ગુરુવાર, 5 ડિસેમ્બર, 2019

"તમે મારું ટોર્ચર કરો છો!!" (આર્તનાદ ભાગ 11)


"તમે મારું ટોર્ચર કરો છો!!"
 આર્તનાદ
(ભાગ 11)

********

સરકારી પ્રાથમિક શાળાઓમાં કોઈ બાળક સતત ગેરહાજર રહેતું હોય તો પ્રથમ ૩ દિવસ ન આવે તો બાળક દ્વારા, ૭ દિવસ ના આવે તો શિક્ષક દ્વારા, ૧૫ દિવસ ના આવે તો આચાર્ય દ્વારા, પછી એસએમસી દ્વારા અને સીઆરસી કો ઓર્ડિ. દ્વારા એમ લગભગ ૫/૬ વખત વાલીસંપર્ક કરવામાં આવે છે. એ જાણવા કે બાળક શા માટે નથી આવતું? યોગ્ય કારણ હોય તો ઠીક છે, બાકી સતત ૧ મહિના ગેરહાજર રહેતાં બાળકનું નામ માત્ર 'હાજરીપત્રક'માંથી જ કમી કરી શકાય છે! ..આ ૧ મહિના પછી ગમે ત્યારે, જો એ બાળક અને તેના વાલીને શાળાએ જવાનું/મોકલવાનું આત્મજ્ઞાન થાય તો શાળાએ એ બાળકને ફરી હાજરીપત્રક પર ચડાવવો પડે! (આવું કેટલી વખત કરવાનું, એની કોઈ સ્પષ્ટતા જ નથી!! મતલબ કે સતત એક મહિનો કોઈ પણ યોગ્ય કારણ વગર ગેરહાજર રહેનાર બાળક દર બીજા મહિને ધારે તો શાળામાં પાછું ફરી શકે છે!! આમ વર્ષાનતે 10 કરતાં પણ ઓછાં દિવસ આવીને એ બાળક જે-તે ધોરણ પૂરું કરી શકે છે, અને બધાં જ સરકારી લાભો પણ મેળવી શકે છે!! RTE મુજબ એને નાપાસ પણ કરી શકાતો નથી કે નથી એનું નામ કમી કરી શકાતું!! ..પછી બુમરાણ મચે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલાં બાળકો ભણવામાં નબળાં અને બોર્ડમાં આટલાં નાપાસ!!)

આ નિયમ કેટલો સરસ લાગે છે નૈ??

....પણ વાસ્તવિકતા સાવ ઉલટી છે!! જેમને ખરેખર ભણવું જ છે અને જેમને પોતાનાં બાળકોનાં ભણતરની ચિંતા છે, એવાં બાળકો અને વાલીઓ, ગમે તેવા સંજોગોમાં પણ પોતાનાં બાળકને ભણાવે જ છે અને બાળકો પણ ભણે જ છે!! વંદન છે એવાં વાલીઓ અને બાળકોને!!  ..પણ જેને નથી જ ભણવું.. માત્ર અને માત્ર સરકારી ફાયદાઓ જ ઉઠાવવા છે એનું કોઈ કશુંયે તોડી-ઉખાડી શકાતું નથી!!

મોટાંભાગના વાલીઓ સુપેરે જાણે જ છે કે એનું બાળક શાળાએ જાય કે ન જાય, શિક્ષકો એનું નામ કમી નથી કરી શકવાના! ..શિષ્યવૃત્તિ પણ મળવાની જ! ..પાસ પણ થવાના જ! ..અને શાળાએ પણ ન જવાની કોઈ સજા જ નહિ! ..એટલે આવાં લુપ-હોલ્સ જાણનાર અને પોતાના બાળકોની કશી જ પડી ના હોય એવા.. (રિપીટ કરું છુ.. જે વાલીઓ આવા ધડ-માથા વગરના નિયમો જાણે છે અને પોતાના બાળકોની બિલકુલ નથી પડી 'એવાં જ' નપાવટ વાલીઓ!!) ..લુખ્ખા વાલીઓ દિન-બદીન એટલી હદે વધતા જાય છે કે ક્યારેક શિક્ષકો અને શાળાને પણ હેરાન કરવામાં/દાદાગીરી કરવામાં પાછી પાની કરતા નથી! પોતાના જ બાળકોને ક્રિમિનલ બનાવવાની નાનપણથી જ ટ્રેનિંગ આપતા આવા સમાજ માટે ખતરારૂપ વાલીઓ મોટેભાગે તો સ્થાનિક રાજકારણીઓનાં ચમચા જ હોય છે! શાળાને મદદરૂપ થવાને બદલે વારેઘડીએ નાનીનાની વાતોમાં ટોળાં ભેગાં કરવા, રૂપિયા પડાવવા અને ધમકીઓ આપવી એ એમના માટે રમત વાત છે! વળી, સરકારી શાળાઓના અગણિત સારા પાસાઓને ક્યારેય ઉજાગર ના કરીને ટીવી અને પ્રિન્ટ મીડિયા પણ જાણે શાળાઓ એમની 'સૌતન' હોય એમ મારી-મચેડીને ખરાબ પાસું જ બતાવવાની હોડમાં લાગેલી હોય છે!  પાછા આવાં જ લોકો સરકારી શાળાઓ મરવા પડી છે ની સૌથી વધુ કાગારોળ મચાવતા હોય છે!!

આવા બે-જવાબદાર વાલીઓ વિશે લખવાનું કારણ દુર્ભાગ્યે કાલે જ બન્યું! મારાં જ વર્ગમાં ભણતી એક બાળકી (..એક્સ્ટર્નલ ભણતી કહી શકાય, કેમ કે એ બાળકીનું જૂન મહિનામાં એડમિશન થયા બાદ એ આજની તારીખ સુધીમાં ૭૦ થી ૮૦% દિવસ ગેરહાજર/ABSENT રહી છે!) સતત ૭-૮ દિવસ ના આવે એટલે મારો ફોન વાલીને જાય! એ વાલીનો એક જ જવાબ હોય, "કાલથી આવશે!" ..એટલે એકાદ દિવસ આવે અને પછી પાછું 'જૈસે થે' જ હોય! સતત શાળાએ ન આવે એટલે ભણવાનું પણ ન જ આવડે! વળી, આ બાળકી વાલીની એટલી માથે ચડાવેલી કે જ્યારે શાળામાં આવે ત્યારે કોઈને કોઈ ફરિયાદ હોય જ!! કોઈની નોટ/ચોપડીનું પાનું ફાડી નાંખે, પેન્સિલની અણી ઘુસાડી દે, વસ્તુ ચોરી લે, ઝઘડે-ચૂંટણી ખણી લે અને ભણવા-લખવાનું તો નામ જ નહીં! (ઓફિસમાંથી એને ચૂપચાપ ચોક લેતાં એક શિક્ષકે જોયેલું ત્યારે એણે કહેલું, "મેરી મમ્મીને બોલા હૈ ચોક લે આને કો!")

બાળકની આવી બાબતોનો એક શિક્ષક તરીકે બહુ રિસ્પોન્સ ન આપતા એને મારી બાજુમાં જ બેસાડું! ઘણી વખત અનુભવ્યું છે કે આવું બાળક શિક્ષકની બાજુમાં પણ બેસતું થાય તો પણ વર્તનમાં ઘણો ફરક પડી જતો હોય છે, પણ એ પોઝિટિવ ફરક માટે બાળકનું શાળામાં રેગ્યુલર આવવું જરૂરી છે! ..એ બાળકી રેગ્યુલર તો છે જ નહીં! બે દિવસ આવે પછી ચાર દિવસ ના આવે, અને પછી અચાનક એક દિવસ પ્રગટ થયા પછી પાછી એબ્સન્ટ!! આવી પરિસ્થિતિમાં હું એના પપ્પાને ફરિયાદ કરું! રોજ શાળાએ મોકલવા, અને ભણવા પર ધ્યાન આપવા કહું!

કાલે અચાનક એનાં પપ્પાનો ફોન આવ્યો, અને ગુસ્સામાં મને કહે કે "મને તમારાથી તકલીફ છે. તમારું નામ પ્રગનેશ છે એ મને યાદ છે અને હું તમારી છેક ઉપરના લેવલ સુધી ફરિયાદ કરવાનો છું કારણ કે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો."

"હેં.." મને નવાઈ લાગી, "શુ કીધું? ટોર્ચર?"

"હા.. ખાલી મને જ નહીં, પણ સ્કૂલના બધા જ વાલીઓ પર તમે ટોર્ચર કરો છો." એ કહે, "મને વારેઘડીએ ફોન કરીને તમે 'મારી છોકરી ભણવા નથી આવતી..' અને 'ઘરે ભણવા બેસાડો..' અને 'વર્ગમાં કશું લખતી નથી..'..ને આવું બધું કહી કહીને તમે મને અને બીજા વાલીઓને ટોર્ચર કરો છો એટલે હું મારી છોકરીને તમારી સ્કૂલમાંથી ઉઠાવી લઈને તમારાં મોટાં સાહેબો સુધી છેક ઉપરનાં લેવલ સુધી હું તમારી ફરિયાદ કરવાનો છું કે તમે મને અને બીજા વાલીઓને મેન્ટલી ટોર્ચર કરો છો."

મેં પૂછ્યું, "બાળક સ્કૂલમાં નિયમિત આવે જ નૈ, ભણવામાં ધ્યાન જ ન આપે કે પછી કશું ન કરવાનું કરે.. તો એની જાણ અમે તમને કરીએ એને તમે મેન્ટલી ટોર્ચર કહો છો?"

"હા.." એ કહે, "મેન્ટલી ટોર્ચર જ કહેવાય ને! તમારું કામ બાળકોને ભણાવવાનું છે અને સંસ્કાર આપવાનું છે. નાનું બાળક સ્કૂલે આવે કે ના આવે એ તમારે નથી જોવાનું!"

(એની સાથે અડધી કલાક થયેલી વાતચીતના કેટલાંક અંશો રજૂ કરું છું:-)

"એ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એને ભણાવવાનું હોય.."
"નાનું બાળક છે એ.. સ્કૂલમાં આવે પણ ખરા અને ના પણ આવે.."
"તમારું કામ એને સંસ્કાર આપવાનું અને સુધારવાનું છે.." "એને મારો અને સુધારો.."
"હું ક્યારેય તમને એવું કહેવા નહીં આવું કે તમે એને કેમ માર્યું?"
"બોલો ઉઠાવી લઉં તમારી સ્કૂલમાંથી.. બોલો.."
"રીસેસમાં બાળક ઘેર આવી જાય એમાં શુ ફોન કરવાનો.. એ તો બાળક છે, એને તો એમ જ લાગે ને કે સ્કૂલ છૂટી ગઈ!"
"હું રાતના બાર વાગે ઘેર આવું છું.."
"ના.. મેં એની નોટ ક્યારેય ચેક નથી કરી.."
"તમારા આચાર્યને તમારી ફરિયાદ એકવાર તો કરવી જ પડશે.."

(પ્રજ્ઞા વર્ગમાં બાળકે ટુકડી પ્રમાણે કલાસ બદલવાના હોય છે એ બાબતે..અંદાજે ૩ મહિના પહેલાં 'આ જ વાલીએ' મારાં પ્રજ્ઞા વર્ગ ટુકડીના પાર્ટનર શિક્ષિકાબેન સાથે અભદ્ર વ્યવહાર કરતા એવું કહેલું, "આ બધી શું ભવાઈઓ માંડી છે?.. ગુજરાતી અહીં ભણવાનું અને ગણિત બાજુમાં..!! શું નાટક કરો છો તમે બધા ભેગાં થઈને..? મારી છોકરીએ આજે અહીં બેસવાનું અને કાલે બાજુમાં..!! મારી છોકરીને તમારે વર્ગમાં બેસાડવી નથી એમ કહોને..!")
.
.
.
...અડધો કલાક વાત ચાલી! છેલ્લે એને એની ભૂલ સમજાતા "સોરી સાહેબ.. કઈ બોલાઈ ગયું હોય તો.." કહીને ફોન મૂક્યો! મારી ગરિમા/સ્વમાનનું હનન કરીને એનાં તુચ્છ "સોરી"નું મારે મન કોઈ મૂલ્ય જ નથી!

મફતમાં બધું મળે છે, એટલે આવાં વાલીઓને મન સરકારી શાળા 'ગામભાભી' બનીને રહી ગઈ છે! હજારોની ફી લેતી ખાનગી શાળા હોત તો RTE ને ભૂલીને તાત્કાલિક સર્ટી આપી દેત! ..અને બીજું સત્ય એ પણ છે જ કે ખાનગી શાળામાં હજારો ની ફી ભર્યા પછી પણ એ ત્યાં એવું ના કહી શકતો કે "તમે મારુ ટોર્ચર કરો છો!''

શિક્ષક પર ભરોસો જ ના હોય એવાં વાલીઓને તાત્કાલિક સર્ટી આપી દેતાં આચાર્યો અને અધિકારીઓ ભૂતકાળમાં હતાં, હજીયે ક્યાંક હશે! અમારે તો આવાને સર્ટી આપીએ તો RTE નામે ધમકાવવાવાળા પડ્યા છે!!

વંદન એવાં ખુમારી વાળા આચાર્યોને અને અધિકારીઓને, કે જેઓ પોતાનાં શિક્ષકોનું સ્વમાન હણાવા દેતાં નથી!!


*ડોન્ટ થિંક એવર*

મેં ક્યાંક વાંચેલું છે કે આપણાં ગુજરાતમાં જ એવો એક રાજવી થઈ ગયો કે જેણે ફરજીયાત શિક્ષણ દાખલ કરેલું! ..અને જો વાલી બાળકને નિયમિત શાળાએ ના મોકલે તો એની પાસે દંડ ઉઘરાવવાની તથા જેલ મોકલવા સુધીની જોગવાઈ કરેલી! ધન્ય છે એ રાજવી!! અત્યારે તો માત્ર વૉટબેન્ક જોવાય છે! દેશનાં એ 562 રજવાડાઓ પ્રજાનું વધારે ભલું કરતાં હશે, આ આજનાં 2-3 લાખ નેતાઓ કરતા!!

મો.રફીકભાઈ જેવાં હજારો વાલીઓને પણ વંદન, કે જેમને ઘર બદલ્યાને ચોથા જ દિવસે પોતાની દીકરી રૂકસારનું સર્ટી લઈને બીજી શાળામાં નામ લખાવી દીધું, જેથી એનું ભણતર ના બગડે!!

મંગળવાર, 3 ડિસેમ્બર, 2019

થોડાં દિવસ પહેલાની આ બે સત્ય ઘટનાઓ શેર કરું છું..

(૧)
એક મોટાં અધિકારી મારી શાળામાં આવ્યા. એમને જાણવામાં આવ્યું કે મારી દીકરી મારી શાળામાં જ ભણે છે. તો એમને ભારોભાર નવાઈ લાગી! શાળાનાં વર્ગોની વિઝીટ પછી મને અને મારી અર્ધાંગિનીને એમણે પૂછ્યું, "તમે તમારી દીકરીને અહીંયા ભણાવો છો તો તમને બધાં કૈક તો કહેતાં હશે ને?"

(૨)
ગુણોત્સવ સંદર્ભે SI (સ્કૂલ ઇન્સ્પેકટર) શાળાઓમાં આવવાના હોઈ એક અધિકારી મારા પ્રજ્ઞા વર્ગ મુલાકાતમાં આવ્યા. મારી દીકરીને જોઈને કહે, "તમે અહીં કેમ તમારી દીકરીને ભણાવો છો?"

******

લગભગ આવા જ એકસરખાં સવાલો મને (..અને મારી જીવનસંગીનીને પણ!!) હજારો વખત પુછાય છે! મારી પાસે આનો કોઈ જવાબ નથી! ..પણ બે વાર્તાઓ છે:

(૧)
એક વખત એક સ્ત્રી પોતાના બાળકને લઈને તથાગત બુદ્ધ (..કે પછી ગાંધીજી હોય, ખબર નઈ! મને ભગવાન બુદ્ધ વધુ સ્યુટેબલ લાગે છે!) આવી. તે કહે, "ભગવન, મારું બાળક માત્ર ગોળ જ ખાય છે. એને બીજું પણ કંઈક ખાવા સમજાવો. એ મારું માનતો નથી."

બુદ્ધે એને પંદર દિવસ પછી આવવા જણાવ્યું!
પંદર દિવસ પછી તે સ્ત્રી ફરી ભગવાન બુદ્ધ પાસે ગઈ, અને પોતાનાં બાળકની તકલીફ કહી. બુદ્ધે તે બાળકને પોતાની પાસે બેસાડી માત્ર ગોળ ન ખાવા સમજાવ્યું.

સ્ત્રીને નવાઈ લાગી! તેણે તથાગતને પૂછ્યું, "આજ વાત તમે પંદર દિવસ પહેલાં પણ કહી શક્યા હોત! મારે બે ધક્કા ન થાત ને??!!"

બુદ્ધે કહ્યું, "ત્યારે હું પણ ગોળ ખાતો હતો! જો હું જ ગોળ ખાતો હોઉં તો તમારા બાળકને કેવી રીતે ન ખાવા  કહી શકું? પંદર દિવસથી મેં ગોળ ખાવાનો બંધ કરી દીધો છે, એટલે હવે એને માત્ર ગોળ ન ખાવાનું કહી શકું છું."

(૨)
એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં 'મફતમાં કહી શકાય' એવાં સસ્તા દરે એટલું સારું ખાવાનું મળતું કે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર એ હોટલમાં સાથે જ જમતા! સરપચ પણ ત્યાં જ કુટુંબ સાથે જમવા જતા!

એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને  એણે સરપંચને કહ્યું કે, "તમે આ ગામનાં રાજા છો. તમારે ગામનાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગરીબ લોકો સાથે જમવાથી તમારું સ્ટેટ્સ નીચું જાય છે."

સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલીશ! બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી તો હું એક રૂપિયો પણ નહિ લઉં!!"

વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ! સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો! ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા  'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!

થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના ગરીબ લોકો જ જમવા આવતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એમને સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા.

...પણ બધું જ વ્યર્થ!!  કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!

શું થશે આ હોટલનું??

કદાચ.. ૧૦૦%.. આ હોટલ ડૂબશે!!

*******

શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!!..

શિક્ષણ ખાતામાં જ કામ કરતા ૯૯.૯૯% ઉપરથી માંડીને નીચે સુધી બધાં જ (રિપીટ.. ૯૯.૯૯%બધાં જ!!) પોતાના બાળકોને મોટી-મોટી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણાવે છે, અને સરકારી શાળાઓ ડૂબવાની અને બંધ થવાની કાગારોળ મચાવે છે!! જ્યાં હોટલનો માલિક પોતે જ બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ખરેખર તો, સરકારી સ્કૂલોને બચાવવું એ 'આંધળાઓનાં નગરમાં અરીસો વેચવા જેવું છે!!" કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એનાં ઉપર જાતજાતનાં અભિગમો અને પ્રયોગો લાદવા કરતાં એને એની હાલત પર છોડી દેવું જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!

********

"અમારી દીકરીને નાનપણથી જ અમે કોઈ જ જાતનું 'ભણવાનું' બર્ડન નહી આપીએ!





હાલ જ 'મેન્ટલ એરીથમેટીક' શીખવવા મારી દીકરીને એક કલાસીસ જોઈન કરાવ્યું! પ્રથમ લેવલ પાર કરતાં સુધીમાં જ હું અનુભવું છું કે ખાનગી સંસ્થાઓ બાળકોને 'બાળક' તરીકે નહિ, પણ 'હ્યુમન રોબોટ/મશીન' તરીકે જુએ છે, અને વાલીને 'રૂપિયા ઓકતાં ગરજાઉ ઘરાક' તરીકે! મને આજ સુધી મારી દીકરી કેવાં વર્ગમાં ભણે છે, તે પણ જોવાંની પરમીશન નથી આપતા! બે કલાકનાં શિક્ષણકાર્યમાં એ લોકો એટલું બધું હોમવર્ક આપે છે કે સામાન્ય બાળકની બુદ્ધિ બહેર મારી જાય! ધન્ય છે મારી દીકરી અને એનો ગ્રાસ્પિંગ પાવર! આ નાનકડાં પાવરહાઉસને મેં ક્યારેય થાકતા નથી જોયું, પણ ત્રણ દિવસ પહેલાં મેં એનાં ચહેરાં પર થાક જોયો!














શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..

સોમવાર, 25 નવેમ્બર, 2019

'મૂછાળી માં' રીટર્ન્સ!!

'મૂછાળી માં' રીટર્ન્સ!!

*********

આ લેખ સંપૂર્ણપણે કાલ્પનિક છે! પ્રસંગોનો આધાર ગીજુભાઈ બધેકાના પાત્ર 'લક્ષ્મીરામભાઈ માસ્તર'નાં 'દિવા સ્વપ્ન'માંથી લેવામાં આવ્યાં છે, જેની સંપૂર્ણ ક્રેડીટ હું 'ગીજુભાઈ બધેકા'ના લેખનને અને તેમના જે આધારભૂત માલિકો છે તેમને આપું છું! કોઈનોય યશ લેવાનો મારે મન સહેજ પણ ઈચ્છા નથી! પીટીસીમાં ભણતી વખતે જયારે 'દિવા-સ્વપ્ન' અને 'તોતોચાન' વાંચેલું ત્યારે વિચાર હતો કે જેવું લક્ષ્મીરામભાઈ માસ્તર બાળકોને ભણાવતા, એમ ભણાવીશું! ...પણ વાસ્તવિક દુનિયામાં જયારે 'સરકારી માસ્તર' તરીકે શિક્ષક બન્યો ત્યારે આ જીવતાં-જાગતાં હયાત 'લક્ષ્મીરામભાઈ માસ્તર'(...એટલે કે હાલના પ્રાથમિક શિક્ષકો!!)ની શી વલે થાય છે? એ સંપૂર્ણપણે કાલ્પનિક રીતે વર્ણવ્યું છે! કોઈનાય નિર્ણયોને હું પડકારતો નથી કે નથી વિરોધ કરતો! આ માત્ર મનોરંજન માટે લખેલો લેખ છે!

********

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. (સોર્સ: વિકિપીડિયા)

********

પ્રથમ ખંડ
પ્રયોગની શરૂઆત

(૧)

હું મારા બધા જ સર્કેટીફીકેટ લઈને કેળવણીના વડા પાસે ગયો અને પ્રાથમિક શાળાનો એક વર્ગ સોંપવાની માંગણી કરી. ઉપરી સાહેબ હસ્યા અને કહ્યું, "તમારા બધા જ ડોક્યુમેન્ટ તો બરાબર છે, પણ તમે ટેટ પાસ નથી એટલે તમે નોકરી કરવાને લાયક બનતાં નથી! મહેરબાની કરીને તમે પહેલા ટેટ પાસ કરી આવો પછી હું તમને એક પ્રાથમિકનો વર્ગ સોપું!"

હું મૂંઝાયો, કહ્યું,"ટેટ પાસ કરવી જરૂરી છે? મેં ઘણું વાંચ્યું વિચાર્યું છે. શિક્ષણ પ્રત્યેની મારી કલ્પનામાં કેટલું સત્ય છે એ મારે વાસ્તવિકતા આણવી છે જેથી મને સમજાય કે કેટલું સત્ય છે અને કેટલું પોલાણ?"

"એવું ના ચાલે.. તમે કહો એટલે મારે કરવાનું?!.." ઉપરી ખીજાયા, "જુઓ, મારે ઘણા કામ છે. તમે ટેટ પાસ કરીને આવો પછીં વાત કરીએ!આવી રીતે તો ઘણા લોકો પ્રયોગો કરવા આવે! ..અને એનો અબાધિત અધિકાર તો અમારી પાસે છે."

એટલામાં એ ઉપરીનો મોબાઈલ રણક્યો, સામે છેડેથી કોઈ એમનું પણ ઉપરી બોલતું હતું! ફોન મૂક્યા પછી એ સાહેબ હસતાં હસતાં બોલ્યા, "તમારે પહેલાં કહેવું જોઈએ ને તમે મોટાં સાહેબના ઓળખીતા છો! આ બધી ભાંજગડ જ ના થાય ને??"

હું મરક્યો! ઉપરી સાહેબે વધુ સમય બગાડ્યા વગર કહ્યું, "પણ તમારે શિક્ષક બનવા માટેનો બ્રિજકોર્ષ કરવો પડશે. એ સિવાય નહિ ચાલે!"

 "ચોક્કસ કરી લઈશ. મને ખાલી જણાવજો કે ક્યારે ફોર્મ ભરાય છે?"

જવાબમાં એ સાહેબે ચશ્માંમાંથી આંખો બહાર કાઢી કહ્યું, "છાપું અથવા શિક્ષણની સાઈટ જોતું રહેવાનું! ખબર પડી જશે કે ક્યારે ફોર્મ ભરાય છે? વારુ, બોલો ત્યારે કઈ જગ્યાએ પ્રાથમીકનો વર્ગ આપું?"

મેં મારા ઘરનું સરનામું ધર્યું, જેથી મને મારા ઘરની નજીક શાળા મળી શકે! મારે આમેય ખાલી શિક્ષણ  સુધારણાના  પ્રયોગો  જ કરવા હતા!

"લોકો દસ-દસ વર્ષ સુધી રાહ જોવે છે ત્યારે માંડ-માંડ એમને વતન નસીબ થાય છે! તમે નસીબદાર છો કે તમને ઘરની નજીકની જ શાળા મળશે." પેલાં ઉપરીએ કહ્યું, "બહાર થોડીવાર બેસો.. હું તમારો ઓર્ડર કઢાવું છું."

અડધો કલાક વીતી ગયો હોવા છતાં ઓર્ડર ના મળતા હું ઓફિસમાં ગયો, અને ઓર્ડર વિષે પૃચ્છા કરી! જવાબ મળ્યો, "રિશેષ પડી ગઈ છે એટલે બધા ક્લાર્કો જમવા બેઠા છે. થોડીવાર લાગશે!" એટલે હું પોતે પણ ભૂખ્યો થયો હોવા છતાં ઓફિસની બહાર બાંકડા પર બેસી રહ્યો! ત્યાં અનુભવ્યું કે કેટલાંક શિક્ષકો પોતાનાં નાના-મોટાં કામો સર્વિસ બુકમાં ના નોંધાવા બદલ અકળાઈને બેઠાં હતા!

આખરે રિશેષ પૂરી થઇ અને મને પ્રવાસી શિક્ષકનો ઓર્ડર મળ્યો! મેં ઉપરીને વિનંતી કરી, "મહેરબાની કરીને શાળામાં એવું ના કહેતાં કે હું કોણ છું? જો શાળા-સ્ટાફ જાણશે કે હું ગાંધીનગરવાળા સાહેબનો પરિચિત છું તો મારાથી સજાગ બની જશે! મારે તો શાળા, શિક્ષક અને બાળકોની વાસ્તવિકતા જોવી અને જાણવી છે!"

સાહેબ મંજુર થયા, અને મને શિક્ષક-બોન્ડ પર સહી કરાવી! આ બાબતની પૃચ્છા કરતા ઉપરીએ કહ્યું કે, "જુઓ તમે એક વર્ષ સુધી નોકરી નહિ છોડી શકો!"

આ સાંભળી હું અંદરથી રાજી થયો! તેઓએ મને પ્રવાસી શિક્ષકની  નિયમાવલી આપી! પગારભથ્થા ન લેવા મેં કહ્યું તો કહે, "જો પગારભથ્થા નહિ લો તો બધાને ખબર પડી જશે કે તમે કોણ છો?" છેવટે મેં સ્વીકાર્યું અને નિયમાવલીને આદરથી જોઈ ગયો!

"કયું વર્ષ (ધોરણ!!) મને આપશો?" મેં પૂછ્યું! ..તો ઉપરીએ સંભળાવ્યું, "એ આચાર્ય નક્કી કરશે. મોટેભાગે તો જે ધોરણમાં શિક્ષકો ઓછા હશે એ જ મળશે! ..અને બીજી વાત એક વખત ધોરણ સ્વીકાર્યા પછી ત્રણ વર્ષ સુધી બદલી નહિ શકો!!"

આખરે મેં ઓર્ડર ખિસ્સામાં મૂક્યો. એ સાહેબ હું બહાર નીકળું એ પહેલા છેલ્લી વખત બોલ્યા, "તમારે  જે કરવું હોય એ છૂટ, પણ બધું નિયમોમાં રહીને કરજો! તમારે પરિપત્રોને પણ અનુસરવાના રહેશે અને અઠવાડિક પરીક્ષાને આધારે તમારું મૂલ્યાંકન થશે.. એ યાદ રાખજો!"

મેં કહ્યું, "કબૂલ છે. આપ મને અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારૂ કામ બતાવી સંતોષ પામીશ. આપ જ મારી સફળતા-નિષ્ફળતાના કારણો સમજી શકશો!"

આટલું બોલી હું ઓફિસમાંથી બહાર નીકળ્યો!

(૨)

પ્રવાસી શિક્ષકનો ઓર્ડર લઈને હું સીધો જ શાળાએ પહોચ્યો. જેથી ખબર પડે કે કયું વર્ષ મને અખતરાઓ માટે મળવાનું છે? શાળાનાં મેદાનમાં બે-ત્રણ છોકરાઓને જોઇને 'ઓફીસ ક્યાં છે?' એવું પૂછ્યું, તો એમણે મને સામો સવાલ પૂછ્યો, "કઈ ઓફીસ? હિન્દીવાળાની, ગુજરાતીવાળાની  કે ઉર્દુવાળાની?"

હું મૂંઝાયો! મેં ઓર્ડર ખિસ્સામાંથી બહાર કાઢ્યો, અને 'ગુજરાતી શાળા નં ૪' લખેલું જોઇને કહ્યું, "ગુજરાતી ઓફીસ"

પેલાં છોકરાઓએ બતાવેલી દિશામાં હું આગળ વધ્યો અને ઓફિસમાં દાખલ થયો. ઓફિસમાં પાંચ-પાંચ જણને જોઇને કોણ આચાર્ય હતું, એ સમજાયું જ નહિ! બે જણ કોમ્પ્યુટર પાસે બેઠા હતા! બે જણ ફાઈલો ખતાળી રહ્યા હતા, અને એક જણ તિજોરી પાસે ઉભું હતું! બધાં પરસેવે રેબઝેબ હતા! મને એ બધાને ડીસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગ્યું, પણ હવે હું પણ આ શાળાનો સભ્ય હોઈ આદરથી પૂછ્યું, "આ ગુજરાતી શાળાની જ ઓફિસને??"

આ સાંભળી ફાઈલ ખતાળી રહેલાં એક બેન ફરિયાદની ભાષામાં બોલ્યા, "મોટાંબેન, મુસ્કાનના વાલી આવી ગયા છે. એનું સર્ટી લેવા!!"

તિજોરીમાંથી ડોકું નાખીને કૈક શોધી રહેલાં મોટાંબેને આ સાંભળીને ડોકું બહાર કાઢ્યું, અને એકદમથી ખીજાઈને બોલ્યા, "કેમ મુસ્કાન ભણવા નથી આવતી? એક મહિનો થયો.. કેટલી વાર ફોનો કરવાના તમને? પાછાં ફોનેય બંધ રાખો છો અને ઘરે પણ કોઈ હોતું નથી! અમારે શું કરવાનું બોલો??"

આવા સ્વાગતથી હું ડઘાઈ ગયો!! મેં તરત જ હાથમાંનો ઓર્ડર પેલાં 'વિકરાળ' મોટાંબેન સામે ડરતાં ડરતા લંબાવ્યો!! 'સરકારી' કાગળ જોઈ પેલાં બેન ચોક્યા, અને કોમ્પ્યુટરમાં કામ કરતાં ભાઈને કહ્યું, "ઓ મુકેશભાઈ, આ જોવો તો શું છે?" ..એટલું બોલીને એ પાછા તિજોરી ખાતાળવા લાગ્યા!

"લાવો.." મુકેશભાઈએ મારી સામે હાથ લંબાવ્યો. કાગળ જોઈ એ બોલ્યા, "મોટાબેન આ તમારા કામનું છે. શાળામાં નવા શિક્ષક આવ્યા છે."

આ સાંભળીને મોટાબેનનાં ચહેરાં પર તરત જ ચમકાવી ગઈ! એમણે તીજોરી છોડી મારો ઓર્ડર હાથમાં લીધો અને પ્લાસ્ટીકની 'નબળી' ખુરશી બતાવી બેસવા ઈશારો કરી ખુશ થતાં કહ્યું, "ભલું થાજો બાપા.. આખરે શિક્ષક મળ્યા ખરા!!"

..પછી સાડીના છેડાથી પરસેવો લુંછતા મને 'મુસ્કાનના વાલી' સમજવા માટે મોટાબેને માફી પણ માંગી અને એ પણ જણાવ્યું કે કેવી રીતે ઉપલી ઓફિસોમાંથી અડધા જ કલાકમાં તાત્કાલિક બધી માહિતીઓની હાર્ડ અને સોફ્ટ કોપી મંગાવવામાં આવી હોઈ બધા વર્ગો ભેગા કરીને શાળાનાં ચાર શિક્ષકોને વર્ગ છોડીને ઓફિસમાં રોકવામાં આવ્યા હતા!!






રવિવાર, 24 નવેમ્બર, 2019

સફાઈ પણ જોઈએ અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ! (આર્તનાદ ભાગ 10)

*'સફાઈ પણ જોઈએ અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ' એટલે શું?*
આર્તનાદ
(ભાગ 10)
*********

થોડાં દિવસ પહેલા અચાનક અમારી શાળામાં મધ્યાહ્ન ભોજનનું ચેકિંગ આવ્યું! એમ.ડી.એમ.યોજનાનાં કોઈ અધિકારી બાળકોને અપાતા મીડ-ડે ભોજન વિષે થોડી પૃચ્છા કરવા/જાણવા માંગતા હતા! અમારા આચાર્યશ્રીએ એમની સમક્ષ મારી સામે આંગળી ચીંધી કહ્યું, "આ સાહેબ મીડ-ડે ભોજન ઘણીવાર ચાખતા હોય છે. તમે એમને જ પૂછો, જે પૂછવું હોય એ!!"

એ અધિકારીએ મને પૂછ્યું, "ભોજન કેવું આવે છે? કોઈ સુધારો હોય કે પછી કોઈ ફરિયાદ હોય તો કહો."

સૌથી પહેલી નવાઈની વાત તો એ હતી કે જયારે એ અધિકારીઓ આવ્યા ત્યારે શાળામાં મધ્યાહ્ન ભોજન ચાલુ જ હતું!! ..અને એ અધિકારીઓ મધ્યાહ્ન ભોજનનાં શેડમાં જઈને બાળકોને રૂબરૂ આ સવાલ પૂછવાની જગ્યાએ ઓફીસમાં બેસીને મને પૂછી રહ્યા હતા! મતલબ કે પોતાનાં પ્રોડક્ટ વિશે એ પોતાના ગ્રાહકોને નહિ, પણ થર્ડ પાર્ટીને અભિપ્રાય આપવાનું કહેતા હતા!

મેં એમને એકદમ વિનમ્રતાથી સીધો જ સવાલ પૂછ્યો, "તમે પોતે ક્યારેય ભોજન કેવું આવે છે એ ચાખ્યું છે ખરા?"

...તો એ અધિકારી ખંધુ હસતાં હસતાં, અને સાચું કહું તો 'સોગીયું' મોઢું કરી કહે, "ના, મેં તો ક્યારેય ચાખ્યું જ નથી!"

"..તો તમારે એકવાર તો ચાખવું જ જોઈએ.." મેં કહ્યું, "..પૂછવાની જરૂર જ નહિ પડે કે કેવું આવે છે?!!"

મને એમ હતું કે એ 'ભોજન' મંગાવશે અને ચાખશે! ..પણ એવું કશું જ ના બન્યું!! એ કશું જ ના બોલ્યાં! ચૂપ રહ્યા! થોડાં મૂંઝાયા.. એમનું મો જોઇને એવું લાગ્યું કે જાણે એ એવું વિચારતા હોય કે 'અહી ક્યાં આવી ગયા?!!'

જોકે વાંક એમનો નથી.. વાંક અમારો છે!! અમે ક્યારેય કોઈનેય સાચું કહી શકતા નથી! કોઈ અધિકારી કોઈ બાબતે પૂછે કે 'તમને આ ગમ્યું?' ત્યારે અમને 'ના' ગમતું હોવાં છતાં અમારામાંથી મોટાભાગનાં એમની 'ગુડ બુક'માં રહેવા માટે અને એમની ખુશામત કરવા માટે 'હા' પાડીએ છીએ! ..પછી આવા જ ખોટાં અભિપ્રાયોથી શિક્ષણને લાગતો કોઈ નવો અભિગમ/નિયમ આવે ત્યારે બુમરાણ મચાવીએ છીએ! અમુક સાચાબોલા શિક્ષકોનો અભિપ્રાય લઘુમતીમાં હોય એટલે એમનું કોઈ સાંભળે જ નહિ! ..અંતે ઘોર તો 'શિક્ષણ'ની અને 'બાળકો'ની જ ખોદાય!

મધ્યાહ્ન ભોજનમાં અમુક સુધારા કરવા જેવી બાબતો એમને કહી તો એ અધિકારી કહે, "આની આગળ તો અમને આવું કોઈએય કહ્યું નથી!"
"નહિ કહ્યું હોય.. હું તો કહું છું!!" મેં કહ્યું. અંતે એ આ 'સુધારા' લખીને ગયા તે ગયા.. આજ સુધી ડોકાયા નથી!! 'સફાઈ પણ જોઈએ છે, અને કપડાં પણ ગંદા ના થવા જોઈએ' તે આનું નામ!!

સોમવાર, 18 નવેમ્બર, 2019

એક BLO ની બબાલ!! (આર્તનાદ ભાગ ૯)

એક BLOની બબાલ!!
(આર્તનાદ ભાગ ૯)

*******

*આ ૧૦૦% સત્યઘટનાઓ છે!!*

સત્યઘટના ૧ :-

હજુ તો એ શિક્ષિકાને નોકરી લાગ્યાને ત્રણ જ દિવસ થયેલાને બી.એલ.ઓ.નો ઓર્ડર આવી ગયો! રવિવારે મતદારયાદી સુધારણામાં શાળાએ બેસવાનું હતું. બીએલોના કામના બિનઅનુભવી એ શિક્ષિકા પાસે એક મુસલમાન ભાઈ નવું ફોર્મ-૬ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાએ ફોર્મમાં સરનામાંની કોલમ ભરવા એ ભાઈને પૂછ્યું, "ક્યાં રહો છો?"

"પાકિસ્તાનમેં.." એ ભાઈ બોલ્યા.

પાકિસ્તાનનું નામ સાંભળીને એ શિક્ષિકાબેન ચોકયાં! એમણે વિચાર્યું, 'આ ભાઈ તો પાકિસ્તાનથી આવેલા લાગે છે!' એમણે એ ભાઈને થોડીવાર ઉભું રહેવા જણાવ્યું. થોડીવાર પછી એક બીજા મુસ્લિમભાઈ ફોર્મ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાબેને પૂછ્યું, "ક્યાં રહો છો?"

એ ભાઈ દાઢીએ હાથ ફેરવતા બોલ્યા, "પાકિસ્તાનમેં.."

હવે આ શિક્ષિકા ખરેખર મૂંઝાયા! એ તરત જ એમના સિનિયર કામચલાઉ આચાર્ય પાસે ગયા, કે જેઓ પોતે પણ બીએલો(!!??) જ હતા, અને કહ્યું, "પેલાં બે મુસ્લિમ ભાઈઓ પાકિસ્તાનથી આવ્યા છે, એવું કહે છે, તો શું કરું??"

એ આચાર્યે હસતા હસતા કહ્યું, "પાકિસ્તાન એટલે.. આપણી સ્કૂલની બાજુમાં વસંતગજેન્દ્રગડકરનગર છે ને?.. ત્યાં બધા મુસલમાનો જ રહે છે એટલે બધાએ એનું નામ પાકિસ્તાન પાડી દીધું છે! એ કઈ અસલીમાં પાકિસ્તાનમાં નથી રહેતા. તમતમારે એમના ફોર્મ ભરી નાખો."

સત્યઘટના ૨:-

(પાંચેક વર્ષ પહેલાની આ ઘટના યાદ આવતાની સાથે જ હું આજે પણ ફફડી જાઉં છું!! (બી.એલ.ઓ.મતલબ.. બીએલો- 'બી ગયેલો'..યુ નો??)

સાંજના સવા છ વાગી ગયા હતા. શિયાળાનો સમય એટલે અંધારું પણ ઘેરાયું હતું. રજાના દિવસે વધારે કામ થાય એ હેતુથી હું સવારથી જ અહી બી.એલ.ઓ.ના કામ માટે આવી ગયેલો!  સાંજ સુધીમાં ચાર માળીયાઓમાં સીડીઓ ચડી-ચડીને અને ફરી-ફરીને હું સજ્જડ થાકી ગયેલો. આખા દિવસમાં માંડ હું આઠ બ્લોક ફરી શકેલો. કોઈ પાણીનોય ભાવ પૂછતું નહતું! ઘર ખખડાવીએ એટલે શંકાની નજરે જુએ! કોઈ અજાણ્યા આદમીને જોતાની સાથે જ 'કોન હો તુમ?' 'કહાં સે આયે હો?'.. જેવાં ભારેખમ વાક્યો બોલતા બધા ભેગા થઈ જાય અને પોલીસ કરતાંય ખતરનાક ઇન્વેસ્ટીગેશન કરે એવી આ જગ્યા!!

હજુ ઘણું કામ બાકી હતું. જુના શિક્ષકોએ મને એટલો તો ચેતવેલો કે 'રાતે આ જગ્યાએ કામ નઈ કરવાનું..!' ..પણ મેં હોશિયારી કરીને હજુ એક બ્લોક ફરવાનું વિચાર્યું! યાદીમાંથી ઘર નંબર જોયો અને બ્લોકમાં ઘૂસીને ઘર શોધ્યું. દરવાજાની તિરાડમાંથી લાઈટનો પ્રકાશ આવતો હતો, એટલે મેં દરવાજો ખખડાવ્યો! લોબીમાં સાવ અંધારું થઇ ગયું હતું.

મેં નોંધ્યું કે દરવાજો ખખડાવતાની સાથે જ અંદર આવતા અવાજો બંધ થઇ ગયા હતા. થોડીવાર સુધી કોઈએ દરવાજો ના ખોલ્યો.. એટલે મેં ફરી દરવાજો ખખડાવ્યો, અને બુમ લગાવી, "ખોલો.."

થોડીવાર પછી દરવાજો સહેજ ખુલ્યો! અંદરથી એક 6 ફૂટ ઊંચા પઠાણ જેવા લગતા ભાઈએ થોડું માથું કાઢી પૂછ્યું, "કિસકા કામ હૈ?"

"યે ચૂંટણીકાર્ડકા કામ હૈ.." મેં યાદીમાં નામ જોઈ પૂછ્યું, "..યે.. ..ભાઈ યહાં રહેતે હૈ?"

"ચૂંટણીકાર્ડ??.." પેલાં પઠાણીએ પૂછ્યું.

""હાં.."  મેં કહ્યું.

"તુમ યહાં કા ચૂંટણીકાર્ડ બનાતે હો??.." પેલાંએ ફરી પૂછ્યું.

"હાં.." હું અકળાઈને બોલ્યો! ...તરત જ એ પઠાણી મુસલમાને ઘરનો દરવાજો ખોલ્યો અને મારો હાથ પકડીને ઘરની અંદર ખેંચી લીધો!!

એકદમ થયેલા આવા રી-એક્શનથી હું તો ડઘાઈ જ ગયો! ઘરમાં ખેંચતાની સાથે જ એણે દરવાજો બંધ કરી દીધો.. અને દરવાજે ઉભો રહી ગયો!! માત્ર ચંદ સેકન્ડોમાં એટલું બધું થઇ ગયું કે હું કઈ સમજી જ ના શક્યો! મેં ઘરમાં નજર ફેરવી .. નીચે ફર્શ પર બીજા ત્રણ પઠાણી લોકો બેઠા હતા! એ લોકો મને જોઇને.. કાં તો ડરેલા હતા..અથવા.. ખબર નઈ, ..પણ 'એલર્ટ' તો થઇ જ ગયા હતા!! ઘરમાં કોઈ સામાન દેખાતો નહતો! ખૂણામાં બે -ત્રણ બેગ હતા અને વચ્ચે કૈક નાસ્તો કરી વધેલાં  ડુંગળી-મરચાંવાળો કાગળ પડ્યો હતો!!

"તુમ્હેં જીતને પૈસે ચાહિયે લે લો.. લેકિન હમે ઇહાં કા ઈલેક્શન કાર્ડ બના દો." દરવાજે ઉભેલો પેલો પઠાણી બોલ્યો.

ચાર-ચાર છ ફૂટિયા પઠાણી લોકો વચ્ચે ઘેરાયેલો હું જબ્બર ડરી ગયો! ..પણ થોડી બહાદુરી રાખી કહ્યું, "દેખિયે.. મૈ સિર્ફ ઈલેક્શન કાર્ડ દેતા હું.. બનાતા નહિ હું!!"

"અભી તુમને બોલા ને? કી તુમ કાલા ફોટુ બનાતે હો??!!" પેલાએ પાછા ભારેખમ અવાજે પૂછ્યું. મેં નોંધ્યું કે પેલાં બેઠેલાં ત્રણ પઠાણીઓ મને વિચિત્ર નજરે ઘૂરી રહ્યા હતા! મેં હિંમત રાખી કહ્યું, "ઐસે થોડી નાં બનતાં હૈ કાલા ફોટુ?.. સબ પુરાવે તો ચાહિયે ના?"

"કોઈ ભી પુરાવે નઈ હૈ.. ઇસીલિયે તો બોલ રહે હૈ, જીતના ચાહિયે ઉતને પૈસે લે લો.."

મેં થોડું ગભરાઈને કહ્યું, "પહેલે દરવાજા ખોલો. મૈ બાદ મેં બતાતા હું ક્યાં કરના હૈ?!!"

પેલાં પઠાણીએ નીચે બેઠેલાં લોકો સામે જોયું, પછી મારી સામે જોયું.. અને દરવાજો ખોલ્યો!

હું તરત જ ઘરની બહાર નીકળી ગયો અને બોલ્યો, "કોઈ ભી પુરાવે કે બગેર ચૂંટણીકાર્ડ બનાના હો તો કલેકટર ઓફીસ ચલે જાઓ.. વાડજ મેં! વહાં કોઈ ભી પુરાવે કી જરૂરત નહિ રહેતી. આધે ઘંટેમે બના દેંગે."

પેલાં બધા થોડાં ગુસ્સા/નિરાશાથી મને ઘુરકી રહ્યા હતા!

"કિતને પૈસે લોગે?" પેલાએ ફરી ઓફર આપી!

"પચ્ચીસ રૂપયે! વહા પચ્ચીસ રૂપયે મેં હિ બનતાં હૈ!" આટલું બોલીને હું ત્યાંથી, સાચું કહું તો, ભાગ્યો છું! 'મતદારયાદી ગઈ તેલ પીવા' જાન બચી તો લાખો પાયે.. એવું વિચારીને હું બહાર નીકળ્યો, અને બાઈક ચાલુ કરીને સીધો ઘરભેગો થઇ ગયો!!

******

અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ઇ.ડબલ્યુ.એસ. (શહેરી ગરીબ આવાસ યોજના)ના મકાનો ફાળવાયા, જેને 'ચાર માળીયા' પણ કહે છે!! અહી લગભગ ૯૦% પબ્લિક તો શાંતિપ્રિય જ છે, પણ પાંચ થી દસ ટકા મકાનો એવા છે કે જ્યાં આ ચાર 'માલિયા' વિજય 'માલિયા'ની જેમ જ ઘણા ભાગેડુ અને ગુનાઇત લોકોનું આશ્રયસ્થાન બન્યું છે!! (દોઢેક માસ પહેલા જ અહીંથી 'બાળતસ્કરી'(અથવા તો બાળકો પાસે ભીખ મંગાવવાનું!)નું મોટું કૌભાંડ પોલીસે પકડી પાડેલું! છાપામાં વાંચ્યા મુજબ ૧૫ જેટલાં બાળકોને આ ચુંગાલમાંથી પોલીસે બચાવેલા! અંદાજે દર મહીને/પંદર દિવસે આ ચાર માળિયા છાપામાં પ્રગટ્યા જ હોય! બે-ત્રણ વર્ષ પહેલાં કોઈ પોલીસની બંદુક પણ ચોરી ગયેલું એવું સાંભળવામાં આવ્યું હતું! ..અને રેપકેસ અને મારામારી તો ખરા જ!!  )

કુલ મળીને ૨૦૦ થી પણ વધારે ચારમાળિયાનું વિકટ જાળું છે આ વિસ્તાર! પ્રત્યેક બ્લોકમાં ૩૨ મકાનના હિસાબે કુલ ૬૪૦૦ થી પણ વધુ મકાનો! શરૂઆતમાં કોઈપણ પ્રકારનું નામકરણ ના થયું હોઇ, આ વિસ્તાર માત્ર 'શહેરી ગરીબ આવાસ યોજના' નામે ઓળખાતો! પણ સ્થાનિક લોકોએ પોતપોતાની રીતે એનાં નામ પાડી દીધા છે! નામ પણ કેવા??!! ..'હિન્દુસ્તાન', 'પાકિસ્તાન', અને 'શ્રીલંકા'!!

(૧) સ્કૂલથી  જમણી બાજુ ૪૯ બ્લોક (૧૫૬૮ મકાનો!), કે જ્યાં લગભગ બધા જ મુસ્લિમ પરિવાર રહે છે! તેનું વાસ્તવિક નામ 'વસંતગજેન્દ્રગડકરનગર' એવું લંબુલચક છે, પણ સ્થાનિકો એને 'ક્યાં રહો છો?' એવું પૂછીએ તો  'પાકિસ્તાન' કહે છે!!

(૨) આ 'વસંતગજેન્દ્રગડકરનગર'ની બાજુમાં બ્રિજ છે. બ્રિજ ઓળંગો, એટલે ૭૭ બ્લોક (૨૪૬૪ મકાનો!) છે, કે જ્યાં હિન્દૂ-મુસ્લિમનાં ભેગા મકાનો ફાળવાયા છે! સૌથી જોખમી અને નાજુક એવાં આ વિસ્તારનું વાસ્તવિક નામ 'સદભાવનાનગર' છે! પણ હિન્દૂ-મુસ્લિમના પરિવારો ભેગા રહેતા હોવાથી સ્થાનિકો એને 'હિન્દુસ્તાન' કહે છે.

(૩) શાળાની પાછળ કુલ અંદાજે ૨૮ બ્લોક (૮૯૬ મકાનો!) છે, કે જ્યાં ૭૦/૩૦ મુજબ મુસ્લિમ/હિન્દૂ પરિવારો છે. વાસ્તવિક નામ 'શ્યામાપ્રસાદમુખર્જીનગર' છે, પણ સ્થાનિક નામ છે- શ્રીલંકા!!

(૪) એની આગળ છે 'ઇન્સાનીયતનગર'! હાલમાં જ લોકોને ત્યાં મકાનો ફાળવવામાં આવ્યા છે! (એટલે માત્ર ૧૨ બ્લોક જાણમાં છે!)

(૫)એની બાજુમાં હજુ બ્લોકો ખાલી પડેલા છે. આ ખાલી બ્લોકો જ ગુનાઈત પ્રવૃત્તિઓનું જડ છે, એવું હું માનું છું!! (શાળાની પાછળના બ્લોકો, કે જે 'શ્યામાપ્રસાદ મુખર્જી નગર/શ્રીલંકા છે, એ ફાળવાયા નહોતા ત્યારે ત્યાં 'નશીલા પદાર્થોનું વેચાણ', સૃષ્ટિ વિરુદ્ધની 'અસામાજિક પ્રવૃત્તિઓ' અને ખાલી બ્લોકોની બારી-બારણાં-પાઈપ ચોરીની બીનાઓ શાળાની બારીમાંથી નજરે જોયેલી છે!)

(૬) સ્કૂલની ડાબી બાજુ ૩૦ બ્લોક (૯૬૦ મકાનો), કે જ્યાં બધા જ હિન્દૂ પરિવાર રહે છે! જેને 'કુશાભાઉઠાકરેનગર' કહે છે!

(૭) ઈન્સનીયત નગરની બાજુમાં જ ઉમંગ ફ્લેટ છે. ઉમંગ ફ્લેટવાળા વિસ્તારને માનવનગર કહે છે. નર્ક એટલે શું?.. જો એ જાણવું હોય તો અહીં મુલાકાત કરવી રહી! બ્લોકોની વચ્ચે વરસાદ અને ગટરના પાણીથી બારેમાસ ભરાયેલાં વિશાળ ખાબોચિયામાં 'દેશી'(!!) વસ્તુઓનું લારીમાં વેચાણ થતું જોવા મળે! લોકો નશામાં ધૂત થઈને ખાબોચિયામાં પણ પડેલાં જોવા મળે! અહીં જવું એટલે સામે ચાલીને જોખમ વહોરવું કેમ કે અહીં ભરબપોરે તમે લૂંટાઓ એ શક્ય છે! અહીં હું પોતે જતાં ગભરાઉ છું, માટે સાચું કહું તો પાક્કી તો ખબર જ નથી કે કેટલાં બ્લોક છે, પણ અંદાજે 22 બ્લોકો હોવાનું જાણમાં છે!

(૮) હજુ થોડા આગળ વધી રોડ ક્રોસ કરો એટલે સદભાવના ચોકી પાસે મદ્રાસી મંદિર પાસે હાલમાં જ 'દેવીનગર' એવું ઘરઘરાઉ નામ આપેલા બ્લોક જોવા મળે! એ દેવીનગરમાં આમ તો કુલ બ્લોક 30 જેટલા છે પણ 10-12 બ્લોકમાં લોકો રહેવા આવ્યા છે, કે જેઓએ ઓનલાઈન ઇલે.કાર્ડનું ફોર્મ ભરીને તાજેતરમાં જ ઇલે.કાર્ડ મેળવેલા છે. અહીં રસ્તાની એકબાજુ મુસ્લિમ લોકો વધુ છે અને રસ્તાની બીજી બાજુ હિન્દુઓની મેજોરીટી છે!

(૯) સદભાવના નગર/હિન્દુસ્તાનની સામે ઝુંપડ પટ્ટી છે. જેમાં રહેતાં લોકો પણ આ જ મતવિસ્તારમાં આવતા હોઈ અમારે એનું પણ બી.એલ.ઓ.નું કામ કરવાનું હોય છે. આ ઝૂંપડપટ્ટીની પાછળ જ રેલવે સ્ટેશન પાસે ખંડેર થઈ ગયેલા બ્લોકોમાં અમુક નટ-બજાણીયા લોકોને ઘર ફળવાયા છે એટલે એનું નામ ખબર નથી!

(૧૦) ..અને છેલ્લે આ બધાની આજુબાજુમાં નવાં ફલેટ્સ બન્યા છે! જેમાં રહેતા લોકો પણ અમારા મતવિસ્તારમાંથી જ પોતાના નવાં ચૂંટણી કાર્ડ બનાવે છે.

આમ, અંદાજીત ૮૫૦૦ જેટલાં મકાનો માં રહેતાં અંદાજીત ૧૩૦૦૦ થી ૧૫૦૦૦ લોકોનું કરોળિયા જાળા સમાન ગીચોગીચ વિસ્તાર એટલે અમારો બી.એલ.ઓ.મતવિસ્તાર!

ચાર માળીયા વિસ્તારમાં ઘૂસો એટલે જો તમે એમ વિચારતા હોવ કે પહેલા નંબરના બ્લોકથી આપણે કામ કરવાનું શરુ કરીએ તો તમને પહેલાં નંબરનો બ્લોક શોધતાં જ દસ મિનીટ લાગવાની એ પાકું!! ગંદકીનો પાર નહિ!! બ્લોકમાં ઘૂસો એટલે પહેલા તો તમારે ડાઘીયા કૂતરાઓનો સામનો કરવો પડે! ઘણી વખત તો કુતરા પાછળ પડે એ લટકામાં! બ્લોક પાસે જ મોટાભાગે ખાટલાઓ ઉપર ચાર-પાંચ લોકો નવરાધૂપ બેઠેલાં જોવા મળે! ભૂલે ચુકે પણ જો એ લોકો તમારા હાથમાં મતદારયાદી જોઈ જાય તો તરત જ ટોળે વળી, તમને પૂછવા માંડે, "મેરા નામ ઇસમેં હૈ કે નહિ દેખોના.." મેરે નામમે ગલતી હૈ.." "મેને ફોરમ ભરેલા લેકિન અબી તક ઈલેક્શન ફોટુ આયેલા નઈ હૈ.." ..વગેરે!! મતદારયાદી હાથમાંથી ઝુટવી લેવા સુધી પહોચી જાય! મતદારયાદીમાં એટલી બધી ભૂલો છે કે એક પણ ઘર લાઈનસર જોવા ના મળે! ઘર તો છોડો, એક જ કુટુંબમાં રહેતાં સભ્યો પણ એક જ મત વિભાગમાં ના હોય! લગભગ ૫૦% કુટુંબોમાં માતા-પિતાનું નામ એક ભાગ નંબરમાં અને એમનાં  બાળકોનું નામ બીજા વિભાગમાં છે! લગભગ 10% લોકો એવા છે કે જેમના નામ એક કરતાં વધુ વિભાગમાં છે, કારણ કે ચૂંટણી કાર્ડની એક જ હોવું જોઈએ એ એમને ખબર જ નથી!! નામ ભૂલ થઇ હોય તો એ વ્યક્તિ ફરી ફોર્મ ભરી નવું કાર્ડ કઢાવે!! ઘર બદલ્યું હોય તો પાછું નવું કાર્ડ કઢાવે! ઘણી વખત એક કરતા વધુ વિભાગમાં/એક જ વિભાગમાં રીપીટેડ નામ હોવા છતાં મતદારને કાર્ડ મળ્યું જ ન હોય/એક જ કાર્ડ મળ્યું હોય/એક કરતા વધુ કાર્ડ એની પાસે હોય!! એમને કશું પૂછીએ તો સાચું જણાવે જ નહિ, શંકા કરે! ..કારણ કે ૨૦ થી ૩૦% લોકો ગેરકાયદેસર ભાડે રહે છે/બંધ મકાનમાં ઘુસણખોરી કરીને રહે છે! ઇવન લાઈટ પણ 'બે નંબરની' વાપરતા હોય! બદલામાં બાજુના ઘરમાં દર મહીને ૧૦૦/૨૦૦ રૂપિયા આપી દે! ૬૦ થી ૭૦% ઘરોમાં  દિવસના તાળા જ હોય! કામ-ધંધાર્થે ગયા હોય જે રાત સિવાય ઘરે આવે નહિ! ..અથવા તો મકાન ભાડે ચડાવી પોતે બીજે રહેતાં હોય, અને ભાડુઆતને કડક સુચના આપી હોય કે 'કોઈનેય એવું નહિ કહેવાનું કે આ મકાન ભાડે આપેલું છે, એવું કહેવાનું કે મકાન માલિક મારા સગામાં છે.'!! આવા લોકોના ફોન નંબર માંગીએ તો દે નહિ! ..અને નંબર દે તો મોટેભાગે રીચાર્જ જ ના કરાવ્યું હોઈ બંધ જ આવે/બંધ નંબર જ આપે! બહાના કરે.. 'ઘરમે ફોન હૈ ઈજ નઈ/ઉસકે પપ્પા લે ગયે હૈ/નંબર નઈ પતા/રીચાર્જ નહિ કરવાયા/ફોન ખો ગયા' વગેરે..!! ઘરનો દરવાજો થોડોક ખોલીને શંકાથી જુએ અને 'ધડામ' કરીને બંધ કરે! કોઈ મતદાર હાજર ના હોય તો રોજકામ/પંચકામમાં કોઈ સહી કરે જ નહિ! ઘણા ઘર તો એવા છે જ્યાં સ્કુલ/ટ્યુશન/દવાખાના/ફેક્ટરી/કારખાનું ચાલતું હોય! સ્ત્રી બી.એલ.ઓ. હોય કે પુરુષ બી.એલ.ઓ... જોખમ તો સરખું જ! ક્યારેક નાની-નાની વાતોમાં ધર્મના તણખા ઝરે! કોક વખત સાચી અને મોટેભાગે તો ખોટી જ હોય એવી અફવાઓનો તો પાર નહિ!.. 'બચ્ચે પકડને વાલે આયે હૈ.', 'હિંદુ-મુસલમાન કા ઝગડા હુઆ હૈ', રેપ હુઆ હૈ', મર્ડર હો ગયા હૈ..' વગેરે!! બાજુમાં જ રહેતાં પડોશીઓ પણ ઘરની બાજુમાં કોણ રહે છે એ ન જાણે!! ..અને જાણતા હોય તો કહે નહિ!! મતદારયાદીની કોઈ બાબતમાં સહી કરવાની હોય તો ૬૦% લોકો કરે જ નહિ!! ૫૦ થી ૬૦% લોકોના નામ/સરનામાં/ઉંમર/ફોટામાં ભૂલ હોય! ૯૯% મતદારયાદીમાં એક જ સરનામું છે.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! નવું ફોર્મ-૬ ભરીએ ત્યારે ઉલ્લેખ કરીએ કે વસંતગજેન્દ્ર નગર/સદભાવના નગર/શ્યામા પ્રસાદ મુખ્ર્જીનગર.. તોય જયારે કાર્ડ બનીને આવે ત્યારે લખ્યું હોય.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! ઉદા. તરીકે.. 

ધારો કે કોઈ એક મતદાર કાર્ડમાં સરનામું આવું લખ્યું હોય કે.. 'બ્લોક નં-10/૨૪૦, શહેરી ગરીબ આવાસ યોજના'.. તો આ સરનામું.. છ જગ્યાએ જોવા મળે.. કારણ કે બ્લોક નં-10/૨૪૦ નંબરનું મકાન વસંતગજેન્દ્રનગરમાં પણ છે, સદભાવનાનગરમાં પણ છે, કુશાભાઉઠાકરેનગરમાં પણ છે, ઈન્સાનિયત નગરમાં પણ છે, માનવનગરમાં પણ છે અને દેવીનગરમાં પણ છે!! હવે આ મતદારને શોધવા માટે અમારે બી.એલ.ઓ.એ છ જગ્યાએ ફરવાનું!! ..છેક ચોથા માળ સુધી ચડવાનું.. ત્યારે એ ઘર મળે! ..અને ઘર મળ્યા પછી ખબર પડે કે 'મહેરબાન મતદારશ્રી'  ત્યાં નથી રહેતો/મકાન ખાલી કરી દીધું છે/કારખાનું ચાલે છે/તાળું છે/બીજે રહેવા જતા રહ્યા છે/નામ-સરનામાં ભૂલને કારણે ખોટી જગ્યાએ આવ્યા છે.. ત્યારે એટલો ગુસ્સો ચડે કે બધું ફેંકીને ઘરે જતા રહીએ! ગમે તેટલી વાર સુધારા ફોર્મ ભરીએ, સાલ્લુ.. ૭૦% વસ્તુ સુધરે જ નહિ!! કોઈ સાચો મતદાર મળે તો.. મોટેભાગે તો જરૂરી ડોક્યુમેન્ટ હોય જ નહિ! ..કાં તો જન્મ સર્ટી  ના હોય/એલ.સી. ના હોય/સરનામાં નો કોઈ પુરાવો ના હોય/ઘણી વખત તો મરણ સર્ટી પણ ના હોય!! આ બધી જફા પછી પણ માત્ર ૪૦ થી ૫૦% જ કામ થાય, પણ વાર લાગે! ચૂંટણી ઓફિસે આપેલી સમય મર્યાદામાં ના થાય, કારણ કે અમારું મુખ્ય કામ 'શિક્ષક' તરીકેનું તો માથે ઉભું જ હોય! જેમાં.. ઉત્સવો/પરીક્ષાઓ/અઠવાડિક/માસિક/ઓનલાઈન હાજરી/પેપરો/અભ્યાસક્રમ/મેળાવડા/વાલીસંપર્ક/રિઝલ્ટ્સ/પેપર ચેકિંગ/ભીડ ભેગી કરવી.. આ બધાં કામ પછી છેક છેલ્લે 'ભણાવવાનું' તો ખરું જ!! ઘણાં શિક્ષકોનો રોજનો પગાર ૧૫૦૦ થી ૨૦૦૦ છે, અને બી.એલ.ઓ.ના ધમપછાડામાં વાર્ષિક ૩૦૦૦ મળતા હોય તો કોણ રસ લે? પાછા આ ૩૦૦૦ પણ ટાઈમસર ના મળે! ઓફીસોવાળા ટટળાવે!! કામ ના થાય તો કશુંયે તકલીફો સાંભળ્યા વગર ધમકીઓ આપે/નોટીસો આપે/ઘણીવખત નોકરી મુકાવા સુધી જાય!! શિક્ષણ ખાતું અને ચુંટણી ખાતું બંને ભેગા મળીને શિક્ષકને સેન્ડવીચ બનાવે અને એમાં મૂળ કામ 'બાળકોને ભણાવવાનો' છૂંદો નીકળી જાય! પોતાના બચાવમાં શિક્ષક ખોટું કરતો થાય! અને જે શિક્ષક પોતે જ ખોટાનો સહારો લઈને ઘર ચલાવતો હોય/ડરતો હોય એ શું આ પેઢીને બહાદુર બનાવે? ..નિર્ભય રહેતાં શીખવે?

******

બે વર્ષ પહેલાની વાત છે. અચાનક જ એવાં મેસેજ મળ્યા કે ગાંધીનગરથી ઇલેક્શનની ટીમ આવે છે! હું શ્યોર અને  નિશ્ચિંત હતો. આપેલી સમય મર્યાદામાં કામ પૂરું થયું છે કે નહિ એ જોવા એ લોકો આવવાના હતા! સાડા ત્રણ વાગે ટીમ આવી. ચાલુ ક્લાસમાંથી અમને ચાર બી.એલ.ઓ.ને બોલાવવામાં આવ્યા! અમે અમારું મુખ્ય કામ 'ભણાવવાનું' છોડીને ઓફિસમાં આવ્યા. જોયું તો, નાયબ કલેકટર થી માંડીને આખું ધાડું આવ્યું હતું! ગાંધીનગરથી આવેલા સાહેબે અમને વિનમ્રતાથી (..ખરેખર વિનમ્રતાથી જ!! 'માણસ પરખાય વાણીથી' પાઠ યાદ કરો તો સમજાય કે 'ચા કરતાં કીટલી ગરમ હોય છે!') પૂછ્યું, "કેટલું કામ થયું?"

"કામ ચાલુ છે." અમે બોલ્યા.

"હજી કામ બાકી છે.. કેમ?" એ સાહેબ બોલ્યા.

બધાં ચૂપ થઈને ઉભા રહ્યા!! હું બોલ્યો, અને ઉપર જણાવેલી બધી જ તકલીફોની વિગતો વિગતવાર કહી! શિક્ષકોની દરેક વાતો પર ભરોસો ના કરવાની એક ફેશન બની ગઈ હોવાથી સાથે આવેલાં એક અધિકારી કહે, "એ તો કામ ના થયું હોય ને એટલે બહાના કરે!"

"મારી પાસે મારા કરેલાં કામની વિગતો અને પુરાવાઓ છે!" મેં કહ્યું.

..તો એ સાહેબ કહે, "તમારું મતદારયાદીનું મટીરીયલ ક્યાં છે?"

"અહિયાં નથી, ઘરે છે." મેં કહ્યું.

"કેમ ઘરે? તમારે બી.એલ.ઓ.નું આ કામ નથી કરવાનું?"

"ચાલુ શાળાએ કામ કરીએ તો અમારા શિક્ષણખાતાના મોટા સાહેબ બોલે છે. એટલે શાળા સમય પહેલા કે પછી જ કામ કરીએ. આટલું બધું મટીરીયલ ઉચકીને કેમ ફરવું? એટલે ઘરે રાખ્યું છે. મારું ઘર નજીક જ છે એટલે તરત લઇ આવીએ." મેં કહ્યું.

"કેટલી વાર લાગશે એ બધું મટીરીયલ લઈને આવતા?" એ સાહેબે પૂછ્યું.

"દસ મિનિટ થશે."

"જાઓ લઇ આવો." સાહેબે આદેશ કર્યો, એટલે વર્ગ પડતો મૂકીને હું ઘરે ગયો. અને દસ મીનીટમાં બધું મટીરીયલ લઈને હાજર થયો.

"લાવો તમારી બધી વસ્તુઓ.." સાહેબે માંગી. મેં બધું મટીરીયલ એમને આપ્યું. અને સમજાવ્યું કે કેવી રીતે અમારે એક મતદારનો કોન્ટેક્ટ કરવા ચાર ચાર જગ્યાએ ચાર ચાર માળિયા ઉપર ચડવું પડે છે અને છતાંય કામ પૂરું થતું નથી?!! તો એમને કહ્યું, "સુધારાયાદીના ફોર્મ ભરી ને આપતા હોય તો આ સરનામાં સુધરી જાય ને?"

"દર વખતે નવું ફોર્મ ભરતી વખતે ચોક્કસ સરનામું લખીએ છીએ. છતાંય જયારે કાર્ડ બનીને આવે છે ત્યારે 'શહેરી ગરીબ આવાસ યોજના' જ લખેલું આવે છે! પાછા દર વખતે અમે જે ભાગમાં કામ કર્યું હોય એ જ ભાગ મળતો નથી! ..એટલે દર વખતે અમારે એકડે એક થી કામ કરવું પડે છે." મેં કહ્યું.

હવે એ સાહેબે સીધા જ કલેકટર સાહેબને સૂચનાઓ આપી કે 'બી.એલ.ઓ.ની તકલીફો સાંભળો. અને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો.' ...કલેકટર સાહેબે અમને કહ્યું કે 'તમે હજી એક વખત સાચું કામ કરો. તમારા આ વિસ્તારના બી.એલ.ઓ. માટે થોડો વધુ સમય દર વખતે આપીશું. અને બધાના સરનામાં સુધારીને આપો. અમે  કોશિશ કરીશું કે બધા મતદારોના સરનામામાં સુધારો થાય.'

..આ બીના પછી હું અને અમારા એક બીજા બી.એલ.ઓ. શિક્ષકસાહેબ અમે બંને સુધારા માટે મંડી પડ્યા! દસ દિવસની સખ્ખત મહેનત અને બધા બ્લોકોની 'ચઢાઈ' કરી-કરીને અમે બધાના સરનામાં સુધાર્યા અને બધું મટીરીયલ જમા કરાવ્યું.

...અઢી વર્ષ પછી પણ બધાના સરનામાની સ્થિતિ "જૈસે થે" જ છે!! હવે સાચું કહીએ તો, અમે એટલા નિરાશ થયા કે હવે કોઈ પણ જાતનું બી.એલ.ઓ.નું કામ કરતાં પહેલા જ "હથિયાર હેઠા મૂકી દીધા છે!"

*********

હાલ પાછુ બી.એલ.ઓ.નું એક અઘરું કામ સરકારે હાથમાં લીધું છે! EVP પ્રોગ્રામ હેઠળ બધા જ મતદારોનું ઓનલાઈન વેરીફીકેશન કરવું! આ કાર્યક્રમ હેઠળ સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું કે તમામ બી.એલ.ઓ.એ ઘરે ઘરે જઈને બધા જ મતદારોનાં સ્માર્ટફોનમાંથી એમનું વોટર વેરીફીકેશન કરવું! 'હાઈબ્રીડ બી.એલ.ઓ' નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યું. ઘણાના ફોનમાં એપ્લિકેશન જ ઇન્સ્ટોલ ના થઇ! અમે સુપરવાઇઝરોને આ બાબતની ફરિયાદ કરી, તો એ 'ઓફિસે જાઓ..' કહીને હાથ ઊંચા કરે! આ એપ્લિકેશનના ત્રણ-ચાર વર્ઝન પણ આવ્યા! છેવટે સાઇટે 'નાદારી' નોંધાવતા, 'વોટર હેલ્પલાઇન' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું! ..અને હું 'બુઠ્ઠી તલવારે જંગ જીતવા મેદાને પડ્યો!' ..મતલબ કે આ કામગીરી કરવા હું પાછો બ્લોકોમાં ગયો!!

મોટાભાગના મજુરીયા માણસો એટલે સાદો જ ફોન વાપરતા હોય! જેમાં વોટર વેરીફીકેશન થાય જ નહિ!! ચોથા ઘરે સ્માર્ટફોન મળ્યો! મતદાર ભાઈ થોડા ભણેલાં હોઈ વેરીફીકેશન માટે તૈયાર પણ થયા! એપ્લીકેશન ડાઉનલોડ કરી અને જેવું કામ ચાલુ કર્યું કે 'ચકરડું' ફર્યા જ કરે!! મતલબ કે સાઈટ ચાલુ થાય જ નહિ!! માંડ સાઈટ ચાલુ થઇ તો માત્ર એમનું જ કાર્ડ વેરીફીકેશન થયું! ફેમિલી ટ્રી બનાવવા એમની વાઈફ, અને માતા-પિતાનું નામ એટેચ કરવા પાછું 'ચકરડું' ચાલુ થઇ ગયું!! પેલાં ભાઈ મને કહે, "દેખીયે.. મુજે કામ પે જાના હૈ.. તુમ તો નવરે હો.. સુભે-સુભે આ જાતે હો.. મેને સબ સમજ લિયા હૈ.. તુમ બાદ મેં આના.. વરના મેં ખુદસે કર લુંગા!!'"

"'તુમ તો નવરે હો.." ..આ સાંભળીને એવો ગુસ્સો આવ્યો..! ..પણ ગુસ્સાને હું યુધિષ્ઠિરની જેમ ગળી ગયો!! ઘડિયાળમાં જોયું તો માત્ર એક જણનું વેરીફીકેશન કરવામાં મને પોણો કલાક થઇ ગયેલો!! પાછું આજુબાજુમાં ભેગાં થઇ ગયેલા શંકાશીલ લોકોને સમજાવવું પણ પડે કે આ 'વેરીફીકેશન' શેનું છે?.. નહિતર પાછા એવું સમજી બેસે કે 'હું એમનું મકાન પડાવી લેેેવા આવ્યો છું!!' ..એટલે વધુ સમય થાય!! બીજા બ્લોકમાં ગયો.. તો ઘર બંધ મળ્યું! ..બાજુમાં ગયો તો.. બધા ડોક્યુમેન્ટ 'ઉસકે પાપા કે પાસ હૈ' કહ્યું! શાળાનો સમય થઇ ગયો હતો એટલે હું શાળાએ જવા રવાના થઇ ગયો! પછી વિચાર્યું.. ઘરે જઈને બધાને ફોન કરીને શાળાની રીશેષમાં આવવા કહીશ! ઘરે ગયો.. બધા જ મતદારોના નંબર સેવ કરી વોટ્સ એપ ગ્રુપ બનાવ્યું! શાળા એ આવવા મેસેજ કર્યો. બીજા દિવસે જોયું તો માત્ર ત્રણ મતદારે જ મેસેજ વાંચેલો!! એ પણ આવ્યા તો નહિ જ! જીઓ ફોનમાં રોજના ૧૦૦ મેસેજ ફ્રી મળતા હોઈ લગભગ બધાને પર્સનલી મેસેજ કર્યા! એક જ મતદાર આવ્યો.. અને વેરીફીકેશન થયું! ઘણાના વળતા ફોન આવ્યા.. તો ફોન પર સમજાવ્યું! અમુકના ઘરે પણ ગયો! પંદર દિવસમાં માત્ર ૫૦/૬૦ લોકોનું વેરીફીકેશન કરી શક્યો!! ..અને એટલામાં કામગીરી ન થઇ હોવાને કારણે અમને બધાને નોટીસો મળી!! નોટીસનો જવાબ આપવા હું આ બધું લખીને ગયો! ..તો ત્યાં જઈને જોયુ તો ઓફિસવાળાઓએ 'કોથળામાંથી બીજું કૈક બિલાડું' બહાર કાઢેલું!! એમને સુચના આપી કે 'હવે તમારે ઘરે ઘરે ફરીને આ બધું કરવાની જરૂર નથી. તમારા ફોનમાંથી જ આ બધું તમે કરી શકશો. ખાલી તમારે ઘરે-ઘરે જઈને લાઈટબીલ લઇ લેવાના!!" હું મનમાં ખિજાયો. "પહેલાથી જ આ કરવું હતું ને?!! અમારા ધક્કા તો મટી જાત!!"

ઓફિસે એક સાઈટ/લિંક બતાવી. અમે ત્યાંજ.. ઓફિસે જ એ સાઈટ ખોલી!! ..તો પાછુ પેલું 'ચકરડું' ફરવા લાગ્યું!! સાઈટ ખુલે જ નહિ!! મેં કહ્યું, "સાઈટ નથી ખુલતી!" તો જવાબ મળ્યો, "એ તો બધા એક સાથે સાઈટ ખોલે છે ને એટલે!!"

મેં કહ્યું, "અમે માંડ પચાસ જણ સાઈટ ખોલીએ ત્યાં સાઈટ નથી ખુલતી.. તો અમે આ કામ કેવી રીતે કરીશું?"

"કોશિશ કરતુ રહેવાનું એટલે થઈ જશે.." ઓફિસમાં બેઠેલાં એક બેન બોલ્યા! હું મનમાં બોલ્યો, "અલ્યા અમારે બીજા કોઈ કામ-ધંધા છે જ નહિ કે અમે આખો દિવસ ફોનની સામે 'ચકરડું' ફરતા જોઈ રહીએ?" ત્યાં એમની જ ઓફિસમાં બેઠેલાં એક કોમ્પ્યુટર ઓપરેટ કરતા ભાઈએ બુમ પાડી કે, "સાહેબ ને કહો કે આ સાઈટ ખુલતી જ નથી.." અને મને હસવું આવી ગયું!!

પાછા બ્લોકોમાં બની શકે એટલાં ઘરોમાં ચઢીને-ફરીને જેટલાના મળ્યા એટલાના લાઈટબીલ ઉઘરાવ્યા અને થઇ શકે એટલું અમારા મોબાઈલમાં કામ કર્યું!!

...અને હવે ઓફિસેથી આદેશ આવ્યો છે કે "તમે જે લોકોના ઘરે ઘરે જઈને આ કામ કર્યું છે.. એમની નિયત નમુનામાં સહીઓ લઈને આવો.!!" મતલબ કે હવે અમારે પાછા બધાને ઘેર ફરી-ફરીને/ચાર માળિયા ચડી-ચડીને બધાની સહીઓ લેવા જવાની છે!! પહેલેથી જ આ કાગળો આપી દીધા હોય તો અમારે આ મજુરી ના કરવી પડે ને?? કોણ સાંભળે આ??!! બહેરા કાનોમાં અમારો અવ્વાજ જતો જ નથી!!

..તૂટી ગયો છું હવે!! આ બધાની અસર ક્યારેક ઘરે/શાળામાં દેખાય છે!! મગજ હેંગ થઇ ગયું છે!! 'આ બધું મનમાં નહિ લેવાનું' આ બ્રહ્મ વાક્ય જાણતો હોવા છતાં 'સેન્સીટીવ' સ્વભાવને કારણે ગુલામ બની ગયો હોવાનો ભાવ આવે છે! મેં જસ્ટ મારી દીકરીને કહ્યું, "મોટી થઈને મારી જેમ ગુલામ તો ના જ બનતી!!"

*********

*ડોન્ટ થીંક એવર*

ગુલામી વખતે દેશને આઝાદ કરવા માટે પોતાની વાત અંગ્રેજોના કાને નાંખવા માટે ભગત સિંહે કોર્ટમાં ધડાકો કર્યો હતો.. જેથી બહેરા કાનોમાં એમનો અવાજ સંભળાય!! આ ધડાકા માટે ઘણાં શિક્ષકો શિક્ષકસંઘવાળાઓને ગુહાર લગાવે છે! પણ.. કશુંયે વળતું નથી!!  ભારત દેશ ગુલામ હતો ત્યારે પણ અંગ્રેજો અને ગુલામો હતા.. અને અત્યારે પણ  જ!!  બસ.. એમની ભાષા આપણા જેવી છે અને બધા જ ભારતીય છે!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને નહીવત ભણેલાં મંત્રીઓ બને છે!


-યજ્ઞેશ રાજપુત
લ.તા. 19-11-19


ગુરુવાર, 7 નવેમ્બર, 2019

બા દાદાનાં ઘરે તન્વી જાય ત્યારે ઇઝીલી પૈસા વાપરે! ક્યારેક કોઈ બજારમાં ગયા હોય ત્યારે એ તરત કહે કે, મારે આ લેવું છે! જમવામાં પણ નખરાં! ખાવાની વસ્તુ મળે ત્યારે પૂરી ન ખાય, વેરે, ઢોળે, અધૂરી રાખે! મને ના ગમે! મને ઘણીવખત વિચાર આવે કે એને રૂપિયા અને ખોરાકનું મહત્વ કેમ સમજાવવું? આખરે એ સમય આવી ગયો.. નક્કી થયું કે જો તન્વી 10₹ પોતાની જાતે કમાઈને આપે તો એ રકમથી સોગણી વધુ રકમના ફટાકડા લઈ આપવા!

બે વર્ષ પહેલાં રમત-રમતમાં એણે બાઈક સાફ કરી ત્યારે મેં એને 5 ₹ વાપરવાં આપેલા! એ યાદ કરીને એણે અમારા બે વાહનો બાઈક અને સ્કુટરને સાફ કરી 10₹ કમાવાનું નક્કી કર્યું! હું આ વખતે થોડો કડક બન્યો અને મનથી નક્કી કર્યું કે જો તે બરાબર બાઈક સાફ કરશે તો જ 5₹ આપવા, બાકી જેવું કામ એટલાં રૂપિયા! એ આવી અને કહે કે એણે સ્કૂટર અને બાઈક સાફ કરી દીધું છે! સ્કુટર જેવું-તેવું સાફ કરીને મમ્મી પાસેથી તો 5₹ તરત મળી ગયા! ..પણ બાઇકમાં ચોંટેલી ધૂળ સાફ કરવા એણે હાથ પણ ન અડાડયો! મેં કહ્યું, "આના તને ત્રણ રૂપિયા જ મળશે."

..અને 5₹ મેળવવા એની બાઇકની ધૂળ કાઢવાની મહેનત ચાલુ થઈ જે અડધી કલાક સુધી ચાલી! (પોતાની ધૂળ નીકળી ગઈ!) નાનકડી તન્વીની મહેનત જોઈને મને એક હજાર વખત વિચાર આવી ગયો કે 'છોડને યાર, જવા દે!'  ..પણ રૂપિયા અને ખોરાક- બંનેનું મહત્વ સમજાવવા આ જરૂરી છે, એમ વિચારી થોડો કઠોર બની રહ્યો!

10₹ મેળવ્યા પછી એણે મને આપ્યા. મેં કહ્યું, "આ રૂપિયા તારી મહેનતના છે. મારે નથી જોઈતા." અને.. તે રડી પડી!! થોડીવાર સુધી રડવા દીધી. પછી પૂછ્યું, "કેમ રડે છે?"

એનો જવાબ તમે જ સાંભળો..
એનો અદભુત જવાબ સાંભળી હું તો હસી પડ્યો!!

તમારું બાળક આવો જવાબ આપે તો તમે કેવું ફીલ કરશો??

******

નાનપણમાં પૈસા કમાવા હું પોતે શું કરતો, જાણો છો??
વાંચો.. મારો બ્લોગ: "એ ટેણી.. બે કટિંગ લઇ આવ!"

https://threecolour.blogspot.com/2014/01/blog-post_16.html?m=1

******

બાય ધ વે, દાદાની રીક્ષા પણ સાફ કરીને તન્વીએ 15 ₹ કમાયા હોઈ 1500₹ ના ફટાકડા કાલે જ લાવ્યા! બજારમાંથી તેણે શું ખરીદ્યું, જાણો છો?? 150₹ ની ચોકલેટ!!

****












*"હિંદુ સારા કે મુસ્લિમ સારા??"*

*નાનકડાં બાળકોની અંદર આ કોમવાદનું ઝેર નાનપણથી જ શું કામ રોપવામાં આવતું હશે, એ નથી સમજાતું!!*
*"હિંદુ સારા કે મુસ્લિમ સારા??"*
મારી શાળામાં લગભગ 95℅ બાળકો મુસ્લિમ કોમ્યુનીટીમાંથી આવે છે. આજે તન્વીની એના મિત્રવૃંદ સાથે શું વાત થઈ, તે નાનકડી તન્વીના મોઢે જ સાંભળો! મને નથી સમજાતું, 5 વર્ષના બાળકોની અંદર આ કોમવાદનું ઝેર શું કામ નાંખવામાં આવતું હશે? મને ગર્વ છે, મારી દીકરી તન્વી પર..! જેણે વળતો આવો જવાબ આપ્યો..!!
તન્વીની રોજનીશીનો આજનો હિસ્સો (છેલ્લાથી બીજી લીટી!!) વાંચી વીડિયો ચોક્કસ જોવા વિનંતી..
********
તન્વીની રોજનીશી (તા.15.10.19)




ફેસબુક પર વિડીઓ જોવા નીચેની લીનક પર ક્લિક કરો :