શુક્રવાર, 31 જુલાઈ, 2020

તન્વી આંગળવાડીમાં જય છે 1.8.18

સાડા ચાર વર્ષે આજથી શુભ શરૂઆત!!

*****

"કઈ સ્કૂલમાં જાય છે??"
"તમે હજુ સુધી તન્વીને સ્કૂલમાં નથી મૂકી??"
"ક્યારે સ્કૂલમાં મૂકશો??"
"નર્સરીમાં મૂકી દેવાય, ત્યાં જતી થશે તો સ્કૂલમાં પણ બેસશે.."

અઢળક સવાલો અને સલાહો!! 
હાલ આપણા સભ્ય સમાજમાં એક ટ્રેન્ડ છે કે બાળક અઢી/ત્રણ વર્ષનું થયું નંઇ કે તરત નર્સરીમાં મૂકી દેવું! એને ત્યાં જવું ના ગમતું હોય તોય ધરાર બધાનાં બાળકો જાય છે એટલે આપણે પણ ત્યાં મોકલવાનું?!! ..પછી ભલેને એ રડતું હોય!! આ કેવું?? મહ્દઅંશે તો એવું જ લાગે છે કે દેખાદેખી અને ઈર્ષામાં જ આ 'કુંમળા છોડ'નો 'નર્સરી'માં ભોગ ચડાવાય છે!! ...અથવા તો આ 'તોફાની'થી ત્રણેક કલાક બચવાનો એક ઉપાય એટલે 'નર્સરી'!!

ઠીક છે, પણ બધાં કરતાં હોય એટલે આપણે પણ કરવું જરુરી તો નથી!! વળી, શિક્ષક હોવાને નાતે જાણું છું કે સાવ નાની ઉંમરમાં સ્કૂલનો ઓટલો ચડાવવો યોગ્ય નથી, એટલે છેક સાડા ચાર વર્ષે આ શુભ દિવસ આવ્યો!! તન્વીબેન હવેથી આંગણવાડીમાં જશે!! તન્વીબેનને ભણવાની અને અમને ભણાવવાની સહેજેય ઉતાવળ નથી, એટલે નર્સરી કરતાં આંગણવાડી ઉપર જ પસંદગી ઉતરી છે!! બસ, આ જ ઉંમર છે.. ખાઓ અને મોજ કરો, બીજું શું વળી!!

ગુરુવાર, 30 જુલાઈ, 2020

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ' સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

'કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા નહિ'

સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું!!

***************

ધર્મની બાબતમાં સવાલો કરવા કે ઉઠાવવા એ આપણાં સમાજમાં લોકોનાં 'નાકનું ટેરવું અને આંખોના ભવાં' ઊંચા કરાવવા કાફી છે! ન જાણે, ધર્મની બાબતે એવાં એવાં ડર ઘુસાડેલાં છે કે જો આમ કરીશું તો આમ થશે, અને આમ નહિ કરીએ તો તેમ!! હું પોતે જન્મથી હિન્દુ છું, નખશિખ હિન્દુ! નાનપણથી મમ્મી પપ્પાએ અને મારી આસપાસના સમાજ-વાતાવરણે મને ભગવાન જે દ્રષ્ટિએ અને નજરે જોવાનું શીખવ્યું છે, હું મારી ઉંમરના બહુ મોટા પડાવ સુધી એ જ નજરે જોતો રહ્યો છું, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું! ..પણ હવે ખબર નહિ, કેમ સવાલો ઉઠે છે..! મને એવું લાગે છે ઉઠવા જોઈએ!! સવાલો તો અર્જુને પણ કરેલાં, પણ અંતે તો એ જ સવાલો એને (પૌરાણિક કથાઓ અનુસાર) ધર્મ તરફ દોરી ગયેલાં! સાચો ધર્મ સવાલો પૂછવાનું શીખવે છે, અને દંભી ધર્મ સવાલો પૂછનારને જ ખતમ કરવાનું એવું હું માનું છું. 

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ.. શું આ બધા ધર્મો છે? જો હા.. તો બાળકના જન્મ વખતે જ જે તે ધર્મનો થપ્પો હોવો જોઈએ! જો ના.. તો વાસ્તવિક ધર્મ શું છે?

*************

નાનપણમાં સિવિલ પાસે રહેતાં ત્યારે દર શનિવારે સાયકલ લઈને 'કેમ્પ હનુમાન' જતાં. ત્યાં જાતજાતનાં ચિત્રો દોરેલાં હતા. કોઈ ખોટું કામ કરીએ તો યમરાજના દૂતો 'ગરમ તેલમાં નાખીને તળતા હોય! (તેલમાં તળાયા પછી મરીએ કે જીવતાં રહીએ એ સવાલ ઘણી વખત થયેલો, પણ કોઈને પૂછી નહતો શક્યો!) ગાયનું દાન કર્યું હોય તો જ એનું પૂંછડું પકડીને વૈતરણી નદી ક્રોસ થઈ શકે, બાકી આ પાર જ રહી જઈએ! (વૈતરણી નદી પાર કરવા એ નાદાન ઉંમરે, કોઈએ ગાય દાન કરી હોય એવાને, મિત્ર બનાવવાનું વિચારેલું, જેથી એની ગાયનું પૂંછડું પકડીને નદી ક્રોસ થઈ શકે!! તરવાનું શીખવાનું પણ વિચારેલું!! ..અને ત્યારબાદ એક એ પણ આઈડિયા કરેલો કે, કોઈ નદી ક્રોસ કરી લે, પછી ગાય તો નદીમાં જ હોય ને??!!.. એને પકડી લઈશું!!☺️☺️) બીજાં ઘણાં ચિત્રો હતા.. પણ અત્યારે માનસપટ પર આ જ અંકિત છે! દરેક પ્રકારના ભગવાનને સમજવા હું 'વ્રતકથાઓ' ચોપડી આખી વાંચી ગયેલો! એમાંય સંતોષી માતા(એ સમયે લોકો સંતોષીમાંને વધુ માનતા, અત્યારે દશામાંને વધુ માને છે!)નો ડર તો એવો ઘુસી ગયેલો, કે શુક્રવારે ભૂલથી ખાટું ખવાઈ ગયું હોય તો મનમાં ને મનમાં હજાર વખત મરી ગયો હતો, પણ 'જીવતાં રહેવા' ખાટું ખાધું હોવાનું કોઈનેય ન કહેવાનું નક્કી કરેલું! (મમ્મી-પપ્પા ક્યારેય શાળાએ જઈએ ત્યારે પૈસા વાપરવા નહોતા આપતાં. બાપુનગર  ગુજરાતી શાળા નં ૯-૧૦ માં ભણતો અને રહેવાનું છેક ઉત્તમનગર, મણિનગર! એકવાર બસ નહોતી મળી, અને કકડીને ભૂખ લાગેલી! મારી બેન, આશા પાસે કોઈકે વૈભવલક્ષ્મીનું વ્રત ઉજવેલું, એનો દફતરમાં છુપાવેલો ૧ રૂપિયો હતો! એણે ૫૦-૫૦ પૈસાની આમલી ખરીદી. અમે ખુશ થઈ ગયા. આમલી ખાધી, અને... ખલાસ! એ દિવસ શુક્રવાર હતો! પૂરું! ..અમે બંને ધર્મસંકટમાં ફસાયા!! હવે સંતોષી માતા નહિ છોડે એવી બીક લાગી. છેવટે નક્કી કર્યું કે આમલી ફેંકી દઈએ, અને ઘરે કોઈનેય નહિ કહીએ! ..એમ જ કર્યું! એ દિવસે સાંજે ઘરે સંતોષી માં ની પૂજા થઈ ત્યારે જે ગોળ-ચણા નો પ્રસાદ મળ્યો, એ છુપાવી દીધેલો, ખાધો નહતો!!) સાવ ત્રણ-ચાર વર્ષની ઉંમરે તો સવારે નહાઈને જ્યાં સુધી ત્રણ વખત 'શ્રી કૃષ્ણ શરણમમ'ની તુલસીમાળા ન કરું, ત્યાં સુધી મમ્મી મને ચા-ટોસ્ટ પણ ન આપતાં! ચા-ટોસ્ટ ખાવા મળે એ માટે હું કાણી આંખે ફટાફટ માળા ફેરવતો, અને બે મિનિટમાં ત્રણ માળા પૂરી કરતો! એક વખત પરીક્ષામાં પાસ થવા બાપુનગર ગાયત્રી મંદિરે 'ગાયત્રી મંત્ર'ની માળા પણ ફેરવેલી! 

સતત ભાડે રહેતાં હોઈ ગોમતીપુર મુસ્લિમ બિરાદરના મકાનમાં રહેતાં ત્યારે એની વાતોમાં આવીને સત્યાવીસમો  'રોજો' કરવાનું પણ શરૂ કરેલું! જે સાત વર્ષ સુધી કર્યો હતો!! ..અને પડોશમાં રહેતાં ખ્રિસ્તી કુટુંબે એમની આપેલી ઈસુની ચોપડીઓ અને 'નવો કરાર' વાંચીને 'હે પરમપિતા પરમેશ્વર, આ લોકો શુ કરી રહ્યા છે એ લોકો જાણતા નથી, માટે એમને માફ કરજો' એવી પ્રાર્થના કરવાનું પણ શીખેલો! 

એ સમયે અમારાં ઘરે દર અઠવાડિયે 'નાનકા કાકા' આવતાં, જેનાંથી હું ખૂબ પ્રભાવિત હતો! નાનકો માતાજીનો ભુવો હતો. એ અમારા ઘરે આવીને ધૂણતો. એનાં શરીરમાં માતાજી આવતા, એ એવું કહેતો, એટલે હું પણ એવું માનતો! માતાજી આવે એટલે મમ્મી-પપ્પા કંઈક પૂછે અને પેલો ભુવો જવાબ આપે. અચાનક જ માતાજી જતાં રહે, અને મમ્મી-પપ્પાના સવાલો બાકી રહી જાય, એટલે પેલો અઠવાડિયા પછી પાછો આવે!! ધૂણવાનું પૂરું કરે એટલે તરત જ મમ્મી એનાં પગ પાસે પૈસા અને પાણી મૂકે એવું સ્મરણમાં છે.

મમ્મીની દેખીતા ભગવાનોમાં આટલી શ્રદ્ધા હોવા છતાં, પોતાનું ઘર અને પપ્પાની રીક્ષાય વેચાઈ ગઈ! ઘરભાડુ પણ ન ભરી શકતાં જ્યારે ભીડભંજન પાસે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું થયું, ત્યારે સૌપ્રથમ ભગવાન પર શંકા થઈ! ..અને સવાલો પેદા થયા!!

************

મૂલતઃ આ બધું લખવાનું કારણ એ કે, ભગવાન એટલો નવરાં હોય ખરાં, કે દરેક પર પર્સનલ ધ્યાન રાખે?? શું ભગવાન ભક્તોની ભૂલો શોધવા જ બેઠાં હોય?? જો ભગવાન 'ભાવ'નો ભૂખ્યો હોય, તો આ 'ભાવ' છે શું??
શું 'ભાવ' એ જ ભગવાન છે કે પછી 'સત્ય' એ જ પરમેશ્વર?? કે પછી 'ભાવ' અને 'સત્ય' જ વાસ્તવિક ધર્મ??

***************

(૧) એક જજ છે. એની સામે એક કેસ આવ્યો, જેમાં એ જાણે છે કે આરોપી વ્યક્તિ એ ખરેખર ગુનેગાર નથી! ..પણ એનાં નિર્દોષ હોવાના કોઈ પુરાવા એની પાસે નથી. દરેક પુરાવા એનાં વિરુદ્ધ જ છે! હવે જજે શું કરવું જોઈએ?? કોનું સત્ય અંતિમ ગણવું જોઈએ?? પુરાવાનું કે પોતાનું?? જજનો 'ભાવ' ન્યાયનો હોઈ એ પુરાવાને આધારે એ વ્યક્તિને સજા કરે છે! હવે માનો કે એ જ દિવસે એ સજા પામનાર વ્યક્તિની નિર્દોષતા વિશે કોઈનેય કીધાં વિના જજ મરી જાય તો વાસ્તવિક સત્યનું શુ થાય?? સત્ય એ જ પરમેશ્વર હોય તો 'પરમેશ્વર' તો એ જજની સાથે જ ચાલ્યા ગયાં! ..અને 'ભાવ' જ ભગવાન હોય તો અહીં ભગવાન ખોટાં છે!!

(૨) પહેલાંના જમાનામાં બહારવટિયાઓ અમીરો(ગરીબોનું લોહી ચૂસનારાંઓ)ને લૂંટી ગરીબોને આપી દેતાં એવું અનેક પુસ્તકોમાં વર્ણન છે. આ બહારવટિયાઓનો 'ભાવ' તો ગરીબોને મદદનો છે, પણ 'સત્ય' એ છે કે એ અમીરોને લૂંટે છે!!

(૩) કોઈ નેતા ખૂબ બધો ભ્રષ્ટાચાર કરીને કરોડો-અબજો કમાયો છે. લોકોને અંદરોઅંદર તો આ ભ્રષ્ટાચારની ગંધ આવી જ ગઇ છે. પણ કોઈ સત્તા સામે વિરોધ નથી કરી શકતા. આ ઉદાહરણમાં દરેકનો 'ભાવ' વિરોધનો તો છે જ, પણ 'સત્ય' એ છે કે 'સત્તા આગળ શાણપણ નકામું!'

(૪) એક ભૂખ્યો મજૂર રાતનાં અંધારે કોઈ માણસને લૂંટે છે/ચોરી કરે છે, કારણ કે એનાં ઘેર એનાં બાળકો ભૂખ્યા છે. પોલીસ એને પકડીને જેલમાં નાંખે છે. બહાર એનાં બાળકો મરી જાય છે/મોટાં થઈને 'ભૂખ' એમને પણ 'ગુનેગાર' બનાવે છે. મજૂરનો 'ભાવ' ક્યારેય ચોરી/લૂંટનો નહતો, પણ 'સત્ય' એ છે કે એનું કુટુંબ બરબાદ થયું અને બાળકો ગુનેગાર!!

(૫) એક પ્રામાણિક અધિકારી ઉપરી અધિકારી/નેતાના દબાણમાં આવીને ભ્રષ્ટાચાર કરે છે. અધિકારીનો 'ભાવ' ભ્રષ્ટાચારનો નથી, પણ 'સત્ય' એ છે કે એ 'ભ્રષ્ટાચાર' કરે છે!! 

(૬) એક એન.જી.ઓ. ગરીબોને મદદનાં બહાને કરોડો કમાય છે. અહીં એનજીઓનો 'ભાવ' પૈસા કમાવાનો છે, પણ લોકોને દેખાતું 'સત્ય' એ છે કે એ ગરીબોને મદદ કરે છે.

.....હજુ આવાં ઘણા ઉદાહરણો આપી શકાય! કહેવાનો ભાવાર્થ એ કે, કહેવાતાં ધાર્મિકોએ (ધર્મ રક્ષકો!) પોતાનો સ્વાર્થ સાધવા સિવાય કશું જ નથી કર્યું! ..અને વાસ્તવિક ધર્મે આપણને 'દંભી' જ બનતાં શીખવ્યું!! 

..રહી વાત 'ભાવ' 'સત્ય' અને 'ભગવાન'ની, તો.. 
'ભાવ' સારો હોય કે ખરાબ, એનો ફરક માત્ર વ્યક્તિને જ પડતો હોય એવું લાગે છે!! 
'સત્ય' ક્યારેય અંતિમ હોતું નથી, પણ હા.. દરેકનું વ્યક્તિગત 'સત્ય' ચોક્કસ અંતિમ હોય છે! 
અને..
'ભગવાન' મારો સ્વાર્થ હોય ત્યારે ડરાવતા નથી, પણ હા, બીજાનો હોય તો ચોક્કસ 'તને પાપ લાગશે' જેવી સ્ટાઇલમાં ડરાવે છે!!

****************

"અલ્યા ભાઈ.. આ સમજાય નહિ એવું ગોળ-ગોળ લખીને પોતાને વિદ્વાન સાબિત કરવા કરતાં ટૂંકમાં કહેને.. 'વાસ્તવિક ધર્મ' શુ હોય છે??" મારો આતમરામ ખીજાયો!!

"વાસ્તવિક ધર્મ એટલે સગવડીયો ધર્મ!! મારું ભલું થતું હોય તો 'ખોટું' કરવામાં કોઈ વાંધો નથી, પણ બીજાં 'ખોટું' કરીને પોતાનું ભલું કરે ત્યારે ઇર્ષ્યાથી પાછળ આગ લાગે છે!"

********

"આ કર્મનો સિદ્ધાંત છે શું?? શું એ 'સત્ય' છે?? ..કે પછી મનમાં ધર્મને લગતો ડર ઘૂસે એટલે રચાયેલો થિયરીકલ 'ભાવ'!!"

.....આ સવાલ મનમાં થતાંની સાથે જ મારા આતમરામે મારી સામે ગુસ્સાથી ડોળા કાઢ્યા!! આખરે સવાલો પૂછવાની મનાઈ છે!! ટૂંકમાં, 'ભગત' બનીએ તો લોકોને ગમીએ.. 'ભગતસિંગ' બનીએ તો નહીં!! ..'પાપ' લાગે!!

https://m.facebook.com/story.php?story_fbid=3086321561476052&id=100002947160151

મંગળવાર, 28 જુલાઈ, 2020

must be our lesson

A wise teacher once brought balloons to school, told her pupils to blow them up and write their name on one. After the children tossed their balloons into the hall, the teacher moved through the hall mixing them all up.

The kids were given five minutes to find the balloon with their name on it, but though they searched frantically, no one found their own balloon.

Then the teacher told them to take the balloon closest to them and give it to the person whose name was on it. In less than two minutes, everyone was holding their own balloon.

The teacher said to the children, “These balloons are like happiness. We won't find it when we're only searching for our own. But if we care about someone else's happiness...it will ultimately help us find our own.”

શનિવાર, 18 જુલાઈ, 2020

તન્વીની વિચાર ડાયરી

"તન્વીની વિચાર ડાયરી"માં આજે મમ્મીનું ગીત : 

"મમ્મી મમ્મી મમ્મી 
         ચારે બાજુ મમ્મી,
આખી દુનિયામાં મમ્મી જેવું કોઈ નહિ,
મમ્મી બાળકોને નાનેથી મોટાં કરે,
મમ્મી આપણું ધ્યાન રાખે,
મમ્મી આપણને સાચાં રસ્તે લઈ જાય,
મમ્મી મમ્મી મમ્મી 
         ચારે બાજુ મમ્મી."

***********

છેલ્લાં ૩ મહિનાથી એ એની કાલી ઘેલી ભાષામાં "વિચાર-ડાયરી" લખે છે. એ એનાં મનમાં ચાલતાં વિચારોને શબ્દોનું સ્વરૂપ આપે છે, અલબત્ત એની ભાષામાં! એક નજર એની વિચાર ડાયરીના વિષયો પર..

(૧) મિત્રો અને ભાઈ-બહેન વિશે (૨૮.૫.૨૦)
(૨) પપ્પા-મમ્મી વિશે એ પોતે શું વિચારે છે એ વિશે (૨૯.૫.૨૦)
(૩) એનાં વાંચન-લેખન અને ન આવડતી ભાષા વિશે (૩૦.૫.૨૦)
(૪) પૃથ્વી વિશે (૩૧.૫.૨૦)
(૫) ભગવાન હોય કે નહીં એ વિશે (૬.૬.૨૦)
(૬) ધ્યાન વિશે (૧૨.૬.૨૦)
(૭) પોતાના વિશે (૧૪.૬.૨૦ અને ૧૬.૬.૨૦)
(૮) રડવા વિશે (૨૩.૬.૨૦)
(૯) એનાં ટીચર વિશે અને મમ્મી-પપ્પા વચ્ચેની નારાજગી વિશે (૨૬.૬.૨૦)
(૧૦) બાળકોની મસ્તી વિશે (૮.૭.૨૦)

અલબત્ત, બધા વિશે એ મોટેરાંઓની જેમ વિગતવાર ન જ લખે, પણ નાનેરાંઓની જેમ એકાદ-બે થી પાંચેક લીટી તો લખી જ શકે! ..અને હા, દરેક પાને એનાં અંગુઠાની છાપ પણ!! જેથી એ યાદ રાખી શકે કે એનો અંગુઠો આવડો નાનો હતો ત્યારે એણે આ બધું લખેલું!!

https://m.facebook.com/story.php?story_fbid=3052670268174515&id=100002947160151

ગુરુવાર, 16 જુલાઈ, 2020

MAGNIFICENT DESOLATION મતલબ ભવ્ય વિરાનગી !! (Walking on the moon)

MAGNIFICENT DESOLATION  મતલબ  ભવ્ય વિરાનગી !! (Walking on the moon)

"ચંદ્ર ઉપર ઉતરતી વખતે રાખવાની થતી દરેક કાળજી મેં કરી છે. મારો સ્પેસશૂટ પણ મેં પહેરી લીધો છે, હવાનું દબાણ બરાબર છે, બધ્ધી જ ગણતરીઓ યોગ્ય છે, અને હવે હું મારા એપોલો યાનનો દરવાજો ખોલી રહ્યો છું..... હૃદય એક થડકારો ચુક્યું, અને.....  આપણા ચાંદામામાની ભવ્ય વિરાનગી મારી નજર સામે જ હતી!! .....મેં ચાંદામામાને હરાવી દીધા અને તેમની ઉપર વિજયી સ્મિત કરીને મારો પગ મુક્યો!!....."

*****

જો હું ચંદ્ર ઉપર ભૂલો પડી જાઉં તો...??? 

...ત્યાંથી પૃથ્વીને જોઇને હું..... મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ કે મારા દેશ કરતા બુમો પાડું.....
"મારી પૃથ્વીઈઈ......!! મારી પૃથ્વીઈઈ.......!!"

ધરતીને વેડ્ફનારા પ્રત્યેક લોકો જો એ વિરાનગીમાં ભૂલા પડી જાયને તો.. આપોઆપ એમને પૃથ્વીની કિંમત સમજાઈ જાય!!..

અવકાશમાં જઈને મૃત્યુને ભેટેલા અવકાશયાત્રીઓના જ્યારે નામ અને ફોટા બતાવ્યા ત્યારે મારી નજર તેમાં કલ્પના ચાવલાને શોધતી હતી!!

*****

3D એક એવું મૃગજળ છે, કે જે આપણાથી એક જ ઇંચ દુર હોવા છતાં તેને પકડી શકાતું નથી, છતાંય આપણી તરસ છીપાઈ જાય છે!! તેની સામે D2h  કનેક્શનવાળું ક્લીયર ચિત્ર પણ કયાંય ઝાંખું લાગે!!

..એના મનમાં તો એમ જ છે કે બહાર પિક્ચર જોવા જવું એટલે ચશ્મા પહેરીનેજ જવુ પડે!! 'THE JUNGLE BOOK' થી શરૂ થયેલી એની 3D મુવી જોવાની સફર 'PENGUINS', 
'MADAGASCAR: LEMURS' 
'BORN TO BE WILD' અને હવે..
'MAGNIFICENT DESOLATION (Walking on the moon)' સુધી પહોંચી છે અને ચોક્કસ હજુયે આગળ ચાલુ રહેવાની છે!!

*****
તા. ૫.૭.૧૭

તન્વી ભીંડાનું શાક-રોટલી બનાવે છે. તા.૧૪.૭.૨૦

https://m.facebook.com/story.php?story_fbid=3047261405382068&id=100002947160151

(બાળકને રસોડાનું કામ કરાવતી/શીખવતી વખતે માતા-પિતા કે વડીલનું માર્ગદર્શન જરૂરી છે. તન્વીએ એની મમ્મીનાં માર્ગદર્શન હેઠળ જ બધું કામ કર્યું છે.)

બાળક ચાહે છોકરો હોય કે છોકરી હોય, સાત-આઠ વર્ષનાં થયેથી રસોડાના નાના-મોટાં કામ પ્રત્યે એ ધીમે-ધીમે રસ કેળવે અથવા શીખે એ જરૂરી છે. ગામડામાં નોકરી વખતે જોયેલું કે બહુ નાની ઉંમરથી જ છોકરીઓ (અફસોસ, કે છોકરાંઓને માતા-પિતા રસોડામાં નથી મોકલતા!!☹️) રસોડામાં મમ્મીને મદદ કરવા લાગી હોય છે. કેડે બાળકને ઉંચકીને માર્કેટમાં ફરતી માતા અને જમવાનું બનાવતી વખતે માતાનાં ખોળે રમતું બાળક શ્રેષ્ઠ દ્રશ્ય છે. બાળકનાં બુનિયાદી ઘડતરમાં એ 'પાક'કલામાં શાકભાજી ઓળખે, મસાલાને જાણે, વસ્તુઓ કેવી રીતે બને તથા જરૂરી વસ્તુઓ કેટલી માત્રામાં નંખાય.. એ બધી બાબતો બાળકો જાણે તે જરૂરી છે. અગત્યની બાબત એ કે જાતે કરેલું લાંબા સમય સુધી યાદ રહે છે. શાકભાજી સમારતી વખતે ચપ્પુ પકડવાનું જ્ઞાન અને રોટલી તવા પર નાખવાનો અનુભવ એ જેવો-તેવો નથી.

લીંબાસી પીટીસી વખતે જ્યારે સવારે ઉઠી બુનિયાદી કામ (મેદાન વાળવું, સફાઈ કરવી, પાણી ભરવું, કપડાં ધોવા, જમીને જાતે ડિશ ધોવું, સંડાસ-બાથરૂમની સફાઈની સજા, બાગકામ, શાકભાજી-દૂધ ખરીદવું, અનાજ સફાઈ વગેરે..) કરવાનું થયું, ત્યારે સમજાઈ ગયેલું, કે જે માતા-પિતા પોતાનાં બાળકને ઘરનું કોઈ જ કામ નથી કરવાં દેતાં એ માતા-પિતા ખરેખર તો બાળકનાં ગુનેગાર છે! પીટીસીના રસોડામાં શાકભાજી-મરચાં-આદુ સમારતી વખતે અડધાં દિવસ સુધી બળતો હાથ અને ભર-ગરમીમાં રોટલી છૂટી પાડવા જવું એ કેટલું અઘરું છે એ સમજાતા રજામાં ઘેર જઈએ ત્યારે મમ્મીને રસોડામાં મદદ કરવાનું આત્મજ્ઞાન અમારામાંથી ઘણાને લાધ્યું હશે એવું હું માનું છું! ..અને લગ્ન પછીય પોતાની પત્નીને રસોડામાં મદદ કરવાનું ય વિચાર્યું હશે એ શક્ય છે!

મમ્મી સવારે સાડા ત્રણ વાગે ઉઠીને જમવાનું બનાવે એ દ્રશ્ય મારાં અનુભવમાં અંકિત છે. મમ્મીને રોટલી વણવામાં મદદ કરતાં બનતો નકશો એ દુનિયાનાં કોઈપણ દેશનાં નકશા કરતા પણ વધુ આનંદ આપે છે. ગિરગઢડામાં નોકરી લાગી અને એકલાં રહેવાનું શરૂ થયું ત્યારે મમ્મીને રસોડાનો બધો જ જરૂરી સામાન લઈ આપવા કહેલું, અને ત્યારે ગિરગઢડામાં (હાલ તાલુકા પ્લેસ છે!) કોઈ હોટલ/નાસ્તાની લારી ન મળે! સમ ખાવા પૂરતી એકાદ હતી ખરાં, પણ સાંજ પડતાં સુધીમાં બધું આટોપાઈ જાય! ગામડામાં તમને શું સ્ટ્રીટ ફૂડ મળે?? આ ગોપાલના ગાંઠિયા/નમકીનના પેકેટોનું ચલણ પણ દસ-બાર વર્ષથી જ વધ્યું છે. હું, પુરોહિતભાઈ અને બાલુભાઈએ અઠવાડિયું જેમ-તેમ ખેંચેલું, પણ પછી સમજાઈ ગયેલું, કે પેટની ભૂખ ભાંગવા 'જાત મહેનત જીંદાબાદ' જરૂરી છે. 'રસોડાનું વિજ્ઞાન' સમજવા  'હિંમતે મર્દા તો મદદે ખુદા' કરીને ઝંપલાવ્યું, એટલે શરૂઆતમાં તો ન આવડ્યું, પછી બગડ્યું, પછી સુધર્યું અને પછી આવડી ગયું! 'ભૂખ' શુ ન શીખવાડે??

હાલ અમે જેટલાં નોકરીએ એ સમયે લાગેલાં એ બધાં, કમસેકમ પત્નીજીની ગેરહાજરીમાં ક્યારેય ભૂખ્યા ન રહીએ, અને એમની હાજરીમાં એમને મદદેય કરીયે એવાં પાવરધા છીએ! વર્ષ ૨૦૧૩ માં અમદાવાદ આવ્યા પછી જોયું છે કે જેટલાં નવાં શિક્ષકો ભરતીમાં આવ્યા છે એમાંથી મોટાભાગનાં બહાર જમવાનું/ટિફિન વ્યવસ્થા ગોઠવી લેતાં હોય છે! ઇવન જે બહેનો શિક્ષિકાઓ તરીકે આવી છે એ પણ જાતે જમવા બનાવવાનો સમય ફાળવી શકતી હોવાં છતાં જ્યારે આવી કોઈ વ્યવસ્થા કરે ત્યારે મને, હવે નવાઈ લાગતી નથી! (એક સત્યાવીસ વર્ષની શિક્ષિકાને હજુયે જમવાનું બનાવતાં ન આવડતું હોય તો એનાં માતા-પિતાને હું ધન્યવાદ આપું છું!) માતા-પિતા પણ એવું ઇચ્છતા હોય કે એમનું બાળક જમવા બનાવવાની ભાંજગડમાં પડવા કરતાં કોઈ ટિફિન વ્યવસ્થા/બહાર જમી લેવાનું સૂચવતાં હોય છે. જો ખરેખર એટલું બીઝી શેડ્યુલ હોય કે સમય ન મળે તો આવી વ્યવસ્થા ગોઠવી શકાય, પણ વિકેન્ડમાં ક્યારેક તો જાતે જમવાનું બનાવવાનો આનંદ લેવો જ જોઈએ, એવું હું પર્સનલ માનું છું.

બાળકને બે ચોપડી ઓછી આવડશે તો ચાલશે, પણ રસોડાના વિજ્ઞાનથી એને પરિચિત કરવો એ દરેક માતા-પિતાની ફરજ છે, પછી એ છોકરો હોય કે છોકરી હોય, કોઈ ફરક ન રાખવો જોઈએ. શું ખબર લોકડાઉન જેવા કાળમાં કોઈ હોટલ ચાલુ ન હોય, ત્યારે આ અનુભવ કામ લાગી જાય!😊😊

મંગળવાર, 14 જુલાઈ, 2020

સિંહ મદમસ્ત થયો એમ વાંક કોનો??

https://m.facebook.com/story.php?story_fbid=3041425482632327&id=100002947160151

મદમસ્ત અભિમાની રાજા સિંહ જંગલમાં ફરી રહ્યો છે. રસ્તામાં એને હરણ મળ્યુ. એણે છાકટાઈથી હરણને પૂછ્યું, "એય હરણીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

સાચબોલું હરણ સાચું બોલ્યુ, "હા રાજા.. તમે નિર્બળોનું લોહી ચુસો છો, એટલે તમારું મોં ગંધાય છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "તું એક રાજાને એવું કહી રહ્યો છે કે 'તમારું મોં ગંધાય છે'??" ..આટલું બોલીને સિંહે પોતાનો પંજો ઉગામ્યો અને હરણને મારી નાંખ્યું!

દૂર બેઠેલાં ખંધા વાંદરાએ આ જોયું, અને રાજા એને કાંઈ પૂછે એ પહેલાં ત્યાંથી ભાગવા પગ ઉપાડે છે.. ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ, "એય વાંદરીના.. ઉભો રહે!"

ફફડી ગયેલો વાંદરો ઉભો રહયો! મદમસ્ત રાજા સિંહ એની પાસે આવ્યો અને પૂછ્યું, "એય વાંદરીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણની હાલત જોઈને વાંદરાએ ખોટું બોલવાનું વિચાર્યું, "ના રાજાજી.. તમે તો રાજા કહેવાવ.. તમારું મોં થોડું ગંધાય?? તમારા મોં માંથી તો સરસ સુગંધ આવે છે."

"હેં..?" સિંહ ગુસ્સે ભરાયો, "હું રોજ નિર્બળ પ્રજાજનોનું લોહી પીવું છું, અને 'મારું મોં ગંધાતુ નથી' એવું બોલીને એક રાજાની સામે તું જુઠ્ઠું બોલે છે??" આટલું બોલીને સિંહે ફરી પોતાનો શક્તિશાળી પંજો ઉગામ્યો અને વાંદરાને મારી નાંખ્યો! 

હવે, સસલાનો વારો હતો..! એ જ ઉદ્ધતાઈથી અને એ જ અભિમાનથી રાજા સિંહે સસલાને પૂછ્યું, "એય સસલીના.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હરણ અને વાંદરાની જે હાલત થઈ એ નજર સામે હોવાથી ચતુર સસલાએ જવાબ આપ્યો, "માફ કરશો.. રાજાજી.. મને સખત શરદી થઈ છે. મારું નાક બંધ છે માટે હું ચોક્કસપણે એવું નથી કહી શકતો કે તમારું મોં ગંધાય છે કે નહિ?"

સસલાના આવા જવાબથી રાજા મૂંઝાયો અને કહ્યું, "તારું નાક બંધ છે, એટલે તને જવા દઉં છું." 

સસલું જીવ બચાવીને ભાગ્યું!

*************

ઘણાં હરણાં જેવા છે, જે સાચું બોલીને જીવ ગુમાવે છે, નોકરી છોડે છે! ઘણાં વાંદરા જેવાં ગુંડાઓ છે, જે ડરે છે કે ક્યાંક રાજાની સત્યતા બહાર આવી ગઈ તો રાજા એને નહિ છોડે! ઘણાં સસલાં જેવાં છે, જે પોતાનું ઘર-કુટુંબ રખડી ન પડે એટલે ખોટાં બહાના કરીને તલવા ચાટીને પણ નોકરી કરે છે અને તક મળતાં જ છટકી જાય છે! 

સસલું આ જ નીતિને કારણે જીવતું રહ્યું! સાચાબોલા હરણો મરી રહ્યાં છે! ગુંડા વાંદરાઓ ડરે છે કે રાજાનું 'અસત્ય' બહાર ન આવી જાય! સસલું ધારે તો હરણનો સાથ આપીને 'સત્ય'નું પલડું ભારે કરીને રાજાની ઉદ્ધતાઈને મ્હાત આપી શકે એમ છે, પણ એ એવું નથી કરતો.. કારણ કે એનાં જીવનનો એક જ ધ્યેય છે, 'બીજાનું જે થવું હોય એ થાય, આપણે આપણું કરો.' 

સસલાની આ જ નીતિને કારણે રાજા મદમસ્ત બન્યો છે. જંગલરાજ બન્યું છે. નીતિ-નિયમો, કાનૂન બધું નિર્બળોને લાગુ પડે છે. ચાટુકારોનો વાળ પણ વાંકો થતો નથી. 

************

...ઉપરની વાર્તા હજુ અધૂરી છે, મેરે દોસ્ત! 

રાજાની ખુશામતખોરી કરીને જીવી રહેલાં સસલાઓ ઈચ્છે છે કે હવે આ રાજા મરે તો સારું! ..પણ, રાજાનો વિરોધ કરવામાં પોતાનું ઘર પરિવાર રખડી પડે, એ ડરથી સસલાઓ બહાનેબાજ અને ચોર બન્યાં છે! મદમસ્ત થયેલો સિંહ આખા જંગલનાં નિર્બળ પ્રાણીઓને વિના કારણ ઘમરોળી રહ્યો છે! જંગલનાં હાથીને આની ખબર પડતાં એ નક્કી કરે છે કે હવે મદમસ્ત સિંહને ઠમઠોરવો રહ્યો! ..અને એ સિંહનાં રોજિંદા રસ્તે ઉભો રહી જાય છે.

'બેફામ' સિંહ પોતાનાં રસ્તા પર હાથીને ઉભેલો જોઈ તાડૂકે છે, "એય હાથીડાં.. અહીં આવ.. જોતો.. મારુ મોઢું ગંધાય છે કે નહીં?"

હાથીએ સિંહને કોઈ ભાવ ન આપ્યો! એટલે સિંહ ગર્જ્યો, "એય હાથણીના.. બહેરો થઈ ગયો છે કે શું? અહીં આવ.. જો.. મારું મોઢું ગંધાય છે કે નહીં??"

હાથીએ કોઈ જ જવાબ ન આપ્યો, એટલે સિંહે ગુસ્સામાં  ગર્જના કરી, અને હાથીને મારવા પંજો ઉગામ્યો.. 

ત્યાં તો.. 

હાથીએ જ ત્વરાથી સિંહને એની સૂંઢમાં પકડીને એવો ફેરવ્યો.. એવો ફેરવ્યો.. અને ફેરવીને એટલો દૂર ફેંકી દીધો કે એની પીદુડી બહાર નીકળી ગઈ! 

ધૂળમાં રગડોળાયેલો સિંહ માંડ માંડ ઉભો થયો, અને ધૂળ ખંખેરતા કહ્યું, "હાથીભાઈ.. તમારે નહોતું બોલવું તો ના પાડવી'તી, પણ આમ ઉછાળીને ફેંકાય તો નહિ ને??"

સિંહની આવી હાલત જોઈને ખુશ થયેલાં સસલાઓમાં જોમ આવ્યું. એમણે હાથીને રાજા બનવા કહ્યું! ..પણ હાથીએ સસલાઓને કહ્યું, "આ જ કામ જંગલનાં દરેક પ્રાણીઓ ભેગાં મળીને કરી શક્યા હોત! ..પણ તમે નાત-જાત અને સ્વાર્થનાં વાડામાંથી બહાર નીકળો તો કરો ને?? હરણની હાલત જોઈને શિયાળ વિચારે છે કે 'હાશ! હું બચી ગયું!' વાંદરાની હાલત જોઈને મોર પોતે બચી ગયાની ખુશી મનાવે છે! સસલું બચી ગયું એટલે હરણ અને વાંદરા દુઃખી થાય છે! મારા રાજા બન્યા પછી તમે આવું નહિ કરો એની શી ગેરંટી??"

હાથીના આ સવાલનો સસલાઓ પાસે કોઈ જવાબ નહોતો.. એટલે એ ત્યાંથી જતાં રહ્યા!
...અને 'મરી-મરીને જીવવા માટે' અને માત્ર પોતાનું કુટુંબ બરાબર ચાલે એ માટે સિંહના 'નોકર' બનીને નોકરી કરવા માંડ્યા!! ચૂપચાપ.. કોઈપણ જાતનાં વિરોધ વગર..!! 

જેઓ આ મદમસ્ત સિંહને ઠમઠોરી શકે એમ છે, એવાં હાથીઓ રાજા બનવા તૈયાર નથી! સિંહ હાથીને હેરાન કરતો નથી, એટલે હાથીને સિંહનું શાસન બરાબર લાગે છે! સિંહ મદમસ્ત થયો છે એમાં જેટલો વાંક સસલાઓનો છે, એટલો જ હાથીનો પણ છે! 'મરો' તો બિચારા ગરીબ અને નિર્બળ જાનવરોનો થયો છે.. કે જેઓના ઘરમાં જ હાંડલા કુશતી કરતાં હોય ત્યાં શું સિંહનો વિરોધ કરવા નીકળે??

***********

વર્ષ ૨૦૧૫ માં સી.આર.સી.કો.ઓ. તરીકે હતો, ત્યારે શૈક્ષણિક કાર્ય સિવાયના વધારાનાં કામોને લઈને જ્યારે એક સાચા શિક્ષકની ફરિયાદ સાંભળેલી ત્યારે ખૂબ જ વ્યથિત થયેલો! મારા માનસિક દુઃખનો ઉભરો ઠાલવવા મારા ગુરૂ પદે જેમને ગણું છું (..હાલ એચ.ટાટ આચાર્ય છે!) એમની પાસે ગયો અને બધી વાત કરી! એમણે મારા મનનું સમાધાન કરવા ભગવદગીતાનો એક પ્રસંગ કહ્યો..

અર્જુન પોતાનાં જ કુટુંબીજનોને યુદ્ધમાં નહિ મારવાનું કહી જ્યારે શસ્ત્રો હેઠાં મૂકી દે છે, ત્યારે કૃષ્ણ એને સમજાવતા કહે છે કે, "જેમને તું જીવતા સમજે છે એ..  આ તારા કુટુંબીજનો.. વાસ્તવમાં તો મરેલા જ છે! એમને નહિ મારીને તું શું કામ અધર્મ આચરી રહ્યો છે? જો તું એમને નહિ મારે, તો કોઈ બીજું એમને મારીને યશ પામશે, માટે તું જ આ યશ અને કીર્તિ ભોગવ, યુદ્ધ કર."

"મતલબ..?" મેં પૂછ્યું.

મારા ગુરુ મિત્રે કહ્યું, "મતલબ કે.. જેમનું શોષણ થવાનું લખ્યું જ છે, એ કોઈ પણ ભોગે શોષિત થશે જ!! 'આ' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ નહિ મેળવે, તો 'પેલો' એમનું શોષણ કરીને યશ અને કીર્તિ મેળવશે! એટલે.. 'આ'-શિક્ષકોનાં કુટુંબીજન જ- શિક્ષકોનું શોષણ કરીને કીર્તિ અને યશ બંને ભોગવી રહ્યા છે."

**********

મને ખબર નહિ, આ કોઈ સમજી શકશે કે કેમ? પણ હવે.. શિક્ષકોને જે કામ સોંપાવાનું છે, એ વોટ્સએપમાં વાંચીને ઉપરનો પાંચ વર્ષ પહેલાનો કિસ્સો યાદ આવી ગયો! શિક્ષકના 'કુટુંબીજનો' જ શિક્ષકનું શોષણ કરીને યશ અને કીર્તિ બંને ભોગવી રહ્યા છે, કારણ કે.. જે 'ભીષ્મ' અને 'દ્રોણાચાર્ય' જેવાં કુટુંબીજન- આ શોષણ અટકાવવાની શક્તિ રાખે છે.. એ બધાં 'ગુડબુક'માં રહેવા ચૂપ થઈ ગયા છે! 

**********

"રંગ દે બસંતી" મુવી આજેય સ્મૃતિપટલ પર ચહેકી રહ્યું છે: 
"जिंदगी जीने के दो ही तरीके होते है.. एक.. जो हो रहा है होने दो.. बर्दाश्त करते जाओ.. या फिर.. जिम्मेदारी उठाओ उसे बदलनेकी.."

શનિવાર, 11 જુલાઈ, 2020

અલગારી રખડપટટી !!

અલગારી રખડપટટી !!

200 મીટર સુધીની ભરબપોરે મારી પોણા બે વષઁની દીકરી સાથે આજે રજાના દવસે કરેલી મોર જોવા માટેની અલગારી રખડપટટી એની નજરને શું શીખવી ગઈ??

ખેતરનાં ખુલ્લા મેદાનમાં પડવુ - આખડવું..
નાના-નાના ફૂલો પર ફૂદા અને ભમરાની ઉડાઉડ..
મોરનાં અવાજ..
ઢોર ચારતાં ગોવાળ 'વિજય'  સાથેની એ મુલાકાત અને સરપ્રાઇઝીંગલી..
એક ભેંસનું પાડાને જણવું!!

અમદાવાદ સીટીની ભાગોળે રહેવાનો ફાયદો શું??
બીજું તો શું હોય??

....માત્ર 200 મીટર દૂર જ.... પ્રકૃતિ!!

બુધવાર, 1 જુલાઈ, 2020

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

"શૈક્ષણિક સંવાદ" (ફેસબુકમાં અમુક ફોટા કેવી રીતે વાંચવા.. એ સમજાવતી વખતે આ સંવાદ થયો!)

મને એવું લાગે છે કે આ સંવાદ 'વર્તમાન'માં જેમની સાથે થવો જોઈએ, એ સૌ આ વાસ્તવિકતા જાણતાં હોવાં છતાં કશું કરી શકતાં નથી! ..એટલે શું ખબર..? કદાચ 'ભવિષ્ય'ની સાથે સંવાદ કરવાથી આપણી 'એજ્યુકેશન સિસ્ટમ'માં કશુંક ચેન્જ આવે..!! 

***********

એક યુવાન અને એક વૃદ્ધ દાદા પડોશી હતાં. એ બંનેએ ઘરનાં આંગણામાં ફૂલછોડ વાવ્યા. દાદા પોતાનાં ફુલછોડને બહુ ન સાચવે.. ખાતર-પાણીયે બે-ત્રણ દિવસે આપે, ક્યારેક ન પણ આપે! એટલે એમનાં બગીચાના ફૂલ બહુ મોટાં અને સુંદર ન હતા. જ્યારે પેલો યુવાન ફુલછોડની ખૂબ કાળજી રાખે. દરરોજ ખાતર પાણી આપે. એનાં બગીચાના ફૂલ ખૂબ જ મોટાં અને સુંદર હતા.

એક દિવસ વાવાઝોડું આવ્યું. યુવાનના બગીચાના બધાં જ છોડ ઉખડી ગયા, જ્યારે દાદાનાં બગીચાના છોડ બચી ગયા. યુવાને આ જોઈ દાદાને પૂછ્યું, "તમે તો ફુલછોડની એટલી કાળજીયે નહોતાં રાખતા, છતાંય બચી ગયા.. જ્યારે મારા ફુલછોડને હું ખૂબ સાચવતો, છતાંય તૂટી ગયા, ઉખડી ગયા? આવું કેમ થયું?"

દાદાએ કહ્યું, "તમારી જનરેશનની આજ તો ખામી છે કે તમે ફુલછોડને એટલું બધું ખાતર-પાણી આપો છો કે એનાં મૂળિયાં ઊંડે સુધી જતાં જ નથી, એટલે સામાન્ય વાવાઝોડામાંય ઉખડી જાય છે! હું રોજ ખાતર-પાણી નહતો આપતો, એટલે મારા ફૂલછોડે પોતાને સર્વાઈવ કરવા પોતાનાં મૂળિયાં છેક જમીનમાં ઊંડે સુધી મોકલ્યા અને આ વાવાઝોડામાં બચી ગયા!"

************

શાળા નક્કી કરતી વખતે મોટાં ભાગના પેરેન્ટ્સ પોતાનાં બાળકને કોઈ તકલીફ ન પડે એવી શાળાઓ ધ્યાનમાં લે છે! ..ઇવન શાળાઓ પણ હવે પેરેન્ટ્સને આંજી દેવા એમનાં બાળકને કોઈ તકલીફ ન પડે એટલે શાળામાં મળતી ફેસિલિટીની જ એડવર્તાઇઝ કરે છે. કોઈપણ તકલીફ વગર ભણતું બાળક 'સુંદર મોટાં ફૂલ' જેવું તો બને  છે, પણ જીવનની મુશ્કેલી સામે ટકી શકતું નથી. બે-પાંચ કિમિ દૂર શાળા હોય તોય વેન બંધાવી દેતાં વાલીઓ અને આપણી શિક્ષણ સંસ્થાઓ, મારાં મતે, આપણાં દેશને એક ખોખલી પેઢી ભેટ ધરી રહ્યાં હોય એવું લાગે! મેં નજરે જોયું છે કે સહેજ નાણાંકીય સ્થિતિ સારી થતાં વેંત જ વાલી પોતાનાં બાળકને ખાનગી શાળામાં મૂકે છે! કોઈ વિષયમાં સહેજ ઓછાં માર્ક આવે, કે પછી એ વિષય જ ન આવડે તો આપણી શિક્ષણ પદ્ધતિ એવાં બાળકને 'ડોબું' સાબિત કરે છે. 

***************

મારાં વર્ગમાં સચિન તેંડુલકર ભણે છે, એ ક્રિકેટ સારું રમે છે. મારાં વર્ગમાં અમિતાભ બચ્ચન પણ ભણે છે, એ એક્ટિંગ સારી કરે છે. મારા વર્ગમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ છે, એ ખૂબ સુંદર ગાય છે. મારા વર્ગમાં એક અબ્દુલ કલામ પણ છે, એ હંમેશા કંઈક નવું વિચારે છે. મારાં વર્ગમાં દારાસિંઘ પણ છે, એ હંમેશા લડવા તત્પર રહે છે. મારા વર્ગમાં એક સરદાર પટેલ પણ છે, એ આખા વર્ગને સારું લીડ કરે છે. અને હા.. વિવેકાનંદ તો રહી જ ગયો, કે જે ઉત્તમ સ્પીચ આપે છે. શકુન્તલાદેવી પણ છે, જે ગણિત સારું કરે છે. મોહનદાસ પણ છે, જે કોઈપણ પરિસ્થિતિમાં સાચું જ બોલે છે. એક સ્ટીવન સ્પીલબર્ગ પણ છે, જે નાટક જ કરતો હોય છે. એક દશરથ માંઝી પણ છે, જે ધૂની મિજાજનો છે. એક ડૉ. બાબાસાહેબ પણ છે, જે ખૂબ હોંશિયાર છે. એક ડિઝાઈનર મનીષ પણ છે, જેને ફેશનની સેન્સ છે. એક ૪૦૦-૫૦૦ કિમિ ચાલતો મજૂર પણ છે, જે ક્યારેય થાકતો નથી. એક મધર ટેરેસા પણ છે, જે પોતાનાં દરેક ભાઈ-બહેન પર કરુણામય છે. એક શૅફ સંજીવ પણ છે, જે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એક રવીન્દ્રનાથ ટાગોર પણ છે, જે સુંદર કવિતા લખે છે. એક વિજય માલ્યા પણ છે, જે બધાને છેતરે છે, ચોરી કરે છે. આ બધાની પોતાની આગવી સ્ટાઇલ છે, છટા છે, આવડત છે. એક લિયોનાર્દ વિન્સી પોતાની કલ્પનાઓને રંગો વડે બતાવે છે. આ સિવાય એવાં ઘણાં બાળકો છે, કે જેની શક્તિઓની તો મને પણ ખબર નથી!

હવે પરીક્ષા આવે છે.. એ બધાં બાળકોની! હું એમને પેપર આપું છું. પરીક્ષામાં પુછાયું છે..
પ્ર.૧   E = mc2 સમજાવો.
પ્ર.૨   (a+b) (a-b) = ? 
પ્ર.૩   ફલાણી યોજનાઓ વિશે લખો.
પ્ર.૪   ગ્લોબલ વોર્મિગ કેવી રીતે ઘટાડશો?
પ્ર.૫   અલંકાર-છંદનું ઉદાહરણ આપો.
પ્ર.૬  Write essay on "Importance of ENGLISH."
પ્ર.૭   ઔરંગઝેબની ઉદારતાઓ જણાવો.
પ્ર.૮   સજીવની રચના સમજાવો.
પ્ર.૯   લોકશાહી એટલે શું?
પ્ર.૧૦ "મલ્ટીનેશનલ કંપની અને આર્થિક પ્રગતિ" નોંધ લખો.

ત્રણ કલાક 'આવડે એવી ઊલટી' કર્યા પછી મારા વર્ગનું પર્ફોર્મન્સ નબળું દેખાય છે. આ પરફોર્મન્સથી હું તો નિરાશ છું જ, સાથે સાથે  બાળક, પેરેન્ટ્સ અને આખો સમાજ નિરાશ થાય છે. મારા વર્ગના અમુક બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આવાં 'ટોપર' બાળકો જ્યારે જીવન સ્ટાર્ટ કરે છે, ત્યારે આ સવાલોનું કોઈ જ મહત્વ ન રહેતાં 'ટોપરાં'ની જેમ છીણાય છે, અને એમાંથી એકાદ 'આત્મહત્યા' પણ કરે છે! નાનપણથી જ મારાં માર્ક્સ વધુ આવે એવું વિચારતો બાળક મોટો થઈને સ્વાર્થી બને છે. સંવેદના ન શીખતું બાળક બીજાનાં દુઃખને સમજી શકતો નથી, અને પોતાનાં ફાયદા માટે ખોટું કરતાં અચકાતો નથી. ઘરડાં ઘર ભરાતાં જાય છે. અમીર-ગરીબની ખાઈ મોટી થતી જાય છે. સમાનતા, સ્વતંત્રતા, પ્રામાણિકતા બધું જ 'ટૂંકનોંધો'માં જ રહી જાય છે. સુવિચારો દીવાલ પર શોભે છે. આત્મ સમ્માન ગીરવે મુકાય છે, ખુશામત ખોરી શરૂ થાય છે. 'ખોટું કરવું' એ સત્ય બને છે. ગુંડાઓ પૂજાય છે. 

મેં પરીક્ષા વખતે બાળકને ગમે તે ચોપડી ખોલી એવું પૂછ્યું, "આ વાંચ તો.." .......એનાં કરતાં એમ પૂછ્યું હોત.. કે, "બેટા, આ બે પુંઠ્ઠા વચ્ચેનું છોડ.. તને શું આવડે છે, એ તું બતાવ.. આના આધારે તું હોંશિયાર કે નબળો, એ નક્કી થશે.."

....તો કદાચ મારા વર્ગનું દરેક બાળક પોતાની શક્તિઓ પિછાણીને 'આત્મનિર્ભર' બની શક્યું હોત! વર્ગમાં પોતાની આવડતનો ડંકો વગાડનાર વિશ્વમાં ડંકો વગાડવા સજ્જ બન્યું હોત! બધાં ને બધું આવડવું જરૂરી નથી એવું વાલીઓ સમજતા હોત..! બીજું બધું છોડો.. કમસે કમ પોતાની શક્તિઓ પર ગર્વ કરતું બાળક "આત્મહત્યા" તો ન જ કરતું! 'આત્મનિર્ભર' અને 'આત્મસમ્માન' શબ્દ સમજતા હોત! પોતાની સમજતું બાળક બીજાને સમજી શકત! ઘરડાઘર ન ભરાતાં! માર્કસનું મહત્વ ન રહેતા પરમાર્થનું વિચારત! ખુશામતખોરીની જગ્યાએ સાચાંને સાચું અને ખોટાને ખોટું કહેતાં શીખત! સિંહ ભલે ન બનત, પણ ઘેટુંય ન બનત! 

કદાચ મારા વાક્યો ઓવર હોઈ શકે, પણ ક્યાંક તો સત્ય હશે જ! તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી 'વન' નંબરની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો ભારતમાં ભૂતકાળમાં હતી, અને હવે? પ્રથમ પચાસમાંય આવવા ફાંફા મારવા પડે, તો સમજો.. ભારતનો ભૂતકાળ ભવ્ય હતો, કેમકે શિક્ષણ પ્રણાલી સ્વદેશી હતી! માર્ક્સ વાળી.. અને વાદી નહિ! ખાટલે મોટી ખોડ.. 'એજ્યુકેશન સિસ્ટમ'માં છે, અને આપણે શોધીએ છીએ..??!! ક્યાં..??!!

***********

"તક્ષશિલા, વલભી અને નાલંદા જેવી વિદ્યાપીઠો વિદેશી આક્રમણ સામે જ્યારે તૂટતી હતી, ત્યારે એ સમયના/રાજ્યના રાજાઓ/લોકો શુ કરતાં હશે??"
.
.
"મારે શું?? આનો જવાબ આપીને મને શું મળવાનું?? તે હું જવાબ આપું?? જેને શોધવું હોય એ શોધે."

વિડિઓ નીચેની લિન્કમાં..👇👇

https://m.facebook.com/story.php?story_fbid=3005111419597067&id=100002947160151