બુધવાર, 4 માર્ચ, 2020

દરિદ્રતા: અનિલ અને વિષ્ણુ

વીડિયો જોવામાં આ વાંચવાનું ના ભૂલતા!!
👇👇

દરિદ્રતા..??
કરુણા..??
દુઃખ..??
ખુશી..??
ભૂખ..??
અભાવ..??
બાળ મજુરી..??
ખાનાબદોશી..??
ગરીબી..??
મુફલિસી..??
ખુદદારી..??
ખુમારી..??
.
.
શું કહેશો આને?? આજે વોટ્સએપમાં ફરતું ફરતું આવ્યું..!

માનો કે આ બાળકો તમારી શાળામાં/વર્ગમાં હોય અને નિયમિત ન હોય તો તમે શું કરશો?? પહેલીવાત તો એ કે આ બાળકોને કઈ શાળા એડમિશન આપશે?.. ખાનગી કે સરકારી?? ખાનગી શાળાનાં "સ્માર્ટ" બાળકો યુનિફોર્મ માપનો ન હોય તોય શાળાએ ન જાય.. અને આની સરખામણીમાં સરકારી શાળામાં ભણતાં આવા હજારો બાળકો માં-બાપના અભાવમાં પણ હસીને વાત કરી શકતાં હોય તો આમાંથી તમે કોને વધુ જીંદાદીલ કહેશો?? "અક્ષરજ્ઞાન"ની સરખામણીમાં "સર્વાઇવલ અને જીંદાદિલી" નામના મૂલ્યશિક્ષણનું કોઈ મહત્વ જ નહીં??
લાખો-કરોડોમાં આળોટતા બાળકો ફિલ્મ-ટીવીમાં કલાને નામે મજુરી કરે અને આવા હજારો બાળકો જીવવા માટે કામ કરે.. તો ખરેખર બાળમજૂરી કઈ?? ..અને માનસિક બાલમજૂર કોણ?? કાલની એક પોસ્ટ પર એક સાહેબે કહ્યું, "અમે વહીવટી અને કન્ટેન્ટ બંને વિષયોમાં પાસ થઈને 'મોટાં સાહેબ' બન્યા છીએ! એટલે અમે શિક્ષણનાં જીવ તો છીએ જ!" 

"અરે ભલા માણસ.. મોટાં સાહેબ બનવા અને ચાઈલ્ડ સાયકોલોજી સમજવા 'થોથા' નહીં, 'સમય' ફાળવવો પડે- આવા બાળકોની સાથે બેસવાનો અને એમની સાથે વાત કરવાનો..!! એક જ દિવસ શાળામાં 'મિત્ર નહિં, પણ સાહેબ' થઈને આવો, અને એક વર્ગમાં માત્ર પંદર મિનિટ ફાળવો, એમાં તમે કોઈ બાળકને અમુક બાબત કેમ નથી આવડતી, અને શિક્ષકોએ કરેલાં પ્રયત્નોની આંકણી તમે નહિ કરી શકો! આ આંકણી કરવા 'કાન અને હદય' બંને જોઈએ, જે તમને મળેલી 'ડિગ્રી'ઓના ભારથી છેક નીચે દબાઈ ગયા છે!"

'બધ્ધાને બધ્ધુ આવડવું જ જોઈએ' એવી માનસિકતામાં રાચતા 'ભણેલાં સાહેબો'ને ચાઈલ્ડ-સાઇકોલોજીનું એટલુંયે જ્ઞાન નહિ હોય કે "ભૂખ્યા ભણવા જવાય ના ગોપાલા!!"

https://m.facebook.com/story.php?story_fbid=2698675243574021&id=100002947160151

ભારતીય શિક્ષણ પ્રણાલીને થપ્પડ મારતાં નાઝીમ અને દિલાવરખાં

"અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?" નામ કદાચ ભુલાઈ ગયું હોય એટલે મેં કન્ફર્મ કરવા પૂછ્યું, "તારું નામ નાઝીમ જ ને??"

"હાં સર.." 
એનું નામ મને હજીયે યાદ છે, એ સાંભળીને એનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ! એ ખુશ થતાં બોલ્યો, "મૈને નયા ફોન લિયા હૈ.."
*****

૨૦૧૩ માં મારાં વર્ગમાં હતો એ! બિચારો કોશિશ તો ઘણી કરે, પણ કાંઈ આવડે જ નહીં! ..પણ શાળાના તથા બહારના કામ પરફેક્ટ કરી જાણે!! પોતાની લંબાઈ પહોળાઈને કારણે વર્ગમાં બીજાં બાળકો કરતાં મોટો લાગે, પણ ખુશ મિજાજી! શાળાના એ વર્ષનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'નન્હા મુન્ના રાહી હું..' ગીત પર બીજાં એનાં કરતાં ખરેખર નાના બાળકો સાથે એણે પરફોર્મ કર્યું, ત્યારે એની ખૂબ મસ્તી કરેલી, 'તું ક્યારથી નન્હો મુન્નો થઈ ગયો ભાઈ..??' 

ભણવામાં ભલીવાર નહીં થાય, એ બહુ જલ્દી સમજી ગયેલો! પરિણામે શાળામાંથી સર્ટી લઈ એ.સી. રીપેરીંગ શીખવા માંડેલો, અને હવે સ્ટીલ પાલિસનું કૈક કામ કરે છે.  રોજના ૪૦૦-૫૦૦ કમાય છે અને પરિવારને નાણાંકીય મદદ કરે છે, જ્યારે એની જ સાથેનાં બીજાં બાળકો હજુયે ભણવાના નામે રખડપટ્ટી કરતા હું જોઉં છું, ત્યારે ખરેખર હું મારી એ વાત પર વધુ દ્રઢ થતો જાઉં છું કે ભારતીય મૂળ શિક્ષણ પ્રણાલીમાં આ બાળક વધુ ફિટ બેસે છે! વધુ ભણેલો દરેક કામને નાના-મોટાની દ્રષ્ટિએ જોતો હોય છે, અને એવો અહમ પણ રાખતો હોય છે કે, "હું આટલો ભણેલો, આવું નિમ્ન કામ કરૂં?" પરિણામે બેરોજગાર બને છે! જ્યારે આ ટાઈપના દરેક લોકો, કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોય પણ દરેક કામ/નોકરીનું માન જાળવે છે, પરિણામે એમને બેરોજગારી નડતી નથી! અને નાની ઉંમરમાં જ મેચ્યોરિટી સાથે વટથી જીવતા હોય છે! આ જ બાળક મારા વર્ગમાં હતો, ત્યારે 'પ્રિય બાળક' (૧૦૦ કરોડ શુક્રાણુઓમાંથી જે શુક્રાણુ સૌથી વધુ બળવાન હોય એ ઈશ્વરના આશીર્વાદથી બાળક બને છે, અને માત્ર અક્ષરજ્ઞાન ન આવડવાને કારણે શિક્ષણખાતું એને 'પ્રિય બાળક' એવું ઉપમાન આપીને ઈશ્વરનું અપમાન કરે છે!!) કહેવાતો!.. પણ હાલ આ જ બાળક વટથી મને કહેવા આવ્યો છે કે "જબ મેરી શાદી હોગી, તબ મૈં આપકો બુલાઊંગા!" આવા બાળકો આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીને એક મોટી 'થપ્પડ' સમાન છે, કે જેઓ પોતાના કૌશલ્ય થકી મારી જેમ સરકારી નોકરી કરીને 'સોનાનાં પિંજરા'માં બંધ નથી રહ્યા!! 

મારી શાળામાં જ ભણતો દિલાવરખાં પણ આવી જ રીતે આપણી 'કારકુન પેદા કરતી શિક્ષણ પ્રણાલી'ને 'થપ્પડ' મારીને વટથી કાલુપુર શાકમાર્કેટમાં પોતાનો ધંધો જમાવીને પોતાનું કુટુંબ ચલાવી રહ્યો છે! હું જ્યારે જ્યારે શાકમાર્કેટમાં જઉં ત્યારે એની પાસેથી શાક લેવાનું ચૂકતો નથી! 'દિલાવરખાં' પોતાની જીભ કાપવાનો મદારીનો ખેલ કરતો! ..અને નાનપણથી જ પોતાની ૩ બહેનોની સાથે કુટુંબનું પણ પૂરું કરતો! હું આજેય એને 'જાદુગર' જ કહું છું, કેમ કે વર્ગમાં ઘણીવાર એ પોતાના મદારીના નાના નાના ખેલ કરી બીજા બાળકોને મોજ કરાવી દેતો! આવા લોકો કોઈનાય મોહતાજ નથી હોતા! બસ.. પોતાનું કુટુંબ એ જ એમની દુનિયા!

વીડિયો નીચેની લિન્કમાં👇👇

https://m.facebook.com/story.php?story_fbid=2719258251515720&id=100002947160151

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2020

સવાલોના પિંજરામાં.. (આર્તનાદ ભાગ ૧૪)

પ્રજ્ઞા અભિગમ જો એટલો જ સારો હોય તો એની ચારે મોઢે વાહ-વાહ કરતા ૯૯% અધિકારીઓ/શિક્ષકો પોતાના જ બાળકોને શા માટે પ્રજ્ઞા વર્ગમાં નથી મૂકતા? 
અને જો એટલું જ ખરાબ હોય તો માત્ર સરકારી શાળામાં ભણતાં નબળાં/ગરીબ વર્ગનાં બાળકો પર આ અભિગમનો પ્રયોગ શા માટે? 

૯૦% એચ.ટાટ., એસ.આઈ., સી.આર.સી., બી.આર.સી. કે વાઈસેવરસા અધિકારીઓ એવાં જ શા માટે છે કે જેમને ચોક પકડવો પણ ગમતો નથી? જેઓ શિક્ષણના જીવ જ ના હોય એવાં જ લોકો શા માટે વર્ગો/શાળાઓ ચેક કરવા આવે છે? શિક્ષકોને કરવા પડતા કામોનો બોજો પોતે વેંઢારવો ના પડે એટલે મોટાભાગનાં શિક્ષકો અધિકારી બનવાની રેસમાં લાગી ગયા હોય એવું કેમ લાગે છે? આવું સ્વાર્થીપણું શા માટે?

૯૯% અધિકારીઓ ત્યારે જ શાળામાં શા માટે આવે છે કે જ્યારે એમને ખબર હોય કે એમનોય ઉપરી શાળામાં આવવાનો છે? ..ને આવો ડરપોક વ્યક્તિ શાળામાં આવીને પોતાનાં સ્વબચાવ માટે સુચનાબુકમાં અવાસ્તવિક સૂચનાઓ શા માટે લખીને ભાગે છે? એ એક પણ વર્ગમાં બાળકોની પાસે બેસતોય નથી, અને પોતાની હોશિયારીઓના બણગાં ફૂંકવામાંથી ઊંચો કેમ નથી આવતો?

ફલાનો આવશે તો આ જોશે, ઢીકનો આવશે તો આ માંગશે.. વર્ગમાં ખરેખર કામ કરતા શિક્ષકોને એવું સતત શા માટે બીવડાવવામાં આવે છે? કેમ એક પણ અધિકારી મિત્ર/માર્ગદર્શક બનીને નથી આવતો? કેમ એક પણ અધિકારીને સાચો શિક્ષક નિર્ભયતાથી કશું કહી/પૂછી શકતો નથી? આવું ડરનું વાતાવરણ શા માટે? ડરેલો કેવી રીતે ભારતના ભવિષ્યને નિર્ભય બનાવી શકે?

માત્ર કાગળ કામ સારું હોય અથવા ચાપલુસી કરી શકતો હોય તો એ ખુશામતખોર સારો, અને વર્ગનાં ખૂણામાં કોઈનેય નડ્યા વગર પૂરી નિષ્ઠાથી શિક્ષણકાર્ય કરતો હોય એવો સૌથી વધુ સહન કરતો હોય એવું શા માટે છે? વર્ષ ૨૦૧૨/૧૩ પછી જ લગભગ દરેક સાચા શિક્ષકને શા માટે શાળાએ મૂંઝારો અનુભવાઇ રહ્યો છે?

શું સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સાચી દિશામાં જઇ રહી છે? કે પછી માત્ર શિક્ષિત બેરોજગાર જ પેદા થઈ રહ્યા છે? અત્યારની શિક્ષણવ્યવસ્થા માત્ર અક્ષરજ્ઞાનને જ શા માટે મહત્વ આપે છે? મૂલ્યશિક્ષણ શા માટે ભૂલાવાઈ રહ્યું છે? પ્રામાણિકતા, સત્ય, નિષ્ઠા, વફાદારી, દેશદાઝ, ચારિત્ર્ય, વિનમ્રતા, વિવેક, સારા-નરસાનું ભાન, એકતા, પ્રેમ, નિઃસ્વાર્થતા અને ગાંધીજીના અગિયાર વ્રતો વાંચી શકતું બાળક એનો અર્થ સમજી શકતો હોવા છતાં શા માટે જીવનમાં ઉતારી શકતો નથી? 

અસ્થિરતા અને અસમાનતા સીધા જ હદયમાં ખૂંચે છે! "આંખ આડા કાન" રાખીને જોતાં લોકો આને નેગેટિવિટી ગણે તો ભલે ગણે, પણ આ નગ્ન વાસ્તવિકતા છે! દીવાલની પેલે પારની વાસ્તવિકતા ક્યાં સુધી લોકોની નજરથી છુપાવી શકાશે?

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2020

"એકલો જાને રે.." (આર્તનાદ ભાગ૧૨)

તા.૨૬.૧.૨૦૨૦

શાળાનાં આચાર્યશ્રી જ્યોત્સનાબેનનાં હસ્તે શાલ ઓઢાડી અને કોરીસાહેબના હસ્તે વટવા કલસ્ટરનાં 'પ્રતિભાશાળી શિક્ષક'નું નાનકડું સન્માન-પ્રમાણપત્ર મળ્યું! ૧૫ વર્ષની ફરજમાં પહેલી વખત એવું થયું હશે કે વર્ગના ખૂણામાં કામ કરતા શિક્ષકોનું કંઈક સન્માન થયું હોય! બાકી તો વગદાર અથવા ખુશામતખોર હોય અને જેણે જિંદગીમાં ક્યારેય ચોક ના પકડ્યો હોય એવાં જ ૯૦% શિક્ષકોનું સન્માન થતું જોયું છે!! સારું લાગે છે જ્યારે સન્માન મળે છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મનમાં સૂક્ષ્મ અભિમાન પણ ના પ્રવેશે એનું ધ્યાન રાખજે! જે જગ્યાએ કામ કર્યું છે, એ જગ્યાએ હંમેશા ઉજ્જડ જમીનમાં આંબો ઉગાડવાની કોશિશ કરી છે.. દિલ સે!! આ સાવ નાનકડાં એચિવમેન્ટ માટે જે રસ્તો કંડારાયો છે, એ નાનોસુનો તો નથી જ!
*******

૨૦૦૫ માં પીટીસી પૂરું કરીને પ્રાઇવેટ શાળામાં મહિને માત્ર ૮૦૦₹ માં નોકરીએ લાગ્યો! અમદાવાદમાં એવી ઘણી ખાનગી શાળાઓ છે કે જે બિલાડીના ટોપની જેમ ખૂણે-ખાંચરે ઉગી નીકળી છે, જ્યાં રમવાનું મેદાન પણ ના હોય! એવી શાળામાં માત્ર ભણાવવા સિવાય કોઈ જ કામ હોતું નથી, એટલે બાળકોને બધું જ આવડે! વળી, ૧૦૦ માંથી ૯૫ માર્ક બાળકે મેળવ્યા હોય તોયે પૂછે કે ૫ માર્ક કેમ ઓછા આવ્યા?.. એવા જાગૃત વાલીઓ હોય એટલે બાળકોને ઘરેથી (ટ્યુશનેથી!!) ભણાવીને શાળાએ મોકલે!! હું ત્યારે સારો અને મહેનતુ શિક્ષક ગણાતો એટલે ૨૦૦૭માં જ્યારે નોકરી આવી ત્યારે બાળકોને ભણાવવાની જે ખેવના રાખેલી એ વાસ્તવિકતાની ધરતી પર 'ધબ્બ..' દઈને પછડાઈ! 
********

અમદાવાદથી ૪૦૦ કિમી દૂર ગિરગઢડા પેસેન્ટરની વેળાકોટ પ્રા. શાળામાં હાજર થવાનો ઓર્ડર તા.૧૮.૩.૦૭ ના સાંજે ૬:૦૦ વાગે હાથમાં આવ્યો, ત્યારે ઘરે જવાને બદલે સીધા જ શાળાએ જવાનું વિચાર્યું! રાતે ૧૧:૦૦ વાગે જૂનાગઢથી ઉના પહોંચ્યો, ત્યારે અમદાવાદી ભૂત મનમાં હોઈ વિચારેલું કે ગિરગઢડા જવા કોઈ પણ વાહન (છેવટે ટ્રક પણ!!) મળી જ જશે!.. પણ વાસ્તવિકતાનો સામનો ત્યારે થયો કે જ્યારે ખબર પડી કે ઉનાથી ગિરગઢડા જવા છેલ્લી દૂધની ગાડી ૭:૦૦ વાગે જાય છે, પછી કોઈ વાહન મળતું જ નથી! એમાંય બાજુમાં જ ગીરના જંગલના સિંહોની બીક પણ ત્યારે લાગતી હતી!! 
નામી-અનામી એ દરેક લોકોનો હું ધન્યવાદ કરું છું, કે જેમણે મુજ અજાણ્યાને રાતે ૧:૪૫ વાગે ગિરગઢડા પહોંચાડ્યો! 

બીજી સવારે વેળાકોટ જવા ૮:૦૦ વાગ્યાનો હું રીક્ષા સ્ટેન્ડએ બેઠો! છેક ૧૧ વાગે છકડો રીક્ષા મળી! (ભૂરાની) રિક્ષામાં લગભગ અમે ૨૦ જેટલાં લોકો હોઈશું! સ્ત્રીઓ અને બાળકો નીચે બેઠેલા, અને પુરુષોએ ઉભા રહેવાનું હતું. ઉબડખાબડ રસ્તામાં જ્યારે રીક્ષા ચાલી ત્યારે મેં એટલી સજ્જડ રીતે છકડો રીક્ષા પકડી રાખેલી કે ક્યાંક પડી ન જાઉં! સનવાવથી વેળાકોટ માત્ર ૫ કિમી હોવાં છતાં છેક ૧૨:૧૫ પહોંચ્યા, એ દરમિયાન બે વખત નદી-નાળામાં રિક્ષાને ધક્કો મારવા ઉતરવું પડેલું!!

આખરે વેળાકોટ પહોંચ્યો ત્યારે શાળા છૂટવાનો સમય થઈ ગયેલો!! સવારની શાળા હતી. શાળાએ જવા વાહન મળતું જ નહીં. વળી, ત્યાંના રસ્તાઓમાં બાઈક જ ચાલી શકતી, જે આવડતી નહોતી!

 ..એટલે શાળાએ જવાનો ભયંકર સંઘર્ષ શરૂ થયો!!
********

ગિરગઢડામાં આચાર્યશ્રીએ રહેવાનું ગોઠવેલું. (શરૂઆતમાં હું, બાલુ અને પુરોહિત સાથે રહેતાં, પણ મારો લીલા શાકભાજીનો ખોરાક વધુ હોઇ ગિરગઢડા કોલોનીમાં એકલા રહેવાનું શરૂ કરેલું!) ત્યાંથી શાળા ૧૧ કિમી થાય. જે મિત્રો સ્થાનિક જૂનાગઢના હતા, એ લોકોએ એકબીજાની ઓળખાણ કાઢી એવું સેટિંગ કરી દીધેલું કે બાઇકમાં બે જણ જઇ શકે! મારે તો બાપ-દાદાનું ય કોઈ સગું નહોતું કે એવું થાય! રસ્તો ખરાબ એટલે કોઈ પોતાની બાઈક પર ત્રીજા વ્યક્તિને ન બેસાડે! 'અમદાવાદી હરામજાદી' એવી ત્યાંની માનસિકતા ય ખરી! વળી, મારો સ્વભાવ પણ અંતર્મુખી અને મેચ્યોરિટી શૂન્ય એટલે જલ્દી કોઈની સાથે ના ભળું! ...આખરે એકલાં જ શાળાએ જવાનું વિચાર્યું.
*********

રોજ વહેલી સવારે સાડા ત્રણ વાગે ઉઠવાનું, ૪:૩૦ વાગે ૧૦ પુરી અને ચા બનાવી ખાવાનું , અને ભડભાખરે સવારે ૫ વાગે ગિરગઢડાથી વેળાકોટ શાળાએ જવા ૧૧ કિમી ચાલીને જવા ઘરેથી નીકળી જવાનું! રસ્તામાં અંધારું જ હોય, અને જંગલી જનવરોનો ડર પણ લાગે.. પણ એક જ વસ્તુ દેખાય- શાળાએ ટાઇમસર પહોંચવું! હું અમદાવાદી ખરોને?.. એટલે પંક્ચ્યુલ હતો!! રાઈટ ૭:૩૦ સુધીમાં શાળાએ પહોંચી જતો! શાળાની એક ચાવી આચાર્યશ્રીએ મને આપેલી! અઠવાડિયાના ચારેક દિવસ તો શાળાનો દરવાજો મારા હાથે જ ખૂલતો! 'તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો..' ની જગ્યાએ "હમ કો મન કી શક્તિ દેના..' પ્રાર્થના જાતે ગાઈને બાળકોને શીખવાડેલી. બાઈકવાળા મીત્રો મોટેભાગે મારા પછી જ શાળાએ પહોંચતા! સેમ વસ્તુ છૂટવા સમયે થાય.. ૧૨:૩૦ વાગે શાળા છૂટે એટલે પાછું ૧૧ કિમી ચાલીને પાછો ઘેર પહોંચું ત્યારે ઘણીવખત સાંજના ૪ વાગી જાય! ગમે તેટલી ગરમી હોય કે ગમે તેટલો વરસાદ હોય હું શાળાએ પહોંચ્યો જ હોઉં! (એક વખત યાદ છે મને.. ચાલુ વરસાદમાં સવારે ચાલીને હું શાળાએ પહોંચ્યો. એક કલાક સુધી કોઈ ન આવ્યું. મેં આચાર્યને ફોન કર્યો. એમને કહ્યું, "વધારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર થઈ છે." તો મેં કહ્યું, "સાહેબ મને ફોન ન કરાય?" એમણે કહ્યું, "મને એમ કે તમને ખબર હશે!" ..પાછો ચાલીને ઘેર જવા નીકળ્યો ત્યારે ધોધમાર વરસાદ પડેલો અને હું પણ થાકીને  ૧૧:૩૦ ઘેર પહોંચ્યો ત્યારે ધોધમાર રડ્યો હતો!) પાછો એટલી હદનો થાકી જતો કે આવીને કપડાં બદલ્યા વગર જ સુઈ જતો! કકડીને ભૂખ લાગી હોય પણ ખાવાનું બનાવવાના હોંશ ના હોય! ત્યાં બજારમાં ત્યારે હોટલ પણ નહોતી કે બહાર ખાઈ લઉં! નાસ્તાની લારી 'ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન' જેવી હતી, પણ એમાં એટલું ન મળે કે પેટ ભરાય! ..અને માત્ર ૨૫૦૦₹ ના પગારમાં ઘરભાડાથી માંડીને બધો ખર્ચો પાર પાડવો શક્ય નહોતું! રોજના અંદાજે ૨૨ કિમી ચાલવાનું અને ૧ જ ટાઈમ જમવાનું! (બાજુમાં રહેતાં અશ્વિન અને એનાં કુટુંબનો હદયથી આભાર કે જેઓ ઘણીવાર મારા માટે જમવાનું મોકલાવતા!) ચારેક મહિના પછી એક સાયકલ લીધેલી! ..પણ ત્યાં સુધીમાં અમુક લોકો માટે હું 'હાંસિપાત્ર' બની ચુક્યો હતો, અને કેટલાંક લોકો માટે દયાપાત્ર! 'માસ્તર.. હવે બહુ કંજુસાઈ ન કરો.. ગાડી(બાઈક) લઇ લ્યો!' આવા તો ઘણા ટોણા સાંભળવા મળતા! મારી મજાક ઉડાવતી લોકોની આંખો મને જીવતાજીવ મારી નાંખતી! ..એવું થતું કે 'ધરતી જગ્યા દે અને હું એમાં છુપાઈ જઉં!' કોઈ મને જોવે નહીં એટલે હું વહેલી સવારે સાયકલ લઈને નીકળી પડતો.. અને વેળાકોટથી ૧ કિમી દૂર એક ખેતરમાં સાયકલ મૂકતો! મેં એવાં અજાણ્યા રસ્તાઓ પણ શોધી કાઢેલા કે જ્યાં માણસોની બહુ અવરજવર ન હોય! 

બાળપણથી મોટો થયો ત્યાં સુધી મમ્મી-પપ્પાને પણ આવી રીતે જ જોયા છે. પપ્પા છેલ્લાં ૪૪ વર્ષથી (૧૯૭૬થી) આજે પણ અમદાવાદમાં રીક્ષા ચલાવે છે, અને મમ્મી ધારે તો ઘરે રહી શકતાં હોવા છતાં સવારે મણીનગરથી ઉપડતી ૨૦૦/૩૦૦ નંબરની પહેલી બસમાં બેસીને બાપુનગર ફેકટરીઓ સાફ કરવા જાય છે. (એ એવું કહે છે કે, 'હાથ-પગ ચાલે છે ત્યાં સુધી કામ કરતી રહું, તો બીમાર નહીં પડું!') બાળપણમાં ભીડભંજન પાસેની ઝૂંપડપટ્ટીમાં પણ રહેલાં! કુલ મળીને ત્રીસેક જેટલી જગ્યાઓમાં ભાડે રહેલાં! મમ્મી-પપ્પાના ભેગાં કરેલાં રૂપિયાથી શાળાએ જવા બાઈક ખરીદુ તો નપાવટ કહેવાઉં! શાળાએ જવા બાઈક ન લઈ શકવાનું આ કારણ એ મજાક ઉડાવતી આંખો ન જ સમજી શકે, એ દેખીતું હતું! ..એટલે એમનાં ટોણાનો હું કોઈ જ જવાબ ન આપતો. બસ.. નક્કી કરેલું કે, બાઈક હું મારા પૈસે જ લઈશ!

ગિરગઢડામાં બે-ચાર વેપારી મિત્રોને ટ્યુશન માટે બાળકો શોધી આપવા કહેલું. આચાર્યશ્રી પ્રધાનસાહેબ પણ કામે આવ્યા! ..અને આઠેક જેટલાં બાળકો ટ્યુશન માટે આવતા થયાં! બાઈક લેવા અધીરો બનેલો, એટલે પૈસા ભેગાં કરવા વધુ કંજુસાઈ પણ કરતો. ૨૫૦૦₹ ના પગારની સાથે નોકરી લાગ્યાને બરાબર નવ મહિને નવેમ્બર ૨૦૦૭માં ૧૮૦૦૦₹ ભેગા કરીને હું અમદાવાદ આવ્યો, અને મમ્મીને પૈસા આપતા કહેલું, "મને સેકન્ડ હેન્ડ બાઈક લઈ આપો." ..અને મમ્મી બાપુનગરમાં ચિરાગ ડાયમન્ડની સામે હીરો-હોન્ડા કંપનીમાં સાફ-સફાઈનું કામ કરતાં ત્યાંથી થોડાંક પોતાનાં પૈસા જોડીને કેશમાં ૪૬૦૦૦નું બાઈક લઈ આપ્યું! જે દિવસે હું પહેલી વખત બાઈક લઈને શાળાએ ગયો, એ દિવસે જ મેં સનવાવની નદી પાસે કાળોતરો (નાગ) રસ્તામાં જ જોયો. નવાઈની વાત એ કે હું રોજ એ જ રસ્તેથી અંધારામાં ચાલીને નીકળતો, ત્યારે કોઈ જ જંગલી જાનવરનો ભેટો નહોતો થયો!

સ્કૂલે બાઈક લઈને પહોંચ્યા પછી મને યાદ છે ઘણાં લોકોની મારા પ્રત્યેની નજર બદલાઈ ગયેલી! શાળાનાં ગોપાલસાહેબ, પ્રધાનસાહેબ, બાલુ અને હું દીવ પણ ગયેલાં! મમ્મી-પપ્પાના બાકી નીકળતા 30000 દોઢેક વર્ષમાં ચૂકતે કરી દીધેલાં! આજેય હું એ જ બાઈક ચલાવું છું!
********

લગભગ સાડા ત્રણસો મકાન ધરાવતાં વેળાકોટ ગામ સજા માટે વગોવાયેલું હતું! (એક સાહેબ સજામાં અહીં બદલી પામેલા!) અગાઉ ગામમાં ક્યારેય કોઈ શિક્ષક પરમેનેન્ટ નહોતું રહ્યું! ઘરભાડુ, લાઈટબીલ, પેટ્રોલ, જમવાનો અને અન્ય ખર્ચ... ૨૫૦૦ માં તો ક્યાંથી પૂરું થાય! સાહેબને વાત કરી મારે વેળાકોટ જ રહેવું છે! ૯૫% ઘરમાં સંડાસ હતાં જ નહીં.. એટલે શાળાના સ્ટોરરૂમમાં વ્યવસ્થા થઈ. શાળાનું સંડાસ પણ અમુક લોકોએ પથ્થર નાંખીને જામ કરી દીધેલું. એ હાથ નાખીને સાફ કરેલું. પહેલી જ સાંજે શાળા છૂટ્યા પછી કેટલાંક લોકો કોથળી વેચવા મેદાનમાં આવ્યા. મેં ડરતાં-ડરતાં પણ હિંમત રાખી ના પાડી. પછી ક્યારેય ન આવ્યા. જે ગામને લોકોએ વગોવેલું, એ ગામ મને ક્યારેય નથી કનડયું! સાંજે ક્યારેક ગામમાં આંટો મારવા નીકળું અને ગામનો ડાંડ માણસ સામે પીધેલો મળે, તો એ કહેતો, "માસ્તર.. આજે બોલાય એવું નથી." હું ગોપાલસાહેબની જેમ બેઘડી ખિજાઉ પણ ખરા! બે-ચાર બાળકો (યોગલો, જાદવ અને એની ટોળકી!) લગભગ મારી સાથે જ શાળામાં રહેતાં, ખાતાં અને ઊંઘતા! રોજ સવારે એ લોકો બાજુનાં ખેતરમાંથી લાકડા (પૂછ્યા વગર) લઈ આવે અને ભઠ્ઠો કરી પાણી ગરમ કરે. ઘણાં બાળકો રજાના દિવસે શાળાએ આવી નહાતાં થયેલાં, અને પછી તો રોજ નહાતાં. શાળાના મેદાનના ખૂણામાં જ એમણે નાનકડું ખેતર જેવું બનાવેલું. જ્યાં હું પણ ભીંડા, ટામેટા, રીંગણાં અને ડોડા વાવતાં શીખેલો, અને ખાધેલાં ય ખરા! આ બાળકોએ મને જંગલમાં ભમતાં-ફરતાં અને કબડ્ડી રમતાં (ગોપાલસાહેબ એટલે કબડ્ડીના ગુરુ!) શિખવાડેલું! એકાદ મહિનો શાળામાં સવારે યોગકેન્દ્ર ચલાવવાનો પણ અખતરો કરેલો.. જે સફળ નહોતો રહ્યો! ગામની હોળી મને આજેય યાદ છે! ૨૦૧૦નાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં રાવણનો રોલ પણ કરેલો! શાળામાં ભણતાં બાળકોને સાથે રાખીને એક શોર્ટફિલ્મ પણ બનાવેલી- "હું અને ઝાકળનાં બે બિંદુ!" (મ્યુઝિકની કોપીરાઇટને કારણે યુટ્યૂબ પરથી ડિલીટ કરી નાંખી! બાળકો સાથે ભેગાં મળીને ગાંડા કાઢેલા, બીજું શું??😊😊) કુલ બે વખત મળીને હું ગામમાં દોઢેક વર્ષથી વધુ સમય રહ્યો હતો.
**********

મને હંમેશા એમ થતું કે નાના ધોરણોમાં બરાબર કામ નથી  થતું એટલે મોટાં ધોરણોમાં તકલીફ પડે છે! મેં સામેથી ધોરણ ૧ (૪૪ બાળકો) માંગ્યું. મધ્યસત્ર પછી એકવાર રામ વંશે મને કહ્યું, "મારો સોકરો 'હાથીપગો' એવું વાંસી ગયો. ખરેખર તમેં બઉ સરસ ભણાવો સો." ..બસ.. આ મારો રિવોર્ડ!! ...એ પણ પ્રજ્ઞા વગર!!

રમતોત્સવમાં હંમેશા મોટાં બાળકો જ ભાગ લે, એટલે મેં, ભરત(ધો.૨ના શિક્ષક) અને પુરોહિત (ધો.૩ના શિક્ષક) સ્વતંત્ર રીતે ધો. ૧-૨-૩ નું રમતોત્સવનું આયોજન કરેલું! (૨૦૧૨ સુધી શિક્ષક તરીકે જે કામ કર્યું, એ પછીના સમયમાં નથી થઈ શકતું! કમસે કમ એ સમયે અમે બાળકો સાથે જ રહેતાં- વર્ગ અને શાળામાં! અત્યારે તો 'શિક્ષક શોભે વર્ગમાં' ની જગ્યાએ 'શિક્ષક શોભે ભીડમાં' થયું છે!) એ રમતોત્સવમાં એક જ નિયમ હતો- કોઈ બાળક બાકી ના રહેવું જોઈએ! ૩ દિવસ ચાલેલો એ રમતોત્સવ! આવા કેટકેટલાય સંસ્મરણો છે- વર્ગોના/પ્રવાસના/બાળકોના/વાલીઓના/ગામના/જંગલના... દિલથી શિક્ષક તરીકે કામ કર્યાના!

૨૦૧૩માં અમદાવાદ ટ્રાન્સફર થઈ, અને આ રીતનું જ કામ હજુયે ચાલુ જ રાખ્યું છે! અહીંના અનુભવો સમયાંતરે બ્લોગમાં લખતો રહુ છું.
**********

http://threecolour.blogspot.com/2019/07/blog-post.html
*********

'પ્રતિભાશાળી શિક્ષક'- આ સન્માન આપવાની શરૂઆત આ જ વર્ષ/સત્રથી થઈ છે. દરેક સત્રને અંતે બીજા શિક્ષકોને આ સન્માન મળવાનું જ છે, પણ વટવા કલસ્ટરના બધાં જ શિક્ષકોમાં મારી સૌથી પહેલી પસંદગી  થઈ એની ખુશી વિશેષ છે! જે પણ નામી-અનામી લોકોએ મારી પસંદગી કરી છે હું એમનો હદયથી આભાર માનું છું. 
********

ડોન્ટ થિંક એવર:-

મારે કંઈ કહેવાનું હોય તો હું હાથ જોડીને શિક્ષણખાતા અને એમના નાના-મોટાં બધાં અધિકારીઓને શું કહું?... માત્ર એટલી જ વિનંતી કરું કે "અમને નિર્ભયતા આપો, અને અમારું જે મૂળ કામ છે, એ કરવાં દો."
**********

યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૩૦.૧.૨૦

ગુરુવાર, 5 ડિસેમ્બર, 2019

"તમે મારું ટોર્ચર કરો છો!!" (આર્તનાદ ભાગ 11)


"તમે મારું ટોર્ચર કરો છો!!"
 આર્તનાદ
(ભાગ 11)

********

સરકારી પ્રાથમિક શાળાઓમાં કોઈ બાળક સતત ગેરહાજર રહેતું હોય તો પ્રથમ ૩ દિવસ ન આવે તો બાળક દ્વારા, ૭ દિવસ ના આવે તો શિક્ષક દ્વારા, ૧૫ દિવસ ના આવે તો આચાર્ય દ્વારા, પછી એસએમસી દ્વારા અને સીઆરસી કો ઓર્ડિ. દ્વારા એમ લગભગ ૫/૬ વખત વાલીસંપર્ક કરવામાં આવે છે. એ જાણવા કે બાળક શા માટે નથી આવતું? યોગ્ય કારણ હોય તો ઠીક છે, બાકી સતત ૧ મહિના ગેરહાજર રહેતાં બાળકનું નામ માત્ર 'હાજરીપત્રક'માંથી જ કમી કરી શકાય છે! ..આ ૧ મહિના પછી ગમે ત્યારે, જો એ બાળક અને તેના વાલીને શાળાએ જવાનું/મોકલવાનું આત્મજ્ઞાન થાય તો શાળાએ એ બાળકને ફરી હાજરીપત્રક પર ચડાવવો પડે! (આવું કેટલી વખત કરવાનું, એની કોઈ સ્પષ્ટતા જ નથી!! મતલબ કે સતત એક મહિનો કોઈ પણ યોગ્ય કારણ વગર ગેરહાજર રહેનાર બાળક દર બીજા મહિને ધારે તો શાળામાં પાછું ફરી શકે છે!! આમ વર્ષાનતે 10 કરતાં પણ ઓછાં દિવસ આવીને એ બાળક જે-તે ધોરણ પૂરું કરી શકે છે, અને બધાં જ સરકારી લાભો પણ મેળવી શકે છે!! RTE મુજબ એને નાપાસ પણ કરી શકાતો નથી કે નથી એનું નામ કમી કરી શકાતું!! ..પછી બુમરાણ મચે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલાં બાળકો ભણવામાં નબળાં અને બોર્ડમાં આટલાં નાપાસ!!)

આ નિયમ કેટલો સરસ લાગે છે નૈ??

....પણ વાસ્તવિકતા સાવ ઉલટી છે!! જેમને ખરેખર ભણવું જ છે અને જેમને પોતાનાં બાળકોનાં ભણતરની ચિંતા છે, એવાં બાળકો અને વાલીઓ, ગમે તેવા સંજોગોમાં પણ પોતાનાં બાળકને ભણાવે જ છે અને બાળકો પણ ભણે જ છે!! વંદન છે એવાં વાલીઓ અને બાળકોને!!  ..પણ જેને નથી જ ભણવું.. માત્ર અને માત્ર સરકારી ફાયદાઓ જ ઉઠાવવા છે એનું કોઈ કશુંયે તોડી-ઉખાડી શકાતું નથી!!

મોટાંભાગના વાલીઓ સુપેરે જાણે જ છે કે એનું બાળક શાળાએ જાય કે ન જાય, શિક્ષકો એનું નામ કમી નથી કરી શકવાના! ..શિષ્યવૃત્તિ પણ મળવાની જ! ..પાસ પણ થવાના જ! ..અને શાળાએ પણ ન જવાની કોઈ સજા જ નહિ! ..એટલે આવાં લુપ-હોલ્સ જાણનાર અને પોતાના બાળકોની કશી જ પડી ના હોય એવા.. (રિપીટ કરું છુ.. જે વાલીઓ આવા ધડ-માથા વગરના નિયમો જાણે છે અને પોતાના બાળકોની બિલકુલ નથી પડી 'એવાં જ' નપાવટ વાલીઓ!!) ..લુખ્ખા વાલીઓ દિન-બદીન એટલી હદે વધતા જાય છે કે ક્યારેક શિક્ષકો અને શાળાને પણ હેરાન કરવામાં/દાદાગીરી કરવામાં પાછી પાની કરતા નથી! પોતાના જ બાળકોને ક્રિમિનલ બનાવવાની નાનપણથી જ ટ્રેનિંગ આપતા આવા સમાજ માટે ખતરારૂપ વાલીઓ મોટેભાગે તો સ્થાનિક રાજકારણીઓનાં ચમચા જ હોય છે! શાળાને મદદરૂપ થવાને બદલે વારેઘડીએ નાનીનાની વાતોમાં ટોળાં ભેગાં કરવા, રૂપિયા પડાવવા અને ધમકીઓ આપવી એ એમના માટે રમત વાત છે! વળી, સરકારી શાળાઓના અગણિત સારા પાસાઓને ક્યારેય ઉજાગર ના કરીને ટીવી અને પ્રિન્ટ મીડિયા પણ જાણે શાળાઓ એમની 'સૌતન' હોય એમ મારી-મચેડીને ખરાબ પાસું જ બતાવવાની હોડમાં લાગેલી હોય છે!  પાછા આવાં જ લોકો સરકારી શાળાઓ મરવા પડી છે ની સૌથી વધુ કાગારોળ મચાવતા હોય છે!!

આવા બે-જવાબદાર વાલીઓ વિશે લખવાનું કારણ દુર્ભાગ્યે કાલે જ બન્યું! મારાં જ વર્ગમાં ભણતી એક બાળકી (..એક્સ્ટર્નલ ભણતી કહી શકાય, કેમ કે એ બાળકીનું જૂન મહિનામાં એડમિશન થયા બાદ એ આજની તારીખ સુધીમાં ૭૦ થી ૮૦% દિવસ ગેરહાજર/ABSENT રહી છે!) સતત ૭-૮ દિવસ ના આવે એટલે મારો ફોન વાલીને જાય! એ વાલીનો એક જ જવાબ હોય, "કાલથી આવશે!" ..એટલે એકાદ દિવસ આવે અને પછી પાછું 'જૈસે થે' જ હોય! સતત શાળાએ ન આવે એટલે ભણવાનું પણ ન જ આવડે! વળી, આ બાળકી વાલીની એટલી માથે ચડાવેલી કે જ્યારે શાળામાં આવે ત્યારે કોઈને કોઈ ફરિયાદ હોય જ!! કોઈની નોટ/ચોપડીનું પાનું ફાડી નાંખે, પેન્સિલની અણી ઘુસાડી દે, વસ્તુ ચોરી લે, ઝઘડે-ચૂંટણી ખણી લે અને ભણવા-લખવાનું તો નામ જ નહીં! (ઓફિસમાંથી એને ચૂપચાપ ચોક લેતાં એક શિક્ષકે જોયેલું ત્યારે એણે કહેલું, "મેરી મમ્મીને બોલા હૈ ચોક લે આને કો!")

બાળકની આવી બાબતોનો એક શિક્ષક તરીકે બહુ રિસ્પોન્સ ન આપતા એને મારી બાજુમાં જ બેસાડું! ઘણી વખત અનુભવ્યું છે કે આવું બાળક શિક્ષકની બાજુમાં પણ બેસતું થાય તો પણ વર્તનમાં ઘણો ફરક પડી જતો હોય છે, પણ એ પોઝિટિવ ફરક માટે બાળકનું શાળામાં રેગ્યુલર આવવું જરૂરી છે! ..એ બાળકી રેગ્યુલર તો છે જ નહીં! બે દિવસ આવે પછી ચાર દિવસ ના આવે, અને પછી અચાનક એક દિવસ પ્રગટ થયા પછી પાછી એબ્સન્ટ!! આવી પરિસ્થિતિમાં હું એના પપ્પાને ફરિયાદ કરું! રોજ શાળાએ મોકલવા, અને ભણવા પર ધ્યાન આપવા કહું!

કાલે અચાનક એનાં પપ્પાનો ફોન આવ્યો, અને ગુસ્સામાં મને કહે કે "મને તમારાથી તકલીફ છે. તમારું નામ પ્રગનેશ છે એ મને યાદ છે અને હું તમારી છેક ઉપરના લેવલ સુધી ફરિયાદ કરવાનો છું કારણ કે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો."

"હેં.." મને નવાઈ લાગી, "શુ કીધું? ટોર્ચર?"

"હા.. ખાલી મને જ નહીં, પણ સ્કૂલના બધા જ વાલીઓ પર તમે ટોર્ચર કરો છો." એ કહે, "મને વારેઘડીએ ફોન કરીને તમે 'મારી છોકરી ભણવા નથી આવતી..' અને 'ઘરે ભણવા બેસાડો..' અને 'વર્ગમાં કશું લખતી નથી..'..ને આવું બધું કહી કહીને તમે મને અને બીજા વાલીઓને ટોર્ચર કરો છો એટલે હું મારી છોકરીને તમારી સ્કૂલમાંથી ઉઠાવી લઈને તમારાં મોટાં સાહેબો સુધી છેક ઉપરનાં લેવલ સુધી હું તમારી ફરિયાદ કરવાનો છું કે તમે મને અને બીજા વાલીઓને મેન્ટલી ટોર્ચર કરો છો."

મેં પૂછ્યું, "બાળક સ્કૂલમાં નિયમિત આવે જ નૈ, ભણવામાં ધ્યાન જ ન આપે કે પછી કશું ન કરવાનું કરે.. તો એની જાણ અમે તમને કરીએ એને તમે મેન્ટલી ટોર્ચર કહો છો?"

"હા.." એ કહે, "મેન્ટલી ટોર્ચર જ કહેવાય ને! તમારું કામ બાળકોને ભણાવવાનું છે અને સંસ્કાર આપવાનું છે. નાનું બાળક સ્કૂલે આવે કે ના આવે એ તમારે નથી જોવાનું!"

(એની સાથે અડધી કલાક થયેલી વાતચીતના કેટલાંક અંશો રજૂ કરું છું:-)

"એ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એને ભણાવવાનું હોય.."
"નાનું બાળક છે એ.. સ્કૂલમાં આવે પણ ખરા અને ના પણ આવે.."
"તમારું કામ એને સંસ્કાર આપવાનું અને સુધારવાનું છે.." "એને મારો અને સુધારો.."
"હું ક્યારેય તમને એવું કહેવા નહીં આવું કે તમે એને કેમ માર્યું?"
"બોલો ઉઠાવી લઉં તમારી સ્કૂલમાંથી.. બોલો.."
"રીસેસમાં બાળક ઘેર આવી જાય એમાં શુ ફોન કરવાનો.. એ તો બાળક છે, એને તો એમ જ લાગે ને કે સ્કૂલ છૂટી ગઈ!"
"હું રાતના બાર વાગે ઘેર આવું છું.."
"ના.. મેં એની નોટ ક્યારેય ચેક નથી કરી.."
"તમારા આચાર્યને તમારી ફરિયાદ એકવાર તો કરવી જ પડશે.."

(પ્રજ્ઞા વર્ગમાં બાળકે ટુકડી પ્રમાણે કલાસ બદલવાના હોય છે એ બાબતે..અંદાજે ૩ મહિના પહેલાં 'આ જ વાલીએ' મારાં પ્રજ્ઞા વર્ગ ટુકડીના પાર્ટનર શિક્ષિકાબેન સાથે અભદ્ર વ્યવહાર કરતા એવું કહેલું, "આ બધી શું ભવાઈઓ માંડી છે?.. ગુજરાતી અહીં ભણવાનું અને ગણિત બાજુમાં..!! શું નાટક કરો છો તમે બધા ભેગાં થઈને..? મારી છોકરીએ આજે અહીં બેસવાનું અને કાલે બાજુમાં..!! મારી છોકરીને તમારે વર્ગમાં બેસાડવી નથી એમ કહોને..!")
.
.
.
...અડધો કલાક વાત ચાલી! છેલ્લે એને એની ભૂલ સમજાતા "સોરી સાહેબ.. કઈ બોલાઈ ગયું હોય તો.." કહીને ફોન મૂક્યો! મારી ગરિમા/સ્વમાનનું હનન કરીને એનાં તુચ્છ "સોરી"નું મારે મન કોઈ મૂલ્ય જ નથી!

મફતમાં બધું મળે છે, એટલે આવાં વાલીઓને મન સરકારી શાળા 'ગામભાભી' બનીને રહી ગઈ છે! હજારોની ફી લેતી ખાનગી શાળા હોત તો RTE ને ભૂલીને તાત્કાલિક સર્ટી આપી દેત! ..અને બીજું સત્ય એ પણ છે જ કે ખાનગી શાળામાં હજારો ની ફી ભર્યા પછી પણ એ ત્યાં એવું ના કહી શકતો કે "તમે મારુ ટોર્ચર કરો છો!''

શિક્ષક પર ભરોસો જ ના હોય એવાં વાલીઓને તાત્કાલિક સર્ટી આપી દેતાં આચાર્યો અને અધિકારીઓ ભૂતકાળમાં હતાં, હજીયે ક્યાંક હશે! અમારે તો આવાને સર્ટી આપીએ તો RTE નામે ધમકાવવાવાળા પડ્યા છે!!

વંદન એવાં ખુમારી વાળા આચાર્યોને અને અધિકારીઓને, કે જેઓ પોતાનાં શિક્ષકોનું સ્વમાન હણાવા દેતાં નથી!!


*ડોન્ટ થિંક એવર*

મેં ક્યાંક વાંચેલું છે કે આપણાં ગુજરાતમાં જ એવો એક રાજવી થઈ ગયો કે જેણે ફરજીયાત શિક્ષણ દાખલ કરેલું! ..અને જો વાલી બાળકને નિયમિત શાળાએ ના મોકલે તો એની પાસે દંડ ઉઘરાવવાની તથા જેલ મોકલવા સુધીની જોગવાઈ કરેલી! ધન્ય છે એ રાજવી!! અત્યારે તો માત્ર વૉટબેન્ક જોવાય છે! દેશનાં એ 562 રજવાડાઓ પ્રજાનું વધારે ભલું કરતાં હશે, આ આજનાં 2-3 લાખ નેતાઓ કરતા!!

મો.રફીકભાઈ જેવાં હજારો વાલીઓને પણ વંદન, કે જેમને ઘર બદલ્યાને ચોથા જ દિવસે પોતાની દીકરી રૂકસારનું સર્ટી લઈને બીજી શાળામાં નામ લખાવી દીધું, જેથી એનું ભણતર ના બગડે!!

મંગળવાર, 3 ડિસેમ્બર, 2019

થોડાં દિવસ પહેલાની આ બે સત્ય ઘટનાઓ શેર કરું છું..

(૧)
એક મોટાં અધિકારી મારી શાળામાં આવ્યા. એમને જાણવામાં આવ્યું કે મારી દીકરી મારી શાળામાં જ ભણે છે. તો એમને ભારોભાર નવાઈ લાગી! શાળાનાં વર્ગોની વિઝીટ પછી મને અને મારી અર્ધાંગિનીને એમણે પૂછ્યું, "તમે તમારી દીકરીને અહીંયા ભણાવો છો તો તમને બધાં કૈક તો કહેતાં હશે ને?"

(૨)
ગુણોત્સવ સંદર્ભે SI (સ્કૂલ ઇન્સ્પેકટર) શાળાઓમાં આવવાના હોઈ એક અધિકારી મારા પ્રજ્ઞા વર્ગ મુલાકાતમાં આવ્યા. મારી દીકરીને જોઈને કહે, "તમે અહીં કેમ તમારી દીકરીને ભણાવો છો?"

******

લગભગ આવા જ એકસરખાં સવાલો મને (..અને મારી જીવનસંગીનીને પણ!!) હજારો વખત પુછાય છે! મારી પાસે આનો કોઈ જવાબ નથી! ..પણ બે વાર્તાઓ છે:

(૧)
એક વખત એક સ્ત્રી પોતાના બાળકને લઈને તથાગત બુદ્ધ (..કે પછી ગાંધીજી હોય, ખબર નઈ! મને ભગવાન બુદ્ધ વધુ સ્યુટેબલ લાગે છે!) આવી. તે કહે, "ભગવન, મારું બાળક માત્ર ગોળ જ ખાય છે. એને બીજું પણ કંઈક ખાવા સમજાવો. એ મારું માનતો નથી."

બુદ્ધે એને પંદર દિવસ પછી આવવા જણાવ્યું!
પંદર દિવસ પછી તે સ્ત્રી ફરી ભગવાન બુદ્ધ પાસે ગઈ, અને પોતાનાં બાળકની તકલીફ કહી. બુદ્ધે તે બાળકને પોતાની પાસે બેસાડી માત્ર ગોળ ન ખાવા સમજાવ્યું.

સ્ત્રીને નવાઈ લાગી! તેણે તથાગતને પૂછ્યું, "આજ વાત તમે પંદર દિવસ પહેલાં પણ કહી શક્યા હોત! મારે બે ધક્કા ન થાત ને??!!"

બુદ્ધે કહ્યું, "ત્યારે હું પણ ગોળ ખાતો હતો! જો હું જ ગોળ ખાતો હોઉં તો તમારા બાળકને કેવી રીતે ન ખાવા  કહી શકું? પંદર દિવસથી મેં ગોળ ખાવાનો બંધ કરી દીધો છે, એટલે હવે એને માત્ર ગોળ ન ખાવાનું કહી શકું છું."

(૨)
એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં 'મફતમાં કહી શકાય' એવાં સસ્તા દરે એટલું સારું ખાવાનું મળતું કે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર એ હોટલમાં સાથે જ જમતા! સરપચ પણ ત્યાં જ કુટુંબ સાથે જમવા જતા!

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "તમે આ ગામનાં રાજા છો. તમારે ગામનાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગરીબ લોકો સાથે જમવાથી તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલીશ! બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી તો હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ! સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો! ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના ગરીબ લોકો જ જમવા આવતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એમને સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા.

...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!

શું થશે આ હોટલનું??

કદાચ.. ૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******

શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!!..

શિક્ષણ ખાતામાં જ કામ કરતા ૯૯.૯૯% ઉપરથી માંડીને નીચે સુધી બધાં જ (રિપીટ.. ૯૯.૯૯%બધાં જ!!) પોતાના બાળકોને મોટી-મોટી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણાવે છે, અને સરકારી શાળાઓ ડૂબવાની અને બંધ થવાની કાગારોળ મચાવે છે!! જ્યાં હોટલનો માલિક પોતે જ બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ખરેખર તો, સરકારી સ્કૂલોને બચાવવું એ 'આંધળાઓનાં નગરમાં અરીસો વેચવા જેવું છે!!" કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એનાં ઉપર જાતજાતનાં અભિગમો અને પ્રયોગો લાદવા કરતાં એને એની હાલત પર છોડી દેવું જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

********

"અમારી દીકરીને નાનપણથી જ અમે કોઈ જ જાતનું 'ભણવાનું' બર્ડન નહી આપીએ!





હાલ જ 'મેન્ટલ એરીથમેટીક' શીખવવા મારી દીકરીને એક કલાસીસ જોઈન કરાવ્યું! પ્રથમ લેવલ પાર કરતાં સુધીમાં જ હું અનુભવું છું કે ખાનગી સંસ્થાઓ બાળકોને 'બાળક' તરીકે નહિ, પણ 'હ્યુમન રોબોટ/મશીન' તરીકે જુએ છે, અને વાલીને 'રૂપિયા ઓકતાં ગરજાઉ ઘરાક' તરીકે! મને આજ સુધી મારી દીકરી કેવાં વર્ગમાં ભણે છે, તે પણ જોવાંની પરમીશન નથી આપતા! બે કલાકનાં શિક્ષણકાર્યમાં એ લોકો એટલું બધું હોમવર્ક આપે છે કે સામાન્ય બાળકની બુદ્ધિ બહેર મારી જાય! ધન્ય છે મારી દીકરી અને એનો ગ્રાસ્પિંગ પાવર! આ નાનકડાં પાવરહાઉસને મેં ક્યારેય થાકતા નથી જોયું, પણ ત્રણ દિવસ પહેલાં મેં એનાં ચહેરાં પર થાક જોયો!














શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..