મંગળવાર, 19 મે, 2020

વીસ લાખ ડોલર માટે પચ્ચીસ વર્ષનો એક હોનહાર યુવાન સ્વેચ્છાએ પંદર વર્ષ સુધી એકાંત કારાવાસ સ્વીકારે છે અને એ શું પામે છે...?!

કાન્જી મકવાનાની ફેસબુક પોસ્ટ પરથી લીધેલ


વીસ લાખ ડોલર માટે પચ્ચીસ વર્ષનો એક હોનહાર યુવાન સ્વેચ્છાએ પંદર વર્ષ સુધી એકાંત કારાવાસ સ્વીકારે છે અને એ શું પામે છે...?!

આપણે સૌને આજે પોતાના હિત અને પોતાને લાગેલી બીક માટે જનતા કર્ફ્યુંમાં ઘરે બેસી રહેવું પડ્યું છે, કદાચ આવનાર સમયમાં આ વધુ દિવસો માટે ય કરવું પડે, અને કઈ ઉલાળ-ધરાળ ના હોય તો સ્વેચ્છાએ પણ વધુ દિવસ આમ ઘરવાસ માણવો જોઈએ. આ એક દિવસ માટે કેટલાક લોકોએ પુસ્તક વાંચવાનું પસંદ કર્યું ત્યારે અમારે હાયર સેકન્ડરીમાં ભણવામાં આવતી  એક વાર્તા યાદ આવે છે. દિગ્ગજ રશિયન સાહિત્યકાર એન્ટોન ચેખોવની એક બહુ જાણીતી વાર્તા છે: "The Bet" (શરત). ટૂંકમાં વાત એવી છે કે, 

શહેરના સૌથી શ્રીમંત એવા એક બેન્કરના જન્મદિનની ભવ્ય પાર્ટીમાં શહેરના નામાંકિત અને બુદ્ધિજીવી વ્યક્તિઓ આવ્યા છે એમની વચ્ચે ચર્ચા થાય કે "કઈ સજા સારી, મૃત્યુદંડ કે આજીવન કારાવાસ?", મોટાભાગના લોકોના માટે મૃત્યુદંડ અમાનવીય અને જુનવાણી પ્રથા છે. પણ હોસ્ટ બેન્કરનો મત જુદો છે, એ કહે છે કે, " કારાવાસના એકાંત અને પીડામાં રોજ રોજ  ઘૂંટાઈ-ઘૂંટાઈને મરવું એના કરતા બેટર છે મૃત્યુદંડ, એક જ ઝાટકે જીવનનો અંત-પીડાનો અંત,..."  પાર્ટી બેન્કરની છે, બેન્કર 
 સૌથી શ્રીમંત છે તો મોટાભાગના લોકો એની સાથે દલીલમાં ઉતરતા નથી પણ એક પચ્ચીસ વર્ષનો યુવાન સામી દલીલો કરે છે કે, "સાવ મરી જવું એનાથી સારું છે કે કોઈપણ રીતે જીવિત રહેવું..." 

વાત વધે છે અને બેન્કર વકીલને ચેલેન્જ કરે છે કે , "તું જો પાંચ વર્ષ પણ એકાન્ત કારવાસમાં રહી બતાવે તો હું તને વીસ લાખ રુબલ આપીશ" , (વાર્તા લખાય એ સમયે આ એમાઉન્ટ બહુ જ મોટી હતી), વકીલ પણ જોશમાં બોલી જાય છે કે "તમે જો તમારા આ પ્રોમીસમાં અડગ હો તો પાંચ વર્ષ નહિ હું પંદર વર્ષ રહેવા તૈયાર છું."

કારાવાસમાં રહેવા માટેના બધા જ નિયમો અને શરતોના કરાર થાય છે, યુવાન વકીલે બેન્કરના ઘરના કેમ્પસમાં આવેલી એક ઓરડીમાં પંદર વર્ષ સુધી કેદી બની રહેવાનું છે, ત્યાં એને કોઈ વ્યક્તિ મળવા નહિ આવી શકે, કોઈ અખબાર, કોઈ પત્રો નહિ મળે, નિયમ પ્રમાણે સાદું ખાવાનું અને એક સંગીતનું વાદ્ય અને જે માંગે એ પુસ્તકો-વાઈન-તમાકુ-મળશે, એ બધું એજ એક નાનકડી બારીમાંથી, એને પંદર વર્ષ સુધી સૂર્ય-ચંદ્ર જોવા નહિ મળે. પંદર વર્ષમાં એકપણ મિનીટ બાકી હોય અને વકીલ ઓરડીની બહાર આવી જાય તો બેન્કર પેલી રકમ આપવા બંધાયેલો નહિ રહે. 

અને શરુ થાય છે વકીલના પંદર વર્ષનો કારવાસ. 

એકાંતવાસના પેહલા વર્ષ દરમ્યાન વકીલે પોતે ભયંકર એકલતા અને હતાશા અનુભવી રહ્યો છે એવું પોતાના પત્રોમાં જણાવ્યું. તેના ઓરડામાંથી રાત-દિવસ પિયાનોનો અવાજ આવતો રહેતો. તેણે વાઈન અને તમાકુની પેહલા વર્ષે ના પાડી. તેનું કેહવું હતું કે વાઇનનું સેવન તેનામાં ઈચ્છાઓ જગાડશે જે તેના એકાંતવાસને વધુ કપરો કરશે અને તમાકુ તેના ઓરડાની હવા બગાડશે. પેહલા વર્ષે તેને વાંચેલા પુસ્તકો બહુ હળવી શૈલીના હતા. તેણે પેહલા વર્ષે મોટાભાગે પ્રેમકથાઓ અને સનસનીખેજ વાર્તાઓ જ વાંચી.

બીજા વર્ષે તેનું પિયાનો વગાડવાનું બંધ થઇ ગયું. તે વર્ષે તેણે માત્ર જૂની વાર્તાઓ જ વાંચી. પાંચમા વર્ષે કેદીએ પિયાનો વગાડવાનું ફરી શરૂ કર્યું. તેણે વાઈનની પણ માંગણી કરી. જેઓ તેને પેલી બારી માંથી જોતા તેમણે નોંધ્યું કે તે આખું વર્ષ કેદીએ ખાવા, પીવા અને સુવામાં જ પસાર કર્યું. તેણે આખું વર્ષ પુસ્તકો વાંચ્યા નહીં. તે ક્યારેક પોતાની જાત સાથે વાતો કરતો, ક્યારેક એકલો એકલો બબડતો રહેતો. ક્યારેક આખી રાત તે લખતો રહેતો અને સવારે પોતે લખેલા પાનાઓ ફાડી નાખતો. એકથી વધારે વખત તેના ઓરડામાંથી રડવાના અવાજો પણ સંભળાયા.

છઠ્ઠા વર્ષના ઉતરાર્ધમાં કેદીએ પુરા ઉતસાહથી ભાષાઓ, ફિલોસોફી અને ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. તે એટલી હદે પોતના અભ્યાસમાં મશગૂલ થઇ ગયો કે બેંકરને પછીના ચાર વર્ષોમાં તેના માટે આશરે છસ્સો જેટલા પુસ્તકો લાવવા પડ્યા. આ સમય દરમ્યાન કેદીએ જેલરને છ ભાષામાં પત્ર લખીને તેમાંથી ભૂલ શોધી કાઢવા પડકાર ફેંક્યો અને જો ભૂલ ન મળે તો કેદીને સંભળાય તેમ બંદૂકમાંથી બે રાઉન્ડ ગોળીબાર કરવા જણાવ્યું. બેંકરને તેમ જ કરવું પડ્યું.

દસમાં વર્ષ પછી, કેદી પોતાના ટેબલ પર શાંતિથી બેસીને માત્ર ગોસ્પેલ(ખ્રિસ્તી ધર્મના ઉપદેશનું પુસ્તક) વાંચવા લાગ્યો. બેંકરને નવાઈ લાગી કે જે વ્યક્તિએ ચાર વર્ષમાં છ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું તેણે આ એક નાનકડા પુસ્તક પાછળ એક આખું વર્ષ કેમ બગાડ્યું. ગોસ્પેલના અભ્યાસ પછી ધર્મના ઉદભવ અને થિયોલોજીનો અભ્યાસ શરૂ થયો.

છેલ્લા બે વર્ષમાં કેદી ખુબ મોટા પ્રમાણમાં પુસ્તકો વાંચવા લાગ્યો. તે અલગ અલગ વિષયોના પુસ્તકો એક સાથે વાંચતો. તેની માંગણીઓ અલગ અલગ પુસ્તકો માટેની રહેતી. તે જાણે પોતાની જાતને પુસ્તકો દ્વારા ડૂબતી બચાવવા મથતો હોય તેવું લાગતું.

આમ વકીલના એ પંદર વર્ષ પુરા થવાને માત્ર થોડા કલાકની વાર છે ત્યારે પેલો વૃદ્ધ થઇ ગયેલો બેન્કર વિચારે છે કે "આ પંદર વર્ષમાં ખોટા રોકાણ અને શેરબજારને કારણે આજે મારા પર દેવું વધુ છે મારી સંપતિ વધુ એ હું નથી જાણતો , આ પંદર વર્ષમાં હું પાયમાલ થયો છું એમ પણ આવતી કાલે આ વકીલને શરત મુજબ મારે વિસ લાખ રુબલ આપવા પડશે, ત્યારે એ તો હજુ ચાલીશનો જ થયો છે, બહાર આવી મારા પૈસે મોજ-શોખ-લગ્ન કરશે...અને હું ભિખારી બની એને જોતો રહીશ..."

બેકરના મનમાં આવી બેવકૂફી ભરી શરત મારવાના પસ્તાવા સાથે એક કાતિલ વિચાર આકાર લે છે કે વકીલને મારી નાખું તો, એ પંદર વર્ષથી વપરાઇ જ નથી એવી એ ઓરડીના તાળાની ચાવી લઇ ત્યાં જાય છે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે ઓરડીની બહાર રહેતો વોચમેન વરસાદથી બચવા કયાંક આડશ શોધતો દુર જતો રહ્યો છે, બેન્કર થાય છે કે ઠીક મોકો છે. એ પેલી બારીમાંથી જુવે છે તો કેદી વકીલ ટેબલ પર માથું ઢાળી સુતો છે, એક ઝાંખી મીણબત્તી બળે છે. બેન્કર તાળું ખોલી અંદર જઈ સાવ કૃશ:કાય થઇ ગયેલા, દાઢી-વાળ વધી ગયેલા-પીળી ચામડી ધરાવતા એ વકીલને એકપળ માટે તો ઓળખી ય નથી શકતો, બેન્કર ધારે છે આ સુતો સુતો આવતી કાલે આઝાદ લાખોપતિ થઈ જવાના સપના જોતો હશે પણ બસ એક તકિયો એના મોં પર દબાવવાની વાર છે મારે.  

 વકીલના મોં પર તકિયો દબાવતા પહેલા બેન્કરની નજર ટેબલ પર પડેલા એક કાગળ પર જાય છે, એ કાગળ ઉઠાવે અને વાંચવાનું શરુ કરે છે, એ કાગળ આ વકીલે અત્યારે સુતા પહેલા લખેલો છે, એમાં વકીલે લખ્યું છે કે: 

"કાલે બાર વાગ્યે મને મારી આઝાદી અને બીજા માણસો સાથે સંપર્ક કરવાનો અધિકાર પાછો મળી જશે પરંતુ હું આ ઓરડો છોડું અને ફરીથી સૂર્યપ્રકાશ જોવું એ પેહલા મારે તમને કઈંક કેહવું છે.ભગવાનને સાક્ષી માનીને હું પુરા હોશોહવાસમાં કેહવા માંગુ છું કે મને મારી આઝાદી, મારુ જીવન, મારુ સ્વાસ્થ્ય કે એવી કોઈ પણ દુન્યવી ચીજો જેને તમારા પુસ્તકોમાં સારી કહેવામાં આવી છે, નથી જોઈતી.

પંદર વર્ષ સુધી પુરી એકાગ્રતાથી મેં દુન્યવી જીવનનો અભ્યાસ કર્યો છે. હા, એ હકીકત છે કે મેં આ સમય દરમ્યાન દુનિયા જોઈ નથી કે લોકોને પણ નથી મળ્યો પણ મેં પુસ્તકો દ્વારા ઘણા અનુભવો મેળવ્યા છે. મેં એ પુસ્તકો દ્વારા વિશ્વની શ્રેષ્ઠ મદિરાઓનું પાન કર્યું છે, મેં ગીતો ગાયા છે, જંગલી રીંછોનો અને સૂવરોનો શિકાર કર્યો છે, સ્ત્રીઓને ચાહી છે.કવિઓ અને સાક્ષરોએ તેમણે સર્જેલા શબ્દો દ્વારા મારા મગજમાં નવા વિચારો ભર્યા છે. આ પુસ્તકોમાં હું ઊંચા પર્વતોની ટોચે પોહ્ચ્યો છું અને ત્યાંથી મેં સૂરજને ઉગતા નિહાળ્યો છે. સાંજને સમુદ્ર તથા પર્વતશિખરોને પોતાની સોનેરી ઝાંયથી મઢી દેતા જોઈ છે. મેં ગાઢ જંગલો, ખેતરો, નદીઓ, તળાવો અને શહેરો જોયા છે. મેં આ પુસ્તકોમાં જળપરીઓના ગીતો સાંભળ્યા છે, ભરવાડોના હોકાઓનો ધુમાડો જોયો છે અને ભગવાન સાથે વાતો કરી રહેલ શેતાનની પાંખોને અડ્યો છું. મેં આ પુસ્તકોમાં અજ્ઞાત જગ્યાઓની સફરો કરી છે, ચમત્કારો કર્યા છે, લોકો અને શહેરોનો નાશ કર્યો છે, નવા ધર્મો સ્થાપ્યા છે અને સામ્રાજ્યો જીત્યા છે.
આ પુસ્તકોએ મને જ્ઞાન આપ્યું છે. માનવજાતે યુગોથી ઘડેલા દરેક જાતના વિચારો મારા આ નાનકડા મગજમાં સમાઈ ગયા છે. મને ખબર છે કે હું તમારા બધા કરતા વધુ બુદ્ધિશાળી બની ગયો છું.

પણ હું બહુ દુઃખ સાથે કહું છું કે હું આ બધા જ પુસ્તકોને ધિક્કારું છું. હું આ તમામ જ્ઞાનને ધિક્કારું છું. આ બધું જ નકામું, ક્ષણભંગુર અને મૃગજળ જેવું ભ્રામક છે. તમે કદાચ બુદ્ધિશાળી અને અભિમાની હશો પણ મોત તમને એક દિવસ નાના ઉંદરની જેમ કચડી નાખશે. તમારું બધું જ અભિમાન, સંપત્તિઓ અને બુદ્ધિ એક ઝાટકે નાશ પામશે.

તમે તમારો રસ્તો ભૂલી ગયા છો. તમે આ સનાતન સત્યને અવગણીને એક જૂઠું જીવન જીવી રહ્યા છો. જો અચાનક ફળોના વૃક્ષો પર દેડકા અને ગરોળીઓ ઉગવા લાગે તો તમને કેવું આશ્ચર્ય થાય? એવું જ આશ્ચર્ય મને તમને બધાને આ રીતે જીવન જીવતા જોઈને થાય છે. મને હવે તમને સમજવામાં કોઈ જ રસ નથી.

"મને તમે જે જીવન જીવી રહ્યા છો તેના પ્રત્યે અને સંપત્તિ પ્રત્યે કેટલો ધિક્કાર છે એ સાબિત કરવા હું કાલે મારી શરતની અવધિ પુરી થાય એના પાંચ કલાક પેહલા જ ભાગી જઈશ."

બેંકરે વકીલ કેદીના આ શબ્દો વાંચ્યા પછી કાગળ અને તકિયો તેની જગ્યાએ પાછો મૂકી દીધો. તેણે હળવેથી કેદીના કપાળને ચૂમ્યું અને રડતા રડતા ઓરડાની બહાર નીકળી ગયો. તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. તે પોતાના ઓરડામાં પહોંચીને પલંગ પર આડો પડ્યો પણ દુઃખ અને તિરસ્કારની લાગણીઓએ તેને સુવા ન દીધો.

સવારે વોચમેને તેને કેદી ભાગી ગયાના સમાચાર આપ્યા. બેંકર ખાતરી કરવા પોતાના નોકરો સાથે ઓરડે ગયો. લોકોને શક ન પડે તે માટે તેણે પેલો કાગળ હાથમાં લઈને વાંચ્યો પછી ઘરે આવી ને તેણે પોતાને લાખો ડોલરનો ફાયદો કરાવનાર તે કાગળને તિજોરીમાં મૂકી દીધો.

એન્ટોન ચેખોવની આ વાર્તા અમારે મહેતા સાહેબ મસ્ત રીતે ભણાવતા,  કહેતા પેલો કેદી બુદ્ધત્વ પામે છે, માનો કે કોઈ કોરોનાના આઈસોલેશન વોર્ડમાં છે અને એ રીકવર થવાને બદલે ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધે છે ત્યારે એને શું બધું આમ જ નિરર્થક લાગતું હશે ?!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો