શનિવાર, 14 ઑગસ્ટ, 2021

જ્યારે દીકરી ઘર માટે ૫૦૧₹ આપે છે..

"પપ્પા, એક મિનિટ બેસો ને.." તન્વીએ થોડું ડરતાં ડરતાં કહ્યું.

"અરે બેટા.. અત્યારે મોડું થાય છે અને ક્યાં તું પણ..??" હું અકળાયો, પણ એને 'ના' ન પાડી શક્યો! "સારું જા.. જે કરવું હોય એ ફટાફટ કરજે."

એ અંદર ગઈ.. અને મુઠ્ઠીમાં 500₹ લઈને આવી અને બોલી, "લો.. આપણે ઘર લેવું છે ને?.. તો આ મારાં તરફથી 500₹!" ..આટલું બોલતાં બોલતાં તો એ રડી ગઈ!!

હું અને તનુની મમ્મી, બંને સ્પીચલેસ! ..શુ બોલવું એ જ ન સમજાયું..!! 

થોડીવારમાં જ મને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને જોરથી એને ગળે લગાડતાં મારાં મોઢેથી વ્હાલનાં ત્રણ શબ્દો સરી પડ્યા, "અરે મારી દીકરી..!!"

જે દ્રશ્યો ટીવી/સિનેમામાં ભજવાય છે એ દ્રશ્યો રિયલમાં મારાં ઘરે ભજવાઈ ગયું!!
**********

મને હંમેશા એવી ઈચ્છા રહી કે ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં!!
ફ્લેટમાં એ બધું શક્ય ક્યાં? છતાંય શ્રીમતીજીની 'ભાવેચ્છા'એ ફ્લેટને પણ 'શાંતિઘર' બનાવેલું, એવું હું કહી શકું એમ છું, કેમ કે ત્રીજે માળ ઝાડ નહોતું તોય પંખીઓના માળા ૩૬૫×૨૪ દિવસ બંધાતા હતા..!!

ક્યાંય રસ્તા પર જતો હોઉં અને નીચેનાં 'જગ્યા'વાળા ઘર જોઉં તો ઈર્ષ્યા થાય! જોકે મોટેભાગે આવી જગ્યાવાળા સરસ ઘરોમાં રહેતાં લોકો આંગણામાં 'ઉપવન' બનાવવા કરતાં રૂમો ખેંચીને વધુ મોટું ઘર બનાવવાની કુમતિ જ ધરાવતા હોય છે!! મારી હંમેશા આવી ઈચ્છાને ધ્યાને લઈ એકવાર શ્રીમતીજીએ કહ્યું પણ ખરાં, "ધારીએ તો હમણાં હાલ આવું ઘર લઈ શકીએ પણ પછી બહુ શોષાવું પડશે..!"

હું પણ સંમત હતો.. કેમ કે હાલ જે ફ્લેટ હતો એનીય લોનના હપ્તા ચાલુ જ હતા.. વળી, ક્રેડિટ સોસાયટીની લોનેય ખરી!! મારો લગભગ ૭૦-૮૦% પગાર તો લોન જ ખાઈ જાય, શ્રીમતીજીનાં પગારથી બીજું બધું થાય! એટલે મન વાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો! 

આજે જ સમાચારમાં વાંચ્યું.. કે રાની મુખરજીએ સાત કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો!! હું આનો સીધો મતલબ એ જ કાઢું છું કે વિશ્વમાં (ખાસ તો ભારતમાં..!!) રહેતી મોટાભાગની વ્યક્તિને 'ઘર' જ જોઈતું હોય છે! જોકે કરોડોનાં ગગનચુંબી આલીશાન ફ્લેટ કરતાં જમીન સાથે જોડાયેલું 'નાનું ઘર' મને વધુ આકર્ષે છે!! ..પણ જમીન સાથે જોડાયેલા ઘરનો 'ભાવ' સાંભળીને ચક્કર ન આવી જાય તો જ નવાઈ!!
************

થોડા દિવસ પહેલાં એક શિક્ષક મિત્ર સાથે મારે ઘર લેવાની ઈચ્છા બાબતે અને મકાનોના મોંઘાદાટ ભાવ બાબતે ચર્ચા થઈ તો એ કહે, "હવે પચાસ-સાઈઠ લાખ રૂપિયા તો બધાની પાસે હોય જ ને?!! વીસ-પચ્ચીસ લાખના ઘરેણાં હોય.. દસ-પંદર લાખ બેંકમાં હોય.. અને બીજાં પંદર-વીસ લાખ કુટુંબી પાસેથી મળી જાય.. બાકીની લોન લઈ લેવાની.. એટલે તમારું નીચેનું ઘર તૈયાર.. એમાં શું વળી??!!"

એ મિત્ર આવું એટલી સલુકાઈથી બોલ્યા કે હું તો ભોંઠો પડી ગયો!! અહીં તો મારી પાસે પાંચ લાખ પણ રોકડાં નીકળે એમ નહોતાં.. અને આ મિત્ર અડધો કરોડતો બધાની પાસે હોય એવું ઇઝીલી બોલતા હતાં! મને સમજાયું કે મારે મારી 'ઘર' બાબતની અજ્ઞાનતાનું પ્રદર્શન બધાની સામે ન કરવું!!
*************

મારા અંગત મિત્ર કમ માર્ગદર્શક અરુણસાહેબ સાથે મારે નિયમિત કોઈને કોઈ બાબતે ચર્ચા થાય. એમણે એક વખત એમનાં છોકરાને અમેરિકા મોકલવા કેવી કેવી રીતે રૂપિયા ભેગાં કર્યા એ બાબતની ચર્ચા કરી, અને કહ્યું, "માનો કે કાલ ઉઠીને તન્વી વિદેશ ભણવા જાય તો તમે કઈ રીતે પૈસા ભેગા કરો??"

મેં માથું ખંજવાળ્યું.. તો એ કહે, "એક વાત કહું.. અત્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો તો તમારી તન્વી મોટી થાય ત્યારે તમને મોટી મદદ મળી રહે.."

મને તરત જ મારા જૂની શાળાના આચાર્ય ગોપાલસાહેબની એક વાત યાદ આવી ગઈ, "એક શિક્ષક પોતાની સમગ્ર નોકરી દરમિયાન પોતાનાં ઘર સિવાય કશું ન કરી શકે!" 

મને અરુણસાહેબની વાત યોગ્ય લાગી. એમણે કહ્યું, "હજુયે તમારી ઉંમર નાની છે.. થોડું સાહસ કરો.."
***********

ઘર જોવાનું શરૂ કર્યું.. પણ જેમ જેમ નવા બાંધકામના ઘર જોતો ગયો એમ એમ એમનાં 'ભાવ' સાંભળીને છાતીનાં પાટિયાં બેસવા લાગ્યા!! સાલું.. આપણા બજેટમાં તો નીચેનું ઘર મળવું જ મુશ્કેલ છે, એ સમજાયું! રી-સેલ મકાનનું પણ વિચાર્યું.. અવનવી એપ ડાઉનલોડ કરી.. ૪૦ જેટલા મકાનો જોયાં.. કેટલાંક ફોટામાં તો કેટલાક સ્થળ પર જઈને!! જેમ એરિયા સારો એમ ભાવ ડબલ-ત્રિપલ થાય!! એવું તો સાહસ પણ કેમ કરવું, કે જેમાં ઘરમાં ખાવાનાય પૈસા ન બચે??!! એટલે એક રકમ નક્કી કરી.. એનાંથી ઉપરનું ન વિચારવું, એવું નક્કી કર્યું!! પાછું ઘર જોવાનું શરૂ કર્યું.. પણ હજુયે વેંત (વેંત નહિ.. હાથ!!) ટૂંકી પડે! રૂબરૂ અમુક ઘર જોવાય ગયો પણ ન ગમ્યાં.. કેમ કે જગ્યા તો હોય જ નહિ! મારે તો થોડી જગ્યાવાળું લેવું હતું!! રિસેલ મકાનમાં સમજાયું કે જુના મકાનમાં પૂરતી લોન મળવી મુશ્કેલ હતી, વળી બાંધકામ વર્ષો જૂનું હોય તો રીનોવેશનનો ખર્ચો કેમ કાઢવો, એ ય પ્રશ્ન હતો!! નવા બાંધકામના મકાનોય સાથે સાથે જોવાનું ચાલુ રાખ્યું.. ફ્લેટનો અનુભવ હતો એટલે બિલ્ડરો જોડે વાત થતાં સમજ્યો કે બધાં બિલ્ડરો ખંધા જ હોય છે! ..જાણે કે જમીન/મકાનના ભાવ વધારવા તો એમને મન ખાવાનો ખેલ ન હોય?!! 

બીજું એ પણ સમજાયું કે હવે બિલ્ડરો નીચેનાં મકાનમાં હવે માત્ર '૩/૪/૫ બીએચકે વીલા' જ બનાવે છે.. કે જે મારા માટે નકામાં હતાં કેમ કે એક્ચ્યુલી તો એ લાંબા-લાંબા અને ઊંચા-ઊંચા રો-હાઉસ ટાઈપના મકાનો જ લાગતાં!! જગ્યાના નામે સમ ખાવા પૂરતો એક ખાટલો પાથરીએ એટલી જ જગ્યા હોય!! વળી, ઉપરના માળે ૨-૩ રૂમો બંધ રહે એવાં મકાનોની ઈએમઆઈ ભરવી યોગ્ય ન કહેવાય, કેમ કે એવાં મકાનોમાં સીડી પણ અંદર આપી હોય જેનાંથી કોઈને ઉપરના રૂમને ભાડે આપીને આવકનો સ્ત્રોત પણ ઉભો કરવો અસંભવ થઈ જાય! ..અને 'ભાવ'નું તો પૂછવું જ શું? એમાંય થોડી જગ્યાવાળું કોર્નરનું મકાન માંગીએ તો ભરી બજારે વેચાઈ જઈએ તો પણ મેળ ન પડે એવો ભાવ!! 

...આખરે આ તરફ વિચારવાનું બંધ જ કરી દીધું!! 
*********

મારી મરી ગયેલી ઈચ્છાઓનો મેં ચાર-પાંચ દિવસ માતમ પણ મનાવ્યો, ક્યાંય મન ન લાગે! કોરોનાને કારણે ક્યાંય ફરવા જવું પણ સંભવ ન હતું.. બીજી લહેર પણ 'પિક' પર હતી! આખરે કંટાળીને રવિવારે સાંજે અચાનક મંદિર જવાનું મન થયું.. જેથી 'મન' થોડું શાંત થાય! જનરલી હું એવો ધાર્મિક નથી, પણ ક્યારેક મંદિરે જવાનું મન થઇ જાય ખરું! મંદિરેથી પાછા ફરતી વખતે અચાનક એક નવી સ્કીમનાં ટેનામેન્ટ કોઈ એપમાં જોયેલા એ રસ્તો દેખાયો.. ત્યાં બાઇક વાળી મકાન જોવા ગયો.. પસંદ આવ્યું.. બિલ્ડર સાથે વાત થઈ.. બજેટમાં પણ આવે એમ હતું.. જગ્યા પણ હતી.. નીચેનું પણ હતું.. કોઈ બંધ રૂમની ઈએમઆઈ ભરવી ન પડે અને કોઈ મહેમાન આવે તો અલગ રૂમમાં રોકાઈ શકે એટલું જરૂરિયાત પૂરતું ય ખરું!!...

..આગળ એક શિક્ષકમિત્ર ત્યાં રહેતા હતા એ પણ મળી ગયા.. અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! હવે.. લોન માટે દોડવાનું હતું!!
*********

મારી પગારસ્લીપ જોઈને લોન એક્ઝિક્યુટિવે ના પાડી.. શ્રીમતીજીની પગારસ્લીપ પણ આપી તો એક્ઝિક્યુટિવે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો.. ૮૦% લોન થઈ શકે એમ હતી!! ..પણ બાકીની ૨૦% રકમ કે જે રોકડમાં આપવાની હતી.. એની ચિંતા થઈ!! સરકારી નોકરિયાત પાસે લોન નામના હથિયારથી લડવાની શક્તિ આવે.. પણ રોકડ ક્યાંથી કાઢવું?? એ પ્રશ્ન ઉભો થયો.. મારા બધા શેર્સ/મ્યુચ્યુઅલ ફન્ડ/બચતો બધું ભેગું કરતાં પણ રૂપિયા ઘટ્યા.. સખત ચિંતા થઈ!! ..પણ ગમે તે થાય.. 'આ સાહસ તો કરવું જ' એવું નક્કી કર્યું.. ડાઉન પેમેન્ટ ભરવા જવાનો દિવસ નક્કી કર્યો.. ઉતાવળ હતી.. અને તન્વીએ કહ્યું, "પપ્પા એક મિનિટ બેસોને.."

..આગળ કયો સંવાદ થયો અને તન્વીએ શુ કર્યું એ લેખની શરૂઆતમાં જ લખી નાખ્યું છે!! તન્વીએ પોતાનાં ગલ્લામાંથી ૫૦૦₹ કાઢીને આપ્યા, અને કહ્યું, "લો.. આપણે ઘર લેવું છે ને?? ..તો આ મારા તરફથી ૫૦૦₹!!"

હું સખત ભાવુક થઈ ગયો.. તન્વીની મમ્મીની આંખનાં ખૂણા પણ ભરાઈ ગયા!! અમે બંને એને ભેટી પડ્યા.. એ પણ રડતી હતી!! 

તન્વી આવું કરશે એનો સ્વપ્નેય ખ્યાલ નહોતો!! અજાણતાં જ એક ફિલ્મી દ્રશ્ય ભજવાઈ ગયું!
************

બિલ્ડર પાસે તન્વીએ આપેલાં ૫૦૧₹ થી જ મકાન બુક કરાવ્યું.. જ્યારે બુકીંગ એમાઉન્ટ ૫૧૦૦૦₹ હતી!! બિલ્ડરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તન્વીને આઇસ્ક્રીમ પણ ખવડાવ્યું!! 

આ સમગ્ર પ્રસંગનો વિડીયો ઉતારવાનું અચાનક યાદ આવ્યું.. એ બિલકુલ એડિટ કર્યા વગર મુકું છું!! ..અને આઈસ્ક્રીમ ખાતી તન્વી પણ!! 

શોર્ટ અને સ્વીટ, બાળકો બધું સમજે છે, જાણે છે.. બાળકો ક્યારેય નાના નથી હોતા!!😊😊

ઘર એવું હોય જ્યાં આંગણે એક ઝાડ હોય, ઝાડ પર પંખીઓનાં માળા હોય, આંગણું હોય, આંગણામાં તુલસીના છોડવા હોય, ધાબે વેલ ઊગી હોય અને હું ત્યાં બેસીને મેડિટેશન કરતો હોઉં, અને શાંતિથી પ્રકૃતિનો અવાજ સાંભળતો હોઉં.... આગળ ઇશ્વરેચ્છા!!

https://youtu.be/EkoN_Vo79AA

https://m.facebook.com/story.php?story_fbid=4162373647204166&id=100002947160151

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

*ઘરડાંઘર શા માટે ઉભરાય છે??*

હું નાનો હતો ત્યારે મારા ઘરે ત્રણે ત્રણ છાપાં આવતા - ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્યભાસ્કર! એમાં બુધવાર અને રવિવારની પૂર્તિઓ મને વાંચવી એટલી ગમતી કે આ દિવસોએ પેપર વાંચતાં મને ઓછામાં ઓછાં ત્રણ-ચાર કલાક તો થઈ જ જતાં!! પુસ્તકો તો હતાં જ નહિ, પણ પૂર્તિઓમાં કશું બાકી ન રાખતો! બધું વાંચતો.. દરેકને વાંચતો.. અને આમ જ હું લોકોને વાંચતા વિચારતાં પણ શીખ્યો! નવાં વિચારો ધરાવતો થયો.. સમજતો થયો.. દુનિયા કઈ તરફ જઈ રહી છે એ જ્યારે સમજાયું ત્યારે હું એક સુંદર દુનિયામાં રહું એનાં સપના પણ જોતો! વાંચનથી દુનિયા નજર સામે આવી જાય છે.. એ ખોટું તો નથી જ! ..પણ જેમ જેમ જ્ઞાન વધે એમ એમ મૂંઝારો પણ વધતો જાય છે! સંવેદનશીલતા વ્યક્તિને વ્યથિત કરતી હોય છે! પોતાની આસપાસ ઘટતી ખોટી બાબતો, ખોટાં લોકો અને ખોટી વસ્તુઓની સમજ વધતી જાય ત્યારે આ અકળામણ પણ વધતી જાય છે! ..ક્યાં જવું એ સમજાતું નથી! જો તમે 'રોકસ્ટાર' મુવી જોયું હોય તો સમજાશે કે 'રોકસ્ટાર' જોર્ડનને અને 'રંગ દે બસંતી'માં અસ્લમને એનાં કુટુંબથી કઇ બાબતે અકળામણ હતી!!?? 
************

એક વાર્તા વાંચેલી.. હિન્દીમાં હતી.. અધકચરી યાદ છે!! 

એક બાર-પંદર વર્ષનો છોકરો હતો. એનાં ઘરની બાજુમાં  પતિ-પત્ની અને બાળકવાળું મોડર્ન કુટુંબ ભાડે રહેવા આવે છે. ત્રણેય પોતાની દુનિયામાં મસ્ત છે. એ ઘરમાં રહેતી સ્ત્રી ખૂબ હસમુખી અને શાલીન છે. છતાંય એ કુટુંબ ત્યાં ટૂંક સમયમાં જ લોકોની અદેખાઈનો અને ઇર્ષ્યાનો ભોગ બને છે. આ બધું પેલો છોકરો જોવે છે અને એનાં મનમાં દ્વંદ્વ શરૂ થાય છે.. કઈ બાબતનો દ્વંદ્વ??

એ છોકરાનાં મનમાં એ શાલીન સ્ત્રીની, પોતાની મમ્મીની તથા સોસાયટીમાં રહેતી બીજી સ્ત્રીઓની વચ્ચે તુલના શરૂ થાય છે! એક વખત ક્રિકેટ રમતાં બોલ એ શાલીન સ્ત્રીના ઘરમાં ગયો.. તો બીજી સ્ત્રીઓની જેમ એણે બોલ નહોતો લઈ લીધો! એ સહેજ પણ નહોતી ખીજાઈ, ઉલટાનું દરેક બાળકને શરબત પીવડાવેલું! એ સ્ત્રીએ આવું કર્યું એટલે એ છોકરાની મમ્મી એ સ્ત્રીને સમજાવવા ગયેલી કે આવું કરીને સોસાયટીના છોકરાઓને માથે નહિ ચડાવો! છોકરાંને આ જોઈને પોતાની મમ્મી પર ગુસ્સો ચડે છે. 

એમનાં ઘરમાં પતિ-પત્ની હંમેશા ખુશ જોવા મળે છે, ક્યારેય ઝઘડાની વાત નહિ, જ્યારે છોકરો પોતાનાં ઘરને જુએ છે ત્યારે એનાં મમ્મી-પપ્પા વચ્ચે થતાં ઝઘડાથી કંટાળે છે! એ વિચારે છે મારાં મમ્મી-પપ્પા કેવાં ઝઘડાળું છે! પોતાની મમ્મી નાની નાની વાતમાં એ શાલીન સ્ત્રીની ઈર્ષ્યા કરે એ છોકરાંને બિલકુલ નથી ગમતું! વળી, એની મમ્મી સોસાયટીની બીજી સ્ત્રીઓની સાથે બેસીને એ શાલીન સ્ત્રીની અદેખાઈ જ કરતી હોય છે! .."બહુ નવાઈની જો તો  કેવાં નવાં કપડાં પહેરે છે?" "જો તો બધાની સાથે કેવી હસી હસીને વાત કરે છે?" "જો તો એનાં પતિની રાહ જોઇને કેવી ઉભી રહે છે?" "બધાં છોકરાઓને તો કેવાં માથે ચડાવ્યા છે?" ...આવા બધાં વાક્યો હવે દરરોજ એ છોકરો એની મમ્મીના અને સોસાયટીની બીજી સ્ત્રીઓના મોઢે બોલતાં સાંભળતો અને દુઃખી થઈ જતો! એક દિવસ તો બધી સ્ત્રીઓએ ભેગી થઈને હદ કરી નાંખી અને એ સ્ત્રી પર કોઈ લાંછન લગાવી દીધું! બધી સ્ત્રીઓ ભેગી થઈને એની સાથે ઝઘડે છે! ..અંતે તેઓ મકાન ખાલી કરીને જતાં રહે છે! ..અને સોસાયટીની બધી સ્ત્રીઓની સાથે એની મમ્મી પણ એમને જતાં જોઈને ખુશ થઈ જાય છે! ..એમનાં જતાં રહ્યાં પછી એ છોકરો પોતાની મમ્મીને જોઈને શું વિચારે છે..?? 

"કાશ... પેલી શાલીન સ્ત્રી મારી મમ્મી હોત તો કેવું સારું થાત!! હું એમનાં ઘેર જન્મ્યો હોત તો કેવું સારું થાત!!"

.....કદાચ ઘરડાંઘરો ઉભરાવાનું કારણ માત્ર સંતાનો ખરાબ હોય છે, એ નથી હોતું.. ઘણીવાર માતા-પિતા પણ એટલાં ખરાબ હોય છે, સંતાન કંટાળીને એમને છોડી દેતું હોય છે! તાળી બે હાથે જ વાગતી હોય છે. ફાંસીએ ચડેલો ગુનેગાર મૃત્યુ પહેલાંની પોતાની અંતિમ ઇચ્છામાં પોતાની માતાનું નાક કરડી ખાય છે.. એ વાર્તા યાદ છે ખરાં??
**************

દંભી ધાર્મિકતા, નર્યો દંભ, અસત્ય, અવિશ્વાસ, ઈર્ષ્યા, નેગેટિવ વિચારધારા, છોકરાં-છોકરીઓ વચ્ચે ભેદભાવ, ભૂત-ભુવા અને ડાકલાં, પગ ખીંચાઈ, લૂંટભાવ, ગામ આખામાં ગંદવાડ ફેલાવીને આંગણું ચોખ્ખું રાખવાની દુર્ભાવના, ઝઘડાંખોર વૃત્તિ, કોઈનો પ્રસંગ બગાડવો, ચોરી, જુગાર, આંકડા રમવા, પરિવારના લોકો વચ્ચે ખોટું બોલવું, અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કરવી(નિંદા), કોઈને એક-બીજાની વાત કરીને ચડાવવું, નાત-જાતમાં અને ઊંચ-નીચમાં માનવું, આસ્થા સત્સંગ જેવી ચેનલોમાં આવતા કૂપમંડુકોની વાતોમાં અંધભક્તિ રાખવી, 'મારું મારું મારું અને તારું મારું સહિયારું' વાળી વૃત્તિ રાખવી, ઘરની વહુઓ પર શંકા રાખવી, છોકરીઓને દાબમાં રાખવી અને છોકરાંઓને સ્વતંત્રતા આપવી, વહુઓને પહેલું બાળક હંમેશા છોકરો જ હોવો જોઈએ તો જ ઘરની વહુ સાચી-એવું માનવું, છોકરો ન થાય ત્યાં સુધી વહુઓને બાળક પેદા કરવાનું મશીન સમજવું, વંશ તો છોકરાંઓ જ આગળ વધારે એવું માનવું... 
.
.
.
પોઝિટિવ બાબતો ઓછી હોય અને બદીઓ વધુ હોય એવાં કુટુંબમાં રહેવાથી ખુશીથી વધુ દુઃખ થતું હોય છે! એવા ઘરમાં અકળામણ થાય છે, મૂંઝારો થાય છે! માતા-પિતા જ્યારે પોતાનાં સંતાનને રિટાયરમેન્ટ ફંડ ગણી બેસે ત્યારે સંતાન પોતાનાં માતા-પિતાને, ભગવાનતુલ્ય ગણતાં હોવાં છતાં, અંતે હારી-થાકીને છોડવું વધુ પસંદ કરે છે! આવી બદીઓ ધરાવતાં માતાપિતાએ એ સમજવું જ રહ્યું કે એમનાં સંતાનને બધી 'ખબર' પડે છે!

સંતાનના જન્મ વખતે માતા-પિતા જો એવું વિચારીને એને જન્મ આપવાનાં હોય કે મારાં ઘરડાં ઘડપણે એ મને સાચવશે.. તો એવાં માતા-પિતાએ સંતાન પેદા કરવા કરતાં કોઈ વફાદાર નોકર નોકરીએ રાખવો વધુ સારું રહે! ..કમસેકમ સંતાન નપાવટ નીકળ્યાંનો ગામ આખામાં ઢંઢેરો તો ન પીટવો પડે! 

'ભૂલો ભલે બીજું બધું..' ટાઈપના ગીતો  અને 'જનની ની જોડ સખી..', 'માં તે માં..' ટાઈપના સુવિચારો જે બાળકના કાનમાં નાનપણથી જ સંભળાતા હોય એવા, માતા-પિતાને મહાન ગણવાવાળા 'સેવાધારી શ્રવણ'નાં આ દેશમાં એવા બાળકો કેટલાં.. કે જે રાજેશ ખન્નાના 'અવતાર' કે અમિતાભ બચ્ચનનાં 'બાગબાન' ટાઈપના પિક્ચરોમાં દેખાડે છે?? ...બહુ ઓછા!! છતાંય ટીવી-સિરિયલો અને ફિલ્મોએ સંતાનોમાં દીકરાને વિલન ચીતરવા સિવાય કંઈ કર્યું નથી! 'વહુ આવશે તો દીકરો અમને છોડીને જતો રહેશે'  ટાઈપનો ડર સતાવતો હોય તો ઈજ્જતથી એમને જવા દેવાય! ઈજ્જતથી પોતે જીવાય, કોઈના ઉપર આધાર ન રાખવો પડે એવું આયોજન યુવાનીમાં જ કરાય! ...હાં, બીમારીમાં સપડાયા હોઈએ કે પથારીવશ હોઈએ એ વાત અલગ છે!!

માતા-પિતાએ સંતાનને ભરપૂર પ્રેમ અને વિશ્વાસ સિવાય કશું જ નહીં આપ્યું હોય તો પણ ભરોસો રાખજો, એ એમને એકલાં નહિ મૂકે! માતાપિતાએ ઈજ્જત કમાવી પડે છે, સંતાનો પાસે માંગવાની ન હોય! માતાપિતાએ સંતાનને નાનપણથી જ ઉપર બતાવેલી બદીઓ જ શીખવી હોય તો ઘરડાં થયાં પછી એ તમને સાચવશે એવી ઈચ્છા રાખવી નકામી છે! બાવળ જ વાવ્યો હોય તો કેરી ક્યાંથી મળે?? ..સરવાળે ઘરડાંઘર ઉભરાતા જાય છે! 
************

"બેટા, અમે તને એટલાં માટે પેદા નથી કર્યો કે તું અમને સાચવે.. તારી ઈચ્છા હોય તો સાચવજે.. બાકી તું તારું જીવન રાજીખુશીથી પસાર કરજે.. અમારી ચિંતા કરીને તું દુઃખી ન થઈશ.. જ્યારે પહેલીવાર તને જોયો હતો ત્યારે અમે બહુ રાજી થયેલાં.. તું જ્યાં હોઈશ ત્યાં અમે તને જોઈને રાજી થઈશું.. અને હા, મુશ્કેલી આવે તો ગભરાતો નહિ.. અમે શક્ય એટલી તને હૂંફ આપીશું.." 

..આવુ બોલીને સંતાનને 'હળવું' કરવાનો માં-બાપનો પ્રયાસ હોય.. તો સંતાન પણ માં-બાપને 'ભારરૂપ' નહિ, પણ 'હળવાફુલ' ગણીને સાચવે!! 
*************

"બહુ નવાઈનો મોટો સાહેબ થઈ ગયો છે તે ખબર છે.. બહુ બોલીશ નહિ..!!" 

...કોઈ બદી છોડવાની વાત કરું ત્યારે કુટુંબ તરફથી મળતો આવો જવાબ મને એમનાંથી વધુ ને વધુ દૂર લઈ જાય છે!! હું જ્યારે એમની બદીઓમાં/વાતોમાં/વર્તનોમાં/જડ રિચ્યુઅલોમાં ફિટ નથી થતો.. ત્યારે તેઓ મારા પર બિલકુલ એવું લાંછન લગાડે છે જેવું પેલી વાર્તામાં છોકરાંની મમ્મીએ પેલી શાલીન સ્ત્રી ઉપર લગાડેલું! એ બધાં ભેગાં મળીને બિલકુલ એવી રીતે જ મારી સાથે ઝઘડે છે જેવું સોસાયટીની સ્ત્રીઓ પેલી શાલીન સ્ત્રી ઉપર તૂટી પડેલાં! ..અંતે હું ત્યાંથી બધું છોડીને જતો રહું છું.. અને વધુને વધુ દૂર થતો જાઉં છું!! 
***********

લગ્ન થાય ત્યારે નવયુગલને કપડાં, વાસણ, ઘરેણાં, અન્ય ઘરઘથ્થુ વસ્તુઓ અને ચાંલ્લો (પૈસા) આપવાનો રિવાજ શા માટે હશે?? 

કદાચ એટલે જ કે.. નવયુગલ હવે જાતે એમનું જીવન શરૂ કરે! નવયુગલ કુટુંબીજનો ઉપર અને કુટુંબીજનો નવયુગલો ઉપર ભારરૂપ ન બને એટલે જ આ રિવાજ પડ્યો હશે! ...પણ આપણાં વડવાઓ/માતા-પિતાઓ એને પોતાની મિલકત અને વહેવાર સમજી બેઠાં હોય એવું લાગ્યા વગર રહેતું નથી! અહીં એકબીજાને છોડવાની વાત નથી, પણ પારિવારિક હૂંફની વાત છે! 

પુરાણોમાં 'વાનપ્રસ્થાશ્રમ' અને 'સન્યાસઆશ્રમ'નો ઉલ્લેખ શા માટે હશે?? તે સમજાય છે??

-યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૨.૮.૨૧

https://m.facebook.com/story.php?story_fbid=4127545037353694&id=100002947160151