મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

જે મિત્રો શિક્ષક નથી એમને જાણ ખાતર તા.7/8/9-1-2016 ના રોજ બધી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ઉજવવાનો છે, જેમાં મોટા પદાધિકારીઓ આવીને શાળાનું મૂલ્યાંકન કરશે!! ..અને બાળકનું?? જો એવો સવાલ થતો હોય તો.. તો ખબર નહિ આનો જવાબ શું આપવો?? પણ જવાબમાં એક જોક્સ યાદ આવે છે..

પક્ષી વેચવા વાળા પાસે એક માણસ પોપટ ખરીદવા આવે છે, અને એક પોપટનો ભાવ પૂછે છે. તો વેચનારે જવાબ આપ્યો ,"100 રૂપિયા! આ પોપટ રામ-રામ બોલે છે!!"
પેલા ખરીદનારે બીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું,"500 રૂપિયા!! આ પોપટ રામ-રામ ની સાથે સીતારામ અને જેશીક્રશ્ન પણ બોલે છે!!"
ખરીદનારે ત્રીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે જવાબ આપ્યો," 1000 રૂપિયા!! આ પોપટ રામરામ, સીતારામ અને જેશીક્રશ્ન્ની સાથે સાથે ગુડમોર્નિંગ, ગુડઆફ્ટર નુન એવું બધું પણ બોલે છે !!"
ખરીદનારે હજુ એક પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું, "આ પોપટનો ભાવ 2500 રૂપિયા છે કારણ કે એ બીજા બધાની સાથે ઘરના બધા જ સભ્યો અને તમારા ધરે આવનાર મહેમાનની સાથે પણ વાતો કરે છે!!"
ખરીદનારની નજર હવે ખૂણામાં એકલા બેઠેલા એક પોપટ પર પડી!! એણે પૂછ્યું,"આ કેમ એકલો બેઠો છે? એનો ભાવ શું છે?"
વેચનારે કહ્યું, "સાહેબ એ પોપટ બહુ મોંઘો છે. એનો ભાવ 10000 રુપીયા છે!!"
"કેમ ? એને એવું તો શું આવડે છે ??" ખરીદનારે પૂછ્યું  .
વેચનારે કહ્યું, "એને એવું કશું નથી આવડતું, જેવું બીજાને આવડે છે.. પણ એ જયારે બોલે છે ને ત્યારે બાકીના બધા ચુપ થઇ જાય છે!! એ આ બધાનો લીડર છે !!"

.........તો મોરલ ઓફ ધ સ્ટોરી ,

ગુણોત્સવમાં આવા લીડરશીપ અને બીજા એના જેવા બીજા એકસટ્રા ગુણોમાં (જેમ કે, ચિત્ર દોરવું, વક્તવ્ય આપવું, ગીત ગાવું  ... વગેરે વગેરે!!) પારંગત હોય એવા બાળકોનું મૂલ્યાંકન '0 (શૂન્ય)' થવાનું છે... કારણ કે એને વાંચતા, લખતા, ગણતા અને પોતાના ધોરણનું પુસ્તકિયું જ્ઞાન આવડતું નથી!!

હંમ.. મતલબ કે પઢાવેલા પોપટની કિંમત આપણી એજ્યુકેશન સિસ્ટમમાં (.. કદાચ માત્ર આ જ સિસ્ટમમાં !!) વધારે છે, અને કોઈ એક ક્ષેત્રની સ્વતંત્ર વિચારધારાની કિંમત શૂન્ય!!


20 નવેમ્બર 2011 રવિવાર ના રોજ મારા બ્લોગમાં લખેલો ગુણોત્સવ વિશેનો મારો પર્સનલ વ્યુ (માત્ર.. પર્સનલ વ્યુ જ , બીજું કઇ નઈ !!) અહી શેર કરું છું..!

પર્સનલ વ્યુ:

ગુણ+ ઉત્સવ = ગુણોત્સવ... બાળક ઉંમર વધવાની સાથે, જે ગુણો(મૂલ્યો)ને, પોતાની આસપાસના  વાતાવરણ, સમાજ, માતાપિતા અને શિક્ષકોમાંથી શીખ્યો છે, તેને ઓળખવાની પ્રક્રિયા એટલે જ (...હું માનું છું એ!)  ગુણોત્સવ..!!!  આખરે એ ગુણો થકી જ તો બાળક પોતાનું આવનારું જીવન જીવવાનો છે... જો એ સારા ગુણો શીખ્યો હશે તો સારું જીવન (..અહી પણ પ્રશ્નાર્થચિન્હ મુકવું પડે એમ છે!) જીવશે, નહીતર નહિ!!

શિક્ષક તરીકેના મારા ૭ વર્ષના અનુભવમાંથી મેં જોયું છે,,, ઘણા બાળકોની યાદશક્તિ સારી હોય છે,(જેને આપણે હોશિયાર કહીએ છીએ!!) અને ઘણાની સમજશક્તિ!!(મધ્યમ અથવા નબળો!!) ઘણા સારું લખી-બોલી શકે છે, તો ઘણા સારું રમે છે! ઘણા સારી લીડરશીપ કરી શકે છે, તો ઘણા સારી ખેતી!! ઘણા સારું ગાય છે, તો ઘણા સારું મૌન પાળે છે!! મેં એવા બાળકો પણ જોયા છે, જે હોશિયાર હોઈ, ઘમંડમાં વડીલોને પણ ઉતારી પાડે છે, અને એવા ઠોઠ નિશાળિયા પણ જોયા છે, જે દરરોજ સાહેબનો માર ખાતા હોવા છતાપણ તેમને માન આપવાનું ચૂકતા નથી!! મેં અનુભવ્યું છે કે દરેકમાં એક સ્પાર્ક હોય છે, તો શું તે સ્પાર્કનું મૂલ્ય... જે તે ધોરણના પુસ્તકિયા(..કે ગોખણીયા??) જ્ઞાનના મૂલ્ય કરતા ઓછું કીમતી છે?? આ વાત સમજી શકનાર શિક્ષક (..અને સરવાળે બાળક પણ) ગુણોત્સવ ગ્રેડેશનમાં નીચલા ગ્રેડ મેળવે છે... કારણ કે તેઓ વિષયવસ્તુના ૭૦% સુધી પહોચી શક્યા નથી!! આપણે દરેકે આ અનુભવેલું છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓં અમુક ધોરણ સુધી સાવ ઠોઠ હોય છે, અને પછી... ના જાણે તેમનામાં શું પરિવર્તન આવી જાય છે કે તેઓ અત્યંત હોશિયાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે!!! ..તો શું તેમની આવી શક્તિઓને આમ ટકાવારીમાં વિભાજીત કરી દેવાની?? ..મારો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખીને પણ એવું કેવી રીતે ભાખી શકીએ કે.. આ હોશિયાર, મધ્યમ કે ઠોઠ છે???

ખરેખર તો એક શિક્ષક(=માતાપિતા=સમાજ) તરીકે આપણે બાળકના સ્પાર્કને ઓળખીને, તેના સારથિ બનવાનું છે... નહિ કે,, આપણો કક્કો ઘૂટાવીને (ભણાવી નાખીને!!) તેના સ્વતંત્ર વિચારોને બાંધી નાંખનાર જેલર!!! ...અને ખાસ બીજું એ કે, બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!