https://www.facebook.com/share/174VNPFQ6M/
આજે દીકરી 65 દિવસ પછી ઘેર આવી. જ્યારે ગઈ હતી ત્યારે મેં એને ભારતના મહાન વ્યક્તિત્વોનાં જીવનચરિત્રોની 24 ચોપડીઓ આપેલી અને કહ્યું હતું કે "હોસ્ટેલમાં ફ્રી ટાઈમમાં વાંચજે."
હવે એ ઘેર આવી છે એટલે મેં પૂછ્યું,"તને કોના વિશે વાંચવું વધુ ગમ્યું??" મને એમ કે એ ચોક્કસ કોઈ વૈજ્ઞાનિક વિશે કહેશે, પણ હું ખોટો ઠર્યો.
એણે કહ્યું,"ડૉ. આંબેડકર વિશે..!!"
"શું કીધું?? ડૉ. બાબાસાહેબ આંબેડકર??" મને નવાઈ લાગી.
"..તો એમાં આટલા ચોંકો છો શુ કામ??" એણે પૂછ્યું.
હું થોથવાયો! મેં કહ્યું, "બેટા મને નવાઈ એટલા માટે લાગે છે કેમ કે મેં ક્યારેય કોઈ 11-12 વર્ષના બચ્ચાંના મોઢે બાબાસાહેબને વાંચવું ગમ્યું એવું કહેતા સાંભળ્યું નથી. મને પણ એમ જ હતું કે તું કોઈ વૈજ્ઞાનિકનું નામ બોલીશ. પણ તે બાબાસાહેબનું નામ લીધું એ મને ખરેખર ગમ્યું છે."
"મને વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ.. પછી કલ્પના ચાવલા વિશે પણ ગમ્યું. મેં સૌથી પહેલા તો બધા વૈજ્ઞાનિકોની જ ચોપડીઓ વાંચી પણ આંબેડકરની ચોપડી વાંચવામાં બહુ મજા આવી."
"કેમ?" મેં પૂછ્યું.
"બીજુ તો કઈ વધારે યાદ નથી.. પણ મને એક વાત એમની એ બહુ જ ગમી કે એમની પાસે કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે કરવું હતું એ.. એ કરીને જ જમ્પયા!"
"મતલબ??" મેં વધુ જાણવા કોશિશ કરી.
"મતલબ.. તમે જ વિચારો કોઇ એમને પાસે નહોતું બેસાડતું.. એમની જોડે એમની જાતિને કારણે કોઈ બરાબર વાતોયે નહોતું કરતું તોયે એ એટલું ભણ્યા કે આજે પણ.. આટલા વર્ષો પછી પણ એમનું લખેલું સંવિધાન આજે બધાને માનવું પડે છે."
"બહુ સરસ.. હજુ કાંઈ યાદ છે એમના વિશે??"
"હા.. એમની પત્નીને કોઈ મંદિરે જવું હતું તો એમને ના પાડી દીધી કે જ્યાં આપણું સન્માન ના થતું હોય એવાં મંદિરે જવાનો કોઈ મતલબ નથી."
"પછી??.." મારી ઉત્સુકતા વધી રહી હતી.
"મને બહુ યાદ નથી પણ કદાચ બૌદ્ધ ધર્મ માટે એમને એમનું ઘર પણ આપી દીધુ હતું."
"હંમમ.. પછી??"
"બસ.. બીજું કાંઈ નહીં પણ વિચારો તો ખરાં.. એમનું લખેલું સંવિધાન બધાને માનવું પડે છે અને કોઈ સપોર્ટ નહોતો તો પણ એમને જે ઇચ્છયું એ કરીને જમ્પયા!"
"બહુ સરસ બેટા.. હજુ બીજા કોઈ વિશે તને યાદ છે??"
"હા.. વૈજ્ઞાનિકનું નામ તો યાદ નથી પણ એમનો કિસ્સો યાદ છે. બધા મોટા મોટા નેતાઓ અને વૈજ્ઞાનિકોની હાજરીમાં એમને રોકેટ ઉડાડયું પણ રોકેટ ફૂસ્સ થઈ ગયું અને ઉડયું જ નહીં. અને તોયે એમને કોશિશ ચાલુ રાખી અને આખરે રોકેટ ઉડાડીને જ જમ્પયા!"
"એ અબ્દુલ કલામ હતા.."
"મને એક વાત તો સમજાઈ જ છે કે મને એવાં લોકો વિશે વાંચવાનું ગમે છે કે જેઓ પહેલાં પ્રયત્ને ફ્લોપ રહ્યા હોય પણ તોયે કોશિશ ચાલુ રાખીને આખરે પોતાને જે કરવું છે એ કરીને જ રહે છે." દીકરી આટલું બોલીને કશુંક કરવા જતી રહી!
સાંજે 5 વાગે વાત થઈ પણ મનમાં ઘુમરાયા કરતી હતી આખરે આ લખ્યું ત્યારે રાહત થઈ. પહેલા આવા ઘણા કિસ્સા લખતો પણ હવે ભાગ્યે જ લખું છું.
-યજ્ઞેશ રાજપુત
લ.તા.15.8.25
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો