રવિવાર, 20 ઑક્ટોબર, 2019


બાહ્યનિરીક્ષકનું નિરીક્ષણ:
આર્તનાદ (ભાગ 7)

*****

હું બપોરે 2:30 વાગે બાહ્યનિરીક્ષકની કામગીરી પૂરી કરી સ્કૂલે પહોંચ્યો. ઘણા બાળકો એવા હતા જે રેગ્યુલર આવતા હતા, પણ હવે નહોતા આવતા! કેમ કે ભરચક ભીડ જેવા ક્લાસમાં કોણ બેસે? રોજ ગણિત કોણ ભણે? (120+ રજીસ્ટર બાળકો, એ પણ ધો.૧/૨ના, એમાંથી લગભગ 80+ હાજર રહેતાં હોય, એમાંય 1 જ શિક્ષક!!)
તન્વી મને જોઈને દોડીને મારી પાસે આવી અને રડવા મંડી! કારણ પૂછતાં જાણવા મળ્યું કે.. (વાંચો - તન્વીએ આજની રોજનીશીમાં એનું કારણ લખ્યું છે!)

*****

"સાહેબ હું ધો.૧/૨ પ્રજ્ઞા શિક્ષક છું. મારે વર્ગ ચાલુ રાખવાનો છે. મારુ નામ બાહ્યનિરીક્ષકમાં છે, તો મારે શું કરવાનું?" મેં મારા એસ.એસ.એ.ના ઉપરી અધિકારીને જાણીજોઇને પૂછ્યું.

"કંઈ નૈ, ઓર્ડર આવ્યો છે તો કરવાનું."

'એઝ એક્સપેક્ટેડ' જવાબથી નિરાશા થઈ! થોડો ગુસ્સો પણ હતો, કેમ કે બાહ્યનિરીક્ષક તરીકેની કામગીરીમાં મારા આદર્શોને લઈ હું બીજી સ્કૂલો સાથે થનારા સંઘર્ષથી બચવા માંગતો હતો. 

*****

સાચું પૂછો તો બાહ્યનિરીક્ષકની કામગીરીમાં "ખાયા-પિયા કુછ નહીં, ઔર ગ્લાસ તોડા બારાના" જેવું થયું!! બાહ્યનિરીક્ષકની કામગીરીમાં બીજી સ્કૂલમાં જવાનું હોઇ મારી સ્કૂલ/વર્ગમાં પડતી મારી સતત ગેરહાજરીને કારણે મારા ધો.૧/૨નાં વર્ગમાં રેગ્યુલર આવતાં બાળકોની સંખ્યામાં આપણી ઇકોનોમિની જેમ ધરખમ મંદી આવી ગઈ!! ...અને બીજી સ્કૂલોમાં બાહ્યનિરીક્ષક તરીકે મારે કશું ઉખાડવાનું નહતું!! સુપરવિઝન કરતાં શિક્ષકોએ તો જે કરવાનું હતું, એ જ કર્યું!! મારા આદર્શો મારા સુધી જ સીમિત  રહયા, કેમ કે કામ સારી/સાચી રીતે કરવામાં ઘણીવખત પીઠ પાછળ મજાક બનીએ એ વધારામાં!!

'ઘર કા ભેદી લંકા ઢાયે' ની જેમ હું કોઈ 'ઘરકા ભેદી' તો નથી કે 'સ્કૂલ'ની લંકા ઢાઉ?!! ..અને માનો કે હું લંકા ઢાઈ બી દઉં તો પછી શું?? એકે તો પોતાની પહોંચ બહુ ઉપર સુધી અને મીડિયામાં પણ છે, એ પણ બતાવ્યું!

******

★કોઈ ઉપરી અધિકારી આવે ત્યારે જો હું એવો દેખાડો કરું કે હું બાહ્યનિરીક્ષણ કરું છું, તો વાસ્તવમાં હું ડરપોક છું! ઓફિસમાં બેઠાં બેઠાં ઝોલા ખાવા/ગપ્પા મારવા હોય તો ઈજ્જતથી ખાવા જોઈએ, પછી ભલે ગમે તે આવે!! ડરવું ના જોઈએ.

★અધિકારીઓનાં આવતા પહેલા એવાં પાક્કા મેસેજો કેવી રીતે આવી જતા હશે કે, 'તેઓ આવે છે..!!' ..શું એટલા માટે કે ઈશુ/બુદ્ધે કહ્યું હતું કે 'જેણે પોતાની લાઈફમાં ક્યારેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે..' ના ન્યાયે 'મારા ત્યાં આવતા પહેલા તમે બધું બરાબર કરી નાંખો, જેથી મારે પથ્થર મારી મારા પાપ-પુણ્યની પોટલીમાં વધારો ના કરવો પડે!'

◆મિત્રની સ્કૂલમાં હોઈએ તો બે બાજુનું દુઃખ!! કહીએ તો ય દુઃખ અને ના કહીએ તોય દુઃખ! હદય આત્માને ઉધઈની જેમ કોરી ખાય એ લટકામાં! મેં ઘરે આવીને ઈશ્વરને સિરિયસલી પ્રાર્થના પણ કરી કે, "હે પ્રભુ, તું મને સત્ય શું અને અસત્ય શું એ સમજાવ! હું જે કરું છું એ સાચું કે બધા જે કરે છે એ સાચું??!!"

◆આ કામગીરીમાં જે ખરેખર 'સાચા શિક્ષકો' છે, એમનાં ઉપર અવિશ્વાસ રાખ્યાનું દુઃખ કમસે કમ મારા માટે તો 'પીરાણાનાં કચરાના ડુંગર' જેવડું છે!આવા અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરવાનો કોઈ મતલબ ખરા?

◆બાહ્યનિરીક્ષક પોતે જે શાળામાંથી આવે છે, એ શાળામાં પરીક્ષા દરમિયાન એની ગેરહાજરીને કારણે એના વર્ગના વિદ્યાર્થીઓની હાજરી ઓછી થાય જ છે.. પૂછો કોઈ બી શિક્ષકને!! પ્રાથમિક વર્ગોમાંના નાનાં બાળકો માટે એમનાં શિક્ષક, ચાહે ગમે તેવા હોય, સર્વસ્વ છે! એ કહે એ જ સાચું! એની ગેરહાજરીમાં બાળક ઘરે જઈને એકવાર તો એવું ચોક્કસ બોલતું હશે કે, "મારા સર/ટીચર નથી આવતા. મારે પણ નથી જવું." (આ મુદ્દો મારી ધારણા છે અને ખોટું પડવાની સંભાવના ઓછી છે!)

******

પરીક્ષામાં પુછાયેલો એક પ્રશ્ન જુઓ:- 'આખા દિવસ દરમિયાન તમારી આંખમાં પાટો બાંધી રાખવામાં આવે તો..? તમારા અનુભવો લખો.'
આપણાં માટે કદાચ સહેલો લાગે તેવો પ્રશ્ન છે, પણ બાળક જવાબમાં શું લખે છે, એનો આધાર માત્ર તેના અગાઉના ધોરણોમાં થયેલી માનસિક કસરતને આધારિત છે! સરકારી શાળાઓમાં ભણતા મોટાભાગના સામાજિક/માનસિક/આર્થિક ગરીબ/નબળા વર્ગના બાળકોની સ્વતંત્ર વિચારધારા વિકસે અને તેમની વૈચારિક ક્ષમતા વધે તે હેતુસર જો આવા પ્રશ્નો સરકારી શાળામાં પુછાતા હોય તો ખાનગી શાળાઓમાં કેમ નહીં? આ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો ઉપરી અધિકારીઓ પોતાના બાળકોને શા માટે સરકારી શાળામાં નથી ભણાવતા?? શિક્ષણખાતાના જ 99% લોકો ખાનગી શાળામાં પોતાના બાળકને કેમ ભણાવે છે?? આ મોટો સવાલ છે!!

પ્રાઇવેટ સ્કૂલવાળાએ તોતિંગ ફી ઉઘરાવી હોવાના કારણે જાણીતા પબ્લિકેશન્સવાળાઓની 'મોસ્ટ આઈએમપી' જેવી હાસ્યાસ્પદ પ્રશ્નાવલીઓમાંથી જ પેપરો કાઢતા હોય છે! સરવાળે બાળકની ગોખણપટ્ટીનું જ માપ નીકળે છે. ખાનગી શાળામાં 5-6 માસના અભ્યાસક્રમને ગોખીને ત્રણ કલાકની પરીક્ષાઓમાં બાળકે યાદશક્તિની કેટલાં માર્કસની ઉલટી કરી એના આધારે એ કેટલો હોંશિયાર કે નબળો છે, એ જોવામાં આવે છે!! ..અને માર્કશીટમાં દેખાતી આવી સારી ટકાવારી જ ઉચ્ચ અભ્યાસમાં કામ લાગે છે, વૈચારિક ટકાવારી માર્કશીટમાં દેખાતી નથી!!

******

*મારા બ્લોગમાં લખેલાં આ કિસ્સાઓ 100% સત્ય સાથે આજે પણ યથાવત છે:*

બ્લોગ:-૧(પરીક્ષા બાબતે)

"હું હજુયે કહું છું, છોકરાઓને પરીક્ષામાં બતાવી દેવાનું બંધ કરી દેવું જોઈએ." મેં દલીલ કરી.

"...પણ એનાથી થશે શું?" મારા કરતા સીનીયર એવા એક શિક્ષકે વળતો સવાલ કર્યો.

હું થોડીવાર સુધી એમની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, "જસ્ટ વિચારો, એક બાળક ઘરેથી તૈયારી કરીને નિશાળે પરીક્ષા આપવા આવે છે. પ્રશ્નપેપરમાં એક ખાલી જગ્યાના ત્રણ ઓપ્શનમાંથી તે, સાહેબે શીખવાડેલું અને વાંચેલું યાદ કરીને એક ઓપ્શન પસંદ કરે છે, અને જ્વાબવહીમાં પૂર્ણ આત્મવિશ્વાસથી તે લખે છે! અચાનક જ... એક શિક્ષક પરીક્ષાખંડમાં પ્રવેશે છે, અને ઝટકાથી તેણે લખેલો જવાબ જોઇને કહે છે, "આ નહિ...  પણ આ  જવાબ સાચો છે, એ લખી નાંખ...!!" એ તો બાળક છે, શું ખોટું શું સાચું, એનું એને તો ભાન નથી..એ તો તમે કીધું તે તરત જ લખી નાંખશે..  પણ એક શિક્ષક તરીકે તમે ક્યારેય વિચાર્યું છે, એ બાળકની નિર્ણયશક્તિનું શું થયું હશે?? એ ભફ.. દઈને છેક ઉપરથી નીચે એવી રીતે પછડાઈ હશે કે પછી ક્યારેય ઉભી જ નહિ થઈ શકે !!.."

મેં આવું કહ્યું  તેથી ખબર નહિ કેમ? ..પણ એ સાહેબને હસવું  આવ્યું. તેને કહ્યું, " જો આપણે તેને નહિ લખાવીએ તો આપણે, ડાબા હાથે એ લખવું પડશે. એના કરતા તો એ સારું નહિ,  કે આપણે જ એમને લખાવી દઈએ. આપણું કામ તો ઘટી જાય ને?"

*****

બ્લોગ:૨ (સ્વતંત્ર લેખન બાબતે)

એક ઉપરી અધિકારીશ્રી અમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટમાં આવ્યા. અને મારુ તપાસેલું બંડલ ચેક કરવા માંગ્યું. એમણે જોયું કે મેં એક પેપરમાં 'pensil' લખેલા સ્પેલીંગને અડધો માર્ક આપ્યો છે. તો એ કહે, "આ સ્પેલિંગ ખોટો છે, તો પણ તમે એને સાચો આપ્યો છે, કેમ?"

મેં કહ્યું, "બેન, બાળકે એ સ્પેલિંગ જાતે જ લખ્યો છે. એટલે એના પ્રયત્નનો અડધો માર્ક મેં એને આપ્યો છે."

"તમારો બેઝિક પણ હું અડધો કરી દઉં તો??"

સીધી જ પગાર કાપવાની વાત કરી એટલે હું સડક થઇ ગયો.. છતાંય મેં કહ્યું, "તમને ઠીક લાગે એ કરો બીજું શું?"

"આવું ના ચાલે ને.. ખોટું છે તો ખોટું આપો.. અડધો માર્ક પણ શું કામ આપો છો? તમે બહુ ઉદાર દિલે માર્ક આપ્યા છે.."

"બેન, હું ભણાવામાં એટલો જ કડક છું.. અને આમેય આપણે શિક્ષકો બીજાની ભૂલો જોવા જ ટેવાયેલાં હોઈએ છીએ, પ્રયત્નો નહિં!!" આટલું બોલીને મેં ચુપ્પી સાધી લીધી!!

*બાળકે કરેલા પ્રયત્નની કોઈ કિંમત જ નહિ?? જો મેં એ સ્પેલિંગ જાતે જ સુધારીને પૂરો માર્ક આપ્યો હોત તો ચાલત એમ ને?? મતલબ કે હું ખોટું કરું તો સાચો અને સાચું કરું તો ખોટો??  મારો પગાર ચાલુ રહે એ માટે મારે ખોટું કરવાનું? કદાચ.. અધિકારીઓ આવા પ્રયત્નોની કિંમત નહીં જ સમજી શકતા હોય.. પછી  ભલે ને એ પ્રયત્ન બાળકનો હોય કે શિક્ષકનો!! કદાચ એટલે જ શિક્ષકો પેપરમાં લખાવી દેતા હશે અથવા તો ખુદ લખતા હશે!!*

'યથા રાજા તથા પ્રજા' શું આ કહેવત હજુ પણ લાગુ પડતી હશે ખરા??!!

******

બ્લોગ 3 (મોડરેશન અંગે)

"હેલો.. તમે મારા બંડલ મોડરેશનમાં ચેક કર્યા હતા, એ જ ને??"

"હા.. બોલો શું કામ હતું??"

"તમે મારા તપાસેલા બંડલમાં આટલા બધા સુધારા શું કામ કર્યા છે? મેં પણ તમારી સ્કૂલના બંડલ ચેક કર્યા છે, પણ મેં આવા કોઈ સુધારા નથી કર્યા, મેં તો સીધી સહી જ કરી દીધી છે!! એક કામ કરો, તમારી સ્કૂલના બંડલ લઈને અત્યારેને અત્યારે જ અહીં પાછા આવો.. મારે પણ સુધારા કરવા છે!!" એ બેન એકદમ ગુસ્સાથી બોલ્યા.

"મારા આચાર્યને મળો.." કહીને મેં ફોન મૂકી દીધો!

ફોન મુક્યાં પછીનું રિ-એક્શન એ આવ્યું કે થોડી જ વારમાં મારા બીજા એક સી.આર.સી.મિત્રનો ફોન મારા પર આવ્યો. કારણ કે આ બેન એમના નજીકના સગામાં થતા હતા!! મારે એમને ફોન પર અડધા કલાક સુધી ખુલાસાઓ આપવા પડ્યા!! ...માત્ર એટલા માટે કેમ કે એ મારા મિત્ર છે! સાચું કરવાનું ખરેખર ખાંડાની ધાર પર ચાલવા જેવું છે!!*

*કોણે આ બેનને રોક્યા હશે સાચી રીતે બંડલ ચેક કરતા?? કદાચ.. એ જાણે છે કે બધાએ એવી રીતે જ મોડરેશન કર્યું હશે, જેવી રીતે એમણે કર્યું!! ..અને હું માનું છું કે મારી શાળાના જે ધોરણનું એમણે મોડરેશન કર્યું હશે, એ પેપરો પણ આવી રીતે જ લખાયા હશે!! બીજું શું??
 "આવ ભાઈ હરખા, આપણે બે સરખા.."

હવે માનો કે આ બેન મારા બન્ડલ મોડરેશનમાં ચેક કરવા આવે તો એ મારા બાળકોએ કરેલા સાચા પ્રયત્નોને સમજી શકશે ખરા??

******

*ડોન્ટ થિંક એવર*

તમારું બાળક પરીક્ષા આપી ઘરે આવે અને કહે કે 'મેં તો બધું આજુબાજુમાંથી જોઈ લીધું/સાહેબે બતાવ્યું' તો શું તમને ગમે?? ઘણાને ગમતું હશે પણ... મને તો નહિ ગમે!

ઈશ્વરની સાક્ષીએ જવાબ આપજો, "શું તમને ગમશે?"

********

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

મજૂર વર્ગ

અમારા ઘરની નીચેની કરિયાણા-જનરલ સ્ટોરમાં રોજ સવારે મજૂર વર્ગમાંથી આવતા લોકો જે વસ્તુઓ ખરીદે છે એ જોઈ વિચાર આવ્યા વગર નથી રહેતો કે આ લોકો લગભગ રોજ કમાય અને રોજ ખાવા વાળા લોકો છે. એમને ખરીદવાની વસ્તુઓની લિસ્ટ જુઓ તો..
10 ₹ નું તેલ
1 કપડાં ધોવાનો સાબુ
1 નાની દૂધની થેલી
10₹ ની મોરસ
1 પડીકું 5₹ વાળું
5 ફરસી પુરી
1 મરચાં ની પડીકી
10 ₹ની ડુંગળી (જેમાં ૩/૪ નાની ડુંગળી હતી!)
10 ₹ ના ગાંઠિયા
......અને આવું જ કંઈક બીજી નાની નાની વસ્તુઓ!!
જેનું કુલ બિલ ૮૦₹ જેવું થયું!!

હવે એ વિચાર આવે કે કામધંધે જતી વખતે એક બાઈક પર મિનિમમ ૩ જણ બેસીને જાય ત્યારે એમના મનમાં પોતાના રોડ એક્સીડેન્ટના જોખમના વિચાર કરતા એ વિચાર વધુ રહેતો હશે કે કાશ આજે કોઈ પોલીસ એમને ન પકડે, નહિતર એમને દંડ ભરવામાં બીજા દિવસે ઘરના તેલ-ચોખા નહીં આવે!

એમની આંખોમાં જોઈએ તો ખ્યાલ આવે કે બે-પાંચ ટકાને બાદ કરતાં એ સાદા લોકો છે, જે રોજ કમાય છે અને રોજ ખાય છે. બે-ચાર બાળકો વાળું કુટુંબ હોય છે એમનું! કે જે રોજ સવારે ઉઠીને પાણી ભરવા જતું હોય છે. શરીરે પરસેવાથી ખદબદતા કપડાં પહેરતા હોય છે. જનરલી એમના બાળકો ભણવા નથી જતા હોતા, પણ પુરુષ 20₹ની પોટલીમાં ખુશ થાય છે અને બાળકો 5₹ ના પડીકામાં! ઘરની સ્ત્રીના કેડે ઓલટાઇમ એક સેડા લૂછતું બાળક હોય છે, જે પોતાની નાની આંખોથી બધું જ વિસ્મયતાથી જોતું હોય છે! એ બાળકોને ન તો વાહનોનો ડર છે, ન તો હાઇજીનનો! આપણાં સૌના મનમાં એ બાળકોની એવી છાપ હોય છે કે જ્યારે આપણું બાળક બીમાર પડે ત્યારે એવું વિચારીએ છીએ કે રોડ પર રહેનારા બાળકો ક્યારેય બીમાર નથી પડતા! ..પણ વાસ્તવિકતા એ હોય છે કે જ્યારે એ બાળકો જ્યારે બીમાર પડે છે ત્યારે આપણે જોઈ નથી શકતા!

આવા દરેક મજૂર વર્ગના સાચ્ચા માણસો માટે ઈશ્વરને પ્રાર્થના કે તેઓ ખુશ રહે.

સોમવાર, 12 ઑગસ્ટ, 2019

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!! આર્તનાદ (ભાગ ૪)

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!!
આર્તનાદ (ભાગ ૪)
******

"હેલો.. અલ્લારખાં કે પપ્પા બોલ રહે હો?" શાળા છૂટી ગઈ હોવા છતાં ધો.૧માં ભણતા નાનકડા અલ્લારખાંને કોઈ લેવા ન આવ્યું. એટલે મેં એના પપ્પાને ફોન કર્યો! (નામ જાહેર કરી શકાય એમ ન હોઈ બાળકનું નામ 'અલ્લારખાં' રાખું છું, કારણ કે આવા બાળકોને ભગવાન જ રાખતા હોય છે!)

"હાં સાહબ.. ક્યાં હુવા?"

"અરે સ્કૂલ છૂટ ગઈ ફિરભી કોઈ ઉસે લેને નઈ આયા ઇસલિયે ફોન કિયા.." મેં કહ્યું.

"દસ મિનિટ લગેગી.. મેં આ રહા હું."

"જલ્દી આઓ.. સબ ચલે ગયે હૈ!" મેં કહ્યું. સામેથી ફોન કટ થયો.. અને હું એ નાનકડા બાળકની સાથે વાતે વળગ્યો. મેં પૂછ્યું, "તુમ તો રોજ અપને ભાઈ કે સાથ જાતે હો, આજ ક્યુ નહીં ગયે?"

એ કંઈ ન બોલ્યો! આમેય અલ્લારખાં મારા વર્ગમાં આવ્યો ત્યારથી ચુપચુપ જ રહેતો. બસ એ એની સગામા થતી બેન જોડે જ બેસતો, બોલતો અને ખીલતો! બીજા સાથે બેસાડું તો કરમાઈ જાય! મેં ફરીથી પૂછ્યું તો એ માત્ર એટલું જ બોલ્યો, "પપ્પા આયેંગે.."

દસ મિનિટ થઈ છતાં એના પપ્પા ના આવ્યા એટલે મેં એને મારી બાઈક પર બેસવા કહ્યું. શરૂઆતમાં તો એ ન બેઠો.. સ્પષ્ટ હતું કે એને એના પપ્પા સાથે જવું હતું! ..પણ પછી બેઠો. બાઈક ઝાપાની બહાર નીકાળી, ત્યાં એના પપ્પાએ એકદમ બાજુમાં એક્ટિવાને જોરથી બ્રેક મારીને ઊભી રાખીને કહ્યું, "સોરી સર,  થોડી દેર હો ગઈ.."

"દેખો તો સહી.. ૨૦ મિનિટ હો ગઇ સ્કૂલ છુટે.." હું અકળાઈને બોલ્યો. એના પપ્પા આખા ધ્રુજી રહ્યા હતા! આંખો લાલઘૂમ અને ઊંડી ઉતરી ગઈ હતી! વાળ વિખરાયેલા હતા! અલ્લારખાં તરત જ મારી બાઈક પરથી ઉતરીને એના પપ્પાની આગળ એક્ટિવા પર ચડી ઉભો રહી ગયો!

"આપ મેરે બચ્ચે કે સાહેબ હો.. આપ સે ક્યાં છુપાઉ?.." કહીને એ નાનકડા અલ્લારખાંના પપ્પાએ બોલવાનું શરૂ કર્યું, "મૈં અભી જ જેલ સે છુટકર આ રહા હું! મૈને ઇસે બોલેલા મેં લેણે આઉંગા ઇસલિયે એ ઉસકે ભાઈ કે સાથ નઇ આયા..!"

આ સાંભળીને હું છક્કડ ખાઈ ગયો! એક નાનકડું બાળક પોતાના પિતાનું રાહ જોતું હતું- કે જે આજે જેલમાંથી છૂટીને આવવાના હતા! (શું વાંચનાર એની આંખો જોઈ શકે? વાંચી શકે? મેં એની આંખો જોઈ છે!)

"ક્યાં હુઆ થા?" મેં ધીમેથી પૂછ્યું.

એના પપ્પાએ ધ્રુજતા ધ્રુજતાં કહ્યું, "આપસે મૈં બિલકુલ જૂઠ નહીં બોલુંગા.. મેં યે કરતા હું એ દેખીયે.." કહીને એણે આજુબાજુ જોયું અને ધીમેથી મોટું ખંજર બતાવ્યું! મારી મુલાકાત કોઈ દિવસ આવા કોઈ વ્યક્તિત્વ સાથે નહતી થઈ, મને ડર લાગવો સ્વાભાવિક હતો-એમાંય 'સસલાના કૂળ'ના પ્રોફેશનમાં ખાસ!

એના પપ્પાએ આગળ ચલાવ્યું, "ગુજરાતમેં ઐસી એક ભી જેલ નહીં જહાં મેં ના ગયા હોઉં! એ દેખીયે.. ઔર ભી હૈ.." કહીને એણે મોબાઈલ કાઢ્યો અને એના 'કરતૂતો'ના ફોટા દેખાડ્યા! "દેખા..? યહાઁ દેખો.." કહીને એણે પોતાનું ગંદુ ટી શર્ટ થોડું ઊંચું કરી તીક્ષ્ણ વસ્તુના ઊંડા ઘા દેખાડ્યા!

હું સાવ હબકી ગયો! ફિલ્મી ક્રિમિનલ અને આમાં કોઈ ફરક નહતો! એણે આગળ ચલાવ્યું, "અબ એ સબ કરને મેં ક્યાં હૈ.. ગોલી કી ટેવ પડ ગઈ હૈ.. ૨૫૦૦ રૂપએકી આતી હૈ.. હરરોજ પીની પડતી હૈ.." ..કહેતાક એણે નાક પાસે હાથ લઇ જઇ સૂંઘવાનો ઈશારો કર્યો! "..જબ તક નૈ પીઉંગા તબ તક સાલા કુછ કરનેકો મન નૈ કરેગા."

"ઇસિલિયે ઇતના હિલ રહે હો?" એના ધ્રુજતા શરીરને જોઈને મેં પૂછ્યું.

"હા.. એ ઉસીકી વજહાં સે હૈ!"

"કિતને બચ્ચે હૈ તુમ્હારે?" મેં પૂછ્યું.

"ચાર.. એ અલ્લારખાં તીસરે નંબર કા હૈ!"

"બચ્ચો કે સામને દેખો.. ઔર યે સબ છોડ દો" મેં કહ્યું.

"નહીં હોગા." એણે ચોખ્ખી જ ના પાડતા કહ્યું, "વો ઇન્સ્પેક્ટર ભી બોલ રહે થે.. તું એ ધંધા બંધ કર દે.. મૈને ઉનકો દારૂ ઓર પાઉડર બેચને કો બોલા.. તો ઉંનોને ભી બોલા..જો કરના હૈ કર.. લેકિન ક્યાં હૈ.. કભી વો ગોલી કે પૈસે નૈ મિલતે ને? ..તબ બહોત દિકકત હોતી હૈ."

આટલું સાંભળ્યા પછી હું શું બોલું? મેં ખાલી એટલું કહ્યું, "જો કરો વો.. બચ્ચોકી પઢાઈ ચાલુ રખના!"

"અરે સાહબ.. અબ જો ભી કરતા હું ઇનકે લિયે તો કરતા હું. મેરા નંબર તો હૈ ને તુમ્હારે પાસ..? કભી ભી.. કુછ ભી.. રાત કો ભી કુછ જરુર પડે યા કોઈ લફડા હો તો તુરંત ફોન કરના યા ફિર ગેટ કે પાસ વો લારીવાલા હૈ ને.. ઉનકો પૂછના *** કહાં હૈ? મુજે સબ યહાં ઇસી નામ સે જાનતે હૈ!"

"ઠીક હૈ.. જો ભી હો.. તુમ બચ્ચોકો પઢાના.." કહી મેં બાઈક ચાલુ કર્યું. એણે પણ એકટીવા ચાલુ કર્યું અને જે ઝડપે આવ્યો હતો એ જ ઝડપે ભગાવ્યું!

હું થોડીવાર એને જતાં જોઈ રહ્યો! પછી મેં પણ ઘર તરફ પ્રયાણ કર્યું. ૧૦૦ મીટર આગળ જોયું તો અલ્લારખાં ચાલીને ઘેર જઇ રહ્યો હતો! મેં બાઇક ઉભી રાખી પૂછ્યું, "તારા પપ્પા ક્યાં?" એણે હાથના ઇશારાથી બતાવ્યું. એના પપ્પા એમનાં જેવા મિત્રો સાથે ઉભા હતા!

..આખરે એ છોકરાને એકલા જ ઘેર જવું પડ્યું!
*******

બાળકના કૌટુંબિક ઇતિહાસ જાણવાના હેતુસર મેં નાનકડી  'X' ને પૂછ્યું, "તારા પપ્પા શુ કરે છે?"

એણે સહજ નિર્દોષતાથી જવાબ આપ્યો, "વો તો દારૂ બેચતે હૈ."

"..અને મમ્મી?"

"મમ્મી ભી ઘર પે દારૂ બેચતી હૈ."
********

પોતાની દાદીના ઘેર રહેતી 'Y' ના પપ્પા વધુ દારૂ પીવાથી અને મમ્મી એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે! દીકરાની એક ઓળખસમી 'Y'ને દાદી પોતાના કામધંધાને કારણે રેગ્યુલર સ્કૂલે નથી મોકલી શકતાં!
********

ઘરેલુ ઝઘડામાં ધો.૧માં નામ લખાવ્યા બાદ માત્ર બે દિવસ જ શાળાએ આવી શકેલો 'Z' હવે શાળાએ આવ્યો ખરો, પણ એનું ધ્યાન ભણવામાં નથી લાગતું! એ નાની નાની વાતોમાં રડવા લાગે છે! એને ઘેર જવું છે! પાછો શાળાએ આવતો બંધ થતાં જાણવા મળ્યું કે એની મમ્મીને એના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે, એ પણ સામાનસહિત!
*********

બાળકી 'O' છેલ્લા એક માસથી શાળાએ આવી શકી નથી! પિતાને આ બાબતની પૂછપરછ કરતા જાણવા મળે છે કે એની મમ્મી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે અને ઘરમાં એને સાચવવાવાળું કોઈ નથી એટલે એ એની મમ્મી સાથે હોસ્પિટલમાં જ રહે છે!
*********

'A' નામના બાળકના મમ્મી છે જ નહીં! વિગતે જાણવા મળ્યું કે એના મમ્મી એને મૂકીને બીજા જોડે જતી રહી હોઈ માંના પ્રેમથી વંચિત 'A'નું તોફાન દિનપ્રતિદિન વધી રહ્યું છે! વર્ગમાં એ 'ન્યુસન્સ' બની રહ્યો છે!
*********

આવા કઇ કેટલાયે અલ્લારખાં દિલમાં ઘણું છુપાઈને આવે છે! *એ શા માટે ભણવામાં નબળા છે? એ શા માટે એકલાં એકલાં રહે છે? એ શા માટે ચૂપચાપ રહે છે? એ શા માટે મૂંઝાય છે? એ શા માટે તોફાન કરે છે? એ સમજાય છે??*

જે બાળકને માત્ર એટલી જ ખબર પડતી હોય કે એના પપ્પા એને લઈને ઘેર ન ગયા, એને ભણવાનું મન ક્યાંથી થાય? ખરેખર એને અત્યારે જરૂર છે, માત્ર હૂંફની!! જાણો છો?? અલ્લારખાંને હું ખાલી એમ કહું કે, "બેટા મારી પાસે બેસ" તોય ઘણું! ભણવાનું તો એને આવડી જ જવાનું છે! યાદ રહે, નાનપણમાં પ્રેમભરી હૂંફ ન મેળવી શકનારા વધુ ભણેલા લોકો જ 'બ્રેઇન વોશિંગ'નો સૌથી વધુ શિકાર બની આતંકવાદી બનતા હોય છે! મારી શાળાના આવા દરેક અલ્લારખાં માટે મારું હદય કરુણામય છે!

અસંવેદનશીલ બની ગયેલા, માત્ર રોફ જમાવવા આવતા, અવાસ્તવિક સૂચનાઓ લખતાં અને આપતા, મનમાં પડી ગયેલી 'ખરાબ શાળા'ની છાપને ભૂસવા તૈયાર ના હોય એવાં જડભરત અધિકારીઓ આવા સમયે પણ શું કહે??.. ''અલ્લારખાંને વાંચતા કે લખતા કેમ નથી આવડતું?"

અરે સાહેબ, આના માટે કાન અને હદય બંને જોઈએ! અને અફસોસ કે આમાંનું એકેય તમારી પાસે નથી, કારણ કે તમે બહુ જ ભણેલા છો!!
********

યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૧૨.૮.૧૯

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? (આર્તનાદ ભાગ ૩)

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે?
(આર્તનાદ ભાગ ૩)

*******

હું મારી ઉંમરના ૩૩ માં પડાવે છું. એવી જગ્યાએ નોકરી કરું છું, જ્યાં હમઉમ્ર ઓછા છે, અને વડીલો વધારે! ઘણા વડીલો મારા જન્મ પહેલાથી નોકરી કરે છે, અને મારી ઉંમરના પોતાના બાળકો છે!! મોટાભાગનાને હમેશા પોતાના ગુણગાન ગાતા સાંભળ્યા છે, કે એમને કઈ રીતે 'પેટે પાટા બાંધીને' પોતાના સંતાનોને મોટા કર્યા, ઘર કર્યું, નોકરી કરી.. વગેરે..! અજીબ લાગે છે, જયારે હું એમના દંભીપણાને નજરે જોઉં છું! સાચું કહું તો, ઉંમરના અમુક પડાવે પહોચ્યા પછી દરેક લોકો શા માટે માતા-પિતાને સાચવવાની વાતો કરવા માંડે છે, એ નથી સમજાતું!! શું એમને એવો ડર હોય છે કે એમનું સંતાન એમને નહિ સાચવે? કે પછી, પોતે જે નથી કરી શક્યા, એ બાળક પણ નહિ કરી શકે એની બીક હોય છે?  ઘણીવાર વાત થાય ત્યારે મારી દલીલ એવી હોય છે, કે *'ખરેખર માં-બાપે જ એવા ખમતીધર થવું જોઈએ, કે એમને બાળકોના ઓશિયાળા ના થવું પડે!'* આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? શું આપણે એટલા માટે બાળકને જન્મ આપીએ છીએ, કેમ કે શારીરિક ઉંમર થઇ ગઈ છે? કે પછી એટલે, કે લગ્નને આટલા વર્ષ થઇ ગયા હોવા છતાં એક પણ સંતાનને જન્મ નથી આપ્યો? કે પછી એટલે, કે ઘરના વડીલો પોતાને દાદા-દાદી કે નાના-નાની બનાવવાની જીદ લઈને બેઠા છે? કે પછી એટલે, કે વંશવેલો આગળ વધે? કે પછી.. બીજાને છે અને મારે નથી એમ દેખાદેખીમાં? કે પછી.. આપણે પણ સામાજિક છીએ એ દેખાડો બતાવવા?.. કે પછી માત્ર આપણા સ્વાર્થ ખાતર જ?.. મારા ઘડપણમાં મને સાચવવા માટે મારું પોતાનું બાળક હોય તો કેવું સારું? અથવા તો મારી પાસે જે મારી સંપત્તિ છે એ હું મારા બાળકને આપીશ.. મહદઅંશે આપણે બધા આપણા ભવિષ્યમાં આપણને સાચવી શકે એવા એક વ્યક્તિત્વને જાણે-અજાણે પણ પેદા કરીએ છીએ, એવું લાગે છે! બાળકને માત્ર બાળક તરીકે ટ્રીટ નથી કરી શકતા, પણ સ્વાર્થી બનીને નાનપણથી જ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા આપણે "માં-બાપને ભૂલશો નહિ" ટાઈપનાં સુત્રો અને 'બાગબાન' ટાઈપની ફિલ્મો બાળકના મનમાં એટલી હદે નાંખીએ છીએ કે બાળક નાનપણથી જ ક્યાંકને ક્યાંક એવું વિચારતો થઇ જાય છે કે ''જો હું આમ નહિ કરું તો મારા મમ્મી-પપ્પાને નહિ ગમે.. હું આમ કરીશ તો મારા મમ્મી-પપ્પા રાજી થશે..!!" એક્ચ્યુલી, "અમે તને પેદા કરીને જો અમે તારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે?!" ની લઘુતાભાવગ્રંથી બાળકના મનમાં નાનપણથી જ રોપી દેતા હોઈએ છીએ! એ બાળક ક્યારેય "પોતાને ગમે છે કે નહિ?" એવું નથી વિચારતો, પરિણામે પોતાની આઇડેન્ટિટી ક્રમશઃ જેમ જેમ મોટો થતો જાય છે, એમ એમ ગુમાવતો જાય છે! શું ખરેખર આપણે લાયક હતા, એટલે માં-બાપ બન્યા કે પછી માત્ર લોકલાજે?! મારા આ સવાલોથી ઘણા મને એવું કહેતા હોય છે કે તમે હજી અમારી ઉંમરે નથી પહોચ્યા એટલે તમને એવું લાગે છે! ..ત્યારે હું મારી જાતને આ સવાલ પૂછું છું તો મને એવું નથી લાગતું કે એમની ઉંમરે મને આવા ઓશિયાળા બનવું ગમશે! વાસ્તવમાં હું એવું માનું છું કે સમય વર્તે જો આપણે ન બદલાઈયે, અથવા તો આપણે આપણા સંતાનોની નજરમાં 'ચંપકલાલ' જેવા *પૂજનીય વડીલ* તરીકેનું ઉદાહરણ ના બની શક્યા હોઈએ તો ઓશિયાળા બનવું પડે! પોતે જીવનમાં મોટેભાગે નિષ્ફળ ગયા હોય અને બાળકોને નાની નાની વાતોમાં સલાહ આપીએ તો ક્યારેક તો બાળકને એ જ્ઞાન લાધે જ છે કે નાનપણમાં 'હીરો' રહેલા એના માં-બાપ વાસ્તવમાં તો 'હિટલર' છે!!
*****

એક સવાલ: શું તાલી એક હાથે પડે?

એક સાંભળેલો જોક યાદ આવે છે.. એક ડોશીમાં એની 'ઓટલા'પાર્ટનર ડોશીને કહે છે.. "મારો જમાઈ તો એટલો સારો કે મારી દીકરીનું બહુ ધ્યાન રાખે! રોજ હોટલમાં જમવા  લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. એ માંગે એ વસ્તુ હાજર કરી દે. અને મારો દીકરો સાવ બાયલો!! રોજ વહુને બહાર જમવા લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. માંગે એ વસ્તુ હાજર કરે. વહુનું બહુ ધ્યાન રાખે." સ્વાભાવિક છે કે ઉપરની ડોશીમાને પોતાના 'બાયલા' સંતાનના ઓશિયાળા બનવું પડે! પોતાના પિતાને નાનપણથી જ માતાના પગ દબાવતા જોતો પુત્ર પોતાની સ્ત્રીના પણ પગ દબાવવાનો જ! આમાં ક્યાં બાયલાપણું આવ્યું? અને જો આવ્યું હોય તો ક્યાંથી આવ્યું? સોચો..સોચો..

ઘણા વડીલોને પોતાના પર એટલું બધું અભિમાન હોય છે કે એ પોતાના બાળકોને ગણકારતા જ નથી હોતા! એમને ક્યારેય પોતાના બાળકો પર ભરોષો હોતો જ નથી. પરિણામે એવા લોકો પોતાના બાળકોને કશું જ પસંદ નથી કરવા દેતા! નિર્ણયો લેવા દેતા જ નથી! પોતાના સંતાનની દરેક બાબતમાં એમને ખોટ જ દેખાતી હોય છે. એવા વડીલો મને એવું લાગે છે કે જલ્દી પોતાના સંતાનોને ગુમાવે છે.

'રહેવા દે તને નહિ આવડે'.. 'તું નહિ કરી શકે'.. 'તું આટલું પણ નથી કરી શકતો'.. ટાઈપના ''ટોકણસિંહ'      માં-બાપના સંતાનો હંમેશાથી 'તને નહિ આવડે'-ટાઈપના જ વખાણ એનાં માં-બાપના મોઢેથી સાંભળતો હોય છે! લગ્ન બાદ જયારે વહુ રૂપી સિંહણ એનાં ઘેટાં બની ગયેલા પતિ-સિંહને યાદ અપાવડાવે કે 'તમે પણ બધું કરી શકો છો.." ત્યારે એ સંતાન પોતાનું સિહત્વ સાબિત કરવા સૌથી પહેલા 'ઘેટાના ટોળા'રૂપી માં-બાપને જ છોડતા હોય છે. હવે આમાં વાંક કોનો ગણવો? વહુનો? સંતાનનો? કે પછી માં-બાપનો?

'સમય વર્તે સાવધાન' વહેતી નદી ચોખ્ખી રહે, પણ બંધિયાર ખાબોચિયું? અલબત્ત, ગંધાશે જ! ''ભાઈ, મેં તો મારા દીકરાને કહી દીધું છે કે તને કોઈ ગમતું હોય તો કહી દે. લગ્ન કરાવી દઈશું. પણ શરત એટલી જ, એ આપણા સમાજની જ હોવી જોઈએ!" હવે, આનો શું મતલબ થાય? સમાજના વાડામાંથી બહાર ના નીકળતા માં-બાપના સંતાનો જયારે પરનાતની 'રાણી' લાવે ત્યારે એ ગમે તેટલી સારી હોય, (સ્વભાવે પણ!!) તોય એવા માં-બાપ પોતાના સંતાનની 'પસંદ'ને 'ના-પસંદ' ગણીને જે રીતે કજીયો કરે..! અરે ભાઈ, બહારના ધાંધિયા ઓછા છે કે સંતાન ઘરમાં આવીને પણ આજ સાંભળે? બહેતર છે કે "પ્રેમ જળવાઈ રહેતો હોય તો થોડા દુર રહેવું સારું!"

"વહુને બહુ બહાર નહિ નીકળવા દેવાની" ટાઈપના લોકો જયારે બીજાની સ્ત્રીઓને ચબરાક જુએ છે ત્યારે ઘરની લક્ષ્મી એમને 'મણીબેન' લાગે છે. અરે ભાઈ, પોતાના દીકરાને રાજા જોવો હોય તો, ઘરની સ્ત્રીને રાણી બનાવતા શીખવું પડે? બાકી, 'મણીબેન'નો પતિ 'મણીભાઈ'જ હોવાનો! "વહુને બહુ પિયર નહિ જવા દેવાની" ટાઈપના લોકોએ સમજવું રહ્યું કે રસ્તામાં ઘર આવતું હોય તો પુત્ર-વહુ સાથે 'વહુના પિયરે' આંટો મારી આવે!" એક આખી સ્ત્રી પોતાના ઘરને છોડીને પરાયા માં-બાપને પોતાના કરવા લાગી હોય, તો શું પુત્ર અડધો સ્ત્રીના માં-બાપનો ના થઇ શકે?

"સ્ત્રીધન" અને "સ્ત્રી"ને બાપીકી જાગીર સમજનારા 'ના-સમજ' માં-બાપના 'સમજુ' પુત્રો વારેવારે પોતાની સ્ત્રીનું અપમાન જોવાને બદલે એમનાથી દુર થવાનું મુનાશીબ સમજે છે.
*******

શું આપણે ક્યારેય એમ વિચારીને બાળકને જન્મ ના આપી શકીએ કે, "બેટા, મને તારા તરફથી કોઈ જ અપેક્ષા નથી! મારું કામછે, તને એવી રીતે તૈયાર કરવાનું કે તું તને પામી શકે અને સમાજ પ્રત્યેની તારી જવાબદારી શુભ નિષ્ઠાથી અદા કરી શકે! તું મારી બિલકુલ ચિંતા ના કરતી.. મેં કઈ એટલા માટે તને જન્મ નથી આપ્યો, કે હું ખુશ થઈશ કે નહિ, એ વિચારીને તું દુઃખી થતી રહે..? વાસ્તવમાં મને તો એવું લાગે છે કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે કે હું સમાજને એક સારી નાગરિક આપી શકું.

હું એવું ચોક્કસ ઈચ્છીશ કે તું દરેકને માન આપતા શીખે. એનો મતલબ એ પણ નથી કે તું ખોટાને પણ માન આપે!! તારે દરેકને માન આપવાની જરૂર નથી, પણ હા, કોઈનેય કારણ વગર અપમાનિત ન કરતો! 

હું તારો એવો પાલક બનવા માંગું છું કે તું અધિ-સત્યને જ સાથ આપતા શીખે! સત્ય બે પ્રકારના હોય છે. એક એવું સત્ય, કે જેને લોકો સાચું માનતા હોય, અને એક એવું સત્ય કે જેને તું સાચું માનતી હોય!  'દ્રશ્યમ' મુવીમાં આઈજી દેશમુખ (તબ્બુ) પોતાના દીકરાના હત્યારાની પૂછપરછ કરે છે એ સત્ય છે. અને વિજય (અજય દેવગણ) કોઈપણ હિસાબે પોતાના પરિવારનું રક્ષણ કરે છે એ અધિ-સત્ય છે! સત્યની ઉપરનું સત્ય એટલે અધિ-સત્ય! તું તારા સત્યના માર્ગે ચાલજે! કુદરતે એમને જ મહાન બનાવ્યા છે, જેમણે પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો હોય!

ભવિષ્યમાં લોકલાજે ક્યારેય હું કશુક ખોટું કરું, અથવા સમય વર્તે ના બદલાઉં અને તારા પર કારણ વગરના રીસ્ટ્રીકશન મુકું તો તું મને એ સમયના સાચા-ખોટાનું ભાન કરાવજે. અને છતાંય જો હુમારી જડતાને ના છોડું, તો તું મને માફ કરીને તારા રસ્તે આગળ વધજે! અર્જુનની જેમ પોતાના ખોટા હોય એવા સગાઓને જોઇને હથિયાર હેઠા ના મૂકી દેતી.

બધા ઘરડા ખોટા નથી એમ બધા સાચાય નથી! ઘણા માં-બાપોને પોતાના સંતાનોને કારણ વગરનું દુઃખ આપતા સહેજેય સંકોચ નથી થતો. એમના સંતાનો જયારે લોકલાજે એમની મુર્ખામીઓ સહન કરે છે, ત્યારે એ લોકો એવું કહીને પોતાનો 'ઈગો' સંતોષતા હોય છે કે, "જોયું, મારૂ સંતાન કેવું સારું છે!" ..પણ જયારે એ સંતાનો એમની હદ બહારની મુર્ખામી સહન ના કરી શકે ત્યારે એ લોકો પોતાના સંતાનોને વગોવતા વાર નથી લગાડતા! *યાદ રહે, મોટાભાગના સંતાનો પોતાના માં-બાપને સુખી જોવા જ માંગતા હોય છે, પણ ઘણીવાર માતા-પિતાની ભેદભાવની નીતિ અને સમય સાથે ના બદલાવાની જડતાને કારણે ઘરડાઘરો ઉભરાય છે!* આવા જડભરત વડીલોને તું દુરથી જ સલામ કરજે. નહીતર એ તારા પણ સુખી પરિવારમાં આગ લગાડતા વાર નહિ લગાડે!

કોઈને પણ સમજી વિચારીને પગે લાગજે! સમય આવ્યે તને સમજાશે કે કોને પગે લાગવા જેવું છે અને કોને નહિ? બધા કરે છે એટલે તારે કરવું જરૂરી નથી. તારી વિવેકબુધ્ધિનો ઉપયોગ કરજે. 

તારી નાની નાની ભૂલો કે નિષ્ફળતાઓમાં હું ગુસ્સો કરીશ.. પણ એનો મતલબ એ નથી કે હું તને ધિક્કારું છું. ખરેખર તો જયારે જયારે હું સફળ નથી શક્યો, ત્યારે ત્યારે તારી નિષ્ફળતાઓ પર ગુસ્સો કર્યો છે! સફળ થવાનો દિલથી પ્રયાસ કરજે. પણ ના થાય તો ચિંતા ના કરતી. તારા પિતા પણ અનેક સફળતા અને નિષ્ફળતાઓનું પોટલું જ છે. શક્ય છે કે તારી નિષ્ફળતામાં હું તારી પાસે ના હોઉં! બસ.. તું આગળ વધતી રહેજે અને તારા જેવી બનજે! મારા જેવા થવાની કોશિશમાં આત્મહત્યાનું પાપ ના વહોરતી!

તારા નિર્ણયોને ઘણીવાર બધા તારી તોછડાઈ અથવા તો મુર્ખામી સમજશે, એમાં હું પણ સામેલ હોઈ શકું છું!! ..પણ જો તને તારા પર કશુક કરવાનો ભરોષો હોય તો તું મારી પરવા ના કરતી! ..એવું માનીને આગળ વધજે કે હું તારો પિતા છું, સર્જનહાર નહિ! તારી સર્જનહાર તો તું જ છે. તું ચાહે તો સારી બની શકે છે. અને ચાહે તો ખરાબ!

એક પિતા તરીકે હું તને હમેશા સર્વશ્રેષ્ટ જ આપવાનો પ્રયાસ કરીશ. જીવનમાં રૂપિયાનું મુલ્ય સમજજે. સાચા રસ્તે જાતે કમાજે અને મહેનતનો રોટલો ખાજે! મારી સંપત્તિ પર આશા રાખવા કરતા તારો બંગલો તારી જાતે જ બનાવજે. પછી ભલે ને એ બંગલો ૧૦/૧૦ નો જ કેમ ના હોય? અને એ પણ ના બનાવી શકે તો પણ કોઈ વાંધો નહિ!

સીધા જ મારી ખુરશી પર બેસવાને બદલે નીચલી પાયરીથી શરૂઆત કરજે, જેથી તું નાના માણસોનાં આર્તનાદને ભૂલી ન જાય! યાદ રાખજે, નાના માણસોની કદી 'હાય' ના લેતી, એ લોકો તારી દરેક સ્થિતિમાં તને કોઈપણ જાતની અપેક્ષા વગર પણ તને બોલાવશે!

તારા નિર્ણયો તું જાતે જ લેતા શીખજે, જેથી તારા જીવનસાથીને તું જાતે જ પસંદ કરી શકે! પ્રેમની બાબતમાં એક સત્ય કહું તો જયારે તું તારા જીવનસાથીને જુએ ત્યારે તારા દિલને પૂછજે, શું એ તારે લાયક છે? શું તું એને લાયક છે? થોડો સમય વ્યતીત થવા દેજે. એક પળ એવી ચોક્કસ આવશે કે સમજાશે કે તારે એની સાથે જોડાવું કે નઈ? અને એકવખત 'આતમરામ'નો અવાજ સંભળાય, પછી મારા અવાજની કોઈ વેલ્યુ રહેતી નથી કેમકે મારે નહિ, પણ તારે એની સાથે જીવન વ્યતીત કરવાનું છે! પણ.. હા, જો એમ છતાંય જો તું પસંદગીમાં નિષ્ફળ જાય તો રાજીખુશીથી અલગ થાજો. પણ, હા.. અલગ થતા પહેલા એ વાત ચોક્કસ યાદ રાખજો કે એની અસર ઘણી જિંદગીઓ પડશે અને કોઈના જવાથી આપણે અટકી જવાનું નથી! નદીની જેમ આગળ વધતું રહેવાનું છે.

મારું કામ તને તારી યુવાવસ્થા સુધી યોગ્ય ઘડતર કરવાનું છે, નહિ કે તને જીવનભર ગળે લગાડવાનું! મતલબ એ નથી કે મોટા થયા પછી 'તું તારા રસ્તે, અને હું મારા રસ્તે!' પણ એનો મતલબ એ થાય છે કે આપણે બંને આપણા પુરક બનીશું. ઘણી બાબતો એવી હશે કે મને ન સમજાય તો તું સમજાવજે. અને ઘણી બાબતો તને નહિ સમજાતી હોય તો હું તને સમજાવીશ! કારણ વગરની સલાહો આપવાથી મને.. અને ખોટા નિર્ણયો લેવાથી તને.. ઈશ્વર બચાવે એવી પ્રાર્થના!!

સંતાનોની બાબતમાં તને એવું લાગે કે તું માં-બાપ બનવાને લાયક છે, તો જ બનજે! શારીરિક ઉંમર વધવાથી લોકલાજે બાળક પેદા કરીને તારી અપેક્ષાઓ એના પર થોપીને તું ઈશ્વરની ગુનેગાર ના બનતી! સંતાન એ પ્રભુની પ્રસાદી છે. એની સાથે નારીયેલ જેવી બનજે. ઉપરથી કડક અને અંદરથી નરમ! ભરપુર પ્રેમ આપજે, પણ કડક હાથે કામ લેજે! તારું કામ કુમળા છોડને વટવૃક્ષ બનાવવાનું છે, જેથી તે સમાજને મીઠા ફળ આપી શકે!

સમાજના ઘણા રીતી રીવાજો એવા છે કે જેમાં તને સવાલો થશે. ગુસ્સો આવશે, પણ ગુસ્સાને નવી દિશામાં પરિવર્તિત કરજે!

જ્યાં જરૂર હોય, ત્યાં પાંચની જગ્યાએ પચાસ ખર્ચજે, પણ જ્યાં જરૂર ના હોય ત્યાં પાંચીયુંય ના ખર્ચતી! પરિવારની બાબતોમાં કરકસર કરજે, અને પોતાની બાબતોમાં કંજુસાઈ!

બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા પગારના અઢી ટકા સારા કામમાં વાપરજે, અને દસ ટકા બચતમાં! બેંક બેલેન્સ મજબુત કરવાને જગ્યાએ આશીર્વાદનું બેલેન્સ મજબુત કરજે!

વહુ બનવા કરતા દીકરી બનજે, અને જમાઈ બનવા કરતા દીકરો બનજે! વડીલોની બાબત પસંદ ના પડે તો ચૂપ રહેજે! અને.. છતાંય સહન ના થાય તો આગળ વધજે! તારી જીવનસાથીને પણ આ વાત પ્રેમથી સમજાવજે!

સમયસર બધું કરજે, પછી ભલે એ લગ્ન હોય કે નોકરી! ..અને સમયસર બધું છોડજે, પછી ભલે એ સત્તા હોય કે ઓફીસ!!

યાદ રહે કે તારી નબળી અવસ્થામાં તારું કુટુંબ અને તારા અંગત મિત્રો તારી સાથે હશે, માટે એમના માટે ગમે તે ભોગે સમય ફાળવજે! ..પણ દિવસનો અડધો કલાક તને જે ગમતું હોય એ કામ કરજે, અને એ પણ ભૂલ્યા વગર!

તારા સપનાઓને મારતી નહિ, કારણ કે એ અંતિમ સમયે પણ પુરા થતા હોય છે!

દંભી ધાર્મિકતા કરતા નાસ્તિક થવું સારું, એ યાદ રાખજે!

ખુશ હોય ત્યારે જોરથી હસજે, અને દુઃખી હોય ત્યારે શાંતિથી બેસજે, છતાંય ન રહેવાય તો જોરથી રડજે!

રજાઓમાં નવી જગ્યાએ ફરવા જજે! ભગવાન અને તું, તારી અંદર જ છે, એમને બહાર ના શોધતી!

આશીર્વાદ સહ..
*******

મેં મારા આતમરામને પૂછ્યું, "આટલું બધું લખ્યા પછી પણ જો તું વૃદ્ધાવસ્થામાં સંતાનો પાસેથી અપેક્ષા રાખતો હોઈશ તો?"

"..પણ હું તને વૃદ્ધ થવા દઈશ તો ને??!!" આતમરામે સિક્સર મારી!!
*******

યજ્ઞેશ રાજપુત
નાનકડી દીકરી તન્વીને અર્પણ.
લ.તા. ૪.૮.૧૯



















































સોમવાર, 29 જુલાઈ, 2019

*શિષ્યવૃત્તિ* (આર્તનાદ ભાગ ૨)

*શિષ્યવૃત્તિ*
(આર્તનાદ ભાગ ૨)

 *અહીં ખાસ નોંધ લેશો કે સદામને નિમિત્ત બનાવી મેં સમગ્ર વાલીવર્ગ અને શિક્ષકવર્ગની વેદના વર્ણવી છે. કારણ કે આવું કદાચ આખા ગુજરાતના બાળકો અને વાલીઓ સાથે થતું જ હશે, એમાં કોઈ શંકા નથી!!*

*****

"લો, આ બોનફાઇડ લઇ જાઓ, અને સદામનું આધારકાર્ડ બનાવવાનું છે. ગામની ઝોનલ ઓફિસે ૨૫-૩૦ રૂપિયા લેશે અને તમને બનાવી આપશે." મેં ધોરણ ૧ માં નવા દાખલ થયેલા સદામની મમ્મીને કહ્યું.

"ઇતને મેં બન તો જાયેગાના?? કિ જ્યાદા પૈસે લગેન્ગે??" રોજ માત્ર ૨૦૦-૩૦૦ કમાતા હોય અને ૭-૮ સભ્યોવાળા પરિવારનું માંડ ઘર ચાલતું હોય એવા સદામના મમ્મી પૈસાની ચિંતા કરી આવો સવાલ પૂછે એ સ્વાભાવિક હતું.

"ઇતને હી લેંગે.. અગર આપ પ્રાઇવેટમેં બનાઓગે, તો જ્યાદા પૈસે લગતે હૈ." મેં એમને થોડું ચિડાઈને કહ્યું, કારણ કે ધો.૧ ના મારા વર્ગમાં કુલ ૬૦ બાળકોમાંથી લગભગ ૮૦℅ બાળકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટના ફોર્મ ભરીને મારે એમને આપવાના હતા. અત્યારે હું પોતે લગભગ ૪-૫ વાલીઓથી ઘેરાયેલો હતો.

"નઈ, ઉસમેં ક્યાં હૈ? મેરે તીન બચ્ચે યહાઁ પઢતે હૈ.. સબકે આધારકાર્ડ નિકલવાને કે હૈ.. તો ખબર પડે ને, કિ કિતને પૈસે લગેન્ગે.. ઇસલિયે પુછા." સદામની મમ્મીએ ચોખવટ કરી.

"સુબહ જલ્દી જાના.. ઝોનલ ઑફિસમેં રોજ કે સિર્ફ ૩૦ લોગો કે હી આધારકાર્ડ નિકલતે હૈ.. ઔર હા, સદ્દામ કો સાથ લેતે જાના, ઉસકી ઉન્ગલીઓકી છાપ લગેગી." મેં જરૂરી સૂચનાઓ ઝડપથી આપી એમને રવાના કર્યા.

ગામડાઓમાં સરકારીશાળા જ સર્વસ્વ હોય, એટલે મોટા-નાના બધા એ જ શાળામાં ભણે! (જો કે ગામડામાં પણ હવે તંત્રની મહેરબાનીથી ખાનગી શાળાનું દુષણ ઘુસી ચૂક્યું છે!) પણ શહેરોમાં દર એક કિલોમીટરે દુકાનોમાં પણ ખાનગી શાળાઓ ચાલતી હોય છે! વળી, આવી શાળાઓ 'દેખાડામાં' માનતા અને 'કહેવાતા' સમૃદ્ધ હોય એવા બાળકોને જ એડમિશન આપે, એટલે અભણ અને મજૂર વર્ગમાંથી આવતા જેમને મન 'રોજની કમાઈ'નું વધુ મહત્વ છે, એવાં વાલીઓ પોતાના બાળકોને સરકારી મ્યુનિસિપાલીટી સ્કૂલમાં દાખલ કરતા હોય છે. (સમૃદ્ધ અને સાક્ષર વાલીઓના બાળકોના એડમિશન મ્યુનિસિપલ સરકારી શાળામાં એવરેજ માત્ર ૨% થી ૧૦℅!!)
*****

૨ દિવસ પછી સદ્દામ શાળાએ આવ્યો! મેં પૂછ્યું, "ક્યાં હતો ૨ દિવસ??"

"વો આપને જો કાગઝ દીયેલા ને.. આધારકાર્ડ કે લીયે.. વહાં ગયેલે.." સદામની મમ્મીએ કહ્યું.

"બન ગયા આધારકાર્ડ?? વો પ્રિન્ટ લાયે?" એક બાળકનું આધારકાર્ડ બન્યાના ઉત્સાહમાં મેં પૂછ્યું.

"નહીં.. દો દિન સલિંગ ગયે, લેકિન વહાં બહોત બડી લંબી લાઈન લગતી હૈ.. ઔર ફિર ઇસકે પપ્પાકો ભી સુબહ કામ પે જાના હોતા હૈ.. તો એક દિન મૈને ભી કામ પે રજા રખ્ખી.. લેકિન વહાં વો બોલતે હૈ, પુરાવા લાઓ.. અબ પુરાવા કહાં સે લાએ.. હમ તો ભાડે સે રહેતે હૈ.."

"..તો ભાડા કરાર બનવા લો ના." મેં કહ્યું.

"અબ મકાનમાલિક કહાં ભાડા કરાર કરને દેતે હૈ? માન લો કર ભી દિયા, તો ફિર ૧૧ મહિને મેં મકાન ખાલી કરના પડતા હૈ.. વારેઘડીએ મકાન ખાલી કરને મેં બહોત તકલીફ પડતી હૈ.."

"પ્રાઇવેટમે બનવા લો.." મેં કહ્યું.

આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન એક વાલીએ તરત જ કહ્યું, "પાંચસો રૂપિયે લેતે હૈ પ્રાઇવેટવાલે! આપકો તો સિર્ફ બોલના હૈ.. લેકિન ૨-૩ બચ્ચે હો તો એક-દો હજાર કહાં સે લાયે??"

હું ચૂપ થઈ ગયો!

થોડીવાર પછી મેં ધીમેથી કહ્યું, "કુછ ભી કરો, આધારકાર્ડ ઔર બેંક એકાઉન્ટ નહીં હોગા તો શિષ્યવૃત્તિ કે પૈસે નહીં આયેંગે."
******

૧૫-૧૬ દિવસ પછી સદામના મમ્મી સદામનું આધારકાર્ડ લઈને હાજર થયા! મેં પૂછ્યું, "કૈસે નિકલા?"

"૨૦૦૦ રૂપયે લગ ગયે.. તીન બચ્ચો કા આધારકાર્ડ નિકલવાને મેં..!"

સદામની મમ્મીની આંખોમાં પોતાની 'રોજની કમાઈ'ના અમુક દિવસો પડ્યા, અને અંદાજે ૨૦૦૦ રૂપિયાથી ઘરમાં જે ખાડો પડ્યો, એની વેદના સ્પષ્ટ દેખાય છે!! (સાચું કહું તો એક શિક્ષક તરીકે જ્યારે હું આવી વેદનામયી આંખો કે ચહેરો જોઉં છું, ત્યારે મને સરકાર અને તંત્ર પર ગુસ્સો આવે છે. એ લોકો આવા નાના માણસોનો બિલકુલ વિચાર નહીં કરતા હોય?!! આ ફરિયાદ તો ઈશ્વરને પણ છે!!)

"અબ બેંક એકાઉન્ટ ભી ખુલવા લો.. શાયદ યહાં પૈસે નહીં લગેન્ગે. તુમ્હારા એક ફોટો ઔર સદામ કે દો ફોટો લગેન્ગે." મેં કહ્યું.

"સદામ કે ફોટો પડવાને પડેન્ગે.. દો દિન બાદ દૂગી"
*******

બે દિવસ પછી સદામના મમ્મીએ મને ફોટા આપ્યા એટલે મેં એમને 'ઝીરો' પૈસાથી બેંક એકાઉન્ટ ખુલે એનું ફોર્મ ભરી આપ્યું. બે દિવસ પછી એ પાછા મારી પાસે આવ્યા..

"આપ તો બોલતે થે કુછ પૈસે નહીં લગેન્ગે, વો બેંકવાલે ખાતા ખુલવાને કે લિયે ૧૦૦૦ રૂપયે માંગતે હૈ.. અબ મૈં હજાર રૂપયે કહાં સે લાઉ??"

હું શોકડ થઈ ગયો! તરત જ એ બેનને અમારા આચાર્ય  પાસે લઈ ગયો. મેં આખી બીના જણાવી એમને કહ્યું, "હવે આ બેનને ત્રણ બાળકો છે, તો ખાતા ખોલાવવા માટે ૩૦૦૦ રૂપિયા ક્યાંથી લાવે બોલો??"

અમારા આચાર્યબેન તંત્રએ માંગેલા 'આંકડાઓમાં' વ્યસ્ત હતા! એ બોલ્યા, "જેટલું થાય એટલું કરો."

મેં સદામની મમ્મીને કહ્યું, "ખાતું ખૂલે તો ખોલાવો.. ના ખુલે તો વાંધો નહીં." (બેંકવાળાઓને દંડવાવાળું કોઈ જ નથી!! અંધેરી નગરી છે આ!! હદયનો આર્તનાદ છે આ!!)
******

શિષ્યવૃત્તિનું ખાતું 'ઝીરો' પૈસાથી ખોલવાનું હોવા છતાં આ બેંકવાળાઓ જે રીતે નાના માણસોને હેરાન કરે છે, એ અસહ્ય છે. જ્યારે બાળક પાસે આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ નથી હોતું, ત્યારે એક પણ અધિકારી એ સાંભળવા તૈયાર નથી કે શા માટે નથી? કેટલા બધા પ્રોબ્લેમ છે વાલીઓના? આવા બધા દૌડા કરે તો એમની 'રોજની કમાઈ' ગુમાવે છે. ભાડેથી રહે છે. પોતાના પણ પુરાવા હોતા નથી. (શા માટે નથી?.. એ પાછો અલગ મુદ્દો છે!) માત્ર એક બાળક હોય તો હજુ એ પહોંચે પણ ૩-૪ હોય તો ક્યાં જાય? એમાંય વળી લાંબી લાઈનો, અને ધક્કા પર ધક્કા!! બાળકોની નિશાળમાં ગેરહાજરી વધે! વાલીઓ ઘણીવખત તો બાળકને શાળાએ મોકલવાનું જ બંધ કરી દે! ..અને વિચારે, આના કરતાં બાળકને પોતાની સાથે મજૂરીએ લઇ જવું વધુ સારું!! શુ તમે વિચારી શકો.. ક્રિમિનલો મોટેભાગે અભાવોમાં રહેતા લોકો જ શા માટે હોય છે?? ..અને એક્ચ્યુઅલ ક્રિમિનલ કોણ??
******

૧૫ દિવસ પછી સદામના મમ્મી ઉપરની ચિઠ્ઠી લઈને મને આપી! હું એ આપને શેર કરું છું. ખાસ જોશો કે બેંકવાળાએ કેટલા રૂપિયાથી ખાતું ખોલી આપ્યું છે?!!

-યજ્ઞેશ રાજપૂત
 (આર્તનાદ ભાગ ૨)

શુક્રવાર, 19 જુલાઈ, 2019

'ના' આવડી જવાની ખુશી!

*'ના' આવડી જવાની ખુશી!!* (આર્તનાદ ભાગ-૧)
*****

હું એક શિક્ષક છું. નખશિખ શિક્ષક! પાક્કું એટલા માટે કહી શકું છું કારણ કે હું જાણું છું હું શિક્ષક છું. હું જ્યારે જ્યારે મારી ગિરેબાનમાં જોઉં છું, ત્યારે મારી જાતને હું શિક્ષક તરીકે જ જોઉં છું. ઘણા શિક્ષકો હોતા જ નથી. એ માત્ર પગારદાર નોકરી કરે છે- ભણાવવાની!! શુ ભણાવવાની?.. કોને ભણાવવાની?.. એ એમને પણ ખબર નથી! ..પણ એટલી જ ખબર છે એ લોકો નોકરી કરે છે - 'ભણાવવાની'! એ લોકો બધાને ભણાવી શકે છે.. વાલીને, અધિકારીને, સમાજને.. અને પોતાના આતમરામને પણ! ..પણ હું નથી ભણાવી શકતો- ..એમાંય મારા આતમરામને ખાસ!! એ જ્યારે મને પૂછે છે કે "આજે તે શું કર્યું?" ત્યારે હું એની સામે નજર નથી મિલાવી શકતો! અંતે.. હું એને એક જવાબ આપું છું..
*****

તમે નહીં જાણતા હોવ.. પણ હું જ્યારે આ લખું છું ત્યારે મારું હદય ભરાઈ ગયું છે.. કેમ કે મારે પૂરી પ્રામાણિકતાથી, પૂરી નિષ્ઠાથી મારું કામ કરવું છે. ..પણ નથી કરી શકતો. ડર લાગે છે, અપમાનનો! ક્યારેક ક્યારેક પાછો હિંમતવાન બનીને એનો સામનો કરી લઉં છું. પણ ક્યારેક પોતાને વિવશતાની સાંકળોમાં બાંધેલો જોઉં છું. કોઈનેય કહી નથી શકતો ત્યારે આકાશમાં જોઉં છું.. એ આશાએ.. કે 'છે કોઈ, જે અમારું સાંભળે??' જેટલા લોકો આવે છે એ માત્ર ભૂલો શોધવા જ આવે છે.. કોઈ નથી.. કોઈ નથી એવું જે અમારા મિત્ર બનીને આવે અને અમને પૂછે, "કે તમારી તકલીફ શુ છે??" કેટલું બધું કહેવું છે અમારે.. પણ હવે તો દર્દ એટલો નસૂર બની ગયો છે કે રડવુંય નથી આવતું.. અને હસવુંય નથી આવતું!! આવા વિચારોથી ઘેરાઉ છું ત્યારે ડર લાગે છે કે ક્યાંક હું 'નેગેટિવ' તો નથી બની ગયો ને?? પણ કદાચ.. એવું નથી!! હું નેગેટિવ નથી, પોઝિટિવ પણ નથી.. અને એટલો ઉચ્ચ કક્ષાએ પણ નથી પહોંચ્યો કે 'સ્થિતપ્રજ્ઞ' બની જાઉં. કારણ કે હું એક શિક્ષક છું!! મારા વર્ગમાં રહેલા ૬૦ બાળકોને હું જોઉં છું ત્યારે એ વિચાર આવ્યા વગર નથી રહેતો કે સામે બેઠેલા ૬૦ બાળકોના માતાપિતાએ મારા પર ભરોસો મુક્યો છે, કે હું એમના બાળકને સારી રીતે ભણાવીશ!! ..પણ મારા ઉપરીઓને મારા પર ભરોસો નથી કે હું એમને ભણાવીશ!! એ રોજ આવે છે અને મને બીવડાવે છે.. કે જો તું આમ નહીં કરે ને?તો.. હું તારું અપમાન કરીશ! એ અધિકારીઓ એવાં 'પગારદાર' શિક્ષકોને કશું જ નથી કરી શકતા કે જે વગવાળા છે, પૈસાવાળા છે! હું મારી આમદાનીથી માંડ મારું ધર ચલાવી શકું એ પણ છીનવાઈ જાય તો મારા કુટુંબનું શું? એ વિચારે ચડું ત્યારે બીજી 'કમાઈ' કરવાનું વિચારું છું. પણ કરી નથી શકતો કારણ કે હું એક શિક્ષક છું! અને જો કદાચ હિમ્મત પણ કરું તો હું સફળ થાઉં, એની કોઈ ગેરંટી નથી, કારણ કે હું ૬૦ મા-બાપને છેતરી શકું એમ નથી! જેટલા અધિકારી એટલા વિચાર! એક કહે આમ કરો તો બીજો કહે આમ! એક કહે તમે બરાબર કર્યું છે, તો બીજો કહે તમે બરાબર કર્યું નથી! એમનામાં કોઈ જ એકસૂત્રતા નથી! શું કોઈ પરીક્ષા પાસ કરવા માત્રથી જ એ અધિકારી બનવાને લાયક બની જાય છે?? એમને મન એ શિક્ષક સારો કે જે એમની આગળ..પાછળ.. ફરે!! 'હાજી.. હાજી..' કરે!! હું તો એ પણ નથી કરી શકતો, કેમ કે મારે ભણાવવું છે! 'હાજી.. હાજી..' કરીને સમય નથી બગાડવો! બાળકને ભણાવતી વખતે હું સમય પણ ભૂલી જાઉં છું, અરે પેશાબ કરવાનું કે પાણી પીવાનું પણ યાદ નથી આવતું, કેમ કે મને મજા આવે છે બાળકોની સાથે, એમને ભણાવવામાં!! એ કોઈનેય નથી દેખાતું કે હું ધ્યાનસ્થ છું, મારા બાળકોની સાથે.. અને ઘુસી જાય છે મારી મેડિટેશનની જગ્યામાં - મારા વર્ગમાં! સાવ ક્ષુલ્લક લાગતી બાબતમાં- 'તમે પાટલી કેમ નથી મૂકી?' કહીને એ મારા ભગવાન જેવા બાળકોની સામે મારું અપમાન કરે છે?!!બાળક બિચારું શું જાણે કે શું થયું?.. એ નિર્દોષતાથી આવે મારી પાસે.. અને એની કાલીઘેલી ભાષામાં મને કહે, "મને નથી આવડતું" ..અને હું એના પર ગુસ્સે થઈ જાઉં.. અને હળવો ધબ્બો મારતા કહું, "કેટલી વખત સમજાઉ તને.. તો યે તને નથી આવડતું.." ..અને બીજી જ મિનિટે મને સમજાય કે આવું બોલીને મેં એનું મોરલ તોડી નાખ્યું! કોઈનેય નથી ખબર, પણ એ 'હળવો ધબ્બો' મને કેટલો જોરથી વાગ્યો છે?!! કારણ કે 'હું' અને 'મારા બાળકો' - અમે એકાકાર છીએ!! એ જ્યારે મારી સામે જુએ છે એની નાનકડી આંખોથી, ત્યારે હું આખેઆખો ચિરાઈ જાઉં છું!! ..અને એ ઉપરીની આંખોમાં મને પોતાના 'અહમ'ને પોષવાની વૃત્તિનો વિજય થતો દેખાય છે!! એના ચહેરા પર કોઈને ખાલીખોટી ખખડાવવાનો આનંદ છે! એને એક પ્રકારની મજા આવે છે, પોતાના 'ઉપરીપણાં'ને સાબિત કરવાની!! એ લોકો નથી જાણતા કે "બાળક કોઈ ટેબલ પર પડેલું આધારકાર્ડનું ફોર્મ નથી કે બે મિનિટ માં ભરાઈ જાય!! એ એક 'ચેતન' છે, જેને પોતાને ગમતું કરવું છે, જેને મન મજા આવવી એ અગત્યનું છે!! દ્રોણાચાર્ય જેવા વિદ્વાન પણ એક અર્જુન બનાવી શક્યા, પોતાના ૧૦૫ વિદ્યાર્થીઓ માંથી! હવે આટલા બધા બાળકો હોય તો સ્વાભાવિક છે, બધા પર વ્યક્તિગત ધ્યાન ન રહે! તોયે અહીં તો બધાને બધું આવડવું જોઈએ નો રાગ આલાપાય છે. શું એવું ન થઇ શકે કે શિક્ષણના અધિકારીઓ પોતે એક વર્ગ દત્તક લે! કે જે ૫૦/૬૦ નો હોય?!! ..અને એ લોકો નિશ્ચિત સમયમર્યાદામાં વર્ગના બધ્ધાંજ બાળકોને બધ્ધુ જ શીખવાડી દે, ભણાવી દે!! એ લોકો પાંચ મિનિટ પણ વર્ગમાં રોકાવા તૈયાર નથી હોતા!! એ ક્યારેય વર્ગમાં નહીં બેસે, નહીં જુએ કે શિક્ષકો શુ કરે છે? કેવી રીતે કેવી સ્થિતિમાં ભણાવે છે? શું એ ક્યારેય શિક્ષકોની જેમ નીચે ન બેસી શકે? સુચનાબુકમાં માત્ર અવાસ્તવિક સૂચનાઓ લખીને એ લોકો માત્ર પોતાનો બચાવ કરવા આવતા હોય એવું લાગે છે! સુચનાબુક ક્યારે માર્ગદર્શનબુક બનશે??એક દિવસ આવવું અને ઝાઝું બધું માન માંગવું..! આવે ત્યારે મિટિંગ અને માર્ગદર્શનના બહાના હેઠળ બધાને કલાકો સુધી રોકી રાખે, એમાં એ એવું ક્યારેય ન પૂછે કે 'તમારે શું તકલીફ છે?' માત્ર પોતાની કડકાઈના અને પોતાની વણમાંગી 'એકશનો'નાં જ બણગાં ફૂંકે!! 'મેં આમ કરી નાખ્યું, અને મેં તેમ કરી નાખ્યું..' આહ.. એમને આવું બધું બોલવાની તો શું મજા આવે? 'આત્મશ્લાધા'ની પણ એક હદ હોય!! એમને મન તો પોતાનું બાળક ભણે છે એવી કોઈ 'પોર્શ એરિયાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા' અને 'બિચારા માંડ રોજી મેળવી શકનારા સરકારી શાળામાં ભણતા' બધા જ બાળકોને સરખું જ આવડવું જોઈએ!!?? અરે ભાઈ, તમારે કોઈ દિવસ તમારી પ્રિય વ્યક્તિ જોડે થોડું બોલવાનું થયું હોય ત્યારે જોજો કે તમને આખો દિવસ નહીં ગમે!! ક્યાંય મન નહિ લાગે.. હવે જે બાળક રોજ પોતાના ઘરમાં 'હાંડલા' અને 'માં-બાપ'ને કૂસ્તી કરતા જોતો હોય એને મન 'ભણવું' એના કરતા અગત્યની વસ્તુ પોતાના મિત્ર જોડે રમવું અને શિક્ષકની પાસે 'વાલી' તરીકેની હૂંફ મેળવવું વધુ જરૂરી છે!! 'ચાઈલ્ડ સાયકોલોજી'ને માત્ર પુસ્તકમાં ભણવી, એના કરતાં 'બાળમાનસ'ને સમજવા માટે તમે લોકો કશુંય બોલ્યા વગર માત્ર અડધો કલાક વર્ગમાં બેસો ને તોય અધિકારી તરીકે તમે ટૂંકમાં સમજી જાઓ કે ખાટલે ક્યાં મોટી ખોડ છે?? કોઈ બાળકને કેમ આ નથી આવડતું, એમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે એ સર્વવિદિત છે.. શિક્ષક તો માત્ર નિમિત્ત બને છે!! સાયકોલોજી ભણી હોય તો ખાસ યાદ કરજો કે 'બુદ્ધિ' વારસાગત હોઈ શકે છે. ભણેલા માં-બાપના સંતાનો થોડા જ પ્રયત્ને વધુ શીખે છે. પણ માંડ પૂરું કરતા અભણ માતા-પિતા હોય તો બાળકને શીખવામાં વાર લાગવાની!! અત્યારે સિનારિયો એ છે કે બધા બાળકને અમુક દિવસમાં બધ્ધુ જ આવડવું જોઈએ..! પછી ભલે એ શાળામાં આવે કે ન આવે!! 'મુછાળી માં' ગિજુભાઈ બધેકાએ પણ જ્યારે શિક્ષણના પ્રયોગો આચર્યા ત્યારે ચોથું ધોરણ સંભાળતી વખતે પોતાના ઉપરીઓને કહી દીધેલું કે મને મારી રીતના ભણાવવા દેજો, મહેરબાની કરીને મને કનડતા નૈ! અને 'દિવાસ્વપ્ન' જો કોઈ અધિકારીએ વાંચ્યું હોય તો(!!) યાદ હશે કે એમને પોતાના વિસ્તારના વાતાવરણ મુજબ વર્ગમાં ઘણા પ્રયોગો કરેલા, જેમાં ઘણા સફળ હતા, તો ઘણા નિષ્ફળ!! છતાંય વર્ષાન્તે ખુદ એમના જ ઉપરીઅધિકારી એમના વર્ગની સફળતાનાં વખાણ કરે છે! જેણે ક્યારેય ખુદ વર્ગમાં ભણાવ્યું જ નથી એવા લોકો શિક્ષણવિદ્વાનોની જેમ અધિકારી બનીને શિક્ષણની ચિંતા કરવા બેસે ત્યારે એમનું 'દિવાસ્વપ્ન' બિચારા ગરીબ લોકોના બાળકો જેમાં ભણે છે એવી સરકારી શાળાઓની ઘોર ખોદે એમાં શી નવાઈ??!! કારણ કે આવી સરકારી શાળાઓમાં એમનાં સંતાનો તો ભણતા જ નથી!!
*****

આતમરામનો સવાલ હજી ઉભો જ છે.. "આજે તે શું કર્યું??" મારો જવાબ - "જ્યારે મને 'હળવો ધબ્બો' જોરથી વાગ્યો ત્યારે મેં બમણી ઈચ્છાથી એ બાળકને 'ન' ની બાજુમાં કાનો કરીયે તો 'ના' થાય.. એવું શીખવાડ્યું. અને થોડીવારમાં જ એણે જ્યારે 'નાક' શબ્દમાંથી 'ના' ને શોધી કાઢ્યો, ત્યારે મેં એ બાળકની આંખમાં એક ખુશી જોઈ! 'ના' આવડી જવાની ખુશી!

મારા આતમરામે 'પ્રવૃત્તિ રજીસ્ટર'માં મારા નામની આગળ માઇલસ્ટોન પૂરો થયાનું 'ટિક' કર્યું હોય, અને પેલા અધિકારીને 'રેમેડીયલ'ની લિસ્ટમાં નાખીને ઈશ્વર સમક્ષ મોકલી આપ્યો હોય એવું લાગ્યું!!
*****

મંગળવાર, 2 જુલાઈ, 2019

Education system will sink our whole country, sure!!

એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં એટલું સારું ખાવાનું મળતું કે આજુબાજુના હજારો ગામડાઓમાં એની નામના હતી! વળી, એક જ હોટલ હોવાને કારણે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર સાથે જમતા, એટલે એ હોટલ પણ ધમધોકાર ચાલતી. ગામના સરપંચની નફાની કોઈ ભાવના નહતી, એટલે બધાને લગભગ મફતમાં જ સારામાં સારું ખાવાનું મળી રહેતું.

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "આપણે આપણા જેવાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગામના ગરીબ લોકો સાથે જમવામાં તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલું તો કેવું રહે? બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો તમને આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ. સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો. ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના એવા લોકો જ જમવા આવતા, જેઓ પેલી સમૃદ્ધ હોટલમાં ખાઈ શકવા સક્ષમ ન હતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! જો આ હોટલ બંધ થઇ જાય તો આજુબાજુના ગામડાઓમાં પોતાની ઈજ્જત શું રહે? તેથી આબરૂ બચાવવા સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એના ખાતામાં સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા. ...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!
.
.
૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******
જ્યાં હોટલનો માલિક પોતે બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ડીટ્ટો.... શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!! બધા ખાલી કાગારોળ મચાવે છે. કોઈ નક્કર પગલા ક્યારેય નહિ લેવાય! ખરેખર તો, જયારે કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એને એની હાલત પર છોડી દેવી જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..