સોમવાર, 18 નવેમ્બર, 2019

એક BLO ની બબાલ!! (આર્તનાદ ભાગ ૯)

એક BLOની બબાલ!!
(આર્તનાદ ભાગ ૯)

*******

*આ ૧૦૦% સત્યઘટનાઓ છે!!*

સત્યઘટના ૧ :-

હજુ તો એ શિક્ષિકાને નોકરી લાગ્યાને ત્રણ જ દિવસ થયેલાને બી.એલ.ઓ.નો ઓર્ડર આવી ગયો! રવિવારે મતદારયાદી સુધારણામાં શાળાએ બેસવાનું હતું. બીએલોના કામના બિનઅનુભવી એ શિક્ષિકા પાસે એક મુસલમાન ભાઈ નવું ફોર્મ-૬ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાએ ફોર્મમાં સરનામાંની કોલમ ભરવા એ ભાઈને પૂછ્યું, "ક્યાં રહો છો?"

"પાકિસ્તાનમેં.." એ ભાઈ બોલ્યા.

પાકિસ્તાનનું નામ સાંભળીને એ શિક્ષિકાબેન ચોકયાં! એમણે વિચાર્યું, 'આ ભાઈ તો પાકિસ્તાનથી આવેલા લાગે છે!' એમણે એ ભાઈને થોડીવાર ઉભું રહેવા જણાવ્યું. થોડીવાર પછી એક બીજા મુસ્લિમભાઈ ફોર્મ ભરાવવા આવ્યા. એ શિક્ષિકાબેને પૂછ્યું, "ક્યાં રહો છો?"

એ ભાઈ દાઢીએ હાથ ફેરવતા બોલ્યા, "પાકિસ્તાનમેં.."

હવે આ શિક્ષિકા ખરેખર મૂંઝાયા! એ તરત જ એમના સિનિયર કામચલાઉ આચાર્ય પાસે ગયા, કે જેઓ પોતે પણ બીએલો(!!??) જ હતા, અને કહ્યું, "પેલાં બે મુસ્લિમ ભાઈઓ પાકિસ્તાનથી આવ્યા છે, એવું કહે છે, તો શું કરું??"

એ આચાર્યે હસતા હસતા કહ્યું, "પાકિસ્તાન એટલે.. આપણી સ્કૂલની બાજુમાં વસંતગજેન્દ્રગડકરનગર છે ને?.. ત્યાં બધા મુસલમાનો જ રહે છે એટલે બધાએ એનું નામ પાકિસ્તાન પાડી દીધું છે! એ કઈ અસલીમાં પાકિસ્તાનમાં નથી રહેતા. તમતમારે એમના ફોર્મ ભરી નાખો."

સત્યઘટના ૨:-

(પાંચેક વર્ષ પહેલાની આ ઘટના યાદ આવતાની સાથે જ હું આજે પણ ફફડી જાઉં છું!! (બી.એલ.ઓ.મતલબ.. બીએલો- 'બી ગયેલો'..યુ નો??)

સાંજના સવા છ વાગી ગયા હતા. શિયાળાનો સમય એટલે અંધારું પણ ઘેરાયું હતું. રજાના દિવસે વધારે કામ થાય એ હેતુથી હું સવારથી જ અહી બી.એલ.ઓ.ના કામ માટે આવી ગયેલો!  સાંજ સુધીમાં ચાર માળીયાઓમાં સીડીઓ ચડી-ચડીને અને ફરી-ફરીને હું સજ્જડ થાકી ગયેલો. આખા દિવસમાં માંડ હું આઠ બ્લોક ફરી શકેલો. કોઈ પાણીનોય ભાવ પૂછતું નહતું! ઘર ખખડાવીએ એટલે શંકાની નજરે જુએ! કોઈ અજાણ્યા આદમીને જોતાની સાથે જ 'કોન હો તુમ?' 'કહાં સે આયે હો?'.. જેવાં ભારેખમ વાક્યો બોલતા બધા ભેગા થઈ જાય અને પોલીસ કરતાંય ખતરનાક ઇન્વેસ્ટીગેશન કરે એવી આ જગ્યા!!

હજુ ઘણું કામ બાકી હતું. જુના શિક્ષકોએ મને એટલો તો ચેતવેલો કે 'રાતે આ જગ્યાએ કામ નઈ કરવાનું..!' ..પણ મેં હોશિયારી કરીને હજુ એક બ્લોક ફરવાનું વિચાર્યું! યાદીમાંથી ઘર નંબર જોયો અને બ્લોકમાં ઘૂસીને ઘર શોધ્યું. દરવાજાની તિરાડમાંથી લાઈટનો પ્રકાશ આવતો હતો, એટલે મેં દરવાજો ખખડાવ્યો! લોબીમાં સાવ અંધારું થઇ ગયું હતું.

મેં નોંધ્યું કે દરવાજો ખખડાવતાની સાથે જ અંદર આવતા અવાજો બંધ થઇ ગયા હતા. થોડીવાર સુધી કોઈએ દરવાજો ના ખોલ્યો.. એટલે મેં ફરી દરવાજો ખખડાવ્યો, અને બુમ લગાવી, "ખોલો.."

થોડીવાર પછી દરવાજો સહેજ ખુલ્યો! અંદરથી એક 6 ફૂટ ઊંચા પઠાણ જેવા લગતા ભાઈએ થોડું માથું કાઢી પૂછ્યું, "કિસકા કામ હૈ?"

"યે ચૂંટણીકાર્ડકા કામ હૈ.." મેં યાદીમાં નામ જોઈ પૂછ્યું, "..યે.. ..ભાઈ યહાં રહેતે હૈ?"

"ચૂંટણીકાર્ડ??.." પેલાં પઠાણીએ પૂછ્યું.

""હાં.."  મેં કહ્યું.

"તુમ યહાં કા ચૂંટણીકાર્ડ બનાતે હો??.." પેલાંએ ફરી પૂછ્યું.

"હાં.." હું અકળાઈને બોલ્યો! ...તરત જ એ પઠાણી મુસલમાને ઘરનો દરવાજો ખોલ્યો અને મારો હાથ પકડીને ઘરની અંદર ખેંચી લીધો!!

એકદમ થયેલા આવા રી-એક્શનથી હું તો ડઘાઈ જ ગયો! ઘરમાં ખેંચતાની સાથે જ એણે દરવાજો બંધ કરી દીધો.. અને દરવાજે ઉભો રહી ગયો!! માત્ર ચંદ સેકન્ડોમાં એટલું બધું થઇ ગયું કે હું કઈ સમજી જ ના શક્યો! મેં ઘરમાં નજર ફેરવી .. નીચે ફર્શ પર બીજા ત્રણ પઠાણી લોકો બેઠા હતા! એ લોકો મને જોઇને.. કાં તો ડરેલા હતા..અથવા.. ખબર નઈ, ..પણ 'એલર્ટ' તો થઇ જ ગયા હતા!! ઘરમાં કોઈ સામાન દેખાતો નહતો! ખૂણામાં બે -ત્રણ બેગ હતા અને વચ્ચે કૈક નાસ્તો કરી વધેલાં  ડુંગળી-મરચાંવાળો કાગળ પડ્યો હતો!!

"તુમ્હેં જીતને પૈસે ચાહિયે લે લો.. લેકિન હમે ઇહાં કા ઈલેક્શન કાર્ડ બના દો." દરવાજે ઉભેલો પેલો પઠાણી બોલ્યો.

ચાર-ચાર છ ફૂટિયા પઠાણી લોકો વચ્ચે ઘેરાયેલો હું જબ્બર ડરી ગયો! ..પણ થોડી બહાદુરી રાખી કહ્યું, "દેખિયે.. મૈ સિર્ફ ઈલેક્શન કાર્ડ દેતા હું.. બનાતા નહિ હું!!"

"અભી તુમને બોલા ને? કી તુમ કાલા ફોટુ બનાતે હો??!!" પેલાએ પાછા ભારેખમ અવાજે પૂછ્યું. મેં નોંધ્યું કે પેલાં બેઠેલાં ત્રણ પઠાણીઓ મને વિચિત્ર નજરે ઘૂરી રહ્યા હતા! મેં હિંમત રાખી કહ્યું, "ઐસે થોડી નાં બનતાં હૈ કાલા ફોટુ?.. સબ પુરાવે તો ચાહિયે ના?"

"કોઈ ભી પુરાવે નઈ હૈ.. ઇસીલિયે તો બોલ રહે હૈ, જીતના ચાહિયે ઉતને પૈસે લે લો.."

મેં થોડું ગભરાઈને કહ્યું, "પહેલે દરવાજા ખોલો. મૈ બાદ મેં બતાતા હું ક્યાં કરના હૈ?!!"

પેલાં પઠાણીએ નીચે બેઠેલાં લોકો સામે જોયું, પછી મારી સામે જોયું.. અને દરવાજો ખોલ્યો!

હું તરત જ ઘરની બહાર નીકળી ગયો અને બોલ્યો, "કોઈ ભી પુરાવે કે બગેર ચૂંટણીકાર્ડ બનાના હો તો કલેકટર ઓફીસ ચલે જાઓ.. વાડજ મેં! વહાં કોઈ ભી પુરાવે કી જરૂરત નહિ રહેતી. આધે ઘંટેમે બના દેંગે."

પેલાં બધા થોડાં ગુસ્સા/નિરાશાથી મને ઘુરકી રહ્યા હતા!

"કિતને પૈસે લોગે?" પેલાએ ફરી ઓફર આપી!

"પચ્ચીસ રૂપયે! વહા પચ્ચીસ રૂપયે મેં હિ બનતાં હૈ!" આટલું બોલીને હું ત્યાંથી, સાચું કહું તો, ભાગ્યો છું! 'મતદારયાદી ગઈ તેલ પીવા' જાન બચી તો લાખો પાયે.. એવું વિચારીને હું બહાર નીકળ્યો, અને બાઈક ચાલુ કરીને સીધો ઘરભેગો થઇ ગયો!!

******

અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ઇ.ડબલ્યુ.એસ. (શહેરી ગરીબ આવાસ યોજના)ના મકાનો ફાળવાયા, જેને 'ચાર માળીયા' પણ કહે છે!! અહી લગભગ ૯૦% પબ્લિક તો શાંતિપ્રિય જ છે, પણ પાંચ થી દસ ટકા મકાનો એવા છે કે જ્યાં આ ચાર 'માલિયા' વિજય 'માલિયા'ની જેમ જ ઘણા ભાગેડુ અને ગુનાઇત લોકોનું આશ્રયસ્થાન બન્યું છે!! (દોઢેક માસ પહેલા જ અહીંથી 'બાળતસ્કરી'(અથવા તો બાળકો પાસે ભીખ મંગાવવાનું!)નું મોટું કૌભાંડ પોલીસે પકડી પાડેલું! છાપામાં વાંચ્યા મુજબ ૧૫ જેટલાં બાળકોને આ ચુંગાલમાંથી પોલીસે બચાવેલા! અંદાજે દર મહીને/પંદર દિવસે આ ચાર માળિયા છાપામાં પ્રગટ્યા જ હોય! બે-ત્રણ વર્ષ પહેલાં કોઈ પોલીસની બંદુક પણ ચોરી ગયેલું એવું સાંભળવામાં આવ્યું હતું! ..અને રેપકેસ અને મારામારી તો ખરા જ!!  )

કુલ મળીને ૨૦૦ થી પણ વધારે ચારમાળિયાનું વિકટ જાળું છે આ વિસ્તાર! પ્રત્યેક બ્લોકમાં ૩૨ મકાનના હિસાબે કુલ ૬૪૦૦ થી પણ વધુ મકાનો! શરૂઆતમાં કોઈપણ પ્રકારનું નામકરણ ના થયું હોઇ, આ વિસ્તાર માત્ર 'શહેરી ગરીબ આવાસ યોજના' નામે ઓળખાતો! પણ સ્થાનિક લોકોએ પોતપોતાની રીતે એનાં નામ પાડી દીધા છે! નામ પણ કેવા??!! ..'હિન્દુસ્તાન', 'પાકિસ્તાન', અને 'શ્રીલંકા'!!

(૧) સ્કૂલથી  જમણી બાજુ ૪૯ બ્લોક (૧૫૬૮ મકાનો!), કે જ્યાં લગભગ બધા જ મુસ્લિમ પરિવાર રહે છે! તેનું વાસ્તવિક નામ 'વસંતગજેન્દ્રગડકરનગર' એવું લંબુલચક છે, પણ સ્થાનિકો એને 'ક્યાં રહો છો?' એવું પૂછીએ તો  'પાકિસ્તાન' કહે છે!!

(૨) આ 'વસંતગજેન્દ્રગડકરનગર'ની બાજુમાં બ્રિજ છે. બ્રિજ ઓળંગો, એટલે ૭૭ બ્લોક (૨૪૬૪ મકાનો!) છે, કે જ્યાં હિન્દૂ-મુસ્લિમનાં ભેગા મકાનો ફાળવાયા છે! સૌથી જોખમી અને નાજુક એવાં આ વિસ્તારનું વાસ્તવિક નામ 'સદભાવનાનગર' છે! પણ હિન્દૂ-મુસ્લિમના પરિવારો ભેગા રહેતા હોવાથી સ્થાનિકો એને 'હિન્દુસ્તાન' કહે છે.

(૩) શાળાની પાછળ કુલ અંદાજે ૨૮ બ્લોક (૮૯૬ મકાનો!) છે, કે જ્યાં ૭૦/૩૦ મુજબ મુસ્લિમ/હિન્દૂ પરિવારો છે. વાસ્તવિક નામ 'શ્યામાપ્રસાદમુખર્જીનગર' છે, પણ સ્થાનિક નામ છે- શ્રીલંકા!!

(૪) એની આગળ છે 'ઇન્સાનીયતનગર'! હાલમાં જ લોકોને ત્યાં મકાનો ફાળવવામાં આવ્યા છે! (એટલે માત્ર ૧૨ બ્લોક જાણમાં છે!)

(૫)એની બાજુમાં હજુ બ્લોકો ખાલી પડેલા છે. આ ખાલી બ્લોકો જ ગુનાઈત પ્રવૃત્તિઓનું જડ છે, એવું હું માનું છું!! (શાળાની પાછળના બ્લોકો, કે જે 'શ્યામાપ્રસાદ મુખર્જી નગર/શ્રીલંકા છે, એ ફાળવાયા નહોતા ત્યારે ત્યાં 'નશીલા પદાર્થોનું વેચાણ', સૃષ્ટિ વિરુદ્ધની 'અસામાજિક પ્રવૃત્તિઓ' અને ખાલી બ્લોકોની બારી-બારણાં-પાઈપ ચોરીની બીનાઓ શાળાની બારીમાંથી નજરે જોયેલી છે!)

(૬) સ્કૂલની ડાબી બાજુ ૩૦ બ્લોક (૯૬૦ મકાનો), કે જ્યાં બધા જ હિન્દૂ પરિવાર રહે છે! જેને 'કુશાભાઉઠાકરેનગર' કહે છે!

(૭) ઈન્સનીયત નગરની બાજુમાં જ ઉમંગ ફ્લેટ છે. ઉમંગ ફ્લેટવાળા વિસ્તારને માનવનગર કહે છે. નર્ક એટલે શું?.. જો એ જાણવું હોય તો અહીં મુલાકાત કરવી રહી! બ્લોકોની વચ્ચે વરસાદ અને ગટરના પાણીથી બારેમાસ ભરાયેલાં વિશાળ ખાબોચિયામાં 'દેશી'(!!) વસ્તુઓનું લારીમાં વેચાણ થતું જોવા મળે! લોકો નશામાં ધૂત થઈને ખાબોચિયામાં પણ પડેલાં જોવા મળે! અહીં જવું એટલે સામે ચાલીને જોખમ વહોરવું કેમ કે અહીં ભરબપોરે તમે લૂંટાઓ એ શક્ય છે! અહીં હું પોતે જતાં ગભરાઉ છું, માટે સાચું કહું તો પાક્કી તો ખબર જ નથી કે કેટલાં બ્લોક છે, પણ અંદાજે 22 બ્લોકો હોવાનું જાણમાં છે!

(૮) હજુ થોડા આગળ વધી રોડ ક્રોસ કરો એટલે સદભાવના ચોકી પાસે મદ્રાસી મંદિર પાસે હાલમાં જ 'દેવીનગર' એવું ઘરઘરાઉ નામ આપેલા બ્લોક જોવા મળે! એ દેવીનગરમાં આમ તો કુલ બ્લોક 30 જેટલા છે પણ 10-12 બ્લોકમાં લોકો રહેવા આવ્યા છે, કે જેઓએ ઓનલાઈન ઇલે.કાર્ડનું ફોર્મ ભરીને તાજેતરમાં જ ઇલે.કાર્ડ મેળવેલા છે. અહીં રસ્તાની એકબાજુ મુસ્લિમ લોકો વધુ છે અને રસ્તાની બીજી બાજુ હિન્દુઓની મેજોરીટી છે!

(૯) સદભાવના નગર/હિન્દુસ્તાનની સામે ઝુંપડ પટ્ટી છે. જેમાં રહેતાં લોકો પણ આ જ મતવિસ્તારમાં આવતા હોઈ અમારે એનું પણ બી.એલ.ઓ.નું કામ કરવાનું હોય છે. આ ઝૂંપડપટ્ટીની પાછળ જ રેલવે સ્ટેશન પાસે ખંડેર થઈ ગયેલા બ્લોકોમાં અમુક નટ-બજાણીયા લોકોને ઘર ફળવાયા છે એટલે એનું નામ ખબર નથી!

(૧૦) ..અને છેલ્લે આ બધાની આજુબાજુમાં નવાં ફલેટ્સ બન્યા છે! જેમાં રહેતા લોકો પણ અમારા મતવિસ્તારમાંથી જ પોતાના નવાં ચૂંટણી કાર્ડ બનાવે છે.

આમ, અંદાજીત ૮૫૦૦ જેટલાં મકાનો માં રહેતાં અંદાજીત ૧૩૦૦૦ થી ૧૫૦૦૦ લોકોનું કરોળિયા જાળા સમાન ગીચોગીચ વિસ્તાર એટલે અમારો બી.એલ.ઓ.મતવિસ્તાર!

ચાર માળીયા વિસ્તારમાં ઘૂસો એટલે જો તમે એમ વિચારતા હોવ કે પહેલા નંબરના બ્લોકથી આપણે કામ કરવાનું શરુ કરીએ તો તમને પહેલાં નંબરનો બ્લોક શોધતાં જ દસ મિનીટ લાગવાની એ પાકું!! ગંદકીનો પાર નહિ!! બ્લોકમાં ઘૂસો એટલે પહેલા તો તમારે ડાઘીયા કૂતરાઓનો સામનો કરવો પડે! ઘણી વખત તો કુતરા પાછળ પડે એ લટકામાં! બ્લોક પાસે જ મોટાભાગે ખાટલાઓ ઉપર ચાર-પાંચ લોકો નવરાધૂપ બેઠેલાં જોવા મળે! ભૂલે ચુકે પણ જો એ લોકો તમારા હાથમાં મતદારયાદી જોઈ જાય તો તરત જ ટોળે વળી, તમને પૂછવા માંડે, "મેરા નામ ઇસમેં હૈ કે નહિ દેખોના.." મેરે નામમે ગલતી હૈ.." "મેને ફોરમ ભરેલા લેકિન અબી તક ઈલેક્શન ફોટુ આયેલા નઈ હૈ.." ..વગેરે!! મતદારયાદી હાથમાંથી ઝુટવી લેવા સુધી પહોચી જાય! મતદારયાદીમાં એટલી બધી ભૂલો છે કે એક પણ ઘર લાઈનસર જોવા ના મળે! ઘર તો છોડો, એક જ કુટુંબમાં રહેતાં સભ્યો પણ એક જ મત વિભાગમાં ના હોય! લગભગ ૫૦% કુટુંબોમાં માતા-પિતાનું નામ એક ભાગ નંબરમાં અને એમનાં  બાળકોનું નામ બીજા વિભાગમાં છે! લગભગ 10% લોકો એવા છે કે જેમના નામ એક કરતાં વધુ વિભાગમાં છે, કારણ કે ચૂંટણી કાર્ડની એક જ હોવું જોઈએ એ એમને ખબર જ નથી!! નામ ભૂલ થઇ હોય તો એ વ્યક્તિ ફરી ફોર્મ ભરી નવું કાર્ડ કઢાવે!! ઘર બદલ્યું હોય તો પાછું નવું કાર્ડ કઢાવે! ઘણી વખત એક કરતા વધુ વિભાગમાં/એક જ વિભાગમાં રીપીટેડ નામ હોવા છતાં મતદારને કાર્ડ મળ્યું જ ન હોય/એક જ કાર્ડ મળ્યું હોય/એક કરતા વધુ કાર્ડ એની પાસે હોય!! એમને કશું પૂછીએ તો સાચું જણાવે જ નહિ, શંકા કરે! ..કારણ કે ૨૦ થી ૩૦% લોકો ગેરકાયદેસર ભાડે રહે છે/બંધ મકાનમાં ઘુસણખોરી કરીને રહે છે! ઇવન લાઈટ પણ 'બે નંબરની' વાપરતા હોય! બદલામાં બાજુના ઘરમાં દર મહીને ૧૦૦/૨૦૦ રૂપિયા આપી દે! ૬૦ થી ૭૦% ઘરોમાં  દિવસના તાળા જ હોય! કામ-ધંધાર્થે ગયા હોય જે રાત સિવાય ઘરે આવે નહિ! ..અથવા તો મકાન ભાડે ચડાવી પોતે બીજે રહેતાં હોય, અને ભાડુઆતને કડક સુચના આપી હોય કે 'કોઈનેય એવું નહિ કહેવાનું કે આ મકાન ભાડે આપેલું છે, એવું કહેવાનું કે મકાન માલિક મારા સગામાં છે.'!! આવા લોકોના ફોન નંબર માંગીએ તો દે નહિ! ..અને નંબર દે તો મોટેભાગે રીચાર્જ જ ના કરાવ્યું હોઈ બંધ જ આવે/બંધ નંબર જ આપે! બહાના કરે.. 'ઘરમે ફોન હૈ ઈજ નઈ/ઉસકે પપ્પા લે ગયે હૈ/નંબર નઈ પતા/રીચાર્જ નહિ કરવાયા/ફોન ખો ગયા' વગેરે..!! ઘરનો દરવાજો થોડોક ખોલીને શંકાથી જુએ અને 'ધડામ' કરીને બંધ કરે! કોઈ મતદાર હાજર ના હોય તો રોજકામ/પંચકામમાં કોઈ સહી કરે જ નહિ! ઘણા ઘર તો એવા છે જ્યાં સ્કુલ/ટ્યુશન/દવાખાના/ફેક્ટરી/કારખાનું ચાલતું હોય! સ્ત્રી બી.એલ.ઓ. હોય કે પુરુષ બી.એલ.ઓ... જોખમ તો સરખું જ! ક્યારેક નાની-નાની વાતોમાં ધર્મના તણખા ઝરે! કોક વખત સાચી અને મોટેભાગે તો ખોટી જ હોય એવી અફવાઓનો તો પાર નહિ!.. 'બચ્ચે પકડને વાલે આયે હૈ.', 'હિંદુ-મુસલમાન કા ઝગડા હુઆ હૈ', રેપ હુઆ હૈ', મર્ડર હો ગયા હૈ..' વગેરે!! બાજુમાં જ રહેતાં પડોશીઓ પણ ઘરની બાજુમાં કોણ રહે છે એ ન જાણે!! ..અને જાણતા હોય તો કહે નહિ!! મતદારયાદીની કોઈ બાબતમાં સહી કરવાની હોય તો ૬૦% લોકો કરે જ નહિ!! ૫૦ થી ૬૦% લોકોના નામ/સરનામાં/ઉંમર/ફોટામાં ભૂલ હોય! ૯૯% મતદારયાદીમાં એક જ સરનામું છે.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! નવું ફોર્મ-૬ ભરીએ ત્યારે ઉલ્લેખ કરીએ કે વસંતગજેન્દ્ર નગર/સદભાવના નગર/શ્યામા પ્રસાદ મુખ્ર્જીનગર.. તોય જયારે કાર્ડ બનીને આવે ત્યારે લખ્યું હોય.. 'શહેરી ગરીબ આવાસ યોજના'!! ઉદા. તરીકે.. 

ધારો કે કોઈ એક મતદાર કાર્ડમાં સરનામું આવું લખ્યું હોય કે.. 'બ્લોક નં-10/૨૪૦, શહેરી ગરીબ આવાસ યોજના'.. તો આ સરનામું.. છ જગ્યાએ જોવા મળે.. કારણ કે બ્લોક નં-10/૨૪૦ નંબરનું મકાન વસંતગજેન્દ્રનગરમાં પણ છે, સદભાવનાનગરમાં પણ છે, કુશાભાઉઠાકરેનગરમાં પણ છે, ઈન્સાનિયત નગરમાં પણ છે, માનવનગરમાં પણ છે અને દેવીનગરમાં પણ છે!! હવે આ મતદારને શોધવા માટે અમારે બી.એલ.ઓ.એ છ જગ્યાએ ફરવાનું!! ..છેક ચોથા માળ સુધી ચડવાનું.. ત્યારે એ ઘર મળે! ..અને ઘર મળ્યા પછી ખબર પડે કે 'મહેરબાન મતદારશ્રી'  ત્યાં નથી રહેતો/મકાન ખાલી કરી દીધું છે/કારખાનું ચાલે છે/તાળું છે/બીજે રહેવા જતા રહ્યા છે/નામ-સરનામાં ભૂલને કારણે ખોટી જગ્યાએ આવ્યા છે.. ત્યારે એટલો ગુસ્સો ચડે કે બધું ફેંકીને ઘરે જતા રહીએ! ગમે તેટલી વાર સુધારા ફોર્મ ભરીએ, સાલ્લુ.. ૭૦% વસ્તુ સુધરે જ નહિ!! કોઈ સાચો મતદાર મળે તો.. મોટેભાગે તો જરૂરી ડોક્યુમેન્ટ હોય જ નહિ! ..કાં તો જન્મ સર્ટી  ના હોય/એલ.સી. ના હોય/સરનામાં નો કોઈ પુરાવો ના હોય/ઘણી વખત તો મરણ સર્ટી પણ ના હોય!! આ બધી જફા પછી પણ માત્ર ૪૦ થી ૫૦% જ કામ થાય, પણ વાર લાગે! ચૂંટણી ઓફિસે આપેલી સમય મર્યાદામાં ના થાય, કારણ કે અમારું મુખ્ય કામ 'શિક્ષક' તરીકેનું તો માથે ઉભું જ હોય! જેમાં.. ઉત્સવો/પરીક્ષાઓ/અઠવાડિક/માસિક/ઓનલાઈન હાજરી/પેપરો/અભ્યાસક્રમ/મેળાવડા/વાલીસંપર્ક/રિઝલ્ટ્સ/પેપર ચેકિંગ/ભીડ ભેગી કરવી.. આ બધાં કામ પછી છેક છેલ્લે 'ભણાવવાનું' તો ખરું જ!! ઘણાં શિક્ષકોનો રોજનો પગાર ૧૫૦૦ થી ૨૦૦૦ છે, અને બી.એલ.ઓ.ના ધમપછાડામાં વાર્ષિક ૩૦૦૦ મળતા હોય તો કોણ રસ લે? પાછા આ ૩૦૦૦ પણ ટાઈમસર ના મળે! ઓફીસોવાળા ટટળાવે!! કામ ના થાય તો કશુંયે તકલીફો સાંભળ્યા વગર ધમકીઓ આપે/નોટીસો આપે/ઘણીવખત નોકરી મુકાવા સુધી જાય!! શિક્ષણ ખાતું અને ચુંટણી ખાતું બંને ભેગા મળીને શિક્ષકને સેન્ડવીચ બનાવે અને એમાં મૂળ કામ 'બાળકોને ભણાવવાનો' છૂંદો નીકળી જાય! પોતાના બચાવમાં શિક્ષક ખોટું કરતો થાય! અને જે શિક્ષક પોતે જ ખોટાનો સહારો લઈને ઘર ચલાવતો હોય/ડરતો હોય એ શું આ પેઢીને બહાદુર બનાવે? ..નિર્ભય રહેતાં શીખવે?

******

બે વર્ષ પહેલાની વાત છે. અચાનક જ એવાં મેસેજ મળ્યા કે ગાંધીનગરથી ઇલેક્શનની ટીમ આવે છે! હું શ્યોર અને  નિશ્ચિંત હતો. આપેલી સમય મર્યાદામાં કામ પૂરું થયું છે કે નહિ એ જોવા એ લોકો આવવાના હતા! સાડા ત્રણ વાગે ટીમ આવી. ચાલુ ક્લાસમાંથી અમને ચાર બી.એલ.ઓ.ને બોલાવવામાં આવ્યા! અમે અમારું મુખ્ય કામ 'ભણાવવાનું' છોડીને ઓફિસમાં આવ્યા. જોયું તો, નાયબ કલેકટર થી માંડીને આખું ધાડું આવ્યું હતું! ગાંધીનગરથી આવેલા સાહેબે અમને વિનમ્રતાથી (..ખરેખર વિનમ્રતાથી જ!! 'માણસ પરખાય વાણીથી' પાઠ યાદ કરો તો સમજાય કે 'ચા કરતાં કીટલી ગરમ હોય છે!') પૂછ્યું, "કેટલું કામ થયું?"

"કામ ચાલુ છે." અમે બોલ્યા.

"હજી કામ બાકી છે.. કેમ?" એ સાહેબ બોલ્યા.

બધાં ચૂપ થઈને ઉભા રહ્યા!! હું બોલ્યો, અને ઉપર જણાવેલી બધી જ તકલીફોની વિગતો વિગતવાર કહી! શિક્ષકોની દરેક વાતો પર ભરોસો ના કરવાની એક ફેશન બની ગઈ હોવાથી સાથે આવેલાં એક અધિકારી કહે, "એ તો કામ ના થયું હોય ને એટલે બહાના કરે!"

"મારી પાસે મારા કરેલાં કામની વિગતો અને પુરાવાઓ છે!" મેં કહ્યું.

..તો એ સાહેબ કહે, "તમારું મતદારયાદીનું મટીરીયલ ક્યાં છે?"

"અહિયાં નથી, ઘરે છે." મેં કહ્યું.

"કેમ ઘરે? તમારે બી.એલ.ઓ.નું આ કામ નથી કરવાનું?"

"ચાલુ શાળાએ કામ કરીએ તો અમારા શિક્ષણખાતાના મોટા સાહેબ બોલે છે. એટલે શાળા સમય પહેલા કે પછી જ કામ કરીએ. આટલું બધું મટીરીયલ ઉચકીને કેમ ફરવું? એટલે ઘરે રાખ્યું છે. મારું ઘર નજીક જ છે એટલે તરત લઇ આવીએ." મેં કહ્યું.

"કેટલી વાર લાગશે એ બધું મટીરીયલ લઈને આવતા?" એ સાહેબે પૂછ્યું.

"દસ મિનિટ થશે."

"જાઓ લઇ આવો." સાહેબે આદેશ કર્યો, એટલે વર્ગ પડતો મૂકીને હું ઘરે ગયો. અને દસ મીનીટમાં બધું મટીરીયલ લઈને હાજર થયો.

"લાવો તમારી બધી વસ્તુઓ.." સાહેબે માંગી. મેં બધું મટીરીયલ એમને આપ્યું. અને સમજાવ્યું કે કેવી રીતે અમારે એક મતદારનો કોન્ટેક્ટ કરવા ચાર ચાર જગ્યાએ ચાર ચાર માળિયા ઉપર ચડવું પડે છે અને છતાંય કામ પૂરું થતું નથી?!! તો એમને કહ્યું, "સુધારાયાદીના ફોર્મ ભરી ને આપતા હોય તો આ સરનામાં સુધરી જાય ને?"

"દર વખતે નવું ફોર્મ ભરતી વખતે ચોક્કસ સરનામું લખીએ છીએ. છતાંય જયારે કાર્ડ બનીને આવે છે ત્યારે 'શહેરી ગરીબ આવાસ યોજના' જ લખેલું આવે છે! પાછા દર વખતે અમે જે ભાગમાં કામ કર્યું હોય એ જ ભાગ મળતો નથી! ..એટલે દર વખતે અમારે એકડે એક થી કામ કરવું પડે છે." મેં કહ્યું.

હવે એ સાહેબે સીધા જ કલેકટર સાહેબને સૂચનાઓ આપી કે 'બી.એલ.ઓ.ની તકલીફો સાંભળો. અને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો.' ...કલેકટર સાહેબે અમને કહ્યું કે 'તમે હજી એક વખત સાચું કામ કરો. તમારા આ વિસ્તારના બી.એલ.ઓ. માટે થોડો વધુ સમય દર વખતે આપીશું. અને બધાના સરનામાં સુધારીને આપો. અમે  કોશિશ કરીશું કે બધા મતદારોના સરનામામાં સુધારો થાય.'

..આ બીના પછી હું અને અમારા એક બીજા બી.એલ.ઓ. શિક્ષકસાહેબ અમે બંને સુધારા માટે મંડી પડ્યા! દસ દિવસની સખ્ખત મહેનત અને બધા બ્લોકોની 'ચઢાઈ' કરી-કરીને અમે બધાના સરનામાં સુધાર્યા અને બધું મટીરીયલ જમા કરાવ્યું.

...અઢી વર્ષ પછી પણ બધાના સરનામાની સ્થિતિ "જૈસે થે" જ છે!! હવે સાચું કહીએ તો, અમે એટલા નિરાશ થયા કે હવે કોઈ પણ જાતનું બી.એલ.ઓ.નું કામ કરતાં પહેલા જ "હથિયાર હેઠા મૂકી દીધા છે!"

*********

હાલ પાછુ બી.એલ.ઓ.નું એક અઘરું કામ સરકારે હાથમાં લીધું છે! EVP પ્રોગ્રામ હેઠળ બધા જ મતદારોનું ઓનલાઈન વેરીફીકેશન કરવું! આ કાર્યક્રમ હેઠળ સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું કે તમામ બી.એલ.ઓ.એ ઘરે ઘરે જઈને બધા જ મતદારોનાં સ્માર્ટફોનમાંથી એમનું વોટર વેરીફીકેશન કરવું! 'હાઈબ્રીડ બી.એલ.ઓ' નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યું. ઘણાના ફોનમાં એપ્લિકેશન જ ઇન્સ્ટોલ ના થઇ! અમે સુપરવાઇઝરોને આ બાબતની ફરિયાદ કરી, તો એ 'ઓફિસે જાઓ..' કહીને હાથ ઊંચા કરે! આ એપ્લિકેશનના ત્રણ-ચાર વર્ઝન પણ આવ્યા! છેવટે સાઇટે 'નાદારી' નોંધાવતા, 'વોટર હેલ્પલાઇન' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું! ..અને હું 'બુઠ્ઠી તલવારે જંગ જીતવા મેદાને પડ્યો!' ..મતલબ કે આ કામગીરી કરવા હું પાછો બ્લોકોમાં ગયો!!

મોટાભાગના મજુરીયા માણસો એટલે સાદો જ ફોન વાપરતા હોય! જેમાં વોટર વેરીફીકેશન થાય જ નહિ!! ચોથા ઘરે સ્માર્ટફોન મળ્યો! મતદાર ભાઈ થોડા ભણેલાં હોઈ વેરીફીકેશન માટે તૈયાર પણ થયા! એપ્લીકેશન ડાઉનલોડ કરી અને જેવું કામ ચાલુ કર્યું કે 'ચકરડું' ફર્યા જ કરે!! મતલબ કે સાઈટ ચાલુ થાય જ નહિ!! માંડ સાઈટ ચાલુ થઇ તો માત્ર એમનું જ કાર્ડ વેરીફીકેશન થયું! ફેમિલી ટ્રી બનાવવા એમની વાઈફ, અને માતા-પિતાનું નામ એટેચ કરવા પાછું 'ચકરડું' ચાલુ થઇ ગયું!! પેલાં ભાઈ મને કહે, "દેખીયે.. મુજે કામ પે જાના હૈ.. તુમ તો નવરે હો.. સુભે-સુભે આ જાતે હો.. મેને સબ સમજ લિયા હૈ.. તુમ બાદ મેં આના.. વરના મેં ખુદસે કર લુંગા!!'"

"'તુમ તો નવરે હો.." ..આ સાંભળીને એવો ગુસ્સો આવ્યો..! ..પણ ગુસ્સાને હું યુધિષ્ઠિરની જેમ ગળી ગયો!! ઘડિયાળમાં જોયું તો માત્ર એક જણનું વેરીફીકેશન કરવામાં મને પોણો કલાક થઇ ગયેલો!! પાછું આજુબાજુમાં ભેગાં થઇ ગયેલા શંકાશીલ લોકોને સમજાવવું પણ પડે કે આ 'વેરીફીકેશન' શેનું છે?.. નહિતર પાછા એવું સમજી બેસે કે 'હું એમનું મકાન પડાવી લેેેવા આવ્યો છું!!' ..એટલે વધુ સમય થાય!! બીજા બ્લોકમાં ગયો.. તો ઘર બંધ મળ્યું! ..બાજુમાં ગયો તો.. બધા ડોક્યુમેન્ટ 'ઉસકે પાપા કે પાસ હૈ' કહ્યું! શાળાનો સમય થઇ ગયો હતો એટલે હું શાળાએ જવા રવાના થઇ ગયો! પછી વિચાર્યું.. ઘરે જઈને બધાને ફોન કરીને શાળાની રીશેષમાં આવવા કહીશ! ઘરે ગયો.. બધા જ મતદારોના નંબર સેવ કરી વોટ્સ એપ ગ્રુપ બનાવ્યું! શાળા એ આવવા મેસેજ કર્યો. બીજા દિવસે જોયું તો માત્ર ત્રણ મતદારે જ મેસેજ વાંચેલો!! એ પણ આવ્યા તો નહિ જ! જીઓ ફોનમાં રોજના ૧૦૦ મેસેજ ફ્રી મળતા હોઈ લગભગ બધાને પર્સનલી મેસેજ કર્યા! એક જ મતદાર આવ્યો.. અને વેરીફીકેશન થયું! ઘણાના વળતા ફોન આવ્યા.. તો ફોન પર સમજાવ્યું! અમુકના ઘરે પણ ગયો! પંદર દિવસમાં માત્ર ૫૦/૬૦ લોકોનું વેરીફીકેશન કરી શક્યો!! ..અને એટલામાં કામગીરી ન થઇ હોવાને કારણે અમને બધાને નોટીસો મળી!! નોટીસનો જવાબ આપવા હું આ બધું લખીને ગયો! ..તો ત્યાં જઈને જોયુ તો ઓફિસવાળાઓએ 'કોથળામાંથી બીજું કૈક બિલાડું' બહાર કાઢેલું!! એમને સુચના આપી કે 'હવે તમારે ઘરે ઘરે ફરીને આ બધું કરવાની જરૂર નથી. તમારા ફોનમાંથી જ આ બધું તમે કરી શકશો. ખાલી તમારે ઘરે-ઘરે જઈને લાઈટબીલ લઇ લેવાના!!" હું મનમાં ખિજાયો. "પહેલાથી જ આ કરવું હતું ને?!! અમારા ધક્કા તો મટી જાત!!"

ઓફિસે એક સાઈટ/લિંક બતાવી. અમે ત્યાંજ.. ઓફિસે જ એ સાઈટ ખોલી!! ..તો પાછુ પેલું 'ચકરડું' ફરવા લાગ્યું!! સાઈટ ખુલે જ નહિ!! મેં કહ્યું, "સાઈટ નથી ખુલતી!" તો જવાબ મળ્યો, "એ તો બધા એક સાથે સાઈટ ખોલે છે ને એટલે!!"

મેં કહ્યું, "અમે માંડ પચાસ જણ સાઈટ ખોલીએ ત્યાં સાઈટ નથી ખુલતી.. તો અમે આ કામ કેવી રીતે કરીશું?"

"કોશિશ કરતુ રહેવાનું એટલે થઈ જશે.." ઓફિસમાં બેઠેલાં એક બેન બોલ્યા! હું મનમાં બોલ્યો, "અલ્યા અમારે બીજા કોઈ કામ-ધંધા છે જ નહિ કે અમે આખો દિવસ ફોનની સામે 'ચકરડું' ફરતા જોઈ રહીએ?" ત્યાં એમની જ ઓફિસમાં બેઠેલાં એક કોમ્પ્યુટર ઓપરેટ કરતા ભાઈએ બુમ પાડી કે, "સાહેબ ને કહો કે આ સાઈટ ખુલતી જ નથી.." અને મને હસવું આવી ગયું!!

પાછા બ્લોકોમાં બની શકે એટલાં ઘરોમાં ચઢીને-ફરીને જેટલાના મળ્યા એટલાના લાઈટબીલ ઉઘરાવ્યા અને થઇ શકે એટલું અમારા મોબાઈલમાં કામ કર્યું!!

...અને હવે ઓફિસેથી આદેશ આવ્યો છે કે "તમે જે લોકોના ઘરે ઘરે જઈને આ કામ કર્યું છે.. એમની નિયત નમુનામાં સહીઓ લઈને આવો.!!" મતલબ કે હવે અમારે પાછા બધાને ઘેર ફરી-ફરીને/ચાર માળિયા ચડી-ચડીને બધાની સહીઓ લેવા જવાની છે!! પહેલેથી જ આ કાગળો આપી દીધા હોય તો અમારે આ મજુરી ના કરવી પડે ને?? કોણ સાંભળે આ??!! બહેરા કાનોમાં અમારો અવ્વાજ જતો જ નથી!!

..તૂટી ગયો છું હવે!! આ બધાની અસર ક્યારેક ઘરે/શાળામાં દેખાય છે!! મગજ હેંગ થઇ ગયું છે!! 'આ બધું મનમાં નહિ લેવાનું' આ બ્રહ્મ વાક્ય જાણતો હોવા છતાં 'સેન્સીટીવ' સ્વભાવને કારણે ગુલામ બની ગયો હોવાનો ભાવ આવે છે! મેં જસ્ટ મારી દીકરીને કહ્યું, "મોટી થઈને મારી જેમ ગુલામ તો ના જ બનતી!!"

*********

*ડોન્ટ થીંક એવર*

ગુલામી વખતે દેશને આઝાદ કરવા માટે પોતાની વાત અંગ્રેજોના કાને નાંખવા માટે ભગત સિંહે કોર્ટમાં ધડાકો કર્યો હતો.. જેથી બહેરા કાનોમાં એમનો અવાજ સંભળાય!! આ ધડાકા માટે ઘણાં શિક્ષકો શિક્ષકસંઘવાળાઓને ગુહાર લગાવે છે! પણ.. કશુંયે વળતું નથી!!  ભારત દેશ ગુલામ હતો ત્યારે પણ અંગ્રેજો અને ગુલામો હતા.. અને અત્યારે પણ  જ!!  બસ.. એમની ભાષા આપણા જેવી છે અને બધા જ ભારતીય છે!

ક્લાસ વન એકઝામની તૈયારી કરતા 21 થી 25 વર્ષના યુવકો/યુવતીઓ, દિવસના બાર-પંદર કલાક વાંચવા માટે પોતાને ઘરના એક રૂમમાં બંધ કરીને, જયારે GPSC/UPSC જેવી એક્ઝામો પાસ કરે છે અને કોઈ મોટા હોદ્દા પર બેસે છે ત્યારે એમને સામાન્ય પ્રજાજનો/કર્મચારીઓ/પોતાના વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો શું ખ્યાલ હોય? જે હજી પરણીને ઘર ચલાવતા નથી થયા એમને પોતાના 'ક્રાયેટેરીયા' વિસ્તાર ચલાવવાનો શું અનુભવ હોય? 'યુવાનીનું ઊછળતું લોહી' પોતાના 'પુસ્તકિયા જ્ઞાન'ના જોરે એ.સી. ઓફિસમાં બેસીને 'બ્યુરોક્રસી' હેઠળ કોઈ અભણ નેતાની ઈચ્છાઓને પૂરી કરવા વાસ્તવિક દુનિયામાં એવા અવાસ્તવિક અને તુઘલખી નિર્ણયો લેતા હોય છે કે જેનાથી સામાન્ય પ્રજાજનોની કમ્મર ભાંગી જાય છે!! ..અને 'વિવેક' 'પ્રમાણિકતા' 'સત્ય' અને 'નિષ્ઠા' માત્ર કાગળ પર રહી જાય છે!! વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા.. જ્યાં વર્ષોના અનુભવીઓ નહિ, પણ 'પુસ્તકિયા જ્ઞાની'ઓ મોટા હોદ્દા પર બેસે છે, અને નહીવત ભણેલાં મંત્રીઓ બને છે!


-યજ્ઞેશ રાજપુત
લ.તા. 19-11-19


1 ટિપ્પણી: