બુધવાર, 2 ઑગસ્ટ, 2023

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે??

આપણામાંથી મોટાભાગનાં લોકો કેવી રીતે ભણ્યા છીએ?? ખરેખર આપણાં ઇન્ટેલેક્ચ્યુઅલો શા માટે વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે?? 
*********

ધોરણ ૧ માં હતો ત્યારે મને હજુયે એવું યાદ છે કે શિક્ષક પાટીમાં કોઈ મૂળાક્ષર/અંક લખી દેતાં અને કહેતા કે "આ ઘૂંટ!" ..અને હું ઘૂંટવા લાગતો! મને એ આવડતું એટલે હું હોંશિયાર કહેવાતો! 

......'પોતાનો કક્કો જ ખરો છે', એવું બાળકનાં મનમાં 'બ્રેઇન વોશિંગ'થી નાંખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે! 

એક શિક્ષકે બાળકને 'ક' શીખવાડ્યા પછી જોયું કે બાળકે  તેની પાટીમાં 'ક' લખ્યો તો છે, પણ એ ઉંધો છે! ..એટલે સાહેબ એને ફરીથી 'ક' ઘૂંટવા આપે છે. બાળક 'ક' ઘૂંટે તો છે, પણ અનેકવાર ઘૂંટયા પછીયે એ ઉંધો જ 'ક' લખે છે! ..ઉંધો 'ક' જોઈ સાહેબ ખીજાય છે, અને બાળકને એક થપ્પડ મારી દે છે!! બાળક સમજી નથી શકતો કે સાહેબે એનાં પર કેમ ખીજાયા?? એને શા માટે થપ્પડ પડી?? એ બાળક કશુંયે બોલ્યા વિના પાછો 'ક' ઘૂંટવા લાગ્યો!!... 

સમય જતાં બાળકને 'ક' કેવી રીતે લખાય એ આવડી તો ગયું.. પણ બાળકને પડેલી આ થપ્પડની લાંબાગાળે આપણાં દેશ પર શું અસર પડી, એ જાણો છો?? 

વર્ગમાં રહેલું ભણવામાં હોશિયાર બાળક બધાને વ્હાલું લાગે છે. વર્ગમાં શિક્ષકે કહ્યું, "આ સ્પેલિંગ પાંચ વખત જોઈજોઈને લખી નાંખ." એટલે ભણવામાં હોશિયાર બાળક પોતાને એ સ્પેલિંગ આવડતા હોવા છતાં તરત જ લખવા માંડે છે! એ ક્યારેય એવું વિચારતો નથી કે શા માટે મારે આ લખવું જોઈએ? એ સવાલ નથી પૂછતો.. માત્ર આદેશને ફોલો કરે છે, અને એ વિચાર્યા વગરની વેઠ ઉતાર્યા બાદ જયારે એ શિક્ષકને પોતાનું સુંદર અક્ષરવાળું લખાણ બતાવે છે, ત્યારે સાહેબ વર્ગમાં એનાં વખાણ કરે છે. આ નકામાં વખાણની ઘેલછા બાળકને નાનપણથી જ વિવેકબુદ્ધિ વાપર્યા વિના આદેશને ફોલો કરવાની, જે કુટેવ પાડે છે એનાં કારણે લાંબા ગાળે આપણા દેશ પર શુ અસર પડી એ જાણો છો??

'ભણવું/શીખવું' એ બાળકનું મુખ્ય કામ હોય છે અને આ જ કામ કરવા માટે જો તેના વાલી એને એવું કહે કે, "તું જે-તે ધોરણમાં જો પહેલો નંબર લાવીશ/સારા ટકા લાવીશ તો તને સાયકલ/મોબાઈલ/જે માંગે એ લઈ આપીશું." ...અને બાળક ખરેખર પહેલો નંબર લાવે ત્યારે એને જે જોઈએ એ મળે છે! ...તો આની લાંબાગાળે આપણાં સમાજ પર શું અસર પડી એ જાણો છો??
*********

બાળકને શું ભૂલ છે, એ એને ખબર જ નહતી, છતાંય એને થપ્પડ પડી! એને એની ભૂલ જાતે જ સમજવાની તક જ ન મળી, એનાં કારણે એ એવું સમજતો થયો કે મારાં શિક્ષક/વાલી હંમેશા સાચા જ હોય છે! એમને બધું જ આવડે છે, અને એ ક્યારેય ખોટાં હોઈ જ ન શકે! એ જેવું કહે એવું જ કરનાર આવા કહ્યાંગરા બાળકોને વાલીઓ/શિક્ષકો હોંશિયારની કેટેગરીમાં રાખે છે. જેથી બાળકનાં મનમાં નાનપણથી જ એવું ફીડ થઈ જાય છે કે હોંશિયાર બનવા માટે વાલીઓ/શિક્ષકો જે કહે એ વિવેકબુદ્ધિ વાપર્યા વગર કે સવાલ પૂછ્યા વગર કરી નાખવું! સ્પેલિંગ આવડતા હોવા છતાં પાંચ વખત લખીને પ્રસંશા મેળવનાર બાળકમાં મોટાં થયાં પછીયે ખોટાંનો વિરોધ ન કરવાની વૃત્તિ પેદા થઈ! પહેલો નંબર/સારા પર્સન્ટેજ લાવીને પોતાને ગમતી વસ્તુ મેળવનાર બાળક મોટું થઈને જ્યારે કોઈ હોદ્દા પર બેસે છે ત્યારે પોતાનું જ કામ કરવા માટે એ લાંચની ઈચ્છા રાખતો થાય છે! 

*નાનપણથી જ જેને પોતાના વડીલ સાચું માને એવું જ કરવાની, ખોટાંનો વિરોધ ન કરવાની અને પોતાનું જ કામ કરવા માટે લાંચ લેવાની ભરપૂર પ્રેક્ટિસ મળી હોય એવું બાળક મોટું થઈને વોટ્સએપ યુનિવર્સિટીમાં/મીડિયામાં/સોશિયલ મીડિયામાં દેખાતાં સમાચારોનું તથ્ય જાણ્યા વગર જ ખોટાંને સાચું માની લે એમાં શી નવાઈ??!!*
આપણામાંથી મોટાભાગનાં આવી જ રીતે તો ભણ્યા છીએ!! 
***********

આવી જ રીતે ભણ્યા હોવાં છતાં આપણાંમાંથી જ ખરેખર 'એજ્યુકેટેડ' લોકો એવું સમજી ચુક્યા છે કે ખાટલે મોટી ખોડ ક્યાં છે??!! પોતાનું તો જે થવાનું હતું એ થયું પણ પોતાનું બાળક આવા ખોડંગાઈ ગયેલા ખાટલામાં/અંધભક્તિમાં સડે એનાં કરતાં વિશ્વની શ્રેષ્ઠ કન્ટ્રીઝમાં સ્થાયી થાય તો એનું જીવન તો સુધરે!! જેમ જંગલમાં સિંહ અગાઉના સિંહથી જન્મેલા બાળકોને મારી નાંખીને પોતાનું જિન્સ આગળ વધારે છે એમ જ માનવજીન્સનો પણ આ જ સ્વભાવ છે કે પોતાનાં જિન્સને શ્રેષ્ઠ મળે! આવી વિચારધારાથી પ્રેરાઈને લોકો હવે પોતાનાં બાળકોને વિદેશમાં મોકલવા લાગ્યા છે!

બાળક પણ જે આઉટડેટેડ છે એવો કરીક્યુલમ ભણીને વિદેશ ભણવા જાય ત્યારે સૌથી પહેલાં એને ત્યાંની શિક્ષાને અનુરૂપ બને છે! એ ત્યાં જુએ છે કે અહીંનું શિક્ષણ 'દિમાગની બત્તી' ખોલે છે. સવાલો પૂછનારને પ્રોત્સાહન મળે છે. પોતાની ભૂલ સમજવાની તક મળે છે. માનવજીવનનું મૂલ્ય અહીં કરતાં ત્યાં વધુ છે એ સમજે છે. શોર્ટ એન્ડ સ્વીટ, વૈચારિક આઝાદીનો સ્વાદ ચાખનાર બાળક પછી ઓર્થોડોકસ ગુલામીમાં ન જ જીવે! માટે એ ફરી પાછું અહીં આવતું જ નથી અને મોટેભાગે ત્યાંજ સ્થાયી થઈ જાય છે! કારણ કે ખરું શિક્ષણ તો ઓર્થોડોકસ વિચારધારાથી આઝાદી જ આપવાનું કામ કરશે!! બાકી.. ડિગ્રીધારી શિક્ષણ માટે વોટ્સએપ યુનિવર્સિટી છે જ ને??!!
**********

યજ્ઞેશ રાજપુત
લ.તા.3.8.23

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો