સોમવાર, 12 ઑગસ્ટ, 2019

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!! આર્તનાદ (ભાગ ૪)

અલ્લારખાં: ચીંથરે વીંટયું રતન!!
આર્તનાદ (ભાગ ૪)
******

"હેલો.. અલ્લારખાં કે પપ્પા બોલ રહે હો?" શાળા છૂટી ગઈ હોવા છતાં ધો.૧માં ભણતા નાનકડા અલ્લારખાંને કોઈ લેવા ન આવ્યું. એટલે મેં એના પપ્પાને ફોન કર્યો! (નામ જાહેર કરી શકાય એમ ન હોઈ બાળકનું નામ 'અલ્લારખાં' રાખું છું, કારણ કે આવા બાળકોને ભગવાન જ રાખતા હોય છે!)

"હાં સાહબ.. ક્યાં હુવા?"

"અરે સ્કૂલ છૂટ ગઈ ફિરભી કોઈ ઉસે લેને નઈ આયા ઇસલિયે ફોન કિયા.." મેં કહ્યું.

"દસ મિનિટ લગેગી.. મેં આ રહા હું."

"જલ્દી આઓ.. સબ ચલે ગયે હૈ!" મેં કહ્યું. સામેથી ફોન કટ થયો.. અને હું એ નાનકડા બાળકની સાથે વાતે વળગ્યો. મેં પૂછ્યું, "તુમ તો રોજ અપને ભાઈ કે સાથ જાતે હો, આજ ક્યુ નહીં ગયે?"

એ કંઈ ન બોલ્યો! આમેય અલ્લારખાં મારા વર્ગમાં આવ્યો ત્યારથી ચુપચુપ જ રહેતો. બસ એ એની સગામા થતી બેન જોડે જ બેસતો, બોલતો અને ખીલતો! બીજા સાથે બેસાડું તો કરમાઈ જાય! મેં ફરીથી પૂછ્યું તો એ માત્ર એટલું જ બોલ્યો, "પપ્પા આયેંગે.."

દસ મિનિટ થઈ છતાં એના પપ્પા ના આવ્યા એટલે મેં એને મારી બાઈક પર બેસવા કહ્યું. શરૂઆતમાં તો એ ન બેઠો.. સ્પષ્ટ હતું કે એને એના પપ્પા સાથે જવું હતું! ..પણ પછી બેઠો. બાઈક ઝાપાની બહાર નીકાળી, ત્યાં એના પપ્પાએ એકદમ બાજુમાં એક્ટિવાને જોરથી બ્રેક મારીને ઊભી રાખીને કહ્યું, "સોરી સર,  થોડી દેર હો ગઈ.."

"દેખો તો સહી.. ૨૦ મિનિટ હો ગઇ સ્કૂલ છુટે.." હું અકળાઈને બોલ્યો. એના પપ્પા આખા ધ્રુજી રહ્યા હતા! આંખો લાલઘૂમ અને ઊંડી ઉતરી ગઈ હતી! વાળ વિખરાયેલા હતા! અલ્લારખાં તરત જ મારી બાઈક પરથી ઉતરીને એના પપ્પાની આગળ એક્ટિવા પર ચડી ઉભો રહી ગયો!

"આપ મેરે બચ્ચે કે સાહેબ હો.. આપ સે ક્યાં છુપાઉ?.." કહીને એ નાનકડા અલ્લારખાંના પપ્પાએ બોલવાનું શરૂ કર્યું, "મૈં અભી જ જેલ સે છુટકર આ રહા હું! મૈને ઇસે બોલેલા મેં લેણે આઉંગા ઇસલિયે એ ઉસકે ભાઈ કે સાથ નઇ આયા..!"

આ સાંભળીને હું છક્કડ ખાઈ ગયો! એક નાનકડું બાળક પોતાના પિતાનું રાહ જોતું હતું- કે જે આજે જેલમાંથી છૂટીને આવવાના હતા! (શું વાંચનાર એની આંખો જોઈ શકે? વાંચી શકે? મેં એની આંખો જોઈ છે!)

"ક્યાં હુઆ થા?" મેં ધીમેથી પૂછ્યું.

એના પપ્પાએ ધ્રુજતા ધ્રુજતાં કહ્યું, "આપસે મૈં બિલકુલ જૂઠ નહીં બોલુંગા.. મૈં સુપારી લેતા હૂઁ! સબકો મારને કી.. એ દેખીયે.." કહીને એણે આજુબાજુ જોયું અને ધીમેથી મોટું ખંજર બતાવ્યું! મારી મુલાકાત કોઈ દિવસ આવા કોઈ વ્યક્તિત્વ સાથે નહતી થઈ, મને ડર લાગવો સ્વાભાવિક હતો-એમાંય 'સસલાના કૂળ'ના પ્રોફેશનમાં ખાસ!

એના પપ્પાએ આગળ ચલાવ્યું, "ગુજરાતમેં ઐસી એક ભી જેલ નહીં જહાં મેં ના ગયા હોઉં! એ દેખીયે.. ઔર ભી હૈ.." કહીને એણે મોબાઈલ કાઢ્યો અને એના 'કરતૂતો'ના ફોટા દેખાડ્યા! "દેખા..? યહાઁ દેખો.." કહીને એણે પોતાનું ગંદુ ટી શર્ટ થોડું ઊંચું કરી તીક્ષ્ણ વસ્તુના ઊંડા ઘા દેખાડ્યા!

હું સાવ હબકી ગયો! ફિલ્મી ક્રિમિનલ અને આમાં કોઈ ફરક નહતો! એણે આગળ ચલાવ્યું, "અબ એ સબ કરને મેં ક્યાં હૈ.. ગોલી કી ટેવ પડ ગઈ હૈ.. ૨૫૦૦ રૂપએકી આતી હૈ.. હરરોજ પીની પડતી હૈ.." ..કહેતાક એણે નાક પાસે હાથ લઇ જઇ સૂંઘવાનો ઈશારો કર્યો! "..જબ તક નૈ પીઉંગા તબ તક સાલા કુછ કરનેકો મન નૈ કરેગા."

"ઇસિલિયે ઇતના હિલ રહે હો?" એના ધ્રુજતા શરીરને જોઈને મેં પૂછ્યું.

"હા.. એ ઉસીકી વજહાં સે હૈ!"

"કિતને બચ્ચે હૈ તુમ્હારે?" મેં પૂછ્યું.

"ચાર.. એ અલ્લારખાં તીસરે નંબર કા હૈ!"

"બચ્ચો કે સામને દેખો.. ઔર યે સબ છોડ દો" મેં કહ્યું.

"નહીં હોગા." એણે ચોખ્ખી જ ના પાડતા કહ્યું, "વો ઇન્સ્પેક્ટર ભી બોલ રહે થે.. તું એ સુપારી લેણે કા ધંધા બંધ કર દે.. મૈને ઉનકો દારૂ ઓર પાઉડર બેચને કો બોલા.. તો ઉંનોને ભી બોલા..જો કરના હૈ કર.. લેકિન ક્યાં હૈ.. કભી વો ગોલી કે પૈસે નૈ મિલતે ને? ..તબ બહોત દિકકત હોતી હૈ."

આટલું સાંભળ્યા પછી હું શું બોલું? મેં ખાલી એટલું કહ્યું, "જો કરો વો.. બચ્ચોકી પઢાઈ ચાલુ રખના!"

"અરે સાહબ.. અબ જો ભી કરતા હું ઇનકે લિયે તો કરતા હું. મેરા નંબર તો હૈ ને તુમ્હારે પાસ..? કભી ભી.. કુછ ભી.. રાત કો ભી કુછ જરુર પડે યા કોઈ લફડા હો તો તુરંત ફોન કરના યા ફિર ગેટ કે પાસ વો લારીવાલા હૈ ને.. ઉનકો પૂછના *** કહાં હૈ? મુજે સબ યહાં ઇસી નામ સે જાનતે હૈ!"

"ઠીક હૈ.. જો ભી હો.. તુમ બચ્ચોકો પઢાના.." કહી મેં બાઈક ચાલુ કર્યું. એણે પણ એકટીવા ચાલુ કર્યું અને જે ઝડપે આવ્યો હતો એ જ ઝડપે ભગાવ્યું!

હું થોડીવાર એને જતાં જોઈ રહ્યો! પછી મેં પણ ઘર તરફ પ્રયાણ કર્યું. ૧૦૦ મીટર આગળ જોયું તો અલ્લારખાં ચાલીને ઘેર જઇ રહ્યો હતો! મેં બાઇક ઉભી રાખી પૂછ્યું, "તારા પપ્પા ક્યાં?" એણે હાથના ઇશારાથી બતાવ્યું. એના પપ્પા એમનાં જેવા મિત્રો સાથે ઉભા હતા!

..આખરે એ છોકરાને એકલા જ ઘેર જવું પડ્યું!
*******

બાળકના કૌટુંબિક ઇતિહાસ જાણવાના હેતુસર મેં નાનકડી  'X' ને પૂછ્યું, "તારા પપ્પા શુ કરે છે?"

એણે સહજ નિર્દોષતાથી જવાબ આપ્યો, "વો તો દારૂ બેચતે હૈ."

"..અને મમ્મી?"

"મમ્મી ભી ઘર પે દારૂ બેચતી હૈ."
********

પોતાની દાદીના ઘેર રહેતી 'Y' ના પપ્પા વધુ દારૂ પીવાથી અને મમ્મી એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે! દીકરાની એક ઓળખસમી 'Y'ને દાદી પોતાના કામધંધાને કારણે રેગ્યુલર સ્કૂલે નથી મોકલી શકતાં!
********

ઘરેલુ ઝઘડામાં ધો.૧માં નામ લખાવ્યા બાદ માત્ર બે દિવસ જ શાળાએ આવી શકેલો 'Z' હવે શાળાએ આવ્યો ખરો, પણ એનું ધ્યાન ભણવામાં નથી લાગતું! એ નાની નાની વાતોમાં રડવા લાગે છે! એને ઘેર જવું છે! પાછો શાળાએ આવતો બંધ થતાં જાણવા મળ્યું કે એની મમ્મીને એના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે, એ પણ સામાનસહિત!
*********

બાળકી 'O' છેલ્લા એક માસથી શાળાએ આવી શકી નથી! પિતાને આ બાબતની પૂછપરછ કરતા જાણવા મળે છે કે એની મમ્મી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે અને ઘરમાં એને સાચવવાવાળું કોઈ નથી એટલે એ એની મમ્મી સાથે હોસ્પિટલમાં જ રહે છે!
*********

'A' નામના બાળકના મમ્મી છે જ નહીં! વિગતે જાણવા મળ્યું કે એના મમ્મી એને મૂકીને બીજા જોડે જતી રહી હોઈ માંના પ્રેમથી વંચિત 'A'નું તોફાન દિનપ્રતિદિન વધી રહ્યું છે! વર્ગમાં એ 'ન્યુસન્સ' બની રહ્યો છે!
*********

આવા કઇ કેટલાયે અલ્લારખાં દિલમાં ઘણું છુપાઈને આવે છે! *એ શા માટે ભણવામાં નબળા છે? એ શા માટે એકલાં એકલાં રહે છે? એ શા માટે ચૂપચાપ રહે છે? એ શા માટે મૂંઝાય છે? એ શા માટે તોફાન કરે છે? એ સમજાય છે??*

જે બાળકને માત્ર એટલી જ ખબર પડતી હોય કે એના પપ્પા એને લઈને ઘેર ન ગયા, એને ભણવાનું મન ક્યાંથી થાય? ખરેખર એને અત્યારે જરૂર છે, માત્ર હૂંફની!! જાણો છો?? અલ્લારખાંને હું ખાલી એમ કહું કે, "બેટા મારી પાસે બેસ" તોય ઘણું! ભણવાનું તો એને આવડી જ જવાનું છે! યાદ રહે, નાનપણમાં પ્રેમભરી હૂંફ ન મેળવી શકનારા વધુ ભણેલા લોકો જ 'બ્રેઇન વોશિંગ'નો સૌથી વધુ શિકાર બની આતંકવાદી બનતા હોય છે! મારી શાળાના આવા દરેક અલ્લારખાં માટે મારું હદય કરુણામય છે!

અસંવેદનશીલ બની ગયેલા, માત્ર રોફ જમાવવા આવતા, અવાસ્તવિક સૂચનાઓ લખતાં અને આપતા, મનમાં પડી ગયેલી 'ખરાબ શાળા'ની છાપને ભૂસવા તૈયાર ના હોય એવાં જડભરત અધિકારીઓ આવા સમયે પણ શું કહે??.. ''અલ્લારખાંને વાંચતા કે લખતા કેમ નથી આવડતું?"

અરે સાહેબ, આના માટે કાન અને હદય બંને જોઈએ! અને અફસોસ કે આમાંનું એકેય તમારી પાસે નથી, કારણ કે તમે બહુ જ ભણેલા છો!!
********

યજ્ઞેશ રાજપૂત
લ.તા. ૧૨.૮.૧૯

રવિવાર, 4 ઑગસ્ટ, 2019

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? (આર્તનાદ ભાગ ૩)

આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે?
(આર્તનાદ ભાગ ૩)

*******

હું મારી ઉંમરના ૩૩ માં પડાવે છું. એવી જગ્યાએ નોકરી કરું છું, જ્યાં હમઉમ્ર ઓછા છે, અને વડીલો વધારે! ઘણા વડીલો મારા જન્મ પહેલાથી નોકરી કરે છે, અને મારી ઉંમરના પોતાના બાળકો છે!! મોટાભાગનાને હમેશા પોતાના ગુણગાન ગાતા સાંભળ્યા છે, કે એમને કઈ રીતે 'પેટે પાટા બાંધીને' પોતાના સંતાનોને મોટા કર્યા, ઘર કર્યું, નોકરી કરી.. વગેરે..! અજીબ લાગે છે, જયારે હું એમના દંભીપણાને નજરે જોઉં છું! સાચું કહું તો, ઉંમરના અમુક પડાવે પહોચ્યા પછી દરેક લોકો શા માટે માતા-પિતાને સાચવવાની વાતો કરવા માંડે છે, એ નથી સમજાતું!! શું એમને એવો ડર હોય છે કે એમનું સંતાન એમને નહિ સાચવે? કે પછી, પોતે જે નથી કરી શક્યા, એ બાળક પણ નહિ કરી શકે એની બીક હોય છે?  ઘણીવાર વાત થાય ત્યારે મારી દલીલ એવી હોય છે, કે *'ખરેખર માં-બાપે જ એવા ખમતીધર થવું જોઈએ, કે એમને બાળકોના ઓશિયાળા ના થવું પડે!'* આપણે બાળકો શું કામ પેદા કરીએ છીએ? ક્યારેય વિચાર્યું છે? શું આપણે એટલા માટે બાળકને જન્મ આપીએ છીએ, કેમ કે શારીરિક ઉંમર થઇ ગઈ છે? કે પછી એટલે, કે લગ્નને આટલા વર્ષ થઇ ગયા હોવા છતાં એક પણ સંતાનને જન્મ નથી આપ્યો? કે પછી એટલે, કે ઘરના વડીલો પોતાને દાદા-દાદી કે નાના-નાની બનાવવાની જીદ લઈને બેઠા છે? કે પછી એટલે, કે વંશવેલો આગળ વધે? કે પછી.. બીજાને છે અને મારે નથી એમ દેખાદેખીમાં? કે પછી.. આપણે પણ સામાજિક છીએ એ દેખાડો બતાવવા?.. કે પછી માત્ર આપણા સ્વાર્થ ખાતર જ?.. મારા ઘડપણમાં મને સાચવવા માટે મારું પોતાનું બાળક હોય તો કેવું સારું? અથવા તો મારી પાસે જે મારી સંપત્તિ છે એ હું મારા બાળકને આપીશ.. મહદઅંશે આપણે બધા આપણા ભવિષ્યમાં આપણને સાચવી શકે એવા એક વ્યક્તિત્વને જાણે-અજાણે પણ પેદા કરીએ છીએ, એવું લાગે છે! બાળકને માત્ર બાળક તરીકે ટ્રીટ નથી કરી શકતા, પણ સ્વાર્થી બનીને નાનપણથી જ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા આપણે "માં-બાપને ભૂલશો નહિ" ટાઈપનાં સુત્રો અને 'બાગબાન' ટાઈપની ફિલ્મો બાળકના મનમાં એટલી હદે નાંખીએ છીએ કે બાળક નાનપણથી જ ક્યાંકને ક્યાંક એવું વિચારતો થઇ જાય છે કે ''જો હું આમ નહિ કરું તો મારા મમ્મી-પપ્પાને નહિ ગમે.. હું આમ કરીશ તો મારા મમ્મી-પપ્પા રાજી થશે..!!" એક્ચ્યુલી, "અમે તને પેદા કરીને જો અમે તારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે?!" ની લઘુતાભાવગ્રંથી બાળકના મનમાં નાનપણથી જ રોપી દેતા હોઈએ છીએ! એ બાળક ક્યારેય "પોતાને ગમે છે કે નહિ?" એવું નથી વિચારતો, પરિણામે પોતાની આઇડેન્ટિટી ક્રમશઃ જેમ જેમ મોટો થતો જાય છે, એમ એમ ગુમાવતો જાય છે! શું ખરેખર આપણે લાયક હતા, એટલે માં-બાપ બન્યા કે પછી માત્ર લોકલાજે?! મારા આ સવાલોથી ઘણા મને એવું કહેતા હોય છે કે તમે હજી અમારી ઉંમરે નથી પહોચ્યા એટલે તમને એવું લાગે છે! ..ત્યારે હું મારી જાતને આ સવાલ પૂછું છું તો મને એવું નથી લાગતું કે એમની ઉંમરે મને આવા ઓશિયાળા બનવું ગમશે! વાસ્તવમાં હું એવું માનું છું કે સમય વર્તે જો આપણે ન બદલાઈયે, અથવા તો આપણે આપણા સંતાનોની નજરમાં 'ચંપકલાલ' જેવા *પૂજનીય વડીલ* તરીકેનું ઉદાહરણ ના બની શક્યા હોઈએ તો ઓશિયાળા બનવું પડે! પોતે જીવનમાં મોટેભાગે નિષ્ફળ ગયા હોય અને બાળકોને નાની નાની વાતોમાં સલાહ આપીએ તો ક્યારેક તો બાળકને એ જ્ઞાન લાધે જ છે કે નાનપણમાં 'હીરો' રહેલા એના માં-બાપ વાસ્તવમાં તો 'હિટલર' છે!!
*****

એક સવાલ: શું તાલી એક હાથે પડે?

એક સાંભળેલો જોક યાદ આવે છે.. એક ડોશીમાં એની 'ઓટલા'પાર્ટનર ડોશીને કહે છે.. "મારો જમાઈ તો એટલો સારો કે મારી દીકરીનું બહુ ધ્યાન રાખે! રોજ હોટલમાં જમવા  લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. એ માંગે એ વસ્તુ હાજર કરી દે. અને મારો દીકરો સાવ બાયલો!! રોજ વહુને બહાર જમવા લઇ જાય. ઘરના કામમાં મદદ કરાવે. માંગે એ વસ્તુ હાજર કરે. વહુનું બહુ ધ્યાન રાખે." સ્વાભાવિક છે કે ઉપરની ડોશીમાને પોતાના 'બાયલા' સંતાનના ઓશિયાળા બનવું પડે! પોતાના પિતાને નાનપણથી જ માતાના પગ દબાવતા જોતો પુત્ર પોતાની સ્ત્રીના પણ પગ દબાવવાનો જ! આમાં ક્યાં બાયલાપણું આવ્યું? અને જો આવ્યું હોય તો ક્યાંથી આવ્યું? સોચો..સોચો..

ઘણા વડીલોને પોતાના પર એટલું બધું અભિમાન હોય છે કે એ પોતાના બાળકોને ગણકારતા જ નથી હોતા! એમને ક્યારેય પોતાના બાળકો પર ભરોષો હોતો જ નથી. પરિણામે એવા લોકો પોતાના બાળકોને કશું જ પસંદ નથી કરવા દેતા! નિર્ણયો લેવા દેતા જ નથી! પોતાના સંતાનની દરેક બાબતમાં એમને ખોટ જ દેખાતી હોય છે. એવા વડીલો મને એવું લાગે છે કે જલ્દી પોતાના સંતાનોને ગુમાવે છે.

'રહેવા દે તને નહિ આવડે'.. 'તું નહિ કરી શકે'.. 'તું આટલું પણ નથી કરી શકતો'.. ટાઈપના ''ટોકણસિંહ'      માં-બાપના સંતાનો હંમેશાથી 'તને નહિ આવડે'-ટાઈપના જ વખાણ એનાં માં-બાપના મોઢેથી સાંભળતો હોય છે! લગ્ન બાદ જયારે વહુ રૂપી સિંહણ એનાં ઘેટાં બની ગયેલા પતિ-સિંહને યાદ અપાવડાવે કે 'તમે પણ બધું કરી શકો છો.." ત્યારે એ સંતાન પોતાનું સિહત્વ સાબિત કરવા સૌથી પહેલા 'ઘેટાના ટોળા'રૂપી માં-બાપને જ છોડતા હોય છે. હવે આમાં વાંક કોનો ગણવો? વહુનો? સંતાનનો? કે પછી માં-બાપનો?

'સમય વર્તે સાવધાન' વહેતી નદી ચોખ્ખી રહે, પણ બંધિયાર ખાબોચિયું? અલબત્ત, ગંધાશે જ! ''ભાઈ, મેં તો મારા દીકરાને કહી દીધું છે કે તને કોઈ ગમતું હોય તો કહી દે. લગ્ન કરાવી દઈશું. પણ શરત એટલી જ, એ આપણા સમાજની જ હોવી જોઈએ!" હવે, આનો શું મતલબ થાય? સમાજના વાડામાંથી બહાર ના નીકળતા માં-બાપના સંતાનો જયારે પરનાતની 'રાણી' લાવે ત્યારે એ ગમે તેટલી સારી હોય, (સ્વભાવે પણ!!) તોય એવા માં-બાપ પોતાના સંતાનની 'પસંદ'ને 'ના-પસંદ' ગણીને જે રીતે કજીયો કરે..! અરે ભાઈ, બહારના ધાંધિયા ઓછા છે કે સંતાન ઘરમાં આવીને પણ આજ સાંભળે? બહેતર છે કે "પ્રેમ જળવાઈ રહેતો હોય તો થોડા દુર રહેવું સારું!"

"વહુને બહુ બહાર નહિ નીકળવા દેવાની" ટાઈપના લોકો જયારે બીજાની સ્ત્રીઓને ચબરાક જુએ છે ત્યારે ઘરની લક્ષ્મી એમને 'મણીબેન' લાગે છે. અરે ભાઈ, પોતાના દીકરાને રાજા જોવો હોય તો, ઘરની સ્ત્રીને રાણી બનાવતા શીખવું પડે? બાકી, 'મણીબેન'નો પતિ 'મણીભાઈ'જ હોવાનો! "વહુને બહુ પિયર નહિ જવા દેવાની" ટાઈપના લોકોએ સમજવું રહ્યું કે રસ્તામાં ઘર આવતું હોય તો પુત્ર-વહુ સાથે 'વહુના પિયરે' આંટો મારી આવે!" એક આખી સ્ત્રી પોતાના ઘરને છોડીને પરાયા માં-બાપને પોતાના કરવા લાગી હોય, તો શું પુત્ર અડધો સ્ત્રીના માં-બાપનો ના થઇ શકે?

"સ્ત્રીધન" અને "સ્ત્રી"ને બાપીકી જાગીર સમજનારા 'ના-સમજ' માં-બાપના 'સમજુ' પુત્રો વારેવારે પોતાની સ્ત્રીનું અપમાન જોવાને બદલે એમનાથી દુર થવાનું મુનાશીબ સમજે છે.
*******

શું આપણે ક્યારેય એમ વિચારીને બાળકને જન્મ ના આપી શકીએ કે, "બેટા, મને તારા તરફથી કોઈ જ અપેક્ષા નથી! મારું કામછે, તને એવી રીતે તૈયાર કરવાનું કે તું તને પામી શકે અને સમાજ પ્રત્યેની તારી જવાબદારી શુભ નિષ્ઠાથી અદા કરી શકે! તું મારી બિલકુલ ચિંતા ના કરતી.. મેં કઈ એટલા માટે તને જન્મ નથી આપ્યો, કે હું ખુશ થઈશ કે નહિ, એ વિચારીને તું દુઃખી થતી રહે..? વાસ્તવમાં મને તો એવું લાગે છે કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે કે હું સમાજને એક સારી નાગરિક આપી શકું.

હું એવું ચોક્કસ ઈચ્છીશ કે તું દરેકને માન આપતા શીખે. એનો મતલબ એ પણ નથી કે તું ખોટાને પણ માન આપે!! તારે દરેકને માન આપવાની જરૂર નથી, પણ હા, કોઈનેય કારણ વગર અપમાનિત ન કરતો! 

હું તારો એવો પાલક બનવા માંગું છું કે તું અધિ-સત્યને જ સાથ આપતા શીખે! સત્ય બે પ્રકારના હોય છે. એક એવું સત્ય, કે જેને લોકો સાચું માનતા હોય, અને એક એવું સત્ય કે જેને તું સાચું માનતી હોય!  'દ્રશ્યમ' મુવીમાં આઈજી દેશમુખ (તબ્બુ) પોતાના દીકરાના હત્યારાની પૂછપરછ કરે છે એ સત્ય છે. અને વિજય (અજય દેવગણ) કોઈપણ હિસાબે પોતાના પરિવારનું રક્ષણ કરે છે એ અધિ-સત્ય છે! સત્યની ઉપરનું સત્ય એટલે અધિ-સત્ય! તું તારા સત્યના માર્ગે ચાલજે! કુદરતે એમને જ મહાન બનાવ્યા છે, જેમણે પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો હોય!

ભવિષ્યમાં લોકલાજે ક્યારેય હું કશુક ખોટું કરું, અથવા સમય વર્તે ના બદલાઉં અને તારા પર કારણ વગરના રીસ્ટ્રીકશન મુકું તો તું મને એ સમયના સાચા-ખોટાનું ભાન કરાવજે. અને છતાંય જો હુમારી જડતાને ના છોડું, તો તું મને માફ કરીને તારા રસ્તે આગળ વધજે! અર્જુનની જેમ પોતાના ખોટા હોય એવા સગાઓને જોઇને હથિયાર હેઠા ના મૂકી દેતી.

બધા ઘરડા ખોટા નથી એમ બધા સાચાય નથી! ઘણા માં-બાપોને પોતાના સંતાનોને કારણ વગરનું દુઃખ આપતા સહેજેય સંકોચ નથી થતો. એમના સંતાનો જયારે લોકલાજે એમની મુર્ખામીઓ સહન કરે છે, ત્યારે એ લોકો એવું કહીને પોતાનો 'ઈગો' સંતોષતા હોય છે કે, "જોયું, મારૂ સંતાન કેવું સારું છે!" ..પણ જયારે એ સંતાનો એમની હદ બહારની મુર્ખામી સહન ના કરી શકે ત્યારે એ લોકો પોતાના સંતાનોને વગોવતા વાર નથી લગાડતા! *યાદ રહે, મોટાભાગના સંતાનો પોતાના માં-બાપને સુખી જોવા જ માંગતા હોય છે, પણ ઘણીવાર માતા-પિતાની ભેદભાવની નીતિ અને સમય સાથે ના બદલાવાની જડતાને કારણે ઘરડાઘરો ઉભરાય છે!* આવા જડભરત વડીલોને તું દુરથી જ સલામ કરજે. નહીતર એ તારા પણ સુખી પરિવારમાં આગ લગાડતા વાર નહિ લગાડે!

કોઈને પણ સમજી વિચારીને પગે લાગજે! સમય આવ્યે તને સમજાશે કે કોને પગે લાગવા જેવું છે અને કોને નહિ? બધા કરે છે એટલે તારે કરવું જરૂરી નથી. તારી વિવેકબુધ્ધિનો ઉપયોગ કરજે. 

તારી નાની નાની ભૂલો કે નિષ્ફળતાઓમાં હું ગુસ્સો કરીશ.. પણ એનો મતલબ એ નથી કે હું તને ધિક્કારું છું. ખરેખર તો જયારે જયારે હું સફળ નથી શક્યો, ત્યારે ત્યારે તારી નિષ્ફળતાઓ પર ગુસ્સો કર્યો છે! સફળ થવાનો દિલથી પ્રયાસ કરજે. પણ ના થાય તો ચિંતા ના કરતી. તારા પિતા પણ અનેક સફળતા અને નિષ્ફળતાઓનું પોટલું જ છે. શક્ય છે કે તારી નિષ્ફળતામાં હું તારી પાસે ના હોઉં! બસ.. તું આગળ વધતી રહેજે અને તારા જેવી બનજે! મારા જેવા થવાની કોશિશમાં આત્મહત્યાનું પાપ ના વહોરતી!

તારા નિર્ણયોને ઘણીવાર બધા તારી તોછડાઈ અથવા તો મુર્ખામી સમજશે, એમાં હું પણ સામેલ હોઈ શકું છું!! ..પણ જો તને તારા પર કશુક કરવાનો ભરોષો હોય તો તું મારી પરવા ના કરતી! ..એવું માનીને આગળ વધજે કે હું તારો પિતા છું, સર્જનહાર નહિ! તારી સર્જનહાર તો તું જ છે. તું ચાહે તો સારી બની શકે છે. અને ચાહે તો ખરાબ!

એક પિતા તરીકે હું તને હમેશા સર્વશ્રેષ્ટ જ આપવાનો પ્રયાસ કરીશ. જીવનમાં રૂપિયાનું મુલ્ય સમજજે. સાચા રસ્તે જાતે કમાજે અને મહેનતનો રોટલો ખાજે! મારી સંપત્તિ પર આશા રાખવા કરતા તારો બંગલો તારી જાતે જ બનાવજે. પછી ભલે ને એ બંગલો ૧૦/૧૦ નો જ કેમ ના હોય? અને એ પણ ના બનાવી શકે તો પણ કોઈ વાંધો નહિ!

સીધા જ મારી ખુરશી પર બેસવાને બદલે નીચલી પાયરીથી શરૂઆત કરજે, જેથી તું નાના માણસોનાં આર્તનાદને ભૂલી ન જાય! યાદ રાખજે, નાના માણસોની કદી 'હાય' ના લેતી, એ લોકો તારી દરેક સ્થિતિમાં તને કોઈપણ જાતની અપેક્ષા વગર પણ તને બોલાવશે!

તારા નિર્ણયો તું જાતે જ લેતા શીખજે, જેથી તારા જીવનસાથીને તું જાતે જ પસંદ કરી શકે! પ્રેમની બાબતમાં એક સત્ય કહું તો જયારે તું તારા જીવનસાથીને જુએ ત્યારે તારા દિલને પૂછજે, શું એ તારે લાયક છે? શું તું એને લાયક છે? થોડો સમય વ્યતીત થવા દેજે. એક પળ એવી ચોક્કસ આવશે કે સમજાશે કે તારે એની સાથે જોડાવું કે નઈ? અને એકવખત 'આતમરામ'નો અવાજ સંભળાય, પછી મારા અવાજની કોઈ વેલ્યુ રહેતી નથી કેમકે મારે નહિ, પણ તારે એની સાથે જીવન વ્યતીત કરવાનું છે! પણ.. હા, જો એમ છતાંય જો તું પસંદગીમાં નિષ્ફળ જાય તો રાજીખુશીથી અલગ થાજો. પણ, હા.. અલગ થતા પહેલા એ વાત ચોક્કસ યાદ રાખજો કે એની અસર ઘણી જિંદગીઓ પડશે અને કોઈના જવાથી આપણે અટકી જવાનું નથી! નદીની જેમ આગળ વધતું રહેવાનું છે.

મારું કામ તને તારી યુવાવસ્થા સુધી યોગ્ય ઘડતર કરવાનું છે, નહિ કે તને જીવનભર ગળે લગાડવાનું! મતલબ એ નથી કે મોટા થયા પછી 'તું તારા રસ્તે, અને હું મારા રસ્તે!' પણ એનો મતલબ એ થાય છે કે આપણે બંને આપણા પુરક બનીશું. ઘણી બાબતો એવી હશે કે મને ન સમજાય તો તું સમજાવજે. અને ઘણી બાબતો તને નહિ સમજાતી હોય તો હું તને સમજાવીશ! કારણ વગરની સલાહો આપવાથી મને.. અને ખોટા નિર્ણયો લેવાથી તને.. ઈશ્વર બચાવે એવી પ્રાર્થના!!

સંતાનોની બાબતમાં તને એવું લાગે કે તું માં-બાપ બનવાને લાયક છે, તો જ બનજે! શારીરિક ઉંમર વધવાથી લોકલાજે બાળક પેદા કરીને તારી અપેક્ષાઓ એના પર થોપીને તું ઈશ્વરની ગુનેગાર ના બનતી! સંતાન એ પ્રભુની પ્રસાદી છે. એની સાથે નારીયેલ જેવી બનજે. ઉપરથી કડક અને અંદરથી નરમ! ભરપુર પ્રેમ આપજે, પણ કડક હાથે કામ લેજે! તારું કામ કુમળા છોડને વટવૃક્ષ બનાવવાનું છે, જેથી તે સમાજને મીઠા ફળ આપી શકે!

સમાજના ઘણા રીતી રીવાજો એવા છે કે જેમાં તને સવાલો થશે. ગુસ્સો આવશે, પણ ગુસ્સાને નવી દિશામાં પરિવર્તિત કરજે!

જ્યાં જરૂર હોય, ત્યાં પાંચની જગ્યાએ પચાસ ખર્ચજે, પણ જ્યાં જરૂર ના હોય ત્યાં પાંચીયુંય ના ખર્ચતી! પરિવારની બાબતોમાં કરકસર કરજે, અને પોતાની બાબતોમાં કંજુસાઈ!

બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા પગારના અઢી ટકા સારા કામમાં વાપરજે, અને દસ ટકા બચતમાં! બેંક બેલેન્સ મજબુત કરવાને જગ્યાએ આશીર્વાદનું બેલેન્સ મજબુત કરજે!

વહુ બનવા કરતા દીકરી બનજે, અને જમાઈ બનવા કરતા દીકરો બનજે! વડીલોની બાબત પસંદ ના પડે તો ચૂપ રહેજે! અને.. છતાંય સહન ના થાય તો આગળ વધજે! તારી જીવનસાથીને પણ આ વાત પ્રેમથી સમજાવજે!

સમયસર બધું કરજે, પછી ભલે એ લગ્ન હોય કે નોકરી! ..અને સમયસર બધું છોડજે, પછી ભલે એ સત્તા હોય કે ઓફીસ!!

યાદ રહે કે તારી નબળી અવસ્થામાં તારું કુટુંબ અને તારા અંગત મિત્રો તારી સાથે હશે, માટે એમના માટે ગમે તે ભોગે સમય ફાળવજે! ..પણ દિવસનો અડધો કલાક તને જે ગમતું હોય એ કામ કરજે, અને એ પણ ભૂલ્યા વગર!

તારા સપનાઓને મારતી નહિ, કારણ કે એ અંતિમ સમયે પણ પુરા થતા હોય છે!

દંભી ધાર્મિકતા કરતા નાસ્તિક થવું સારું, એ યાદ રાખજે!

ખુશ હોય ત્યારે જોરથી હસજે, અને દુઃખી હોય ત્યારે શાંતિથી બેસજે, છતાંય ન રહેવાય તો જોરથી રડજે!

રજાઓમાં નવી જગ્યાએ ફરવા જજે! ભગવાન અને તું, તારી અંદર જ છે, એમને બહાર ના શોધતી!

આશીર્વાદ સહ..
*******

મેં મારા આતમરામને પૂછ્યું, "આટલું બધું લખ્યા પછી પણ જો તું વૃદ્ધાવસ્થામાં સંતાનો પાસેથી અપેક્ષા રાખતો હોઈશ તો?"

"..પણ હું તને વૃદ્ધ થવા દઈશ તો ને??!!" આતમરામે સિક્સર મારી!!
*******

યજ્ઞેશ રાજપુત
નાનકડી દીકરી તન્વીને અર્પણ.
લ.તા. ૪.૮.૧૯