શુક્રવાર, 11 જુલાઈ, 2025

...અને આખો ફ્લૅટ અંધશ્રદ્ધાથી ગંધાઈ ઉઠ્યો!!

...અને આખો ફ્લૅટ અંધશ્રદ્ધાથી ગંધાઈ ઉઠ્યો!! (અલબત્ત, અંધશ્રધ્ધામાં ના માનવું એ મારી શ્રદ્ધા છે!!)
********

https://www.facebook.com/share/p/1EBcUzckDG/

થોડાં દિવસ પહેલાં ફ્લેટમાંથી બાઇક કાઢી શાળાએ જતાં સવારના પહોરમાં અનુભવાયું કે કોઈ અજીબ વાસ/દુર્ગંધ આવી રહી છે. શેનાં કારણે આ દુર્ગંધ આવતી હશે.. મને ન સમજાયું! ..પણ ચાર-પાંચ દિવસ પછી બગીચમાં એ વાતનો ફોડ પડ્યો!!

હમણાં હમણાંથી 'દેખા-દેખીની અદેખાઈ'માં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે - કૂતરાં પાળવાનો! ડિસ્કવરી જોવાનો શોખીન હોઈ એક બાબત જોઈ છે કે જે વિદેશી ભારતમાં આવે એ રસ્તા પર ગાય/કૂતરાં જોઈને ખૂબ નવાઈ પામે છે! છેલ્લે TLC પર એક વિદેશીએ કટાક્ષમાં પણ કહેલું, "અગર આપકો કહીં પે ભી મવેશી દિખ જાયે તો સમજ લિજીએ આપ ભારતમે હો!" ...આવું ધ્યાનમાં પણ આવ્યું છે કે આવાં જ વિદેશીઓ જો અહીં ભારતમાં જ વસી જાય તો પાછા રસ્તે રખડતાં કૂતરાં-બિલાડાની સેવા કરવા લાગી જાય! (ભારતમાં રસ્તે રખડતાં કૂતરાં-બિલાડા સિવાયના જાનવરોની સેવા કરવામાં આપણી 'સેવા' પણ થઈ શકે.. એવું વિદેશીઓ પણ જાણે છે, એટલે જ એ માત્ર કૂતરાં-બિલાડાની જ સેવા કરે છે!!) વિદેશીઓ આવું શુ કામ કરતા હશે?? મને લાગે છે કે એ લોકો એવું એટલાં માટે કરતા હશે કેમ કે એમનાં દેશોમાં રસ્તે રખડતાં જાનવરો જોવા મળતા નથી. વળી, મારા એક વિદેશ જઈ આવેલાં મિત્રના કહ્યાનુસાર ત્યાં માણસોય ઓછાં જોવા મળે! હવે આવામાં એકલતા દૂર કરવા ઘરમાં કૂતરાં-બિલાડા પાળ્યા હોય તો એકલું-એકલું ન લાગે, એટલે એઓ આવા પાલતુ જાનવરોને પાળતા હશે..!!

..પણ આપણે અહીં ભારતમાં તો આવું કોઈ કારણ નથી!! ફ્લેટનાં રેગ્યુલર મેન્ટેન્સ દેવાનાં પણ ફાંફા હોય.. ઘરમાં રાંધવાના ઠેકાણા ન હોય.. સ્વચ્છતા અને ઘરને '36' નો આંકડો હોય... તોય એક જણાએ 'હાઈબ્રીડ' કૂતરો પાળ્યો હોય, એટલે મારુ સ્ટેટ્સ જાળવવા મારેય કૂતરો પાળવો જરૂરી બની જાય છે.. એવું માનવાવાળાની બિલ્કુલ કમી નથી!!..

સીડીએથી આવતાં-જતા બધાને ભસતો હોય.. ડાઘીયા જેવો લાગતો હોય.. ટ્રેઇન્ડ પણ એવી રીતે જ કર્યો હોય કે એ ક્યારેય કોઈ એંગલથી 'પાલતુ' ન લાગતો હોય તોય આવા લોકો પોતાનાં 'અન-ટ્રેઇન્ડ' કૂતરાને બધા પોતાનાં ઘરનો સભ્ય માને એવી ખોટી જીદ લઈને ફરતાં હોય છે! (સાદી ભાષામાં, કૂતરાં પાળવાની ત્રેવડ ન હોય!!) ઘરનાં નાનાં દીકરા/બાળકનું નામ ભલે 'રમેશ/સુરેશ' હોય પણ આ 'ડામિશ ડાઘીયા'નું નામ તો 'અંગ્રેજી'માં જ હોવું જોઈએ.. એવો ટ્રેન્ડ તેઓ બખૂબી નિભાવતાં હોય છે! કૂતરાં માટે રોજનાં 100 રૂ./કલાકોનો સમય ખર્ચવા બિલકુલ ન ખચકાતા આવા લોકો પોતાનાં ઘરના છોકરાવને બે-ટાઈમ સરસ ભોજન બનાવી આપવામાંય જાણે અપરાધભાવ અનુભવતા હોય એમ કુતરાંઓની સાથે સાથે એમનાં ઘરનાં છોકરાઓ પણ એ 'ડાઘીયા'ની સાથે એક જ વાટકામાં દૂધ-પારલે ખાઈ લે તો એમાં એમને કોઈ વાંધો નથી હોતો.. કેમ કે આ લોકો માટે કૂતરો તો બાળકો કરતાંય સૌથી અગત્યનો ઘરનો સભ્ય હોય છે!

પૂનમ/અમાસ હોય ત્યારે કૂતરાને ઘરની બહાર ન કઢાય.. એવી દ્રઢ 'શ્રદ્ધા' (..કે અંધ શ્રદ્ધા?!!) ને કારણે આ લોકો આવા સ્પેશિયલ દિવસે પોતાનાં પાલતુ ચો-પગા 'સભ્ય'ને ઘરની બહાર કાઢતાં હોતાં નથી!! ..પણ એ ગોઝારી પૂનમ/અમાસના દિવસે ભૂલથી કૂતરાને 'પીપીછીછી' કરવા બહાર કાઢ્યો, અને એ બીમાર પડી ગયો!! શું થાય.. ઘર આખામાં કૂતરાએ વોમીટ કરી હશે તે કોઈને ખબર ન પડે એમ પાણીથી ઘર ધોઈને બધું પાણી નીચે પાર્કિંગ એરિયામાં જવા દીધું.. અને આખો ફ્લૅટ 'વોમીટની અંધશ્રદ્ધા'થી ગંધાઈ ઉઠ્યો!! 

ઘરનું બાળક બીમાર પડે તો રૂપિયાની પેરાસીટમોલ ખવડાવતાં આવા લોકો પોતાનાં 'ડાઘીયા'ને 'ડાઘીયાઓના મોંઘાદાટ દવાખાને' લઈ ગયા હશે કે કેમ એ તો રામજાણે.. પણ એક વાત તો છે.. 'શેરીના કૂતરાં'ને પણ જો 'પૂનમ/અમાસ' નડતી હોત.. તો તો આવા સ્પેશ્યલ દિવસોના બીજા દિવસે 'વોમીટ'ની નદીઓ ન વહેતી હોત??!! 

જેણે 'જુમો ભીસ્તી' અને  'કાશીમાંનો કૂતરો' પાઠ વાંચ્યો/અનુભવ્યો હોય એ જ આનો જવાબ આપી શકે.. બાકીનાં..?? ...'ડંબેશનાં ડાઘીયા'ને પોતાનાં ઘરનો સભ્ય માની દૂધ-પારલે ખવડાવે!!

યજ્ઞેશ રાજપુત
લ.તા.11.7.21

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો