શુક્રવાર, 31 મે, 2024

(અંધ)ભગત સાહેબ સાથે ચર્ચા

 


આજે મારા એક વડીલ કહી શકાય એવા પરમમિત્ર (અંધ)ભગતસાહેબ સાથે ચર્ચા થઇ. એમને મને છેલ્લે જયશ્રી રામ કહીને અલવિદા કર્યું..!! કોઇપણ બાબત ફેક્ટચેક કર્યા વગર ન સ્વીકારવું એની હું હવે સ્વાભાવિક પ્રેક્ટીસ કરી રહ્યો છું! ..એટલે કોઈ બાબતને લઈને કૈક વાત થાય એટલે હું મને આવડે એવું સત્ય વડીલ સમક્ષ રજુ કરું! ..અંતે ભગતસાહેબ ‘હિંદુ-મુસ્લિમ’ ‘હિંદુરાષ્ટ્ર’ અને ‘લવજેહાદ’ પર ઉતરી આવે!

વોટ્સેપ યુનીવર્સીટી દ્વારા બ્રેઈનવોશ થયેલા ઘણા જડબુદ્ધિ ઝોમ્બીઓથી સમાજ ખદબદી રહ્યો છે! ..અને એમાંય ઉંમર વધવાની સાથે બુદ્ધિની વિચારશક્તિનું વાયરીંગ પણ હવે જામ થઇ ચુક્યું હોય એટલે અપરિવર્તનશીલ વૃધ્ધો મોટેભાગે સત્ય ન સમજી શકે કે ન સ્વીકારી શકે એવા બની ચુક્યા હોય છે! ‘પોતાને બધી જ ખબર છે અને તમને કઈ ખબર નથી’ ની જડ માનસિકતા સાથે સત્ય ન સમજે ન સમજવા માંગે.. નજર સામે દેખાતી બાબતને પણ ન સ્વીકારવું એ વૃદ્ધતાની નિશાની છે! આ બાબત કદાચ એમને ખટકી ગઈ.. અને જયશ્રીરામ કહીને અલવિદા કર્યું!

સાચું કહું તો મને કોઈ ફર્ક નથી પડ્યો આ બાબતનો! ઉલટાનું સારું થયું.. એવું લાગ્યું! ..કેમ કે જે પરીવર્તન સ્વીકારતા નથી એવા નેગેટીવ લોકોથી જેટલા દુર રહી શકાય એટલા દુર જ રહેવું યોગ્ય છે! હા.. ફર્ક એ વાતનો પડ્યો છે મારો માંહ્યલો મને જ સવાલ પૂછે છે કે બીજાને બદલવાવાળો હું કોણ? મારે શા માટે બીજાને બદલવાની કોશિશ કરવી જોઈએ? શું હું જે વિચારું છું એ સત્ય જ અંતિમ છે?? પોસીબલ છે કે એ ખોટું પણ હોય??  ..તો આનો ઉપાય શું??

..લોકો જેમ છે એમ જ રહેવા દો! મારું કામ મારા બાળકનું ભવિષ્ય સુધારવા માટે જે પણ કઈ કરી શકાય એ કરવાનું છે.. મૃત્યુની નજીક પહોચેલા બુધ્ધાઓને બદલવાનો શો મતલબ??

-યજ્ઞેશ રાજપુત

લ.તા. ૩૧.૫.૨૪  

"રણમાં ખીલ્યું ગુલાબ" સાહિદનું અપડેશન!!

 "સ્કૂલ કબ છુટેગી??" એવું બોલનાર સાહિદ આજે ધોરણ 5 માં ફરી મારા વર્ગમાં જ હતો. નવી જ બુકને અઠવાડિયામાં ફાડી નાંખનાર સાહીદ ધોરણ 5 માં 86% મેળવીને બીજા નંબરે પાસ થયો!! 

મોટેભાગે લોકોના મનમાં સરકારી શાળાની એક વિશેષ છાપ છે. અને જે સરકારી શિક્ષકો છે એ એમનાં માંહ્યલાને પૂછે તો કદાચ જવાબ મળે કે,  "90-95% શિક્ષકો બાળકોને પરીક્ષામાં જવાબો બતાવી દેવાનું શાપિત કામ કરી રહ્યા છે!" હું ગર્વથી એ કહી શકું છું કે નોકરીને આજે 19 વર્ષ થયાં, આ 19 વર્ષમાં એક પણ વખત બાળકોને પરીક્ષામાં જવાબો બતાવ્યા નથી. બસ.. બાળકોને ભણાવ્યા છે. દિલસે!!

સાહિદને આવેલા 86% એનાં પોતાનાં છે! જવાબો એણે જાતે લખેલા છે. આશા રાખું છું કે આગળ એને એવો શિક્ષક મળશે, કે જે એને 'ભણાવશે..!' અહીં 'ભણાવશે' શબ્દ પર એટલા માટે ભાર મુકું છું કેમ કે ઘણાં શિક્ષકો (ઘણાં - એટલે મેજોરીટી શિક્ષકો!) બાળકોને  માત્ર  'ઉઠાં' ભણાવતા શીખવાડી રહ્યા છે! ...અને સાચા શિક્ષકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહે છે!! 

શાહિદની ૩ ફેબ્રુઆરી 2020 ના રોજ લખાયેલી મારા બ્લોગપોસ્ટની લીંક અહીં શેર કરી રહ્યો છું! આશા રાખું છું કે આપ સૌને ગમશે!

https://threecolour.blogspot.com/2020/02/blog-post.html


સોમવાર, 3 ફેબ્રુઆરી, 2020

'રણમાં ખીલ્યું ગુલાબ!' (આર્તનાદ ભાગ ૧૩)

નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******

"સ્કૂલ કબ છુટેગી?" 

જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"

...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********

મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"

ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ! 

ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે! 
********

*ડોન્ટ થિંક એવર*

શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!