં અને લોકોને છેતરવામાં હું એટલો પાવરધો બનું કે આ ટોળીની સાથે મેઈનસ્ટ્રીમમાં આવી શકું!! 

..અને હા.. છેલ્લે એક વાત.. હું જાણું છું કે તું છે જ નહિ એટલે મને સાંભળવાનો ય નથી..!! ..સાચું કહું તો તારે આ સાંભળવાની જરૂર પણ નથી!! કારણ કે એ ટોળી જેવું કરે છે એવું જ હું કરવા માંડુ તો મારામાં અને એમનામાં ફરક શુ રહેશે??"

સોમવાર, 4 ઑગસ્ટ, 2025

ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી પછી હવે કાગડાનો વારો આવ્યો!!

https://www.facebook.com/share/v/1CfSwuoaQZ/

ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી પછી હવે કાગડાનો વારો આવ્યો!! 

.....છેક ત્રીજે માળ ફ્લેટ હોવાં છતાં આખરે કાગડાએ પણ શરૂઆત કરી તો દીધી જ!! લગભગ 500 ગ્રામ જેટલા લોખંડના તાર તો માળો ન બાંધે એટલે હટાવી દીધેલા! (વિડીયોમાં બતાવ્યું છે!!) ..તોય આજે પાછું ઘર બાંધી તો દીધું જ!!😊😊 નવાઈની વાત તો એ છે કે એકસરખાં કહી શકાય એવાં માપનાં લોખંડના તાર/સળિયા આ 'કાગડાં કપલ' લાવે છે ક્યાંથી એ નથી સમજાતું!! 

કબૂતર અને ચકલી તો હવે યાદ પણ નથી એટલી વખત માળો બનાવ્યો છે! કાબરે 3-4 વખત અને ખિસકોલીએ પણ 2-3 વખત ઘર બનાવ્યું છે! કાગડો-કાગડી દરરોજ બપોરે આવીને બેસે, પણ એ નહોતું વિચાર્યું કે એ ય માળો બનાવશે!! 

અત્યારસુધી કેટલાં લોકોએ ઘરે વિઝીટ કરી છે??
ઉપર જણાવ્યું તેમ ચકલી, કબૂતર, કાબર, ખિસકોલી અને કાગડો તો ખરાં જ!! ..પણ એ સિવાય.. 

👉 નાગ (..ફૅણવાળો હતો એટલે સાપ ન લખ્યું! ભગવાનની કૃપા કે પાંચમે માળ રહેવાવાળા ભાઈએ લિફ્ટથી ઉપર જતાં અચાનક નાગને અમારે ત્રીજે માળના ઘરમાં ઘૂસતા જોઈ ગયેલાં, અને પડોશી મિત્રે ફોન કરીને જણાવેલું! અમે કોઈ ઘરમાં નહોતાં.. જો કોઈએ ન જણાવ્યું હોત તો સંભવ છે કે કોઈને કરડ્યો હોત.. કેમ કે અમે સોફા પાસે નીચે ઉંઘીએ છીએ અને નાગ સોફા નીચે લપાઈને બેઠેલો- લગભગ 3/3.5 ફૂટનો!), 
👉 બુલબુલ (કાળો માથાળો!), 
👉 અબાબીલ (દીવાલ પર માટીનું ઘર બનાવે એ!! જો એનું નામ બીજું કાંઈ હોય તો તમે સમજી જજો.. અને મને કહેજો!) 
👉 નાની કથ્થાઈ રંગની પીળા-સફેદ રંગના ટપકાંવાળી ચકલી, 
👉 નાની લીલા રંગની ચકલી, 
👉 ચામાચીડિયું (૨ વખત!.. એક વખત તો ઘરમાં એવી રીતે ઘુસેલું કે આવીને સીધું સૂતેલી નાનકડી તન્વીનાં પેટ પર ચોંટી ગયેલું, અને બહાર કાઢતાં બિચારું થોડું ઇનજર્ડ પણ થયેલું, પણ આખરે ઉડી ગયેલું!).. 

...હવે કોઈ એકાદ રહી ગયું હોય એવું બનેય ખરાં!!
વેલ.. કાગડાં ફેમિલીને બેસ્ટ વિશિસ!!💐💐

મેં ઘરે કહ્યું, "હવે તો મોરની રાહ જોઉં છું!!"😊😊

ગુરુવાર, 24 જુલાઈ, 2025

માનો કે કોરોના જાય જ નહીં તો?? આપણને બચાવવા 'એલિયન' આવે ખરાં?? કે પછી આપણે જ 'એલિયન' બની જઈએ??

https://www.facebook.com/share/p/1C7ZLmzuoB/

માનો કે કોરોના જાય જ નહીં તો?? આપણને બચાવવા 'એલિયન' આવે ખરાં?? કે પછી આપણે જ 'એલિયન' બની જઈએ?? 

*****

'ઇન્ટરસ્ટેલર' મુવીમાં પૃથ્વી રહેવાલાયક ન રહેતાં નાયક બ્લેકહોલનાં રસ્તે બીજી દુનિયા શોધવા જાય છે, ત્યારે કોઈક કારણસર એ 'ટ્રેસેરેક્ટ' નામના આયામમાં ફસાઈ જાય છે, જ્યાંથી તે પોતાનાં સમયના ભૂતકાળને જોઈ શકે છે! ભૂતકાળને જોઈ શકાય છે, પણ એમાં કોઈ ફેરફાર નથી કરી શકાતો! એટલે એ પોતાની દીકરી માટે એક એવાં સિગ્નલ છોડે છે, જેનાંથી એની દીકરી પૃથ્વીના લોકોનું 'સર્વાઈવલ' કરી શકે! અંતે, જેવું નાયકની દીકરી એનાં પિતાએ રચેલા એ સિગ્નલ્સનો તાળો મેળવે છે, એ સાથે જ નાયક 'ટ્રેસેરેક્ટ' નામનાં આયામમાંથી મુક્ત થઈ જાય છે! એ વિચારે છે, આ આયામ બનાવ્યો કોણે? તો અંતે જવાબ મળે છે: ભવિષ્યના માનવોએ પોતાની મરવા પડેલી પૃથ્વીનાં લોકોને બચાવવા આ આયામ રચેલો, જે એનું કાર્ય પૂર્ણ થતાંની સાથે જ નાશ પામ્યો! આ ભવિષ્યનાં માણસો એટલે કોણ?? શું આપણે જેમને એલિયન કહીએ છીએ, એ વાસ્તવમાં આપણે જ છીએ??

*********

કોરોના આવવાથી આપણી ઘણીખરી લાઈફ સ્ટાઇલ બદલાઈ છે. આ ક્યારે જશે એનું કંઈ નક્કી નથી! આ નાનકડો વાયરસ ગમે ત્યાં રહી શકે એવું જાણમાં છે: માથાથી લઈને પગની પાની સુધી, કપડામાં, ઘરેણામાં, બુટ-ચંપલમાં.. ઘણી જગ્યાએ! તમારી ઇમ્યુનિટી સારી હોય તો તમને કંઈ ન થાય, પણ સરકારી આદેશો અને મહામારીના નિયમોનું તો પાલન કરવું જ રહ્યું! સરકારી સંશોધન મુજબ હાલ માસ્ક ફરજિયાત બન્યો છે, અને આગળ જતાં કદાચ એવાં દિવસોય આવે કે માથાથી પગ સુધી ઢંકાય એવા કપડાં પહેરવા પડે, ઘડિયાળ-ઘરેણાં જેવી વસ્તુઓને ત્યજવી પડે અને સાદા ચંપલ પહેરવાનો વખતેય આવે, જેથી ધોઈ શકાય! માનો કે આ બધું પરમેનેન્ટ ચાલુ જ રહ્યું તો?? કોરોના વાયરસ અથવા આવો જ કોઈ વાયરસ પોતાની જિનેટિક બ્લુપ્રિન્ટ બદલીને વધુને વધુ ખતરનાક થઈને આ પૃથ્વી પર ટકી જાય તો શું થઈ શકે??

આશરે દસેક લાખ વર્ષ પછી શું હોય??

સૌથી પહેલાં સંપૂર્ણ શરીર ઢંકાય એવાં કવર(PPE કીટ જેવો પહેરવા-ઉતારવામાં 'માથાનો દુઃખાવો' બને એ ટાઈપનું નહિ!!)ની શોધ થાય અને એ કવર દરેકે પહેરવો ફરજીયાત બને! 'નેચરલ સિલેક્શન' મુજબ એવું કહેવાય છે કે સજીવોને પોતાનાં જે અંગની જરૂર ન જણાય એ અંગ સમયાંતરે જાતે જ લુપ્ત થઈ જાય છે!(માણસને જેમ પૂંછડીની જરૂરિયાત ન રહેતાં પૂંછડી કાળક્રમે નાશ પામી એમ જ સ્તો!) જો હંમેશને માટે આ ટાઈપના બોડી-માસ્ક પહેરવાનું થાય, તો કદાચ ભવિષ્યમાં આપણાં માથાનાં વાળ ઉગે જ નહી, એવું આપણું માથું હોય!! આપણું સપ્રમાણ-લાબું નાક 'નેચરલ સિલેક્શન'માં 'ચીબુ' થાય, અને/અથવા નાકની જગ્યાએ માત્ર કાણાં જ રહે!  કાનની ખાસ જરૂરિયાત ન રહેતાં ત્યાંય કાણાં રહે એવું બને! સતત ચપોચપ ચીટકેલું રહેતું બોડી-માસ્ક શક્ય છે કે ચરબી ઉતારવામાં મદદરૂપ બને અથવા વાઇરસથી બચવા બહારનું ખાવાનું બંધ થતાં આપોઆપ લોકો સ્લિમ-ટ્રિમ બને! (લોકડાઉન ક્યાં સુધી? આવાં વાયરસની સાથે જીવવા માટે લોકોએ ટેવ પાડવી જ રહી! 'સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ'નો નિયમ અનુસાર 'નબળાં'ઓને દુનિયામાંથી રજા મળી જવાની!) લોકોની એવરેજ ઉંમર ઘટે! સામાજિક અંતર ઘટતાં લોકોની પ્રકૃતિ ઝઘડખોર અને એકલવાયી બને! ચોરી, લૂંટફાટ અને વર્કફ્રોમ હોમ વધતા લોકો ઓછાં અજવાળાંવાળા ઘરોમાં/બંકરોમાં/અંધારી ગુફાઓમાં રહેતાં હોય એવુંય બને! સતત અંધારામાં રહેવાનું હોઈ લોકોની આંખો મોટી ચળકતી બને! છુપાઈને રહેતાં હોવાથી અને ઓક્સિજન પૂરતો ન મળતો હોવાથી 'નેચરલ સિલેક્શન'માં લોકો ઠીંગણા બને! સતત ગ્લોવ્સ પહેરવાથી આંગળીઓની જરૂરિયાત ન લાગતા શરીરમાં બે-ત્રણ આંગળીઓ જ બચે! આંગળીઓ અને અંગુઠા મજબૂત, મોટા અને સતત કોમ્પ્યુટર/એ ટાઈપના મશીનોના બટનો દબાવવાના હોઈ અણીવાળાં બને! સતત મશીનો/કોમ્પ્યુટર સાથે કામ કરવાનું હોઇ લોકોનું દિમાગ વધુ તેજ અને મોટું બનતાં માથું વધુ મોટું બને! ..એટલે ભવિષ્યના માનવોનાં નાક-કાન-મોં 'ચીબુ', આંખો-માથું મોટાં, વાળ વગરનું ઠીંગણું અને પાતળું કદ હોય એનું બને! 

કુદરતી વસ્તુઓ વધુ ફુલેફલે, અથવા તો 'વિકાસ'ની લ્હાયમાં સંપૂર્ણ નાશ પામે! અત્યારે જે રીતે આપણે બધાં ભેગાં મળીને પૃથ્વીની ઘોર ખોદી રહ્યા છે એ જોતાં પૃથ્વી રહેવાલાયક જ ન રહે એની વધુ સંભાવના છે! ..માટે એ તરફ 'કલ્પનાના ઘોડાં' દોડાવીએ તો..

આખી પૃથ્વીની જીવસૃષ્ટિ નાશ થવાને આરે આવી ગઈ હોય એવું બને! ખંડેર બિલ્ડીંગો દેખાતી હોય! દિવસ દરમિયાન ઊડતી ધૂળ અને ધોમધખતા તાપ-ગરમીમાં લોકો બહાર ન નીકળી શકતાં હોઈ લોકો નિશાચર બને! રાત પડે લોકો ઘરની બહાર માત્ર ઓક્સિજન ખરીદવા જેવી જીવનજરૂરિયાત હોય તો જ નીકળતા હોય! અમીર-ગરીબની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ હોય કે ગરીબો અંધારા ખૂણા/બંકરો/ગુફાઓમાં રહેતા હોય અને અમીરો પરવાનગી વગર કોઈ ચડી ન શકે એવા ટાવરોમાં! અમીરો અને નેતાઓ પૃથ્વીની બચી-કૂચી કુદરતી વસ્તુઓ ખરીદી/વાપરી/નાશ કરી શકે એવા સક્ષમ બને, અને ગરીબો જીવવાની જદ્દોજહદમાં વધુ ખૂંખાર બને! કુદરતી વસ્તુઓની ઘટ પડતાં છેવટે બ્રહ્માંડમાં શુદ્ધ હવા-પાણી અને નેચરલ રીસોર્સથી ભરપૂર હોય એવાં બીજાં સધ્ધર ગ્રહની શોધ કરવામાં આવે! છેવટે.. એ ગ્રહ મળી આવતાં પૃથ્વી પર 'નીચલી પાયરી'માં રહેતાં ગરીબોને છોડીને માત્ર અમીરો, ઇન્ટેલેક્ચ્યુઅલો અને 'વિશેષ' વ્યક્તિઓ ત્યાં રહેવા જતાં રહે એવું બને! થોડાંક હજારો વર્ષોમાં સંપૂર્ણપણે માણસોનો નાશ થતાં પૃથ્વી ફરી ફુલેફળે છે, અને અમુક લાખો-કરોડો વર્ષો પછી પાછી નેચરલ રીસોર્સથી ભરપૂર બની ફરી સજીવોને રહેવાલાયક બને છે!

હવે વિચારો.. કરોડો વર્ષો પહેલાં પૃથ્વીને છોડીને જતાં રહેલાં લોકો નવી ટેક્નોલોજીમાં પાવરધા બન્યા છે! ..અને અચાનક એક દિવસ પાછી પોતાની પૃથ્વીની શુભેચ્છા મુલાકાત લેવાં પોતાની 'ઊડતી રકાબી' જેવું યાન લઈને આવે છે!! ....તો આપણી પૃથ્વી પર જે સજીવોએ ફરી જન્મ લીધો છે, એ લોકો આ 'પોતીકા મહેમાનો'ને જોઈને શુ કહેશે??? 

ચીબાં નાક-કાન-મોં વાળા, મોટી આંખો અને મોટાં માથાંવાળા, વાળ વગરનાં, ઠીંગણાં અને પાતળા કદવાળા વિચિત્ર દેખાતાં... 'એલિયન' જ સ્તો!! 

*********

યજ્ઞેશ રાજપૂત
લ.તા.25.7.20