બુધવાર, 31 ઑક્ટોબર, 2018

જો સરદારદાદા અત્યારે જીવતા હોત તો...??

આજે સરદાર જયંતિ છે. આપણા લોકલાડીલા (..અને મારા પણ!! કારણ કે લોકલાડીલાનો મતલબ બધાના ગમતા હોય એ જરૂરી નથી!) નેતા વલ્લભભાઈ પટેલનો બર્થડે! સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળાનું આજે લોકાર્પણ થવાનું છે! બધી જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. વિશ્વનું સૌથી ઊંચું પૂતળું ગુજરાતમાં છે, અને એ પણ સરદારદાદાનું!! કયા ભારતીયની છાતી ગજ-ગજ ના ફૂલે?? અંદાજિત 3000 કરોડનો ખર્ચો થયો છે. શું કામ છાતી ગજ-ગજ ના ફૂલે ભાઈ?? મને તો બહુ ગમ્યું!! ભારત દેશની શાન સમું આ પૂતળું રહેશે, એમાં શંકા નથી!

સાચું કહું તો ગમ્યું તો છે, પણ મનમાં એક સવાલ પેદા થયા વગર રહેતો નથી!! સરદારદાદાનો એક પ્રસંગ વાંચેલો એ ઉપરછલ્લો યાદ છે, જેમાં એ એમના કુટુંબીજનને કહી રહ્યા છે કે જ્યાં સુધી હું સરકાર(=પોલિટિક્સ) માં છું ત્યાં સુધી કોઈ પણ કુટુંબીજન સરકારી નોકરી નહિ કરે! કારણ કે એ નહોતા ઇચ્છતા કે કોઈ એમને એમ કહી જાય કે પોતે રાજકારણમાં છે એટલે એમના કુટુમ્બીજનને નોકરી લગાડી આપી! વળી એવું પણ કહેવાય છે કે મરણ સમયે એમની પાસે બહુ સંપત્તિ નહતી! હવે સવાલ એ કે જે માણસ જીવ્યા ત્યાં સુધી સાદાઈથી જીવ્યા એ પોતાના પૂતળા પાછળ 3000 કરોડ ખર્ચવા દે ખરા??

હું રોજ સવારે જયારે છાપું વાંચું ત્યારે હું ઘણી એવી બાબતો વાંચતો હોઉં છું જે મને અંદરથી ડિસ્ટર્બ કરી દેતી હોય છે, જેમ કે ખેડૂતોની આત્મહત્યા અથવા તો તેઓ પોતાનો પાક મફતમાં આપી રહ્યા છે અથવા તો રોડ પર ફેંકી રહ્યા છે. કારણ કે એમને પોષણક્ષમ ભાવ મળતો જ નથી. અને એ જ વસ્તુ અમે જયારે બજારમાં ખરીદવા જઈએ છીએ, ત્યારે એનો ભાવ વધારે આપીએછીએ. આ કેવું? જીવનભર જે માણસ ખેડૂત રહ્યો/ખેડૂત માટે જ જીવ્યો એ અત્યારે હોત તો આ થવા દેત ખરા? પોતાનું 3000કરોડનું પૂતળું જોઈને એ શું કરત? જે રાજકારણીઓ સરદારદાદાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, એને સરદારદાદા શું કહેતા?

આખા ભારતને એક કરનાર સરદારદાદા અત્યારે જીવતા હોત તો જાતિવાદનું રાજકારણ રમી ભારતને ટુકડાઓમાં વહેંચનાર પોલિટિશ્યનોને શું કહેતા?? કાશ, હું 'મન્નુ શૅખચલ્લી' જેવો લેખક હોત તો આખો સંવાદ લખત!!

*****




જીવનમાં દર વખતે ખોદતાં રહેવું જરૂરી નથી, પણ ક્યાં અટકવું એ જાણવું જરૂરી છે!!

ઘણીવાર જીવનમાં એવું જોવામાં અનુભવમાં આવ્યું હોય છે કે 'જો હજુ થોડો પ્રયત્ન કર્યો હોતતો.. આ મળી જાત!!'  આ ફોટામાં એક ભાઈએ હજુ થોડું ખોદ્યું હોત તો.. એને હીરા મળત!! 

...પણ હું વિચારું છું કે જીવનમાં એવી ઘણી પળો ચોક્કસ આવતી હોય છે કે જ્યાંથી આપણે દેખીતો લાભ છોડીને વળી ગયા હોઈએ, અને પછી સમજાતું હોય છે કે 'સારું થયું, વળી ગયા!! બાકી આપણે પણ એમાં ફસાઈ ગયા હોત!'
એક વાર્તા યાદ આવે છે... 

એક બેકાર માણસ કામની શોધમાં જાય છે. રસ્તામાં એને એક માણસ મળે છે, જેની પાસે અઢળક ચાંદી (રૂપું) હોય છે. પેલો બેકાર માણસ એ આદમીને પૂછે છે કે આટલું બધું રૂપું ક્યાંથી લાવ્યા?' તો પેલો એક જગ્યા બતાવી જવાબ આપે છે કે 'અહી ખોદવા માંડ. તને ચાંદી મળશે. પણ જો તારે સોનું જોઈતું હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી સોનું મળશે?' આટલું બોલી પેલો માણસ જતો રહ્યો. આપણો બેકાર મિત્ર સોનાની લ્હાયમાં આગળ જાય છે. આગળ એને બીજો આદમી મળે છે, જેની પાસે અઢળક સોનું છે. આપણો બેકાર મિત્ર સોના વિષે એને પૂછે છે, તો પેલો એક જગ્યા બતાવી કહે, "અહી ખોદવા માંડ. તને સોનું મળશે. પણ જો તારે હીરા જોઈતા હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી હીરા મળશે?' આપણો બેકાર મિત્ર વિચારે છે કે સોનું લઈને જતો રહું! પણ પોતાના આત્માના અવાજને અવગણીને એ હીરાની લાલચમાં આગળ જાય છે. આગળ એને એક આદમી ઝાડની નીચે દુખી હાલતમાં જોવા મળે છે. એની આજુબાજુ હીરા વેરાયેલા પડ્યા છે, અને એના માથા ઉપર એક ચક્ર ફરી રહ્યું છે. એની આવી સ્થિતિ જોઇને આપણો દોઢો મિત્ર એને પૂછે છે, "તમે કોણ છો? આ હીરા તમારી આજુબાજુ કેમ વેરાયેલા છે? અને આ ચક્ર તમારા માથે કેમ ફરી રહ્યું છે?" ......આટલું પુછતાની સાથે જ પેલું ચક્ર આપણા બેકાર અને દોઢા મિત્રની માથે આવી ગયું. એ ચક્રના વજન અને તાપથી એ દુઃખી-દુઃખી થઇ ગયો. પેલો આદમી, કે જેના માથેથી ચક્ર હટી ગયું હતું, એ ઉભો થયો, અને જવા માંડ્યો! આપણા દુઃખી મિત્રે પેલાને અટકાવીને પૂછ્યું, "તમે મને મુકીને ક્યાં જાઓ છો? આ ચક્ર તારા પરથી મારા માથે કેવી રીતે આવી ગયું? એ મને આટલું દુઃખ શું કામ આપી રહ્યું છે?" પેલો આદમી જતા-જતા બોલ્યો, "હું પણ તારી જેમ લાલચુ બનીને અહી હીરા શોધવા આવ્યો હતો. પણ જેમ જેમ મને હીરા મળતા ગયા એમ એમ આ લાલચનું ચક્ર વધતું ગયું, અને હું દુઃખી થતો ગયો. હવે તારી હાલત પણ આજ થવાની છે, જેવી મારી હતી! હીરા શોધવા માટે તું આ જમીન ખોદતો રહે, તને હીરા ચોક્કસ મળશે, પણ તારા જીવનમાંથી સ્વતંત્રતાનું સુખ જતું રહેશે. રૂપું અને સોનાથી તું સુખેથી રહી શક્યો હોત, પણ હીરાની લાલચે તું આ લાલચ-દુઃખના ચક્રમાં ફસાયો, અને હું મુક્ત થયો. તારો ખુબ ખુબ આભાર! સમૃદ્ધિ એક એવો શાપ છે, કે જે આપણને શાંતિથી સુવા,જમવા કે રહેવા દેતું નથી."    

............દરેક વખતે ખોદવું જરૂરી નથી. કારણ કે દર વખતે હીરા જ હોય એ જરૂરી નથી!! શક્ય છે કે આગળ રાક્ષસ આપણને ગળી જવા બેઠો હોય! ટૂંકમાં, આત્મા કહે કે 'બેટા, હજી ખોદ..' ..તો ખોદવાનું!! પણ.. મન મારીને ખોદવા કરતા છોડી દેવું- જતું કરવું, સરવાળે વધુ સારું હોય છે!! ઇન શોર્ટ, ખોદકામ ઇન્ટરનલ હોય તો ચોક્કસ સુખ આપે,  એક્સ્ટર્નલ હોય તો?? ...આપણો માંહલો કહે, એમ કરવું!!