ગુરુવાર, 5 ડિસેમ્બર, 2019

"તમે મારું ટોર્ચર કરો છો!!" (આર્તનાદ ભાગ 11)


"તમે મારું ટોર્ચર કરો છો!!"
 આર્તનાદ
(ભાગ 11)

********

સરકારી પ્રાથમિક શાળાઓમાં કોઈ બાળક સતત ગેરહાજર રહેતું હોય તો પ્રથમ ૩ દિવસ ન આવે તો બાળક દ્વારા, ૭ દિવસ ના આવે તો શિક્ષક દ્વારા, ૧૫ દિવસ ના આવે તો આચાર્ય દ્વારા, પછી એસએમસી દ્વારા અને સીઆરસી કો ઓર્ડિ. દ્વારા એમ લગભગ ૫/૬ વખત વાલીસંપર્ક કરવામાં આવે છે. એ જાણવા કે બાળક શા માટે નથી આવતું? યોગ્ય કારણ હોય તો ઠીક છે, બાકી સતત ૧ મહિના ગેરહાજર રહેતાં બાળકનું નામ માત્ર 'હાજરીપત્રક'માંથી જ કમી કરી શકાય છે! ..આ ૧ મહિના પછી ગમે ત્યારે, જો એ બાળક અને તેના વાલીને શાળાએ જવાનું/મોકલવાનું આત્મજ્ઞાન થાય તો શાળાએ એ બાળકને ફરી હાજરીપત્રક પર ચડાવવો પડે! (આવું કેટલી વખત કરવાનું, એની કોઈ સ્પષ્ટતા જ નથી!! મતલબ કે સતત એક મહિનો કોઈ પણ યોગ્ય કારણ વગર ગેરહાજર રહેનાર બાળક દર બીજા મહિને ધારે તો શાળામાં પાછું ફરી શકે છે!! આમ વર્ષાનતે 10 કરતાં પણ ઓછાં દિવસ આવીને એ બાળક જે-તે ધોરણ પૂરું કરી શકે છે, અને બધાં જ સરકારી લાભો પણ મેળવી શકે છે!! RTE મુજબ એને નાપાસ પણ કરી શકાતો નથી કે નથી એનું નામ કમી કરી શકાતું!! ..પછી બુમરાણ મચે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલાં બાળકો ભણવામાં નબળાં અને બોર્ડમાં આટલાં નાપાસ!!)

આ નિયમ કેટલો સરસ લાગે છે નૈ??

....પણ વાસ્તવિકતા સાવ ઉલટી છે!! જેમને ખરેખર ભણવું જ છે અને જેમને પોતાનાં બાળકોનાં ભણતરની ચિંતા છે, એવાં બાળકો અને વાલીઓ, ગમે તેવા સંજોગોમાં પણ પોતાનાં બાળકને ભણાવે જ છે અને બાળકો પણ ભણે જ છે!! વંદન છે એવાં વાલીઓ અને બાળકોને!!  ..પણ જેને નથી જ ભણવું.. માત્ર અને માત્ર સરકારી ફાયદાઓ જ ઉઠાવવા છે એનું કોઈ કશુંયે તોડી-ઉખાડી શકાતું નથી!!

મોટાંભાગના વાલીઓ સુપેરે જાણે જ છે કે એનું બાળક શાળાએ જાય કે ન જાય, શિક્ષકો એનું નામ કમી નથી કરી શકવાના! ..શિષ્યવૃત્તિ પણ મળવાની જ! ..પાસ પણ થવાના જ! ..અને શાળાએ પણ ન જવાની કોઈ સજા જ નહિ! ..એટલે આવાં લુપ-હોલ્સ જાણનાર અને પોતાના બાળકોની કશી જ પડી ના હોય એવા.. (રિપીટ કરું છુ.. જે વાલીઓ આવા ધડ-માથા વગરના નિયમો જાણે છે અને પોતાના બાળકોની બિલકુલ નથી પડી 'એવાં જ' નપાવટ વાલીઓ!!) ..લુખ્ખા વાલીઓ દિન-બદીન એટલી હદે વધતા જાય છે કે ક્યારેક શિક્ષકો અને શાળાને પણ હેરાન કરવામાં/દાદાગીરી કરવામાં પાછી પાની કરતા નથી! પોતાના જ બાળકોને ક્રિમિનલ બનાવવાની નાનપણથી જ ટ્રેનિંગ આપતા આવા સમાજ માટે ખતરારૂપ વાલીઓ મોટેભાગે તો સ્થાનિક રાજકારણીઓનાં ચમચા જ હોય છે! શાળાને મદદરૂપ થવાને બદલે વારેઘડીએ નાનીનાની વાતોમાં ટોળાં ભેગાં કરવા, રૂપિયા પડાવવા અને ધમકીઓ આપવી એ એમના માટે રમત વાત છે! વળી, સરકારી શાળાઓના અગણિત સારા પાસાઓને ક્યારેય ઉજાગર ના કરીને ટીવી અને પ્રિન્ટ મીડિયા પણ જાણે શાળાઓ એમની 'સૌતન' હોય એમ મારી-મચેડીને ખરાબ પાસું જ બતાવવાની હોડમાં લાગેલી હોય છે!  પાછા આવાં જ લોકો સરકારી શાળાઓ મરવા પડી છે ની સૌથી વધુ કાગારોળ મચાવતા હોય છે!!

આવા બે-જવાબદાર વાલીઓ વિશે લખવાનું કારણ દુર્ભાગ્યે કાલે જ બન્યું! મારાં જ વર્ગમાં ભણતી એક બાળકી (..એક્સ્ટર્નલ ભણતી કહી શકાય, કેમ કે એ બાળકીનું જૂન મહિનામાં એડમિશન થયા બાદ એ આજની તારીખ સુધીમાં ૭૦ થી ૮૦% દિવસ ગેરહાજર/ABSENT રહી છે!) સતત ૭-૮ દિવસ ના આવે એટલે મારો ફોન વાલીને જાય! એ વાલીનો એક જ જવાબ હોય, "કાલથી આવશે!" ..એટલે એકાદ દિવસ આવે અને પછી પાછું 'જૈસે થે' જ હોય! સતત શાળાએ ન આવે એટલે ભણવાનું પણ ન જ આવડે! વળી, આ બાળકી વાલીની એટલી માથે ચડાવેલી કે જ્યારે શાળામાં આવે ત્યારે કોઈને કોઈ ફરિયાદ હોય જ!! કોઈની નોટ/ચોપડીનું પાનું ફાડી નાંખે, પેન્સિલની અણી ઘુસાડી દે, વસ્તુ ચોરી લે, ઝઘડે-ચૂંટણી ખણી લે અને ભણવા-લખવાનું તો નામ જ નહીં! (ઓફિસમાંથી એને ચૂપચાપ ચોક લેતાં એક શિક્ષકે જોયેલું ત્યારે એણે કહેલું, "મેરી મમ્મીને બોલા હૈ ચોક લે આને કો!")

બાળકની આવી બાબતોનો એક શિક્ષક તરીકે બહુ રિસ્પોન્સ ન આપતા એને મારી બાજુમાં જ બેસાડું! ઘણી વખત અનુભવ્યું છે કે આવું બાળક શિક્ષકની બાજુમાં પણ બેસતું થાય તો પણ વર્તનમાં ઘણો ફરક પડી જતો હોય છે, પણ એ પોઝિટિવ ફરક માટે બાળકનું શાળામાં રેગ્યુલર આવવું જરૂરી છે! ..એ બાળકી રેગ્યુલર તો છે જ નહીં! બે દિવસ આવે પછી ચાર દિવસ ના આવે, અને પછી અચાનક એક દિવસ પ્રગટ થયા પછી પાછી એબ્સન્ટ!! આવી પરિસ્થિતિમાં હું એના પપ્પાને ફરિયાદ કરું! રોજ શાળાએ મોકલવા, અને ભણવા પર ધ્યાન આપવા કહું!

કાલે અચાનક એનાં પપ્પાનો ફોન આવ્યો, અને ગુસ્સામાં મને કહે કે "મને તમારાથી તકલીફ છે. તમારું નામ પ્રગનેશ છે એ મને યાદ છે અને હું તમારી છેક ઉપરના લેવલ સુધી ફરિયાદ કરવાનો છું કારણ કે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો."

"હેં.." મને નવાઈ લાગી, "શુ કીધું? ટોર્ચર?"

"હા.. ખાલી મને જ નહીં, પણ સ્કૂલના બધા જ વાલીઓ પર તમે ટોર્ચર કરો છો." એ કહે, "મને વારેઘડીએ ફોન કરીને તમે 'મારી છોકરી ભણવા નથી આવતી..' અને 'ઘરે ભણવા બેસાડો..' અને 'વર્ગમાં કશું લખતી નથી..'..ને આવું બધું કહી કહીને તમે મને અને બીજા વાલીઓને ટોર્ચર કરો છો એટલે હું મારી છોકરીને તમારી સ્કૂલમાંથી ઉઠાવી લઈને તમારાં મોટાં સાહેબો સુધી છેક ઉપરનાં લેવલ સુધી હું તમારી ફરિયાદ કરવાનો છું કે તમે મને અને બીજા વાલીઓને મેન્ટલી ટોર્ચર કરો છો."

મેં પૂછ્યું, "બાળક સ્કૂલમાં નિયમિત આવે જ નૈ, ભણવામાં ધ્યાન જ ન આપે કે પછી કશું ન કરવાનું કરે.. તો એની જાણ અમે તમને કરીએ એને તમે મેન્ટલી ટોર્ચર કહો છો?"

"હા.." એ કહે, "મેન્ટલી ટોર્ચર જ કહેવાય ને! તમારું કામ બાળકોને ભણાવવાનું છે અને સંસ્કાર આપવાનું છે. નાનું બાળક સ્કૂલે આવે કે ના આવે એ તમારે નથી જોવાનું!"

(એની સાથે અડધી કલાક થયેલી વાતચીતના કેટલાંક અંશો રજૂ કરું છું:-)

"એ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે એને ભણાવવાનું હોય.."
"નાનું બાળક છે એ.. સ્કૂલમાં આવે પણ ખરા અને ના પણ આવે.."
"તમારું કામ એને સંસ્કાર આપવાનું અને સુધારવાનું છે.." "એને મારો અને સુધારો.."
"હું ક્યારેય તમને એવું કહેવા નહીં આવું કે તમે એને કેમ માર્યું?"
"બોલો ઉઠાવી લઉં તમારી સ્કૂલમાંથી.. બોલો.."
"રીસેસમાં બાળક ઘેર આવી જાય એમાં શુ ફોન કરવાનો.. એ તો બાળક છે, એને તો એમ જ લાગે ને કે સ્કૂલ છૂટી ગઈ!"
"હું રાતના બાર વાગે ઘેર આવું છું.."
"ના.. મેં એની નોટ ક્યારેય ચેક નથી કરી.."
"તમારા આચાર્યને તમારી ફરિયાદ એકવાર તો કરવી જ પડશે.."

(પ્રજ્ઞા વર્ગમાં બાળકે ટુકડી પ્રમાણે કલાસ બદલવાના હોય છે એ બાબતે..અંદાજે ૩ મહિના પહેલાં 'આ જ વાલીએ' મારાં પ્રજ્ઞા વર્ગ ટુકડીના પાર્ટનર શિક્ષિકાબેન સાથે અભદ્ર વ્યવહાર કરતા એવું કહેલું, "આ બધી શું ભવાઈઓ માંડી છે?.. ગુજરાતી અહીં ભણવાનું અને ગણિત બાજુમાં..!! શું નાટક કરો છો તમે બધા ભેગાં થઈને..? મારી છોકરીએ આજે અહીં બેસવાનું અને કાલે બાજુમાં..!! મારી છોકરીને તમારે વર્ગમાં બેસાડવી નથી એમ કહોને..!")
.
.
.
...અડધો કલાક વાત ચાલી! છેલ્લે એને એની ભૂલ સમજાતા "સોરી સાહેબ.. કઈ બોલાઈ ગયું હોય તો.." કહીને ફોન મૂક્યો! મારી ગરિમા/સ્વમાનનું હનન કરીને એનાં તુચ્છ "સોરી"નું મારે મન કોઈ મૂલ્ય જ નથી!

મફતમાં બધું મળે છે, એટલે આવાં વાલીઓને મન સરકારી શાળા 'ગામભાભી' બનીને રહી ગઈ છે! હજારોની ફી લેતી ખાનગી શાળા હોત તો RTE ને ભૂલીને તાત્કાલિક સર્ટી આપી દેત! ..અને બીજું સત્ય એ પણ છે જ કે ખાનગી શાળામાં હજારો ની ફી ભર્યા પછી પણ એ ત્યાં એવું ના કહી શકતો કે "તમે મારુ ટોર્ચર કરો છો!''

શિક્ષક પર ભરોસો જ ના હોય એવાં વાલીઓને તાત્કાલિક સર્ટી આપી દેતાં આચાર્યો અને અધિકારીઓ ભૂતકાળમાં હતાં, હજીયે ક્યાંક હશે! અમારે તો આવાને સર્ટી આપીએ તો RTE નામે ધમકાવવાવાળા પડ્યા છે!!

વંદન એવાં ખુમારી વાળા આચાર્યોને અને અધિકારીઓને, કે જેઓ પોતાનાં શિક્ષકોનું સ્વમાન હણાવા દેતાં નથી!!


*ડોન્ટ થિંક એવર*

મેં ક્યાંક વાંચેલું છે કે આપણાં ગુજરાતમાં જ એવો એક રાજવી થઈ ગયો કે જેણે ફરજીયાત શિક્ષણ દાખલ કરેલું! ..અને જો વાલી બાળકને નિયમિત શાળાએ ના મોકલે તો એની પાસે દંડ ઉઘરાવવાની તથા જેલ મોકલવા સુધીની જોગવાઈ કરેલી! ધન્ય છે એ રાજવી!! અત્યારે તો માત્ર વૉટબેન્ક જોવાય છે! દેશનાં એ 562 રજવાડાઓ પ્રજાનું વધારે ભલું કરતાં હશે, આ આજનાં 2-3 લાખ નેતાઓ કરતા!!

મો.રફીકભાઈ જેવાં હજારો વાલીઓને પણ વંદન, કે જેમને ઘર બદલ્યાને ચોથા જ દિવસે પોતાની દીકરી રૂકસારનું સર્ટી લઈને બીજી શાળામાં નામ લખાવી દીધું, જેથી એનું ભણતર ના બગડે!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો