https://www.facebook.com/share/p/18ieqibgey/
"GOAT LIFE" કે "સાચી જિંદગી??"
નોકરી કરી રહ્યા છો કે જીવી રહ્યા છો??
**************
સ્ટાફમાંથી બે શિક્ષક મિત્રો નિવૃત્ત થાય છે. રૂઢિગત જે કરીએ છીએ એ જ રૂટિન કરતાં રહેવાનું હવે બદલાતો વિચાર વિરોધ કરે છે, એટલે સ્ટાફમાંથી પૈસા ઉઘરાવી નિવૃત્ત થતાં મિત્રોને કંઈક વસ્તુ અને સન્માન આપી વિદાય કરીએ બદલામાં નિવૃત્ત થતા મિત્રો શાળામાં કંઈક ભેટ આપે, અને બધાને હોટલમાં જમવા લઈ જાય- આ બધું મને હવે 'લેન-દેન-વેપાર' જેવું લાગે છે. એટલે મને આમાંથી બાકાત રાખવા વિનંતી કરી.
બંને નિવૃત્ત થતા મિત્રો મારા વડીલ સમાન છે. મને હંમેશા મદદરૂપ રહ્યા છે. એક સાહેબ તો મારા જન્મ પહેલાથી નોકરી કરે છે. હું બંનેને પસંદ કરું છું. 'લેન-દેન-વ્યાપાર' કરવા કરતાં એક શિક્ષકને શોભે એમ મેં હવેથી આવા દરેક પ્રસંગોએ 'પૈસા કરતા પુસ્તક' આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી લગ્ન પ્રસંગોમાં પણ 'ચાંલ્લા કરતાં ચેતનવંતા પુસ્તકો' જ આપવાનું નક્કી કર્યું છે. પણ યક્ષ પ્રશ્ન હંમેશા ઉદ્દભવતો રહે છે કે આવા પ્રસંગોએ વ્યક્તિ વધુ ઉન્નત, આંતરિક જાગૃતિ તરફ ચેતનવંતો બને એ માટે પુસ્તક કયું આપવું?? એટલે અહીં પણ બંને મિત્રો માટે આ પ્રશ્ન આવ્યો.. અંતે એક ધ્યાને આવ્યું..
**GOAT DAYS**
---
(ખોડા સાહેબે બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છીક રાજીનામુ આપી દીધું છે પણ અહીં એમનો પ્રસંગ યાદગાર છે.)
"પંચાવન થયા પણ આજેય મને તાવ પણ ના આવે.." ખિસ્સામાંથી લવિંગ કાઢીને મોઢામાં મૂકીને અડીખમ ઊભા ખોડા સાહેબ બોલ્યા.
..અને સાચે જ ખોડાસાહેબ પંચાવનમાં પણ એવા જ હતા. BLO તરીકે વટવાના ચાર માળીયા ચડવાના હોય તો પણ સડસડાટ ચડી જાય. અને ત્રણ માળની શાળામાં પણ રોજના ચાર પાંચ વખત પગથિયાં ચડી ઉતરી જાય. એમને હંમેશા પોતાના સ્વાસ્થ્ય પર ગર્વ રહ્યો. અને અચાનક એક દિવસ...
...ચક્કર આવ્યા, અને ખુરશી પર ફસડાઈ પડ્યા. તાત્કાલિક ઘરે મોકલવામાં આવ્યા. અને બે દિવસ પછી હાથમાં 'રિઝાઇન'નું કાગળ તૈયાર કરીને આવ્યા અને ત્રણ મહિનામાં જ નોકરી મૂકી દીધી!
બધાંએ કહ્યું, " અરે સાહેબ, દોઢ વર્ષ જ રહ્યું છે. ધીમે ધીમે ખેંચાઈ જશે. નોકરી શું કામ મુકો છો?"
"બસ હવે આપણને ખબર પડી ગઈ છે કે નોકરી છોડવાનો વખત આવી ગયો છે." એ ગર્વભેર બોલ્યા.
હું સ્ટાફની વચ્ચે જાહેરમાં તો ન બોલી શક્યો પણ હાથ પકડીને એમને દૂર લઈ ગયો અને બોલ્યો, "સાહેબ હું તમારા નિર્ણયને માન આપું છું. કારણ વગર નોકરી કરતાં રહેવું જરૂરી નથી. ખરેખર જરૂર ના હોય તો ગુલામી ન જ કરાય."
..આમેય ખોડાસાહેબ બધી રીતે સંપન્ન હતા. બાળકો પણ સેટ થઈ ચૂક્યા હતા. હરતાં ફરતાં જ આઝાદ થવું એ બહાદુરનું કામ હોય છે બાકી જીવનભર 'GOAT LIFE' (એકસરખી જીવનશૈલી) જીવવાવાળા ઝાઝા બધા હોય છે.
...જેમ જેમ પુસ્તક વંચાતું ગયું એમ એમ સમજાતું જાય કે આપણે પણ ક્યાં માણસનું જીવન જીવીએ છીએ? આપણે પણ 'બકરાં લાઈફ' તો જીવીએ છીએ.
---
(1)
નજીબ એક સારું ઘર બને અને બાળકને સારી જિંદગી મળે એ માટે ઘર અને પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને ગલ્ફ દેશ અરબમાં નોકરીઅર્થે જાય છે અને ઘેટાં બકરા સાચવવાની ભયંકર મજૂરીમાં જેલ કરતા પણ બદતર સ્થિતિમાં ફસાઈ જાય છે.
👉 નોકરી આવું જ 'સોનાનું સુરક્ષિત પીંજરું' છે.
*જો ઘર પરિવાર નબળું, મધ્યમ હોય તો આ સોનાનું પીંજરું તમને સધ્ધર કરી શકે.* પણ અંતે જે અંદરથી બંધાઈ જવાની સ્થિતિ આપી જાય એ બદતર હોય છે.
(2)
ઘણી વખત છૂટવાની તક નજીબને મળે છે પણ માનસિક ગુલામી એટલી મજબૂત હોય કે ચાહીને પણ નથી છૂટી શકતો.
👉 ઘણીવાર માણસ પાસે વિકલ્પ હોય છે, પણ “સિક્યોરિટી” અને “લોકો શું કહેશે?” નો ડર એને નોકરીમાં બાંધી રાખે છે.
(ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય, ન છોડાય.. ની સ્થિતિ!)
(3)
ખુબુસ, પાણી અને બકરીનું વાસ મારતું દૂધ! નજીબને આ જ જમવાનું હતું. સવારે ઉઠવાથી લઈને રાત્રે ઊંઘવા સુધી એકની એક રૂટીન લાઈફ એટલે GOAT DAYS!
👉 નોકરી પણ રૂટિન લાઈફ જ આપે છે. શરૂ શરૂમાં ખૂબ ગમે અને એક સમય એવો આવે આ એક જ જીવનશૈલી આપણા રગ-રગમાં એવી ભળી જાય કે આપણે રૂટિન 'GOAT LIFE'ને જ શ્રેષ્ઠ લાઈફ ગણવા લાગીએ છીએ.
(4)
એક ખૂંખાર બકરો પોતાની શક્તિ બતાવવા નજીબને એક જ ભેંટુ મારીને એનો હાથ તોડી દે છે. નજીબ એને કશું જ નથી કરી શકતો. બસ જીવનભર એનાંથી ડરીને દૂર દૂર ભાગતો રહે છે. એકવાર આવો જ એક બકરો નજીબનો જીવ પણ બચાવે છે.
👉 નોકરીમાં પણ કેટલાક “ખૂંખાર” લોકો ડરાવે છે, પણ ક્યારેક એ જ સિસ્ટમમાં બચાવ પણ આપે છે —
અને આપણે આખી જિંદગી એ જ સંતુલનમાં જીવતા રહીએ છીએ.
(5)
નજીબ માનસિક બંધાયેલો હતો — બહાર નીકળવું મુશ્કેલ હતું. એક દિવસ એનો ભાઈ હકીમ એને મળી જાય છે કે જે પોતે પણ બકરા સંભાળવા ફસાયેલો છે. એને જોઈને નજીબને ખૂબ આનંદ થાય છે.
👉 જયારે માણસ ગુલામીમાં મનથી બંધાઈ જાય છે. ત્યારે બીજાને પણ એ બંધનમાં જોઈ આનંદ પામે છે.
(6)
નજીબ ભાગવાનો નિર્ણય લે છે, અને કિલોમીટરો લાંબા રણપ્રદેશમાં ફસાઈ જાય છે. આગળ શું આવશે એની કોઈ ખાતરી નથી.
👉 નોકરી છોડવાનો નિર્ણય પણ એવો જ છે. જ્યારે મહિનાની શરૂઆતે પગાર આવતો બંધ થઈ જાય છે ત્યારે ઝાટકો લાગે છે. ભવિષ્યની અનિશ્ચિતતા ઘેરી વળે છે.
(7)
જેનાં ભરોસે નજીબ સ્વતંત્રતા માટે ભાગે છે એ જ માર્ગદર્શક ઇબ્રાહિમ પોતે જ રસ્તો ભૂલી જાય છે. રણ પ્રદેશની ચિલચીલાટી ગરમીથી નજીબના ભાઈ હકીમનું ભૂખ અને તરસથી દર્દનાક મૃત્યુ થાય છે અને એ રેતીના તોફાનમાં ક્યાંક દબાઈ ખોવાઈ જાય છે.
👉 'આપણને નોકરીમાંથી કાઢી મૂકે તોયે ફરક નહિ પડે'- જેવી ફાંકા ફોજદારીની સંગતે ચડી નોકરી છોડી દેનારાઓને દાળ-રોટીનાં પણ ફાંફા પડી જાય છે એવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસ જોવા મળે જ છે. અભાવોમાં આવી વ્યક્તિ ક્યાંક ખોવાઈ જાય છે. ગરીબીમાં મરી જાય છે. માટે પહેલાં ફાઈનાન્સિયલ વ્યવસ્થા કરી લેવી પડે.
(8)
અંતે નજીબ એક અજાણી વ્યક્તિ કુંજક્કલ સુધી પહોંચે છે. જે એને પાછો પોતાના વતનમાં મોકલે છે. એને “આભાર” કહેવાનો મોકો પણ નથી મળતો. એ ઘરે પાછો આવે છે — ખાલી હાથે… ન પૈસા… ન સામાન… પણ એક વસ્તુ લઈને આવે છે — આઝાદી.
👉 નોકરીમાં પણ એવું જ છે —
ઘણા લોકો આખી જિંદગી કમાણી, સુવિધા, સિક્યોરિટી પાછળ દોડે છે…
પણ અંતે સમજાય છે કે 'ખાલી હાથ આયે થે હમ.. ખાલી હાથ જાયેંગે..'
(9)
અંતે ખબર પડે છે —
નજીબ તો સાચી કંપનીમાં જ નોકરી કરવા જવાનો હતો… માત્ર થોડો મોડો પડ્યો… અને ખોટા માણસના હાથમાં પડી ગયો.
👉 નોકરીમાં પણ આવું જ બને છે —
ઘણા લોકો પોતાની ક્ષમતા મુજબ બીજી મોટી તકો માટે લાયક હોય છે, પણ એક ખોટો નિર્ણય, એક ખોટી પસંદગી… અને આખી જિંદગી ખોટી નોકરીમાં “ફસાઈ” જાય છે.
(10)
જેલમાં હમિદ — એકમાત્ર મિત્ર… રોજ પોતાના દેશમાં પરત જવા આશા સેવે છે પણ એનો અબરાર(માલિક) એને પાછો ગુલામીમાં ઢસડી જાય છે. એ રોકકળ કરી મૂકે છે. અને બીજા જ દિવસે એના નામની વતન પરત ફરવાની બૂમ પડે છે.
👉 નોકરીમાં પણ એવું જ છે —
ઘણા લોકો આખી જિંદગી રાહ જુએ છે - “એક દિવસ બધું બદલાશે…” પણ એ “મોકો” ક્યારેય આવતો જ નથી. આવે છે માત્ર ગુલામી માનસિકતા - અંદરનું ખાલીપણું - બંધાઈ ગયાની સ્થિતિ!
---
ટૂંક સાર:
👉 GOAT LIFE→ એકસરખી બંધાયેલી જીવનશૈલી.
👉 દરેક નોકરી ગુલામી નથી. ઘણા લોકો માટે એ વિકાસ, સેવા અને સ્થિરતા પણ આપે છે. સવાલ નોકરીનો નથી…
સવાલ છે — આપણે તેમાં શું બની રહ્યા છીએ?
👉 આર્થિક યોજના, જવાબદારીઓ અને માનસિક તૈયારી વગર લેવાયેલો નિર્ણય મુશ્કેલીઓ પણ લાવી શકે.
👉 આ લેખ કોઈ નોકરી અથવા વ્યક્તિને ખોટી ઠેરવવાનો પ્રયત્ન નથી. માત્ર એક વિચાર છે — કે દરેક વ્યક્તિએ પોતાની જિંદગી વિશે એકવાર ચોક્કસ વિચારવું જોઈએ.
👉 સાચી નોકરી એ છે, જે તમને અંદરથી આઝાદ બનાવે,
જાગૃત બનાવે, સત્ય તરફ લઈ જાય. પણ જો એવું નથી -
તો પછી વિચારવાનો સમય આવી ગયો છે --
"આપણે શું પસંદ કરીએ છીએ?
સુરક્ષિત બંધન… કે જાગૃત આઝાદી?"
---
એક વિચાર મનમાં આવે છે —
ખોડા સાહેબ પાસે માત્ર દોઢ વર્ષ બાકી હતું…
જો દોઢ દાયકા બાકી હોત, તો શું એ જ નિર્ણય લેતા?
---
બાય ધ વે, નિવૃત્તિ વખતે અપાતા સન્માનપત્રોમાં પણ હવે મારા વિચારો વિરોધ કરે છે. સાચું કહું તો મેં આવા સન્માનપત્રો ક્યારેય ધ્યાનથી વાંચ્યા જ નથી. જેનું સન્માનપત્ર હોય એના સિવાય કોઈ ધ્યાનથી વાંચતુ હોય એવું લાગતું પણ નથી. કારણ કે.. આવા સન્માનપત્રોમાં..
👉 “આદર્શ, નિષ્કલંક, સર્વોત્તમ” — જેવા શબ્દો ઓવર સ્ટેટમેન્ટ હોય એવું લાગે છે.
👉 જીવનની ખામીઓના સ્વીકારનો અભાવ જોવા મળે છે.
👉 માત્ર એકપક્ષીય પ્રશંસા જ હોય છે.
👉 જ્યારે સત્ય...
- વ્યક્તિએ વર્ષો સુધી સેવા આપી એમાં કંઈક સારું કર્યું હશે અને ક્યાંક ચૂક પણ થઈ હશે - એ બધું લખાતું નથી.
..એટલે હું વિચારતો હતો કે એવું તો કેવું સન્માપત્ર હોય કે જે બધા ધ્યાનથી વાંચવા પ્રેરાય? અંતે મેં માત્ર મારા અંતરમન અનુસાર એક સન્માનપત્ર બનાવ્યું. જે ફોટામાં આપું છું. (જો કોઈ ઈચ્છે તો યોગ્ય સુધારા વધારા કરી શકે. બાકી નિવૃત્તિના રૂઢિગત રાખો તો પણ ઠીક!)
યજ્ઞેશ રાજપૂત
લ.તા. 19.4.26
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો