સોમવાર, 25 મે, 2026

બર્થ ડે 23.5.26 (જ્યારે તમન્ના ઘરે આવી)

https://www.facebook.com/share/p/18Z9RrwvYy/

23 મે 2026.

સાંજે અચાનક રિંગ વાગી, "સર, આપ ઘર પે હો?"
"હા.." મેં કહ્યું.
"આજ આપકા બર્થ ડે હૈ ના..?"

આ સવાલથી મને હસવું આવ્યું. કેમ કે  સામાન્ય રીતે હું બર્થડે ઉજવતો નથી. કારણ કે હવે મને લાગે છે કે માણસનો જન્મ એ દિવસે નથી થતો જ્યારે એ શરીર લઈને દુનિયામાં આવે છે.
માણસનો જન્મ એ દિવસે થાય છે જ્યારે એ પહેલી વાર પોતાને જોઈ લે છે. પોતાની અંદરની ખોટ, અહં, ડર, માન્યતાઓ અને બેહોશીને જ્યારે તે ઓળખવા લાગે છે ત્યારે  એ દિવસે થોડું “નવું” જન્મે છે. 

પણ આ વખતે 23 મે મને અંદરથી સ્પર્શી ગઈ. મેં કહ્યું, "હા બેટા.. આજ મેરા બર્થડે હૈ."

"આપકે ઘર કા લોકેશન ભેજો.. મૈં મેરે પપ્પા કે સાથ આપકે ઘર આ રહી હું. મુજે આપસે મિલના હૈ."

"આજ..અભી આ રહી હો તુમ?"

"હા સર.. લોકેશન ભેજો.." ..અને ફોન કટ! 

આજનો દિવસ મારા માટે રોજના જેવો જ સામાન્ય હતો. અને એક દીકરી મને આશ્ચર્યમાં નાંખી ગઈ. (ઘરમાં પણ આજનો દિવસ કોઈને યાદ ન હતો.) 
******

સાંજે મારા વર્ગમાં ધોરણ 4માં ભણતી એ નાનકડી દીકરી ઘરે આવી. હાથમાં નાનકડી ગિફ્ટ હતી.

એના પપ્પાએ કહ્યું —
“એ ઘણા દિવસથી તમારા બર્થડેના દિવસો નોટમાં લખીને ગણી રહી હતી.”

આ વાત સામાન્ય લાગે,  પણ મને અંદરથી હચમચાવી ગઈ હતી.  કારણ કે હું જાણું છું — આ દીકરી માત્ર “સર”ને મળવા આવી નહોતી. એ એવી જગ્યા શોધતી આવી હતી જ્યાં એને વિચારવાની છૂટ મળે છે. જ્યાં એને માત્ર પાઠ્યપુસ્તક નહીં, પોતાને જોવાની શરૂઆત મળે છે. હું વર્ગમાં ઘણી વાર આત્મ અવલોકન, જાગૃતિ, ચેતના જેવા વિષયો વિશે વાત કરું છું. સામાન્ય રીતે આ શબ્દો બાળકોને અઘરા લાગે, એટલે એમની ઉંમર અનુસાર આ શબ્દો હોય કે જેમાં મારા સવાલો એમને એમની અંદર ઉતારે છે. એવું ઘણી વખત બન્યું છે કે મારો આખો ધોરણ 4 નો વર્ગ 'પિનડ્રોપ' સાઇલેન્સથી કલાકો સુધી બેઠો હોય, ન કોઈ રજા માંગે, ન કોઈ રિસેશમાં જાય. અંતે મારે કહેવું પડે કે, "બેટા પહેલા રિસેશમાં જઈ આવો."

'ભણાવવું' માત્ર બે પૂંઠા વચ્ચેનું નથી, પણ પુસ્તકની બહારનું છે. અને જે બાળકો માત્ર ટેક્સ્ટ બુક ભણે છે એ મોટા થઈને 'ઉઠાં' ભણાવવાનું તો શીખી જ જાય છે. આનાથી બચવા માટે દરેક પાઠને અંતે 'સ્વયં-જાગૃતિ (self observation) ના હું પાંચ સવાલો બાળકોને આપું છું કે જે શીખેલા એકમને કેવી રીતે જીવન સાથે જોડે છે એને અનુરૂપ હોય છે. ટેક્સ્ટ બુકનો પાઠ પૂર્ણ થતાં જો મને ૩ દિવસ લાગતો હોય, તો માનવું કે હજુ વધુ એક દિવસ આ પાંચ પ્રશ્નોની ચર્ચામાં જશે, એ પાક્કું!

કેટલાક સવાલો, અહીં મુકું છું..

- પરીક્ષામાં કેમ જવાબો જોઈને ના લખવા જોઈએ?
- નાગદમન કવિતાનો વાસ્તવિક નાગ કોણ છે અને ક્યાં છે?
- ખુદા/ભગવાન કોણ છે?
- ઈમાનદારી એટલે શું?
- આપણી નદીઓ ગંદી કેમ છે?
- શું માતાપિતા કે શિક્ષક ખરેખર ભગવાન છે?
- ગમે તેને પગે કેમ ન લાગવું જોઈએ?
- તમારે ભણવું કેમ જોઈએ?

શિક્ષણની સાચી પ્રોસેસ એ છે કે જેમાં બાળકો પોતાની beliefs ને આંખો બંધ કરીને માને નહિ, પણ સવાલ પૂછે. (તમારે કેમ ભણવું જોઈએ? - જયારે ધોરણ ૮ પૂર્ણ કરીને જતા બાળકોને કર્યો ત્યારે અફસોસ કે એકેય પાસે સાચો જવાબ ન હતો. જે જવાબ હતા એ રટારટાયા હતા.)

ઘણા બાળકો માટે આ પ્રશ્નો માત્ર પ્રશ્નો જ હોય છે.  પણ આ દીકરી સાંભળે છે. પ્રશ્નોને અંદર લે છે. પ્રશ્ન કરે છે. હું એના ચહેરા પર ઘણી વાર એક સચ્ચી તલપ જોઉં છું — “મારે સમજવું છે.”

જ્યારે એ પહેલી વાર પ્રાઇવેટ શાળામાંથી મારા વર્ગમાં આવી હતી ત્યારે ખાસ કશું આવડતું નહોતું. આજે એ એના પપ્પાને લઈને લાઇબ્રેરીમાં (ગાંધી પુલ પાસે) જાય છે. એ એને સમજમાં આવે એવાં પુસ્તકો વાંચે છે. ચર્ચા કરે છે. ધીમે ધીમે અંદર કંઈક જાગતું દેખાય છે.

અને સાચું કહું તો —

મને એ દિકરીમાં "ધર્મ" નહિ, પણ એક ચેતના દેખાય છે જે ઉપર ઉઠવા માંગે છે. પણ સમાજ એટલો સરળ નથી. બેહોશ છે. આજના સમયમાં પહેલા ધર્મ બતાવવામાં આવે છે, પછી માણસ. 

બાળક જન્મે છે ખુલ્લું, સ્વતંત્ર, આઝાદ, સહજ…

..પણ ધીમે ધીમે એને ડર, ભેદભાવ અને બંધનો પહેરાવી દેવામાં આવે છે. એટલે ક્યારેક મને એની ચિંતા થાય છે. કારણ કે બાળકનું મન સ્પંજ જેવું હોય છે. જેની પાસે રહેશે, એને શોષી લેશે. જો એને જાગૃત લોકોને મળશે — તો ખીલી ઊઠશે.
અને જો એને સંકુચિત, ડરેલા, અહંકારી લોકો મળશે — તો કદાચ એ પણ ભીડનો ભાગ બની જશે.

શિક્ષક તરીકે મારી સૌથી મોટી આંતરિક લડાઈ માર્ક્સ માટે નથી. મારી લડાઈ એ છે કે કોઈ બાળક અંદરથી મરી ન જાય.
આ દીકરી જ્યારે ગિફ્ટ લઈને આવી ત્યારે મને ગિફ્ટમાં શું છે એમાં રસ નહોતો.

મને એમાં આ દેખાયું —
કે હજુ પણ કોઈ બાળક જ્ઞાન તરફ પ્યાસાની જેમ દોડીને આવે છે.

અને કદાચ…
એ જ ક્ષણે મને લાગ્યું —
“હા, આજે ખરેખર મારો જન્મદિવસ છે.”

- યજ્ઞેશ રાજપુત
લ.તા. 25.5.26

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો