શુક્રવાર, 31 મે, 2024

"રણમાં ખીલ્યું ગુલાબ" સાહિદનું અપડેશન!!

 "સ્કૂલ કબ છુટેગી??" એવું બોલનાર સાહિદ આજે ધોરણ 5 માં ફરી મારા વર્ગમાં જ હતો. નવી જ બુકને અઠવાડિયામાં ફાડી નાંખનાર સાહીદ ધોરણ 5 માં 86% મેળવીને બીજા નંબરે પાસ થયો!! 

મોટેભાગે લોકોના મનમાં સરકારી શાળાની એક વિશેષ છાપ છે. અને જે સરકારી શિક્ષકો છે એ એમનાં માંહ્યલાને પૂછે તો કદાચ જવાબ મળે કે,  "90-95% શિક્ષકો બાળકોને પરીક્ષામાં જવાબો બતાવી દેવાનું શાપિત કામ કરી રહ્યા છે!" હું ગર્વથી એ કહી શકું છું કે નોકરીને આજે 19 વર્ષ થયાં, આ 19 વર્ષમાં એક પણ વખત બાળકોને પરીક્ષામાં જવાબો બતાવ્યા નથી. બસ.. બાળકોને ભણાવ્યા છે. દિલસે!!

સાહિદને આવેલા 86% એનાં પોતાનાં છે! જવાબો એણે જાતે લખેલા છે. આશા રાખું છું કે આગળ એને એવો શિક્ષક મળશે, કે જે એને 'ભણાવશે..!' અહીં 'ભણાવશે' શબ્દ પર એટલા માટે ભાર મુકું છું કેમ કે ઘણાં શિક્ષકો (ઘણાં - એટલે મેજોરીટી શિક્ષકો!) બાળકોને  માત્ર  'ઉઠાં' ભણાવતા શીખવાડી રહ્યા છે! ...અને સાચા શિક્ષકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહે છે!! 

શાહિદની ૩ ફેબ્રુઆરી 2020 ના રોજ લખાયેલી મારા બ્લોગપોસ્ટની લીંક અહીં શેર કરી રહ્યો છું! આશા રાખું છું કે આપ સૌને ગમશે!

https://threecolour.blogspot.com/2020/02/blog-post.html


સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો