રવિવાર, 23 ડિસેમ્બર, 2018

શું ખરેખર બીરબલ હોશિયાર અને ચતુર હતો?..

હાલમાં જ તન્વીબેને એમની ફેસબુક પરની વાર્તાઓની સિલ્વર જ્યુબિલી ઉજવી. (યુટ્યુબ પર તન્વીબેનની વાર્તાઓનો સ્કોર અત્યાર સુધી 39!! Click here!!)  હવે વિચાર છે કે એની અકબર-બીરબલની વાર્તાઓની સિરીઝ બનાવીએ.  આ દરમિયાન અકબર-બીરબલની વાર્તાઓ ધ્યાનમાં આવી, અને મનમાં 'ટુ ડુ ઓર નોટ ટુ ડુ' જેવું ઘમાસાણ મચ્યું!.. શું ખરેખર બીરબલ હોશિયાર અને ચતુર હતો?.. 

*****

એકવાર અકબર રાજાએ બીરબલને પૂછ્યું, "'તુંડે તુંડે મતિ ભિન્ન' આ કહેવત ખરેખર સાચી હશે?" 

બીરબલે કહ્યું, "આ કહેવત દરેક વખતે સાચી નથી. કેમ કે સ્વાર્થ સાધવાની વાત આવે ત્યારે સમજદાર માણસોની બુદ્ધિ એકસરખું જ વિચારે છે. એટલે કે 'સો શાણા, પણ અક્કલ એક' આ કહેવત સાચી છે."

અકબરે કહ્યું, "આ કહેવતને તું સાબિત કરી બતાવે તો તું સાચો."

બીરબલે અકબરને અમાસની રાતની રાહ જોવાનું કહ્યું. 

અમાસના દિવસે બીરબલે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે 'આજે મધરાત સુધીમાં બધાએ ઘરદીઠ દૂધનો ઘડો રાજમહેલના હોજમાં નાખી જવો.' સાંજ સુધીમાં બીરબલે હોજ ખાલી કરાવી નાંખ્યો અને ઉપર તાડપત્રી બિછાવી દીધી. લોકો દૂધ નાખી શકે એ માટે ચારેબાજુ બાકોરાં રખાવ્યા. 

બીજી સવારે બીરબલ અકબરને લઈને હોજ પાસે આવ્યો. તાડપત્રી હટાવીને બતાવ્યું તો અકબરના આશ્ચર્યનો પાર ન રહ્યો. હોજ દૂધને બદલે પાણીથી ભરેલો હતો. અકબરે બીરબલને આનું કારણ પૂછ્યું.

બીરબલે કહ્યું, "મેં આપને કહ્યું હતું ને કે  'સો શાણા, પણ અક્કલ એક' આ એનું ઉદાહરણ છે. છતાંય આપને ખાતરી કરવી હોય તો આજે આપણે વેશપલટો કરીને નગરચર્યાએ નીકળીએ."

અકબર-બીરબલ મુસાફરનો વેશપલટો કરીને નગરશેઠના ઘરે આવ્યા અને રાત રોકાવા દેવા વિનંતી કરી. નગરશેઠે એમને આશરો આપ્યો એટલે વાતવાતમાં બંનેએ નગરશેઠને બાદશાહના હોજમાં દૂધના ઘડાને નાખવાના ફરમાન વિષે પૂછ્યું. તો નગરશેઠે કહ્યું, "ઘરદીઠ બધા દૂધનો ઘડો નાખવાના હતા તો એમાં મારો પાણીનો ઘડો ઠલવાય તો કોને ખબર પડવાની હતી? એટલે મેં દૂધની જગ્યાએ પાણીનો ઘડો ઠાલવ્યો હતો."

થોડો સમય આરામ કરી અકબર-બીરબલ બજારમાં ફરવા નીકળ્યા. વાતવાતમાં એમણે બજારમાં ઘણા લોકોને આ ફરમાન વિષે પૂછ્યું, તો બધાએ નગરશેઠે કહ્યો હતો એવો જ જવાબ આપ્યો. આખરે સાંજ પડતા સુધીમાં અકબર રાજા સમજી ગયા કે બીરબલ સાચો હતો. 'સો શાણા અને અક્કલ એક' આ કહેવત સાચી છે. 

બીરબલની ચતુરાઈથી બાદશાહ ખુશ થયા અને એને સો સુવર્ણમુદ્રા ઇનામમાં આપી.

*****

ઉપરની વાર્તામાં અકબર ખુશ છે.. કેમ કે એના પ્રશ્નનું એને સોલ્યુશન મળી ગયું! બીરબલ ખુશ છે.. કેમ કે એને અકબરના સ્ટુપિડ પ્રશ્નને સાબિત કરીને સો સુવર્ણમુદ્રા કમાઈ લીધી! ..તો દુઃખી કોણ? ઓફ કોર્ષ.. પ્રજા!! કારણ કે એમને ખોટું કરવાની ફરજ પડી!! 

દૂધનો ઘડો હોજમાં નાખીને એમનું તો ઘરનું દૂધ જવાનું હતું અને બદલામાં કશું મળવાનું પણ ન હતું. તો કારણ વગર કોઈ દૂધનો ઘડો શું કામ  હોજમાં નાખે? એકપણ નગરવાસીએ આનો વિરોધ ના કર્યો! શું કામ આવું કરવાનું છે એનું કારણ પણ ના પૂછ્યું! બસ.. બધા માની ગયા! કારણ કે જો કોઈ વિરોધ કરે અને સજા થાય તો કુટુંબ-પરિવારનું કોણ? આવા ને આવા વિચિત્ર આદેશો માનતા રહીયે તો ભૂખે મારવાનો વારો આવે! એટલે એમને વિચાર્યું હશે કે બહેતર છે કે આના કરતા ખોટું કરીયે અને પાણીનો ઘડો નાખી દઈએ! કરીયે તોયે દુઃખ અને ના કરીયે તોય દુઃખ!

બાદશાહ અકબર તો સમજાય છે કે અભણ હતો એટલે બીરબલને પ્રશ્નો પૂછતો! ..પણ બીરબલને શો હક હતો કે બધા નગરવાસીયોને  હેરાન કરે? ખુશામતખોરી કરીને સો સુવર્ણમુદ્રા કમાવવાવાળા બીરબલને આપણે ચતુર કહીયે છીએ? ખરેખર તો એ ચતુર ત્યારે હોત જયારે કોઈનેય હેરાન કર્યા વગર અકબરને આ સમજાવી શક્યો હોત કે  'સો શાણા, પણ અક્કલ એક'!!

*****

અકબર-બીરબલની ઘણીબધી વાર્તાઓ એટલી હદે હંબગ છે કે આપણા મનમાં સવાલ થાય કે શું અકબર પાસે આપણી ટીવી સિરિયલોના કેરેક્ટર્સની જેમ કોઈ કામ ધંધો હતો જ નહિ?? ..કે 'નવરું મન નખ્ખોદ વાળે' લેખે જયારે હોય ત્યારે બસ બીરબલને અવનવા આદેશો આપીને ધંધે વળગાડી રાખતો હશે કે "જા રાજ્યમાં કેટલા કાગડા છે એ શોધી લાવ!!" "કેટલા મૂર્ખ છે એ શોધી લાવ." "કેટલા આંધળા છે એ શોધી લાવ" "નગરમાં જેટલા જમાઈઓ હોય એમને શૂળીએ ચડાવી દો" "કેટલા આળસુ છે એ શોધી લાવ"  "નગરમાં જેટલા આંધળા-અપંગ હોય એમને દરરોજ મફતનું ભોજન કરાવો"!! ...અને બિરબલેય શું એટલો નવરો-ધૂપ હશે કે આ સવાલોના જવાબો શોધવા ધંધે લાગી જતો હશે??!! અકબરના વિચિત્ર સવાલો સાંભળીને આપણને ચોક્કસ સવાલ થાય કે શું અકબર ખરેખર આવો રાજા હતો? જેમ કે ''મારી હથેળીમાં વાળ કેમ નથી?" "કઈ જાતિના લોકો વધારે હોશિયાર?" "સૌથી ઉજળું શું?".

.... ખરેખર તો બીરબલ અકબરના રાજ્યના નવ રત્નોમાંનો એક હતો. એને તો રાજાને સાચું માર્ગદર્શન આપવું જોઈએ કે "આવા ફાલતુના કામ મને સોંપ્યા કરતા રાજ્ય ચલાવવામાં ધ્યાન આપો." પણ એ એવું ક્યારેય બોલ્યો જ નહિ! કારણ કે એ ખરેખર સ્માર્ટ હતો. ('સ્માર્ટ' શબ્દ મને હંમેશા છેતરામણો લાગ્યો છે! 'સ્માર્ટ' ચાહે વસ્તુ હોય, વ્યક્તિ હોય, ભણવું હોય કે પછી કોઈ સંસ્થા હોય.. હંમેશા બીજાઓનો વિચાર કર્યા વગર પોતાનું કામ યેનકેન પ્રકારે કેવી રીતે નીકાળવું એ જ શીખવાડે છે! એ એક એવું 'શોર્ટકટ મૃગજળ' છે કે જે આપણને ક્યારેક તો એવું ફીલ કરાવે જ કે 'આપણે છેતરાઈ ગયા.. આનો પનારો ના પડ્યો હોત તો સારું!!')  

એકવાર હજામનાં કહેવાથી અકબરે  બીરબલને સળગતા લાકડા પર  બેસીને પોતાના બાપ-દાદાના ખબરઅંતર પૂછવા સ્વર્ગે જવાનું કહ્યું તો બીરબલ સ્વર્ગે સિધાવવા તૈયાર થઇ જાય છે! ખરેખર તો પોતાનું સ્વમાન જાળવીને ચાણક્યની જેમ બીરબલે કહી દેવું જોઈએ કે "તમે કાચા કાનના રાજા ના બનો."  'જીવતેજીવ સ્વર્ગે ના જવાય' એવી વાસ્તવિકતાથી શું અકબર જોજનો દૂર હશે? ..અને આવો રાજા અકબર ભારતદેશ પર રાજ કરતો હતો?? (સ્પીચલેસ!!) ..આવા અકબરની ગુલામી કરવા કરતા એણે નોકરી છોડી દેવી જોઈએ. પણ એ એવું કશું જ નથી કરતો! એ જાણે છે  કે અકબરના આવા મૂર્ખામીભર્યા સવાલોના જવાબો આપીને જ એ નગરમાં એની મહત્તા જાળવી રાખી શકે એમ છે!! એટલે જ સ્તો, રાજા જયારે નાની-નાની વાતોમાં બધાને મૃત્યુદંડ ફટકારે છે ત્યારે બધા બીરબલ પાસે હાથ જોડીને બચવા-બચાવવાની ભીખ માંગે છે! જેમ કે, પાનમાં થોડોક ચૂનો વધારે પડી ગયો એટલે રાજા નોકરને શેર ચૂનો ખાવાની સજા ફટકારે છે ત્યારે એ બીરબલ પાસે આવે છે. 'શાહજાદાનો પોપટ' મરી જાય છે ત્યારે સિપાઈ મૃત્યુદંડથી બચવા બીરબલનો સહારો લે છે. 'બીરબલની ખીચડી' વાળો યુવાન પોતાના હકનું ઇનામ મેળવવા બીરબલને વિનતિ કરે છે. આખા નગરમાં આવા તો અનેક કિસ્સાઓ છે! શક્ય છે કે બીરબલને સત્તાની નજીક રહેવા મળતું હોઈ, લોકોમાં પોતાની મહત્તાનો 'અહંમ' સંતોષવાનું સુખ મળતું હશે, એટલે એ પોતાનું સ્વમાન 'ગીરવે' મૂકીને રાજાને સાચા-ખોટાનું ભાન નહિ કરાવતો હોય!! અથવા તો શક્ય છે કે એ અકબરથી  ભયભીત રહેતો હશે,  એટલે જ એ અકબરના મૂર્ખામીભર્યા વિચિત્ર આદેશોનું પાલન કરવા વારેઘડીયે પોતાનો જીવ જોખમમાં મુકતો હશે! વળી, અકબરના એક સ્ટુપિડ સવાલના જવાબ માટે બીરબલ ગામના છોકરાઓને પણ ધંધે લગાડે છે! એકવાર એણે ગામના છોકરાઓ પાસે માટીનો મોટો ઢગલો કરાવ્યો હતો જેથી ઊંટ મહેલના કિલ્લા પર ચડી શકે, અને પાછો માટીનો એ ઢગલો બાળકોને જ હટાવવાનું કહે છે! રાજાની 'ગુડબુક'માં રહેવા બીરબલના એવા તો કેવા ધખારા હતા કે એણે ગામના છોકરાઓને 'નિયમિત શાળાએ જવાનું' કહેવાને બદલે આમ 'ચાઈલ્ડ લેબર' બનાવી દીધેલા? રાજાની મૂછો ખેંચનારને બીરબલ ઇનામો અપાવતો અને ગામના ગરીબ છોકરાઓ પાસે વૈતરું કરાવીને પોતાની બુદ્ધિની વાહવાહી કમાતો!! આવો બીરબલ કેટલે અંશે યોગ્ય છે? 'બીરબલની ચતુરાઈ' દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી. ખુદ અકબર પણ આ જાણતો હતો. છતાંય પોતાની બેગમના કહેવાથી પોતાના સાળાને મંત્રી બનાવવા તથા દરબારના અદેખા મંત્રીઓની વારેઘડીયેની બીરબલ વિરુદ્ધની કાનભંભેરણીથી પ્રેરાઈને અકબર બીરબલની  વફાદારીની વારેઘડીયે પરીક્ષાઓ લીધે રાખતો તો એને ભાન નહિ પડતું હોય કે દર વખતે પોતાની વફાદારીમાં ફુલ્લી પાસ થતા બીરબલને હેરાન ન કરાય! ..અને બીરબલ ભી એવો કેવો અકબરના અહેસાન તળે દબાયેલો હતો કે બીજા કોઈ રાજયમાં એ નોકરી કરવા નહોતો જઈ શકતો કે પછી સામાન્ય લોકોની જેમ રોજીરોટી નહતો કમાઈ શકતો?.. શું બીરબલ આળસુ હતો અને કામ ના કરવું પડે એટલે એ રાજાની ખુશામત કર્યે રાખતો હતો?!! કે પછી.. બીજા રાજાઓ જાણતા હતા કે બીરબલ માત્ર મુર્ખાઓની વચ્ચે છે એટલે એની હોશિયારી પંકાય છે! એ કોઈ તેનાલી રામ જેવા ચતુર લોકો વચ્ચે નથી.. એટલે કોઈ રાજા તેને પોતાના રાજ્યમાં નોકરી  આપવા તૈયાર નહતા?!! બીરબલની સચ્ચાઈ વિશેનું સાચું ખોટું રામ જાણે!!

અમુક વાર્તાઓ ચોક્કસ જેન્યુઈન છે. પણ ઘણીખરી વાર્તાઓ તો કોઈક બીજાની ચતુરાઈને (તેનાલી રામ કે મુલ્લા નસીરુદ્દીન જેવા લોકો!)  'અકબર-બીરબલ'ના નામે ઠઠાડી દેવાઈ હોય એવું લાગે! 'પંચતંત્રની વાર્તાઓ' આના કરતા વધારે સારી લાગે છે! (ઓલ્ડ ઇઝ ગોલ્ડ..! 'પંચતંત્ર' મૂળ તો ભારતીય જ ને!! શક્ય છે કે બધા આ વાતે સંમત ના હોય!!) 

*****

અકબર-બીરબલની વાર્તાઓને હાલની શિક્ષણ પ્રણાલીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો..?? વર્ષો પહેલા જે હતું એ આજેય બદલાયું નથી!! શિક્ષણમાં સુધારા-વધારાના વિચિત્ર આદેશોનું પાલન કરાવવા અમુક બિરબલો.. અકબર રાજાની ગુડબુકમાં રહેવા એવી રીતે મચી પડે છે કે બિચારા ગરીબ બાળકો-શિક્ષકોનું આવી જ બને છે! નાની-નાની વાતોની સજાથી બચવા બિચારી પ્રજા ખોટું કરવાનું શીખી ગઈ છે!! કેમ કે કોઈ બોલી શકતું નથી.. કોઈ પૂછી શકતું નથી.. અને પોતાના અહમને પોષવા અહીં ચારેબાજુ 'ઝેરી મશરૂમ'ની જેમ  બિરબલો ફૂટી નીકળ્યા છે!! જે ધારે તો અકબર રાજાને કહી શકે એમ છે કે 'આ ખોટું છે' પણ એ લોકો એવું નથી કહેતા! કેમ કે આ બિરબલોને શાળામાં બાળકોની વચ્ચે કામ નથી કરવું, માત્ર  ખુશામતખોરી કરીને નોકરી પુરી કરવી છે! 

*****