રવિવાર, 20 ઑગસ્ટ, 2023

ધીરુભાઈ અને કોકિલાબેન

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0bodNGaCh1WFUY63FN4Men4XgoENHhNhCZEXPYYackg9osDyCuXbrDC5EqM4qaZRLl&id=100002947160151&mibextid=Nif5oz


"તમારાં મનમાં કોઈ પાપ નથી ને.. એટલે તમારાં હાથે મરી ગયેલું ઝાડવું પણ જીવી જાય છે.." ધીરુભાઈ બોલ્યા.

હું હસ્યો, "ખરેખર તો તમારી મહેનત જ આ ઝાડવાઓને જીવાડે છે. મારુ ચાલે તો આ દરેક ઝાડવાઓ ઉપર ધીરુભાઈ અને કોકિલાબેનનું નામ લખી દઉં.."
************

ધીરુભાઈ અને કોકિલાબેન...

એકદમ નિર્લેપ ભાવે જીવતાં સાધુ દંપતી!! એમનું ચોખ્ખું મન કોઈપણ અનુભવી શકે એવાં!! મારી શાળાનાં ઉજાડ પ્રાંગણને હર્યુભર્યું બનાવનાર ભગવાનના માણસ!!

ધીરુભાઈનું મૂળ કામ અમારી શાળાના સિક્યોરિટી તરીકે છે પણ શાળાને પોતીકી ગણી આખી શાળામાં જે રીતે અવનવાં ઝાડ અને શાકભાજી વાવ્યા છે એ જોઈને કોઈની પણ નજર ઠરે! કીડા કે જીવાત ન થાય એટલે ચૂલામાંની રાખ આખા બગીચામાં છાંટે! મેદાનમાં પાણી ભરાતું હતું ત્યાં પોતાનાં ખર્ચે ટ્રેકટર ભરીને માટી છાંટી દે! જ્યાં ને ત્યાં ઝાડી-ઝાંખરા હતાં એ કોઈનેય પૂછ્યા વગર જ હટાવી દીધાં.. ને આખા મેદાન ફરતે સરસ મજાનાં શાકભાજી વાવી દીધાં! 180 રૂ.ના ધાણા લાવી કોથમીર વાવી, એ ઉપરાંત, રીંગણાં, દૂધી, ભીંડા, ગલકા અને મૅની મૉર!! ફુલડાઓનો તો કોઈ તોટો નથી! જો કોઇના મનમાં એમ થતું હોય કે છોડવા તો અમે વાવેલાં, તો મારે એમને એ કહેવામાં કોઈ નાનપ નથી કે જાળવણી તો ધીરૂભાઇએ કરેલી છે. (આ હું કોને જવાબ આપું છું એ કહેવાની જરૂરત ખરી!!??)
*************

એક પરિપત્ર થયો કે શાળામાં શિક્ષકવાઇઝ ઝાડ/છોડ વાવવાની હોડ જામી હોય એવું લાગ્યું! મારે સહેજેય કશું પણ વાવવાની ઈચ્છા નહોતી પણ છેલ્લો છોડ, કે જે લગભગ મરી ગયેલો મારાં ભાગે આવ્યો.. ધીરુભાઈ કહે, "સાહેબ આ છોડ અહીં વાવી દો. સાચા ભાવથી વાવજો.. ઊગી જશે!"

મેં કહ્યું, "જો ઊગી જાય તો આ છોડ/ઝાડને હું તમારું નામ આપીશ."

..અને ખરેખર પંદર દિવસ પછી મારી પાસે આવ્યા, અને હાથ પકડી કહે, "જુઓ.. આ તમારા હાથે વાવેલો છોડ.. કેવો મસ્ત ફુલ્યો ફાલ્યો છે એ જુઓ.. મેં કીધું'તું ને સારા ભાવથી વાવજો.. એ ઊગી જશે.''

...અને બસ એમને મારા પર ભરોસો થઈ ગયો છે કે મારો હાથ સારો છે! એક આડવાત.. સારા છોડ જોઈને જે વૃક્ષો/છોડ વાવવામાં આવેલાં એ બધાં ઉગ્યા નથી!!
************

હું જાણું છું.. મને ઝાડ/છોડ/વનસ્પતિની બહુ ખબર પડતી નથી! બે પુઠ્ઠા વચ્ચે જે ભણ્યો એ જ યાદ છે.. 'વનસ્પતિને ઉગવા પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ જોઈએ!' ..મારુ વનસ્પતિનું જ્ઞાન અહીં પૂરું થઈ જાય છે!! ..પણ કોઈ ગુરુ મળે તો શીખવામાં પાછો ન પડું, એ મારો સ્વભાવ હું જાણું છું. વેલાકોટ(તા.ગિરગઢડા, જી.ગીર સોમનાથ) શાળામાં રહેતો, ત્યારે મારી સાથે રહેતાં બે-ત્રણ વિદ્યાર્થીઓ સાથે ભેગાં મળીને ભીંડા અને ડોડા વાવેલાં.. ખાધેલાં ય ખરાં! ભણવામાં એ જ શીખેલો કે વનસ્પતિના બિયાંથી બીજી વનસ્પતિ ઉગે, એટલે એવી ઘણી વનસ્પતિનાં બિયાનાં અખતરા કરેલા, પણ ઉગ્યા નહોતાં, આ છોકરાઓએ એ શીખવાડેલું કે બધાનાં બિયાં ન ઉગે, બજારમાંથી જે મળે એ વધુ સારાં ઉગે! જ્યારે ભીંડાનું બીજ પહેલીવખત જોયું ત્યારે મને ખૂબ નવાઈ લાગેલી! શિક્ષક હોવા છતાંય મારાં અનેક ગુરુઓ રહ્યા છે, ધીરુભાઈ હાલ પૂરતાં મારા પર્યાવરણના ગુરુ છે. 

એકવાર મને હાથમાં પાવડો પકડાવી દીધો, અને ખાડો ખોદવા કહ્યું. મેં ખાડો ખોડવાની શરૂઆત કરી ત્યાં તો ખિજાઈને કહે, "દમ લગાવો થોડો.. આ શું કરો છો??"
આખરે ખાડો ખોદયા પછી જાંબુડીનો છોડ આપી મારા હાથે વવડાવ્યો! પછી કહે, "હવે જોજો.. આ ઉગે એ!"
એમને મારાં પર ભરોસો છે અને મને એમના પર!! અમારો એકબીજા પરનો શાળાના મેદાન બાબતે આવો ભરોસો છે. હાલ જાંબુડો ખીલ્યો છે ખરાં! 
*************

કોકિલાબેન.. 
નાના અને ગરીબ માણસોમાં હોય એ બધી જ ધાર્મિક બદીઓનો એમનાં પર ખૂબ પ્રભાવ છે! મારે શ્રાવણમાં એકટાણું હોવાં છતાં એક દિવસ દશામાંની શીરાની પ્રસાદી લઈ આવ્યા.. મેં એમનો ચહેરો જોયો.. કોઈ સાક્ષાત દેવી જેવો ચહેરો લાગ્યો.. ઉપવાસમાં ન ખવાય તોય પ્રસાદી ખાધી.. (આમેય હું કોઈ પ્રસાદી, ઉપવાસ હોય કે ના હોય, ખાવાની છોડતો નથી! યુવાવસ્થામાં ઘણીવાર મમ્મી-પપ્પા સાથે કોઈ વૈચારિક માન્યતાઓ બાબતે મતભેદ થાય, ત્યારે હું ગુસ્સામાં ખાવાનું છોડી દેતો. એ 'ભૂખ'નાં દિવસોમાં હું રસ્તામાં આવતા બધાં જ મંદિરોમાં માત્ર પ્રસાદી માટે જ જતો.. જેથી એની મુઠ્ઠી ભરીને લીધેલી પ્રસાદીમાં મારો દિવસ નીકળી જાય! કોઈ મંદિરમાં પ્રસાદી ન મળે તો બીજી વાર જવાનું પણ નહિ, હું એવો સ્વાભિમાનીય ખરો!) એ ખુશ થઈ ગયા! કોકિલાબેન દરેક રૂમના દરવાજે ઊભાં રહી પૂછે, "કચરો વાળી દઉં?"

..અને હું ખિજાઉ, કેમ કે મને એમાં મારાં મમ્મી જ કામ કરતાં દેખાય! વળી, મને એમ પણ થાય કે શિક્ષક પોતાની જાતે રૂમનો કચરો ન વાળી શકે??!! 
***********

આજે શાળાએ આવ્યો ત્યારે ધીરુભાઈ ક્યાંકથી ગાયનું છાણ લઈને એમાં પાણી નાંખીને છોડવાઓમાં નાખતા હતા. હું મારી જાતને રોકી ન શક્યો.. મેં તનુને કહ્યું, "ચલ બેટાં, તારે નાખવું હોય તો તું ય આવી જા.."

ધીરુભાઈ કહે, "સાહેબ તમે રહેવા દો.. હાથમાં વાસ બેસી જશે તો બપોરે ખાવાનુંય નહિ ભાવે."

મેં કહ્યું, "સૂગ તો મનમાં હોય.. મને એવું કંઈ નહીં થાય.. તમે મને ખાલી એટલું કહો કે નાખવાનું ક્યાં અને કઈ રીતે છે?"

બસ.. ઝાડ/છોડવાઓમાં પાણીવાળું છાણ નાખ્યું.. કૈક કર્યા/શીખ્યાનો સંતોષ થયો!! બદલામાં એ કહે, "ફુલડાંઓની વચ્ચે તમારી બેબીને ઉભી રાખી ફોટો પાડો.. મસ્ત આવશે." 
**************

અહીં મારી શાળાનો ઉજ્જડ ફોટો પણ મુકું છું, અને હાલ ધીરુભાઈને કારણે 'હરિયાળા' થયેલાં મેદાનનો પણ ફોટો મુકું છું! અમુક અમારી વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો પણ મુકું છું! એક સરળ સ્વભાવનું પણ સતત ઝઘડતું રહેતું, અને છતાંય એકબીજાને પ્રેમ કરતું ગરીબ દંપતી કેવું હોય એ સમજાશે! ..નિઃસ્વાર્થ ભાવે આટલું બધું કરવાવાળા ધીરુભાઈનો સિક્યોરિટી તરીકે પગાર શું છે? મહિને માત્ર 1500₹!! 
**************

"દોઢસો રૂપિયાની તેલ થઈ ગયું.. રોજના 50 રૂપિયામાં ઘર કેમ ચલાવવું?" કોકિલાબેન આવું બોલ્યા તો મારો જીવ બળી ગયો.. કરશનભાઈનાં શબ્દો આજેય સાક્ષાત છે..

"છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું પણ દોહ્યલું,
ને અમીરોની કબર પર ઘીના દિવા થાય છે."

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે??

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે?? 
*********

ધોરણ ૧ માં હતો ત્યારે મને હજુયે એવું યાદ છે કે શિક્ષક પાટીમાં કોઈ મૂળાક્ષર/અંક લખી દેતાં અને કહેતા કે "આ ઘૂંટ!" ..અને હું ઘૂંટવા લાગતો! મને એ આવડતું એટલે હું હોંશિયાર કહેવાતો! 

......'પોતાનો કક્કો જ ખરો છે', એવું બાળકનાં મનમાં 'બ્રેઇન વોશિંગ'થી નાંખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે! 

એક શિક્ષકે બાળકને 'ક' શીખવાડ્યા પછી જોયું કે બાળકે  તેની પાટીમાં 'ક' લખ્યો તો છે, પણ એ ઉંધો છે! ..એટલે સાહેબ એને ફરીથી 'ક' ઘૂંટવા આપે છે. બાળક 'ક' ઘૂંટે તો છે, પણ અનેકવાર ઘૂંટયા પછીયે એ ઉંધો જ 'ક' લખે છે! ..ઉંધો 'ક' જોઈ સાહેબ ખીજાય છે, અને બાળકને એક થપ્પડ મારી દે છે!! બાળક સમજી નથી શકતો કે સાહેબે એનાં પર કેમ ખીજાયા?? એને શા માટે થપ્પડ પડી?? એ બાળક કશુંયે બોલ્યા વિના પાછો 'ક' ઘૂંટવા લાગ્યો!!... 

સમય જતાં બાળકને 'ક' કેવી રીતે લખાય એ આવડી તો ગયું.. પણ બાળકને પડેલી આ થપ્પડની લાંબાગાળે આપણાં દેશ પર શું અસર પડી, એ જાણો છો?? 

વર્ગમાં રહેલું ભણવામાં હોશિયાર બાળક બધાને વ્હાલું લાગે છે. વર્ગમાં શિક્ષકે કહ્યું, "આ સ્પેલિંગ પાંચ વખત જોઈજોઈને લખી નાંખ." એટલે ભણવામાં હોશિયાર બાળક પોતાને એ સ્પેલિંગ આવડતા હોવા છતાં તરત જ લખવા માંડે છે! એ ક્યારેય એવું વિચારતો નથી કે શા માટે મારે આ લખવું જોઈએ? એ સવાલ નથી પૂછતો.. માત્ર આદેશને ફોલો કરે છે, અને એ વિચાર્યા વગરની વેઠ ઉતાર્યા બાદ જયારે એ શિક્ષકને પોતાનું સુંદર અક્ષરવાળું લખાણ બતાવે છે, ત્યારે સાહેબ વર્ગમાં એનાં વખાણ કરે છે. આ નકામાં વખાણની ઘેલછા બાળકને નાનપણથી જ વિવેકબુદ્ધિ વાપર્યા વિના આદેશને ફોલો કરવાની, જે કુટેવ પાડે છે એનાં કારણે લાંબા ગાળે આપણા દેશ પર શુ અસર પડી એ જાણો છો??

'ભણવું/શીખવું' એ બાળકનું મુખ્ય કામ હોય છે અને આ જ કામ કરવા માટે જો તેના વાલી એને એવું કહે કે, "તું જે-તે ધોરણમાં જો પહેલો નંબર લાવીશ/સારા ટકા લાવીશ તો તને સાયકલ/મોબાઈલ/જે માંગે એ લઈ આપીશું." ...અને બાળક ખરેખર પહેલો નંબર લાવે ત્યારે એને જે જોઈએ એ મળે છે! ...તો આની લાંબાગાળે આપણાં સમાજ પર શું અસર પડી એ જાણો છો??
*********

બાળકને શું ભૂલ છે, એ એને ખબર જ નહતી, છતાંય એને થપ્પડ પડી! એને એની ભૂલ જાતે જ સમજવાની તક જ ન મળી, એનાં કારણે એ એવું સમજતો થયો કે મારાં શિક્ષક/વાલી હંમેશા સાચા જ હોય છે! એમને બધું જ આવડે છે, અને એ ક્યારેય ખોટાં હોઈ જ ન શકે! એ જેવું કહે એવું જ કરનાર આવા કહ્યાંગરા બાળકોને વાલીઓ/શિક્ષકો હોંશિયારની કેટેગરીમાં રાખે છે. જેથી બાળકનાં મનમાં નાનપણથી જ એવું ફીડ થઈ જાય છે કે હોંશિયાર બનવા માટે વાલીઓ/શિક્ષકો જે કહે એ વિવેકબુદ્ધિ વાપર્યા વગર કે સવાલ પૂછ્યા વગર કરી નાખવું! સ્પેલિંગ આવડતા હોવા છતાં પાંચ વખત લખીને પ્રસંશા મેળવનાર બાળકમાં મોટાં થયાં પછીયે ખોટાંનો વિરોધ ન કરવાની વૃત્તિ પેદા થઈ! પહેલો નંબર/સારા પર્સન્ટેજ લાવીને પોતાને ગમતી વસ્તુ મેળવનાર બાળક મોટું થઈને જ્યારે કોઈ હોદ્દા પર બેસે છે ત્યારે પોતાનું જ કામ કરવા માટે એ લાંચની ઈચ્છા રાખતો થાય છે! 

*નાનપણથી જ જેને પોતાના વડીલ સાચું માને એવું જ કરવાની, ખોટાંનો વિરોધ ન કરવાની અને પોતાનું જ કામ કરવા માટે લાંચ લેવાની ભરપૂર પ્રેક્ટિસ મળી હોય એવું બાળક મોટું થઈને વોટ્સએપ યુનિવર્સિટીમાં/મીડિયામાં/સોશિયલ મીડિયામાં દેખાતાં સમાચારોનું તથ્ય જાણ્યા વગર જ ખોટાંને સાચું માની લે એમાં શી નવાઈ??!!*
આપણામાંથી મોટાભાગનાં આવી જ રીતે તો ભણ્યા છીએ!! 
***********

આવી જ રીતે ભણ્યા હોવાં છતાં આપણાંમાંથી જ ખરેખર 'એજ્યુકેટેડ' લોકો એવું સમજી ચુક્યા છે કે ખાટલે મોટી ખોડ ક્યાં છે??!! પોતાનું તો જે થવાનું હતું એ થયું પણ પોતાનું બાળક આવા ખોડંગાઈ ગયેલા ખાટલામાં/અંધભક્તિમાં સડે એનાં કરતાં વિશ્વની શ્રેષ્ઠ કન્ટ્રીઝમાં સ્થાયી થાય તો એનું જીવન તો સુધરે!! જેમ જંગલમાં સિંહ અગાઉના સિંહથી જન્મેલા બાળકોને મારી નાંખીને પોતાનું જિન્સ આગળ વધારે છે એમ જ માનવજીન્સનો પણ આ જ સ્વભાવ છે કે પોતાનાં જિન્સને શ્રેષ્ઠ મળે! આવી વિચારધારાથી પ્રેરાઈને લોકો હવે પોતાનાં બાળકોને વિદેશમાં મોકલવા લાગ્યા છે!

બાળક પણ જે આઉટડેટેડ છે એવો કરીક્યુલમ ભણીને વિદેશ ભણવા જાય ત્યારે સૌથી પહેલાં એને ત્યાંની શિક્ષાને અનુરૂપ બને છે! એ ત્યાં જુએ છે કે અહીંનું શિક્ષણ 'દિમાગની બત્તી' ખોલે છે. સવાલો પૂછનારને પ્રોત્સાહન મળે છે. પોતાની ભૂલ સમજવાની તક મળે છે. માનવજીવનનું મૂલ્ય અહીં કરતાં ત્યાં વધુ છે એ સમજે છે. શોર્ટ એન્ડ સ્વીટ, વૈચારિક આઝાદીનો સ્વાદ ચાખનાર બાળક પછી ઓર્થોડોકસ ગુલામીમાં ન જ જીવે! માટે એ ફરી પાછું અહીં આવતું જ નથી અને મોટેભાગે ત્યાંજ સ્થાયી થઈ જાય છે! કારણ કે ખરું શિક્ષણ તો ઓર્થોડોકસ વિચારધારાથી આઝાદી જ આપવાનું કામ કરશે!! બાકી.. ડિગ્રીધારી શિક્ષણ માટે વોટ્સએપ યુનિવર્સિટી છે જ ને??!!
**********

યજ્ઞેશ રાજપુત
લ.તા.3.8.23